
“શ્વેતા”ના અંતિમ પ્રકરણ પહેલાં નવલકથાના પ્રાગટ્ય પૂર્વે માધવી બહેને કરેલી સમીક્ષા આપના અભિપ્રાય માટે આજે રજુ કરું છું. નવલકથા “શ્વેતા”ની પૂર્ણાહુતી પહેલાં હજુ થોડાં પ્રતિભાવો રજુ કરીશ.

માધવી દવે
એક અંગત પ્રતિભાવ–રસાસ્વાદ
મારે માટે આ બહુ મોટી વાત છે.
પ્રવીણ શાસ્ત્રી અને વહેતી વાર્તા….
“શ્વેતા”
પ્રવીણ શાસ્ત્રીનો અલ્પ પરિચય તો હતોજ. એમની નવલિકાઓએ એને ઘનિષ્ઠ સ્વરૂપ આપ્યું. એમની લઘુનવલ પુસ્તક સ્વરૂપ પામે તે પહેલા વાંચવાની તક મળી. સાથે સાથે એમના અંગત જીવનના પુસ્તકનાં પૃષ્ઠો પણ ઉઘડ્યાં. પ્રતિભાવ દર્શનની લાલચ રોકી શકાઈ નહિ. બસ….લાગ્યું તેવું લખ્યું.
મારે માટે આ બહુ મોટી વાત છે.
સિત્તેરમે વર્ષે નિવૃત થઈને માણસ સામાન્ય રીતે ઘરની આરામ ખુરશી – હિંચકો, બગીચાનો બાંકડો, લાકડી કે ઘરનો ખાટલો કે કોઈક તો વળી વ્હીલ ચેર પકડે છે. પણ આતો અમેરિકા. અહીં અમેરિકામાં વસતા પ્રવીણ શાસ્ત્રીએ નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે કલમ પકડી છે! આ મારે માટે બહુ મોટી વાત છે.
હાઈસ્કુલ અને કૉલેજ જીવનમાં ઈન્ટર સાયન્સના વર્ષ પછી લેખન પ્રવૃત્તિને લાંબો, ઘણો જ લાંબો, લગભગ ૪૪–૪૫ વર્ષનો વિરામ આપ્યો. સંસાર-સાધનામાં વ્યસ્ત પ્રવીણ શાસ્ત્રીએ ગુજરાતી સાહિત્ય સાથેનો સંપર્ક સદંતર ગુમાવી દીધો. વિવિધ કારણોસર છ–સાત વાર ભારત યાત્રા થઈ પણ સાહિત્યિક વાંચનનો કે સંપર્કનો અવકાશ ન હતો.
…અને અચરતભરી વાત તો એ, કે એમના હૃદયમાં ગુપ્ત પણે વહેતું સર્જનનું ઝરણું લુપ્ત ન થતા લાંબા વિરામ પછી એક જીવન વર્તુળ પૂર્ણ કરવા જાણે કે નવલિકાઓ દ્વારા પ્રગટ થયું. આ પ્રાગ્ટ્ય દ્વારા ૭૦ વર્ષના પ્રવીણકાંત શાસ્ત્રી સાહિત્યરસિક કિશોર સાથે ફરીથી જોડાઈ ગયા અને પુનર્જન્મ થયો ૭૦ વર્ષના એક નવોદિત વાર્તાલેખકનો!
લેખક પોતાની વાત કરતાં શરૂઆતમાં જણાવી દે છે કે “સાહિત્ય શબ્દ મારાથી ન ઊંચકી શકાય એટલો વજનદાર છે. હું સાહિત્યકાર નથી જ.” આ કેવળ એમનું નિરાભિમાન જ નથી, નિખાલસતા પણ છે. તેઓ નિજાનંદ માટે લખનારા લેખક છે અને એમના આ આનંદનો છેડો ‘ગુજરાત દર્પણ‘ અને ‘તિરંગા ઈન ન્યુ જર્સી‘ દ્વારા બહોળા વાચક વર્ગ સુધી લંબાઈને સહુને પણ એક વાર્તા માણ્યાનો આનંદ આપવાનો એમનો નમ્ર પ્રયાસ છે. એઓ એમની વાર્તાને નવલિકા ગણવાને બદલે માત્ર કૌટુંબિક જીવનની વાતો જ કહે છે.
એવીજ એક વાત, વહેતી વાર્તા “શ્વેતા” લઘુનવલનો ફલક પામીને ગુજરાત દર્પણમા હપ્તાવાર પ્રગટ થવા માંડી. આજે પુસ્તક સ્વરૂપે એ કૃતિ આપણા હાથમાં છે.
વાર્તાની શરૂઆત ખૂબજ રસપૂર્ણ છે. કોડિલી નવવધૂ શ્વેતા, પતિ અક્ષય સાથે ના સુખમય દામ્પત્યની શરૂઆતની પળોની મનોરમ કામના કરતી બેઠી છે. પરંતું પ્રથમ રાત્રિથી જ એનો, સંસાર સાથેનો સ્વપ્નભંગનો સિલસિલો શરૂ થાય છે. પતિની નફ્ફટાઈ, પરસ્ત્રી સાથેનો સંબંધ, છીછરાપણું, વ્યસંગ વ્યાસંગનો પરિચય પામીને થયેલો આઘાત હૈયામાં છુપાવીને એ મૌન રહેવાનું પસંદ કરે છે.
પહેલી રાત્રિના કટુ અનુભવ પછીની સવારે એ પરંપરાગત ભારતીય સ્ત્રીની જેમ વિચારે છે કે અક્ષયને પ્રેમ અને સેવાથી એ જીતી લેશે. પરન્તુ એજ સવારે જ્યારે અક્ષય એને નફ્ફટાઈથી કહે છેઃ
“ગુડ મોર્નિંગ હની. હાઉ વોઝ યોર નાઈટ? હોપ યુ સ્લેપ્ટ વેલ” ત્યારે પતિની ક્રૂર મનોવૃત્તિથી પરાજિત થવાને બદલે, “શ્વેતાને ઉત્તર વાળવાનું જરૂરી ન લાગ્યું. તે ઊઠીને ડાઈનીંગ રૂમમાં ગઈ.” આ બે વાક્યો મૂકીને લેખક શ્વેતાના ચરિત્રચિત્રણની જાણે કે દીવાદાંડી ખડી કરી દે છે. સુજ્ઞ વાચકને અહીં અણસાર મળી જાય છે કે હવેથી એ કોઈ રડતી–કકળતી લાચાર નારીને નથી જોવાનો. આગળ બનતી ઘટનાઓ દરમ્યાન નાયિકા શ્વેતાનું પાત્ર આત્મવિશ્વાસથી ભરપૂર શક્તિશાળી મનોબળવાળી સ્ત્રી તરીકે વિકસતું રહે છે એનો અણસાર ઉપરના બે વાક્યો દ્વ્રારા કરાવી દેવો એ લેખકની સિધ્ધિ છે.
પછીની ઘટનાઓ ખૂબ ઝડપથી વહેતી રહે છે. આ સાચ જ ઘટનાત્મક લઘુનવલ છે.
શ્વેતા અક્ષયનું હનીમૂન પર સ્વિટ્ઝરલેન્ડ જવું, કેથીનું પણ સામેલ થવું, પરસ્ત્રી સાથે વ્યસ્ત અને મસ્ત રહેતા પતિની અવહેલના અને અપમાન ચૂપચાપ સહન કરવાને બદલે ભારત પરત આવતા રહેવું; એ બઘું ત્વરાથી બની જાય છે. અપમાન – અવમાનથી બળતી શ્વેતા માટે વાક્યો આવે છેઃ “ભૂખ લાગી હતી, હ્યુમીલીએશનને અવગણીને પેટમાં ઓરી લીઘું” આ જ હ્યુમીલીએશનથી ભાંગી પડવાને બદલે લેખક શ્વેતાને નાટ્યાત્મક રીતે ભારત પાછી લાવે છે.
સાસુ–સસરા સ્વરૂપે શ્વેતાને માતા–પિતા મળી રહ્યા છે એની જાણ એને ત્યારે થાય છે કે હકીકત જાણ્યા પછી પોતાના પુત્રને બદલે પુત્રવધુને તેઓ સાથ આપે છે.
શ્વેતા અહીં એક વેધક પ્રશ્ન કરે છેઃ “તમે મને પુત્રી માનતા હો તો આવા ચારિત્ર્યહીન જમાઈ સાથે મને રહેવા દો ખરા?” અહીંથી સબંધના સમીકરણ બદલાઈ જાય છે. પુત્રના નામનું નાહી નાંખી પિતા જણાવે છે કે તું હવે વિધવા છે. વિધવાનું પુનર્લગ્ન હું કરાવીશ.
શેઠ સુંદરલાલ અને એમની પત્ની સુવર્ણાના પ્રસન્ન દાંપત્યની પડછે શ્વેતાના દુઃખદ વર્તમાનને સુખદ ભવિષ્યમાં પરિવર્તિત કરવા માટે તેઓ બન્ને દ્રઢ નિર્ણય કરે છે. શ્વેતાને એની બધી જ કુશળતા, ભણતરનો ઉપયોગ કરવાની તક સર્જે છે.
શરૂઆતમાં વાર્તા લેખક પોતાની કથનીમાં કહે છે કે હું કોઈ સાહિત્યકાર નથી પણ સોફામાં બેસીને કરાતી વાતોને આત્મીયતા પૂર્વક આલેખું છું.
લેખક અહીં એથી પણ એક ડગલું આગળ વધી જાય છે. સોફામાં બેસીને વાતોથી આગળ જઈને આ લઘુનવલ સોફામાં બેસીને જોઈ શકાતી એક સોપ–ઓપેરા બની જાય છે.
લેખકની કલમ એક કેમેરાની જેમ ફરે છે, જ્યારે તેઓ બંગલાનું, ઓફિસનું કે અન્ય વાતાવરણનું વર્ણન કરે છે. ડેકોરેશન, ડીઝાઈનનું એવું ઝીણવટ ભર્યું વર્ણન છે કે જાણે સહુ દ્ર્શ્યો વાચકની આંખ સામે ઊઘડતા આવે છે. તમે તમારા મનમાં દ્ર્શ્યો સાથે સુમેળ સાધે તેવું પાર્શ્વ સંગીત સાંભળતા હો એવી અનુભૂતી અનુભવો છો.
દેશ્–વિદેશના વિશાળ ફલક સાથે ઘરગથ્થુ અંગ્રેજીની ભરમાળ વાળી ભાષા સાથે લેખકની આંખથી આપણે દૃશ્યો જોઈએ છીએ અને શ્વેતાની વાર્તા સાંભળીએ છીએ. જે વાંચવાની વાત છે એ આમ વાચકના મનમાં દૃશ્ય–શ્રાવ્ય માધ્યમની સોપ–ઓપેરા બની જાય છે.
વાર્તા ઝડપથી આગળ વધે છે. પોલીસ ઓફિસર મલ્હોત્રાના સહકારથી સુંદરલાલ અને શ્વેતા અક્ષયને પાંસરો કરી કેથીથી છૂટો પાડવાની સફળ યોજના બનાવે છે. ત્યાર બાદ અક્ષયનું ભાંગી પડવું, ડ્રગ રેકૅટ્સનો પર્દાફા સ થવો, કેથીની ધરપકડ, અક્ષયની બિમારી, કુટેવોને કારણે એઈડ્સ ડેવલપ થવો અને અંતે એની છિન્નવિછિન્ન જિંદગી પોતેજ સંકેલી લેતો બતાવવો – આ સર્વમાં ભારોભાર ડ્રામા ભરવામાં આવ્યો છે.
ડ્રોઈંગરૂમના સોફામાં બેસીને નિહાળાતી લઘુનવલ રૂપી આ સોપ ઓપેરાને રસપ્રદ બનાવવામાં લેખકે કોઈ કસર છોડી નથી. એમાં તન–ધન લાલસા છે, મનના ઉદ્વેગો છે, ડ્રગ અને લગ્નેતર સંબંધો છે, એઈડ્સ અને અત્યંત આઘુનિક સેક્સ ચેઈન્જની વિગતો છે. આ વિશાળ આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસારિત છે.
આપણામાં એક બહોળો વાચક વર્ગ એવો પણ છે કે જેઓને માનવ જીવનના આ સર્વ પાસાઓમાં બેહદ રસ છે, તેઓને તો આ લઘુનવલ ઘણી જ ગમશે એવું મારૂં માનવું છે.
લેખક પ્રવીણ શાસ્ત્રીની છણાવટ જીવનરસથી ભરપૂર છે.
હવે શું?…વાચકની ઉત્સુક્તાનો દોર તેઓ પોતાના હાથમાં રાખી શકે છે. નવલના અંત સુધી પહોંચ્યા પહેલા વાચક પુસ્તક નીચે મુકી શકતો નથી.
એક પછી એક ઝડપથી બનતી જતી ઘટનાઓ શ્વેતાને હ્યુમનમાંથી સુપરહ્યુમન બનાવતી જાય છે જેમાં એ એક સામાન્ય ઘરની દીકરીમાંથી સુંદરલાલ શેઠે રૂપાંતરિત કરેલી મોટા ઘરની વહુ, એક સફળ બિઝનેસવુમન, સંવેદનશીલ હૃદયની નિકુળની મિત્ર અને પ્રેમોત્સુક આદિત્યની પ્રેમિકા અને પત્ની બની શકી છે.
આની સાથે વાર્તામાં આવતો સ્મગરનો ખજાનો કે શેઠ સુંદરલાલનો નબળી પળોમાં સોનાલી સાથે બંધાતો લગ્નેતર સંબંધ, સુવર્ણા અને સોનાલીની સંતાન પ્રાપ્તીની ઝંખના અને મેળવેલા પુત્રો પ્રત્યેનુ વાત્સલ્ય, સુંદરલાલનાજ લોહીના પુત્રનું શ્વેતાના જીવનમાં આગમન વિગેરે ઘટનાઓ લઘુનવલના હાર્દને વફાદાર રહેવા કરતાં સોપઓપૅરાના ફોર્મેટને વધુ વફાદાર રહેતું હોય એમ લાગે છે.
વાર્તામાં આવતાં પાત્રો શ્વેતાના પાત્રના આધાર સ્તંભ તરીકે ઊભરે છે. સુંદરલાલ શેઠ, સુવર્ણાબેન, યોગેશભાઈ, ભાભી, શિવુકાકા, ગણપતકાકા, નિકુળ, સોનાલીબેન અને અંતે આદિત્ય પણ શ્વેતાના પાત્રને નિખારે એ રીતે આલેખાયલા છે.
માત્ર શ્વેતા જ નહીં પણ સુંદરલાલ શેઠ વિશિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. પારકા જણ્યા અક્ષયને પોતાનો જ પુત્ર ગણી સફળતાના શિખરે જોવા ઈચ્છે છે. નાહિ નાંખ્યા પછી પણ હાર્દિક લાગણી જળવાઈ રહે છે. ઘરના નોકરવર્ગને સ્ટાફ મેમ્બર અને પરિવારના સભ્યો ગણે છે તો ગણપતકાકાને વડિલ તુલ્ય માન આપે છે.
વાર્તામાં સુંદરલાલ અને શિવાનંદ, શ્વેતા અને મલહોત્રા, શ્વેતા અને નિકુળ, રાજુભાઈ અને આદિત્ય, આદિત્ય અને મોનાની મૈત્રી પણ ઉચિતરીતે આલેખાયલી છે. લેખકની કલમના કેમેરામાંથી સૌ પાત્રોને વેશભૂષા સહિત જાણે કે વાચક પામી સકે છે. હળવા પાત્રો લાલાજી અને રાજુના સાળામાંથી સાળી બનેલ નિકિતાને જોઈને પાર્વતીબાના પ્રત્યાઘાત રમુજની પળ પૂરી પાડે છે.
લેખકની સાહજિક બોલીમાં લખાયલી આ વાર્તા અમેરિકામાં વસતા ગુજરાતી વાચકોને તો રસપ્રદ લાગશે જ પરન્તુ ભારતમાં વસતા વાચકોને પણ ગમશે એવી આશા રાખું છું. લેખકની આંખે લંડન જ નહિ પણ અમેરિકાના અમુક વિભાગોની સફર કરવાની પણ બહુ મજા આવી. વાર્તાના અંતિમ ચરણોમાંનું અમેરિકન જીવનનું વિગત પ્રચુર વર્ણન ઘણું આકર્ષક છે. સુંદરલાલ–સોનાલીનું પુનર્મિલન – આદિત્યને પુત્રરૂપે પામવો – પુત્રી સમાન પુત્રવધુ શ્વેતાને એ જ પદવી ફરીથી આપવી પરન્તુ સંબંધોની મર્યાદા જાળવીને રહસ્યોદ્ઘાટન ન થવા દેવું એ લેખકના વહેતા વાર્તારસની ટોચ છે.
વાર્તામાં આધુનિક વિચારસરણી ધરાવતા વડિલો છે જે બદલાતી જતી સામાજિક વિચારધારાના પ્રતિનિધિ સમાન ઊભરી આવે છે. બાળકો પ્રૌઢવયના વડિલોના લગ્ન કરાવે અને હનીમૂન પર પણ મોકલે એ પરિસ્થિતિ પશ્ચિમના જગતમાં સામાન્ય છે જેને ભારતમાં પણ સુપેરે દાખલ થતી દર્શાવી છે જે જરા પણ અજુગતું નથી લાગતું. લેખકની ભાષામાં સહજતા છે. વિગતપ્રાચૂર્ય છે પરંતુ એને કેમેરાના દ્રુષ્ટિકોણથી જોતાં અપ્રસ્તુત ન પણ લાગે. લેખકના કહ્યા પ્રમાણે વિસ્તરેલી વહેતી વાર્તાની ઘટનાઓ કોઈ પણ પ્રયાસ વગર કુદરતીરીતે જ સર્જાતી રહી. લેખક અને તેના પાત્રોને સ્વીકારવું પડ્યું કે “ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે.
જેને જીવનની અનિશ્ચિત ઘટમાળમાં રસ પડે અને વળાંકો લેતી પરિસ્થિતિઓની રોમાંચકતામાંથી પસાર થવાનું ગમે, તેમજ સાંપ્રત સમયના મનુષ્યોની જીવનરીતિમાં ભરપૂર આનંદ આવે તે સર્વ વાચકગણને આ લઘુનવલ જરૂરથી ગમશે!
સિત્તેર વર્ષે લેખનકાર્ય શરૂ કરનાર આ યુવાન લેખક પ્રવીણકાંતને અને તેમની પહેલી પ્રકાશિત થતી લઘુનવલ વહેતી વાર્તા – “શ્વેતા”; ને આવકારતા હર્ષ અનુભવતા વાચકગણોમાંની એક હું પણ તેમનું સ્વાગત કરતા ગૌરવ અનુભવું છું.
માધવી પંડ્યા દવે
પસાઈક, ન્યુ જર્સી,
યુ.એસ.એ.
Like this:
Like Loading...
Related
Thanks Snehaben.
LikeLiked by 1 person
ઘણા બધા વડીલ જીવનના આ પડાવ પર આવીને સાવ જ અટકી જાય છે ત્યારે આપ જેવા વડીલ લેખક મિત્રો કાયમ મને આનંદ આપે છે. લેખક, સાહિત્યકાર જેવું કશું નથી હોતું…જે લખે..પોતાની કલમને વાચા આપે, સ્વસ્થ મગજથી વિચારી શકે એ બધા સર્જક અને સાચો સર્જક સૌથી વધુ આદરણીય !
LikeLiked by 1 person
સ્નેહાબેન, આપને વહેતી વાર્તા – શ્રેતાનો સારાંશ ગમ્યો. આનંદ થયો. હાઈસ્કુલ કોલેજના વર્ષોમાં થોડું લખ્યુ અને છપાયું. ૭૦ પછી નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે ચાર-પાંચ વર્ષથી મનમાં ઉગેલી વાતો વાતો સાહજિક લોકબોલીમાં લખવા માંડી છે. નથી હું સાહિત્યકાર કે નથી સિધ્ધહસ્ત લેખક. શરીર અને મન સાથ આપશે ત્યાં સૂધી લખતો રહીશ. બહેન કુશળ રહો. ભારતના સામયિકો અને વર્તમાનપત્રો પ્રાપ્ત નથી. નેટ પર અને બ્લોગ જગતમાં ફરતો રહું છું. આપની પોસ્ટ વાંચતો રહીશ.
LikeLike
madhviben ni ane pravinbhai – be y ni kalam ne salaam..
LikeLike
માધવી બહેન બરોડાની એમ,એસ. યુનિવર્સિતિના એન્ટાયર્ડ લિટરેચર્ના ગોલ્ડ મેડાલિસ્ટ છે.
LikeLike
આજની પોસ્ટ એટલે માધવીબેન દવેનો “શ્વેતા”પુસ્તક વિષેનો એક સુંદર અભિપ્રાય !
માધવીબેને “શ્વેતા”પુસ્તક વાંચન કરી, જે શબ્દોમાં વર્ણન કર્યું તે વાંચી મારા હૈયે ખુબ જ આનંદ થયો.
જ્યારે “શ્વેતા”પુસ્તક પ્રવિણભાઈએ મને પ્રસાદીરૂપે મોકલ્યું હતું ત્યારે મેં પણ મારા શબ્દોમાં મારી ખુશી દર્શાવી હતી.
પણ….આજે માધવીબેન દ્વારા જે રીતે વર્ણન છે તે પુરાવો આપે છે કે “માધવીબેન ગુજરાતી ભાષાને પોતાના મન/હ્રદયમાં રાખી જે શબ્દ-શણગાર આપી શકે તેમાં એક સાહિત્યકાર છુપાયેલા છે”…માતા સરસ્વતીની કૃપા એમના પર છે.
ચાલો…આ પોસ્ટ વાંચતા માધવીબેનને જાણવાનો લ્હાવો મળ્યો ….એ પણ પ્રભુઈચ્છા આધારીત હશે.
……ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to Chandrapukar.
Invitation to Madhaviben too !
LikeLike