ભાષાને શું વળગે ભૂર

ફીર ભી દીલ હૈ હિન્દુસ્તાની ૧૪–સપ્ટેમ્બર ૨૦૧૬
ભાષાને શું વળગે ભૂર

harnish jani

હરનિશ જાની.
તમને જાણીને નવાઈ લાગશે કે હવે અંગ્રેજી ભાષા લખવામાં નવા ઝગડા ઉભા થયા છે. અત્યાર સુધી આપણી ગુજરાતી ભાષામાં જાત જાતના મુદ્દા ઊભા થયા છે. થોડા થોડા દિવસે આ ફોન્ટ સાચા ને તે ફોન્ટ સાચા. આ જોડણી સાચી અને પેલી જોડણી સાચી. ગુહરાતી રહેશે કે નહીં રહે? તો આ બધી ચર્ચામાં અંગ્રેજી ભાષા સંડોવાણી છે. અથવા તો સુરતી ભાષામાં કહીએ તો હવે અગ્રેજી હંડોવાયેલી મલે. વાત એમ છે કે કોમ્પ્યુટરની ભાષામાં કોમ્પ્યુટર પર અગ્રેજી લખાય છે; એ જે રીતે લખાય છે તે અમુક જુનાજોગીઓને નથી ગમતું. તેઓ આપણે ત્યાંના સાર્થ જોડણીવાળા જોડે સરખાવી શકાય કારણ કે તે લોકોને કોમ્પ્યુટરના ફોન્ટ નથી ગમતા.તેઓ માને છે કે અગાઉ સ્કુલોમાં થર્ડ ગ્રેડમાં લખવાની અંગ્રેજી ભાષાને “કર્સીવ‘ ઢબે લખવાનું શીખવાડવામાં આવતું હતું. જે હવે નથી શીખવાડાતું. આ “કર્સીવ “એટલે અમારા વખતમાં ત્રીજી ચોથી એ. બી.સી.ડી. જેમાં શબ્દના બધા અક્ષર જોડવા પડે અને લેટર લખવામાં કે કોર્ટનું કોઈ ડોક્યુમેંટ લખવું હોય કે કોઈ ઓફિસમાં રીપોર્ટ લખવા હોય તો તે જોડાયલા અક્ષરોમાં લખવા પડે. જ્યારે કોમ્પ્યુટરમાં અને ફોનના ટેક્ષ મેસેજીસ છુટા અક્ષરોમાં લખાય છે. જેને “સ્ક્રીપ્ટ” કહેવાય છે. ભૂતકાળમાં બધું લખાણ કર્સીવ અને સ્ક્રીપ્ટમાં લખાતું હવે ૨૦૦૪ પછીના નવા જમાનાની પ્રજાને આ કર્સીવ લખતા જ નથી આવડતું.કોમ્પ્યુટર મહારાજની દયાથી તેમ થયું છે. તો ૨૦૦૪ પહેલાંના ભણેલા અમેરિકન સ્ટુડન્ટસ્ ને માથે પહાડ તુટી પડ્યો છે. આ નવી પેઢી અંગ્રેજીનું સત્યાનાશ વાળવા બેઠી છે. આપણા ઈતિહાસ કોણ વાંચશે ? જુની મેન્યુસ્ક્રીપ્ટ કોણ વાંચશે? એટલે પાણી પહેલાં પાળ બાંધવા પોલિટીશીયનો મેદાને પડ્યા છે. ન્યૂ જર્સીના સેનેટર મી. બ્રાયન સ્ટાક અને એસેમ્બલીમેન રોનાલ્ડ ડાન્સરે ન્યૂ જર્સી સ્ટેટની એસેમ્બ્લીમાં બિલ રજુ કર્યું છે કે બળકોને ત્રીજી ગ્રેડમાંથી અંગ્રેજી ભાષા કર્સીવ ફોન્ટમાં શીખવવી. કોમ્પ્યુટરની ભાષા જુદી અને વાંચવાની હાથે લખવાની ભાષા જુદી. બાળકોએ જુની અંગ્રેજી લખવાનું શીખવું પડશે. અમેરિકામાં લોકશાહી છે. અને લોકશાહીની ખાસિયત એ છે કે ત્યાં વિરોધ પક્ષ હોય જ હોય. અમેરિકામાં પણ આ જોડાયેલા અક્ષરવાળી જોડણીનો વિરોધ કરનારા છે. તેમનું કહેવું છે કે આ તો બેકવર્ડ પગલાં ગણાય. હવેની પ્રજા કોઈ દિવસ પેન પેન્સીલથી લખવાની નથી.અને એક રીતે જોઈએ તો નવી ટેકનોલોજીએ જમાનાની તાશીર બદલી નાખી છે. હું મારા કામ ઈ મેઈલથી પતાવું છું પોષ્ટ ઓફિસમાં તો કોઈ પારસલ મોકલવાનું હોય તો જ જવાનું મળે છે. અહીંના લોકો કહે છે કે બાળકોને કર્સીવ ઢબમાં લખવાનું શીખવાડવાનું એટલે જાણે નવી પ્રજાને રોટરી ફોન શીખવવાનું. અહીં આ જોડણીના પ્રશ્નોનો ઉકેલ લાવવો એટલે આપણે ત્યાંના જોડણીના પ્રશ્નો ઉકેલવા બરાબર ગણાય. મારા હિસાબે ગુજરાતી ભાષા કદાચ દુનિયાની સ્હેલામાં સ્હેલી ભાષા હશે. જો આપણે અંગ્રેજી ભાષા સાથે સરખાવીએ તો તેમ જરૂર લાગે . છતાં આપણે ત્યાં ગુજરાતી ભાષાને સુધારવાની ઝુંબેશ ચાલે છે. જેઓને ખબર ન હોય તેને જણાવું કે ગુજરાતી ભાષામાં ત્રણ “સ” છે. સ–શ– અને –ષ. પણ દુખની વાત એ છે કે મોટા ભાગના લોકોને તેમના ઉચ્ચારોની ખબર નથી. ગાંધી બાપુને આશ્રમની બકરીની સેવામાંથી સમય રહેતો હશે ત્યારે તેમણે ગુજરાતી ભાષાની જોડણી માટે જોડણીકોષ તૈયાર કર્યો. અને વટ હુકમ બહાર પાડ્યો કે હવેથી જેને જેમ ફાવે તેવી જોડણી નહીં કરવાની. અને તેમણે શુધ્ધ્ વ્યાકરણની હિમાયત ચાલુ કરી. તેમાં મારા જેવા ડોબાઓ જેઓને “ઈંય” અને “અન્ગ” જેવા અક્ષરનું શું કરવું તેની ખબર નથી. તેઓને આ વ્યાકરણ સાથે વાંધા પડવા લાગ્યા. ત્યારે કેટલાક ગુજરાતી વિદ્વાનોએ વિચાર્યું કે બોલીએ છીએ ત્યારે “ઇ” અને “ઈ” નો જુદો ઉચ્ચાર બહુ ઓછા લોકો કરે છે. અને “ઉ” અને “ઊ” લખતી વખતે બરાબર છે. પણ બોલતી વખતે તે બન્ને ઊ વચ્ચે બહુ ફેર નથી લાગતો. તો આ વિદ્વાનોનું કહેવું છે કે એક “ઈ‘ અને એક “ઊ” કરી દેવું જોઈએ.ઘણાં તો એક ડગલું આગળ વધીને કહે છે કે એક “સ” કરી દેવો જોઈએ. આમ બે પક્ષ થઈ ગયા છે. ગાંધીજીના જોડણીકોષને સાર્થ જોડણીકોષ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરે તો ગુજરાતીનો ઘાણ કાઢ્યપ છે.કોમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપ કરવા માટે ગોપી, વિજ્યા,શ્રુતિ, મંગલ વિગેરે સોથી વધુ ફોન્ટ શોધાયા છે. આમાં ગોપી, ફોન્ટ રાધા જોડે ન ચાલે. અરે ગોપી તો કૃષ્ણ જોડે પણ ન ચાલે. આપણી ભારતિય સંસ્કૃતિની એક કમનસીબી એ છે કે આપણે પંડિત રવિશંકર કે પંડિત જસરાજજી પેદા કરી શકીએ છીએ પણ બધા સમુહમાં બેસી અને સંગીત રેલાવી શકે એવી ફિલહારમોનિક પેદા કરી શક્યા નથી. એટલે જુદા જુદા ફોન્ટની બલિહારી તે છે કે લેખકો કે છાપનારા ગમે તેટલી કાળજી રાખે પણ કોમ્પ્યુટર મહારાજ જુદી જ જોડણી છાપે.એટલે ન્યૂઝ પેપરમાં ખોટી જોડણી જુઓ તો લેખકને “અભણ”નો ખિતાબ નહીં આપવાનો. અંગ્રેજીમાં પણ બે પક્ષ દેખાય છે. પરંતુ મને પૂછોતો કહું કે અંગ્રેજી જેટલી અઘરી કોઈ ભાષા ન હય શકે. જ્યાં એચ.ઓ.એમ.ઈ.ને બોલવાનું “હોમ ‘ કહેવાનુ; અને સી.ઓ.એમ.ઈ.ને કોમ ન કહેતાં કમ કહેવાનુ. આવા તો આપણે સેંકડો શબ્દો ભેગા કરી શકીએ. આટલું ઓછું હોય તેમ હવે અંગ્રેજીમાં કોમ્પ્યુટરની અને ફોનની ટેક્ષીંગની ભાષા વપરાવા લાગી “બિચાર– એટલે “બિફોર” “ B4,-“before” LOL શબ્દ હસવા માટે વપરાય છે. એટલે અમુક વિદ્વાનો તે રીતના અંગ્રેજીનો પણ વિરોધ ચાલુ કરી દેશે. પરંતુ એમાં પણ દોષ નવી ટેકનોલોજીનો જ છે.
છેલ્લી વાત–
મારી બેને પોતાને ઘેરથી આખા કુટુંબને ફોન કરીને જણાવ્યું કે આવતી ગણેશ ચતુર્થીને દિવસે તે પોતાનું ડાયેટિંગ ચાલુ કરી દેશે. અમે તેને અભિનંદન આપી ડાયેટિંગ માટે શુભેચ્છા પાઠવી. ગણેશ ચતુર્થીને બીજે દિવસે મેં ડાયેટિંગ માટે ફોન કર્યો. તો તે બોલતી હતી તો મોંઢાંમાં કાંઈ હોય એવું લાગ્યું. મેં પૂછ્યું “મોંઢામાં શું છે?” તો કહે કે “લાડું ખાઉં છું” મેં કહ્યું કે પેલા ડાયેટિંગનું શું?‘ તો કહે કે “ આજે સવારે મારું વજન. ૭૯ અને ૧/૨ કિલો છે. એટલે જો વજન ૮૦ કિલો થાય તો વજન ઉતરે ત્યારે ગણતા ફાવે ને!
E mail- harnishjani@gmail.com

6 responses to “ભાષાને શું વળગે ભૂર

  1. Kaushik Dixit September 24, 2016 at 2:17 PM

    સારું છે કે હરનિશ ભાઈએ ગુજરાતી ભાષાના સરળીકરણ માટે ચાલી રહેલી ઝુંબેશનો સાથ પણ નથી આપ્યો અને ખુલ્લંખુલ્લા તેની વિરોધમાં પણ જઈ બેઠા નથી. માત્ર તથ્યોનો ઉલ્લેખ કર્યો છે!
    કોઈ પણ બાબત અઘરી લાગે એટલે તેને સહેલી બનાવવી અને સહેલી બનાવવાની સહેલી રીત એટલે તે બાબાતની ખૂબીઓને મિટાવી દેવી, એવું સ્વીકારાઈ ગયું છે. ‘સ”,’શ” અને “ષ “ને સ્પષ્ટ જુદા પાડીને લખાતી અને બોલાતી ગુજરાતી ભાષા કેવી મીઠી અને મંજુલ લાગે છે!હ્રસ્વ અને દીર્ઘ “ઈ” અને “ઉ’ છન્દો- બધ્ધ કવિતાનો પ્રાણ છે.પણ છંદ પકડમાં ન આવતા હોવાને કારણે નવા કવિઓ “અછાંદસ”ને રવાડે ચડ્યા છે! (મને પણ એજ સહેલું પડ્યું છે). અછાંદસ કવિતાના વિરોધમાં એક સરસ તર્ક શ્રી વિનોદ ભટ્ટના એક અભ્યાસ લેખમાં જોવા મળ્યો હતો કે, છંદ પાકા ન થાય ત્યાં સુધી અછાંદસ રચના ન કરાય, જેવી રીતે ગવર્નર પકડીને સાયકલ ચલાવતા ન આવડે ત્યાં સુધી છુટ્ટા હાથે સાયકલ ન ચલાવવી જોઈએ!
    એક જ “સ” એક જ “ઈ” અને એક જ “ઉ”ના પુરસ્કર્તાઓ ” ઋ” ની તો શું દશા કરશે તે તો રામ જાણે! થોડા વર્ષો અગાઉ મારા જેવા ચોખલિયા એમ કહેતા ” કે ગુજરાતીમાં જોડણીની અવગણના કરીએ છીએ પણ અંગ્રેજીમાં સ્પેલિંગ ખોટા લખતા કેમ શરમાઈએ છીએ?”. હવેના જનરેશને ગુજરાતી સુધારીને નહિ પણ અંગ્રેજીને ય બગાડીને બધું સમથળ કરી નાખ્યું! “કેમ ૬ ? સારું ६ “! વાળી ભાષા વાપરીને પણ આપણે કોમ્યુનીકેશન જીવતું રાખ્યું છે તે સારું છે! બાકી રેડીમેઈડ એમોટિકોન, સ્ટીકર અને થમ્સઅપ નું ચિહ્ન, અને માત્ર પ્રશ્નાર્થ કે માત્ર આશ્ચર્ય ચિહ્નથી સફળ કોમ્યુનીકેશન કર્યા નો સંતોષ લેનારા મિત્રો પણ ઢગલો છે!

    Like

  2. harnishjani52012 September 17, 2016 at 9:16 PM

    લેખ અહીં મુકવા બદલ પ્રવીણકુમારનો્. અને મિત્રોનો લેખ વાંચવા બદલ. આભાર

    Liked by 1 person

  3. Vinod R. Patel September 17, 2016 at 4:54 PM

    હરનીશભાઈએ હસતાં -હસાવતાં ભાષા શાસ્ત્રીઓ પર સરસ વ્યંગ કર્યો છે.

    Liked by 1 person

  4. nabhakashdeep September 15, 2016 at 8:25 PM

    ભાષાને શું વળગે ભૂર

    જગમાં જીતે એ શૂર

    શ્રી હર્નિશભાઈની વિદ્વતાભરી વ્યંગ કલમને વંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

  5. મનસુખલાલ ગાંધી September 15, 2016 at 1:57 AM

    આમાં પણ હરનીશભાઈએ એક જબરૂં સશોધન કર્યું છે… બહુ સરસ..ત્રીજી-ચોથી ABCD ની અંગ્રેજીમાં લખાતું હોવાથીજ કોર્ટ-કચેરીના કાગળો વકીલો સિવાય કોઈ ઉકેલી સકતા નહીં હોય એટલેજ માં આપણા લોકોનેેમાં કોઈ ખબર પડતી નથી,

    Liked by 1 person

  6. pragnaju September 14, 2016 at 7:30 PM

    ‘લેખકો કે છાપનારા ગમે તેટલી કાળજી રાખે પણ કોમ્પ્યુટર મહારાજ જુદી જ જોડણી છાપે.એટલે ન્યૂઝ પેપરમાં ખોટી જોડણી જુઓ તો લેખકને “અભણ”નો ખિતાબ નહીં આપવાનો. અંગ્રેજીમાં પણ બે પક્ષ દેખાય છે.’ અનુભવેલી વાત
    સિધ્ધહસ્ત લેખકના સુંદર લેખ માનો એક

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: