“કલ્પનાનુ જગત” શ્રી શરદ શાહની વિચારધારા (૧૧)

sharad_shah_1

શ્રી શરદ શાહની વિચારધારા (૧૧)

કલ્પનાનુ જગત.

મને યાદ છે પાંચમા ધોરણમાં ભણતો ત્યારે અમારા ચિત્રના શિક્ષક મિસ્ત્રી સાહેબ અમને જુદી જુદી પ્રકારના ચિત્રો જેમ કે પદાર્થ ચિત્ર, કુદરતી ચિત્ર, પશુ-પંખીના ચિત્ર, સ્મૃતિ કે કલ્પના ચિત્ર, ફ્રી હેન્ડ ચિત્ર વગેરે વગેરે શિખવતા. એકવાર એમને અમને કલ્પના ચિત્ર દોરવાનુ કહ્યું અને વિષય આપ્યો હતો ” ઘર”.

અમારે અમારું ઘર કેવું હોય તેની કલ્પના કરી અને ચિત્ર બનાવવાનુ હતું. કોઈએ ઝુંપડી જેવું તો કોઈએ બે કે ચાર માળનુ ઘરનુ ચિત્ર દોર્યું. કોઈએ કિલ્લાબંધ તો કોઈએ ઘરના આંગણમાં મેદાન ચિત્ર્યું. કોઈએ ઘર આગળ ઝાડ બનાવ્યું તો કોઈએ બગિચો અને કોઈએ લપસણી, હિંચકા ચિત્ર્યા. કોઈએ કાંઈ ન સુઝ્યું તો આજુબાજુ નજર દોડાવી નકલ કરી. આ પસંગે પહેલીવાર સજગતા પૂર્વક કલ્પના કરવાનો અનુભવ થયો. એ પહેલા પણ જાત જાતની કલ્પના મનમાં ચાલતી હશે પણ સજગતા ન હતી.

પણ આ અનુભવને કારણે ઘણીવાર ભિતર ચાલતી આવી કલ્પ્નાઓને જોવાનું શિખ્યો. થોડો મોટો થયો ૧૪-૧૫ વરસનો અને શરીરમાં બાયોલોજીકલ ફેરફારો અને હાર્મોનમાં ફેરફારોને કારણે કામ ઉર્જાનો આવિર્ભાવ થવા લાગ્યો. હવે સાથે ભણતી બાળાઓના શરીર અને ઉભરતા અંગો તરફ આંખ ખેંચાવા માંડી. વળી પુસ્તકો વાંચવાનો શોખ હતો અને રસિક મહેતા, ગુણંતરાય આચાર્ય, કાલિદાસ અને બીજા કેટલાંક લેખકો અને કવિઓના સ્ત્રી લાવણ્યના વર્ણનો વાંચવા ગમતા થયા. અંદર એક કલ્પનાની સ્ત્રીનો જન્મ થયો અને કામનાનો પણ.

એકવાર એક પુસ્તક વાંચતો હતો અને તેમાં સ્ત્રીના અંગ ઉપાંગોનુ વર્ણન હતું. ત્યારે ખ્યાલ આવ્યો કે આ બધા કવિઓ અને લેખકો કેવા કેવા સ્ત્રીના વર્ણનો કરે છે, અને ઉપમાઓ આપે છે. આંખ જુઓ તો માછલી જેવી, વાળ જુઓ તો રેશમ જેવા, નાક જુઓ તો પોપટની ચાંચ જેવું, હોઠ પાકા લાલ ગીલોડા જેવાં, ગાલ જુઓ તો તાજા ખિલેલા ગુલાબી ગુલાબ જેવા, ડોક જુઓ તો બગલા જેવી, વક્ષ સ્થળ નો ઉભાર જાણે ગુંબજ જેવો, હાથની આંગળીઓ ભીંડા જેવી, કમર જુઓ તો કાકડી જેવી, પગ જુઓ તો કેળના થડ જેવાં અને આવુ બધું કાંઈક કાંઈક લખે. મને થયું કે આ લોકો જેવા વર્ણનો કરે છે સ્ત્રીના, તેવા સ્ત્રીના ચિત્રો બનાવું. અને મેં જુદા જુદા વર્ણનોના આધારે આઠ સ્ત્રીના ચિત્રો બનાવ્યા અને જેની કલ્પના કરી તેમને ઊપમાઓ આપેલી તે અંગો તેવા ચિત્ર્યા. આ કલ્પનાની સ્ત્રીઓ જેટલી કદરુપી, એક પણ સ્ત્રીને મેં જોઈ ન હતી.. મને થયું સારું થયું કે પરમાત્માએ સ્ત્રી ઘડવાનુ કામ આ કલ્પનાઓમાં રાચતા કવિઓ અને લેખકોને નથી સોંપ્યું. નહીં તો પુરુષોએ તો સામુહિક આપઘાત કરવો પડત.

 

 

એક તો દુનિયા છે વાસ્તવિક અને બીજી દુનિયા છે આપણી કલ્પનાઓની. જેટલા માથાઓ છે તેટલી કલ્પનાઓ છે જે તદ્દન અવાસ્તવિક અને તરંગી. અને આપણે બધા ભલે એક જ દુનિયામાં રહેતાં હોઈએ, પરંતુ રાચતા તો આપણી કલ્પનાની દુનિયામાં જ છીએ.જેવો આપણી પાસે સ્મૃતિ/સંસ્કારનો ભંડાર છે તેવી આપણી કલ્પનાની દુનિયા છે.આપણી કલ્પનાઓ બદલાય અને સાથે સાથે અંદર તરંગો બદલાય. વગર કારણે કલ્પનાઓ કરીને દુખી દુખી થઈ જઈએ કે કલ્પનાઓ કરીને જુઠો આનંદ કે સુખ માણીએ. પણ બધું નકલી. નકલી દુખ અને નકલી સુખ.

ઓફિસે જવામાં કોઈ કારણસર મોડું થયુ, કે કલ્પનાઓ શરુ. બોસ શું કહેશે? મેમો આપશે? ધમકાવશે? જો એ આમ પૂછશે તો હું આમ કહીશ અને આમ પૂછશે તો આમ કહીશ. મન કલ્પનાઓના જગતમા સરી, જાત જાતના વિચારો અને ચિંતાઓથી ભરાઈ આખા રસ્તે પીડાઓથી ભરાઈ જઈએ. અને ઓફિસ પહોંચીએ ત્યારે ખબર પડે કે હજી બોસ તો આવ્યા જ નથી. ત્યારે હાશ થાય.

આવી જાત જાતની કલ્પનાઓ કરી ચિંતા અને દુખનો ભાર આપણે વંઢોરી રહ્યા છીએ. અને બધી નાહકની ચિંતાઓ.  હવે ભારતનુ શું થશે? આ વરસે વરસાદ નથી પડ્યો તો ખેતીનુ શું થશે? ૨૦૦૧માં આવેલ ભુકંપ જેવો ફરી ભુકંપ આવશે તો શું થશે? ટ્રમ્ફ અમેરિકાના પ્રેસિડેન્ટ થશે તો શું થશે?

જેવો મનમાં પ્રશ્ન ઊઠ્યો કે કલ્પનાઓ અને ચિંતાઓ શરુ. પછી આપણે અમેરિકા સાથે કે ખેતી સાથે કોઈ લેવા દેવા હોય કે ન હોય. ઘણીવાર તો આપણે ચિંતા ન કરતા હોઈએ તો કોઈ આવીને ચિંતા કરાવી જાય. અરે! તમને છોકરો પરિક્ષામાં નપાસ થયો તો તેની પણ ચિંતા નથી? અને ચિંતા  અને કલ્પનાઓ શરુ.

કબીર કહેતા,

“ચલતી ચક્કી દેખકર દિયા કબીરા રોય,

દો પાટન કે બીચમેં સાબુત બચા ન કોય. “

કબીર સાહેબ આ બે પત્થરની પાટોની વાત કરે છે, તે એક છે સ્મૃતિ અને બીજી છે કલ્પનાઓ, જેમાં સમગ્ર માણસ જાત પીસાઈ રહી છે. તમારો અનુભવ શું કહે છે?

16 responses to ““કલ્પનાનુ જગત” શ્રી શરદ શાહની વિચારધારા (૧૧)

  1. pravinshastri October 3, 2016 at 11:37 AM

    શરદભાઈની તો વાત જ ન્યારી.

    Liked by 1 person

  2. mhthaker October 3, 2016 at 9:53 AM

    sharad bhai ni kalpana ni aakhi rajuaat khub gami..ane school thi kevireete kalpana nu shastra..ane pachi tema umerayu–SMRUTI nu pad…tethi bani Kabir ni chakki…aapade badha-j teni vacche pisaiye chiye..hu varta- kavita- sangeet banavi nathi shakato- pan સ્નેહીશ્રી મનસુખભાઈ nee jem mani shaku chu…ane swapna ma smruti ane kalpana nu aakhu natak roj roj jovu chu..ane have ek–AANADI KALPANA karu chu ke swpna ne actual recording najeek na bhavishya ma kari shakiye..to kevu maza nu !!!

    Liked by 2 people

  3. Vinod R. Patel September 21, 2016 at 5:11 PM

    કોઈ પણ સાહિત્ય એ લેખકોની કલ્પનાઓની જ નીપજ હોય છે.શરદભાઈ એ આ લેખ જ્યારે લખ્યો હશે એ પહેલાં કલ્પના કરી હશે જ કે આ લેખમાં વાચકોને માટે કલ્પના વિશેના વિષયને ન્યાય આપીને શું લખવું જોઈએ.
    શ્રી પ્રવીણ શાસ્ત્રી જ્યારે એમની સંઘેડા ઉતાર સરસ વાર્તાઓ લખે છે ત્યારે તેઓ કલ્પના ના ઘોડાઓ ઉપર અસવાર થઈને મનમાં પાત્રોનું સર્જન કરતા હશે અને પાત્રો ના મુખે સંવાદ અને પ્રસંગોની કલ્પના કરી વાચકોને ગમે એવી વાર્તાઓ નું સર્જન કરે છે.એવું જ ચિત્રકારો માટે એમના ચિત્ર સર્જનનું છે. આમ કોઈ પણ સર્જન પાછળ કલ્પના મહત્વનો ભાગ ભજવે છે.

    Liked by 2 people

  4. vimla hirpara September 21, 2016 at 11:17 AM

    નમસ્તે પ્રવિણભાઇ, શરદભાઇની કલ્પનામા થોડુ ઉમેરવાનુ રહી ગયુ. એ છે ભગવાનનુ પ્રધાનમંડળ. આપણા દેશમા તો લોકશાહી બહુ મોડી આવી પણ ત્રેત્રીસ કરોડ દેવતા ને ભગવાનના સહાયક તરીકે આપણે નીમી દીધા છે. જેમ કે ઇન્દ્ર સેનાપતિ, કુબેર ખજાનચી, વરુણને વાયુખાતુ, ધનવંતરી એટલે ડોક્ટર. એની સહાયમા અનેક દેવતા ને સેક્રેટરી તરીકે અનેક
    દેવીઓ. જુઓ રોજ નવી નવી દેવીમાતા કયાકથી પ્રગટ થાયજ છે ને!છેવટે દ્રારપાળ જેવા સાધૂબાબા,કોઇપણ મોટી કંપનીમા જાવ તો દરવાજે પહેલા તો દ્રારપાળ કે પટાવાળા મળે. માલિકને મળવા પટાવાળા થી માંડીને છેક કંપનીના મેનેજરને મળો તો જ માલિકની મુલાકાત થાય.વચ્ચેના પગથીયા આપણે જ ચણેલા છે.
    પ્રવિણભાઇ , તમે google.com પર જશૌ પછી bloggers.com લખજો. મળી જશે.તમારી તબીયત સારી હશે એવી આશા. તમારી પાસે માતૃભાષા હજી ઋણ માગે છે. ને અમારા જેવા વાચકો પણ. એ જ વિમલા હિરપારા

    Liked by 1 person

  5. pravinshastri September 21, 2016 at 9:57 AM

    વિમળાબેન ખૂબ સરસ વાત કરી.
    મેં આપનો ઈ મેઈલ શોધ્યો પણ મળ્યો નહિ. મને ફરી વાર મોકલશોં shastripravinkant@gmail.com પર ફરી થી મોકલો. અત્યારે હું હોસ્પિટલ જાઉં છું. સાંજે જોઈશ. સાથે તમારો ફોન નં આપશો તો વાત કરીશું.

    Like

  6. vimla hirpara September 21, 2016 at 9:49 AM

    શરદભાઇ, વાસ્તવિક જગત કરતા કલ્પના જગત મોટુ છે.ર’રાઇના પર્વત જેવી વાત છે. ટેકરાને હિમાલય બનાવતા તમને કોણરોકે છે? આપણી કલ્પના પમાણે આપણે ખીઝડાના ઝાડ પર ‘મામા’ બેસાડી દઇએ, આવળબાવળમા અવગતિયા ભુત તરીકે દેખાય, જીવતા ન નડ્યા હોય એવા પિતૃ મર્યા પછી નડે,માબાપની અવગણના કરી હોય એ જ સંતાનો માબાપની શાંતિ માટે એના મરણ બાદ તાણ વેઠીન ે કે દેવુ કરીને ય શ્રાધ સરવણુ કરે એ પણ એક કાલ્પનિક ભય ના કારણે જ ને!
    કબરો પર ઘીના દિવા થાય ને તાજમહાલ ચણાય.આમ જુઓ તો મોટા ભાગના લોકોને આ હવાઇ કિલ્લામા રાચવાનુ ને મન મનાવવાનુ હોય છે. એટલા પુરતી દુનિયામા શાંતિ. ઉપર ન્યાય મળશે એ આશાએ પૃથ્વી પર અન્યાય વેઠી લઇએ છીએ . દાનપુન્ય કરતી વખતે એ જ સ્વર્ગના સુખની કલ્પના.હા બુધ્ધિપુર્વકની કલ્પના નવા આવિષ્કારની જનેતા બને. એવા લોકો જ દુનિયા બદલી શકે. એ સાહસિકો ને વિચારકોની દુનિયા છે. વિમલા હિરપારા

    Liked by 2 people

  7. મનસ્ખલાલ ગાંધી September 20, 2016 at 6:47 PM

    શ્રી શરદભાઈ,
    તમારો મસ્ત જવાબ વાંચ્યો. મારું કામ સારા સારા લેખો વાંચવાનું, અને જો ગમે તો પ્રતિભાવ આપવાનો. અને ન ગમે તો negetive કે ખરાબ લખવાને બદલે ન લખવું. તમારા લેખો તો બહુ ગમે છે અને કોઈના પણ ભલે વખાણ ન કરીએ કે પછી કોઈ પણ જાતનો પ્રતિભાવ ન આપીએ તો લખનારને શું મન થવાનું લખવાનું..? આ તો તમે કલ્પના વિષે લખ્યું એટલે મેં પણ એવી કલ્પના કરીનેજ મત દર્શાવ્યો હતો.

    બસ લખતા રહો…

    Liked by 1 person

  8. pravinshastri September 20, 2016 at 1:05 PM

    જો ફેસબુક હોત તો હીહીહીહી કરતે. અહિં ના થાય. બીલકુલ સીરીયસ.

    Like

  9. Sharad Shah September 20, 2016 at 11:26 AM

    તમારે વિનંતિ કરવાની ન હોય. મોજ કરવાની. મારી વાતને બહુ સિરીયસલી ન લેવી. હું તો હજી જ્ઞાનના સાગરમાં છબછબીયા કરું છું. ધમ પછાડા કરતા કરતાં થોડા છાંટા મિત્રો પર પણ ઊડાડું છું. બસ. પાસે રહેશો તો થોડા ભીના થઈ જવાય. ભીના થવાનુ ન ગમે તો થોડીવાર ફેસબુકના તડકે બેસી આવવું. પાછા કોરા… હતા તેવાને તેવા.

    Liked by 1 person

  10. pravinshastri September 20, 2016 at 10:08 AM

    સ્નેહીશ્રી મનસુખભાઈ, અને શરદભાઈ,
    આપ બન્નેને હું મળ્યો નથી, કદાચ મળીશ પણ નહિ; પણ હંમેશ એવો અહેસાસ રહે છે કે હું આપને ખૂબ નજીકથી જાણું છું. મનસુખભાઈને હું એક વિદ્વાન વાચક અને શરદભાઈને હું વિદ્વાન લેખક સમજતો આવ્યો છું. શરદભાઈની વાતો ગહન છે. જેમ ઊંડા ઉતરીએ એમ ઉચ્ચ કક્ષાના મોતી મળે. હું તો કિનારા પર નો માણસ છું. એ જે લઈ આવે તે તફડાવીને વહેંચનાર છું. મારી વાર્તાઓની સાથોસાથ મિત્રોને ચિંતનાત્મક વાતો મળે એ માટે શરદભાઈને વિનંતિ કરતો રહું છું.

    Liked by 1 person

  11. Sharad Shah September 20, 2016 at 5:59 AM

    પ્રિય મનસુખભાઈ,
    મારા લખવા પાછળ, મને વાહ વાહ મળે તેવો ઉદ્દેશ્ય ઓછો અને એક નવી દિશામાં વિચાર પાંગરે અને જિવનને નવી દૃષ્ટિએ જોવાથી અને નવા આયમે ઉર્જાનો પ્રવાહ વાળવથી જીવનના ઘણા બધા રહસ્યો સમજાય છે તે તરફ વધુ હોય છે.
    મારા લેખ કોઈના હૃદયને સ્પર્શે તો તેનાથી અધિક રુડુ શું હોય? મારી વાતનો વિરોધ થાય અને તેની ચર્ચા થાય તે વધારે શુભ છે. કોઈની હા, માં હા મિલાવવી તો સહેલી હોય છે. કોઈ સંઘર્ષ નહીં. પરંતુ જ્યારે નકારીએ ત્યારે એક યોધ્ધાનુ શોર્ય જોઈએ. મારા ગુરુ જોડે હું ખુબ લડ્યો છું. (બૌધિક રીતે). એટલે કોઈનો વિરોધ હોય તો પણ સર આંખો પર. ચિંતા ન કરો કે વાહ વાહ નહીં કરો તો લખવાનુ બંધ કરી દઈશ. એ લખાવે છે ત્યાં સુધી લખુ છું. બંધ કરાવશે ત્યારે બંધ કરી દઈશ.

    Liked by 1 person

  12. મનસુખલાલ ગાંધી September 20, 2016 at 12:35 AM

    જો પ્રવીણભાઈ આવા સરસ લેખો ન મુકે તો આપણને વાંચવા કેવી રીતે મળશે અને શરદભાઇ માટે જો સારો અભિપ્રાય નહીં આપીએ તો જો લખવાનું બંધ કરી દેશે તો આપણે શું વાંચશું…હજી તો સ્ત્રીના કેટલા અંગો બાકી રહી ગયા એની ખબર કોંણ આપશે…..આપણું શું થશે…. આવી આવી કલ્પના માત્રથી ધ્રુજારી છુટે છે….

    Liked by 1 person

  13. pravinshastri September 19, 2016 at 10:19 PM

    પ્રજ્ઞાબેન સરસ કાવ્ય માણવા મળ્યું. આભાર.

    Liked by 1 person

  14. pragnaju September 19, 2016 at 9:47 PM

    કલ્પના જગતની આડે વિજ્ઞાન ક્યારે પણ આડું આવ્યું નથી. તેનાથી વિપરીત વિજ્ઞાને મારા કલ્પના જગતને, કવિ જગતને વધારે તાર્કિક પાંખો આપી ઈશ્વર ઈચ્છા બહુ બળવાન છે. આ વિશ્વ ભગવાનની માયાથી મોહિત થયેલું છે. જીવનના અલગ અલગ પડાવમાં માયા કેવી રીતે જીવને મોહિત કરે છે એનું વર્ણન કરવાનો આ કાવ્ય દ્વારા પ્રયાસ કર્યો છે. પ્રભુની માયાને સુવર્ણ મૃગ અને માયાના બંધનને તાર સ્વરુપે કલ્પના કરી કાવ્ય માણવામાં અદ્‍ભૂત આનંદ આવશે. ભાઇ રાહુલની કલ્પના

    સુવર્ણ મૃગ

    ઇશ્વર કેરી ઈચ્છા ભારી, જીવ ને બાંધે તારે.
    સુવર્ણ મૃગ ના રુપે માયા, જગ માં છે વિસ્તારે

    પ્રભુ ધામ છોડી ને જીવડો, માનવ ને જન્મારે.
    મા ને ખોળે મુક્તિ લઈશું, એવું જ્યાં એ ધારે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    સંબંધ સ્નેહે હૈંયે ચાંપી, જીવ ને બાંધે તારે

    હસતા રમતા મોટાં થઈશું, બાળક ને કિલકારે.
    નિર્દોષ રમતમાં ખેલ ખેલતાં, પાર થશે જન્મારે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    સૃષ્ટિ ના કુતુહલ માં વશ થઈ, જીવ ને બાંધે તારે

    સંસ્કારો ની મુઠ્ઠી બાંધી, દિપે દિપ પ્રકાશે.
    માતા શિખવે પાઠ પ્રભુ ના, ધ્યાને જગ વિસરાવે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    મિત્રો ની સંગાથે દોરી, જીવ ને બાંધે તારે

    સચ્ચિદાનંદ રુપ પ્રભુ નું, અંતર ના અજવાળે.
    ઉમંગ હૃદય માં ખુબ ઉછળે, પ્રેમી ના પલકારે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    કામેચ્છા ના બાણે વીંધી, જીવ ને બાંધે તારે

    અઢળક નાણાં સુખ સાહ્યબી, માંહ્યલા ને મુંઝાવે.
    શું ખપ નું આ જીવતર મારુ, ખાવાનું ના ભાવે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    સમૃધ્ધિ ની આંટી-ઘુંટી, જીવ ને બાંધે તારે

    ગુરુવર મળ્યાં હંસ સરીખાં, અગમ નિગમ ને જાણે.
    રક્ત ના કણ કણ માં સ્થાપિત, શ્રદ્ધા છે સંચારે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    સિદ્ધિ પાછળ દોટ મુકાવી, જીવ ને બાંધે તારે

    મોહ મમતા છોડી વનમાં, સિદ્ધો ને સથવારે.
    યોગ તપોબળ વધતાં ભારી, માયા ને પડકારે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    અભિમાન ના છૂપા દ્વારે, જીવ ને બાંધે તારે

    ભવ સાગર માં ભૂંડા ભટકી, અંત સમય જે આવે.
    હરિ નામ શરણે વૈતરણી, પાર થશે કિનારે
    ત્યાં સુવર્ણ મૃગ પધારે.
    પાછળ શું થાશે ની ચિંતા, જીવ ને બાંધે તારે

    Liked by 2 people

  15. pravinshastri September 19, 2016 at 9:36 PM

    શરદભાઈ મનોવૈજ્ઞાનિક વાતોને શ્બ્દોમાં કડારવામાં માહેર છે.

    Liked by 1 person

  16. Ramesh Patel September 19, 2016 at 8:53 PM

    કલ્પનાના ઘોડા એટલે ભાવિનું કાલ્પનિક ચિતરામણ. આપણા જીવનની, સૌના અનુભવમાં આવતી વાતને સરસ રીતે આ.શ્રી શરદભાઈ શાહે આલેખી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 2 people

Leave a comment