નેત્ર પ્રદાન

નેત્ર પ્રદાન

Eye Donetion

આજે સવારે જ દેવેદ્રસિંહજીનો  મુખ્યમંત્રી તરીકેનો સોગન વિધિ સમારંભ પુરો થયો હતો. સળંગ ચાર વાર મુખ્યમંત્રી બનવાનો એમનો રેકોર્ડ હતો. પંચ્યાસી વર્ષની ઉમ્મરે એઓ પાંચમી વાર મુખ્ય પ્રધાન બનતા હતા. દેવેન્દ્રસિંહ નાનપણથી જ જીવનમાં કદીય હાર્યા ન હતા. યેન કેન પ્રકારે એમણે એમનું ધારેલું મેળવી લીધું હતું. એમના તનમાં સોરઠી રજવાડાનું લોહી ફરતું હતું. ભલે રજવાડા ગયાને દાયકાઓ વીતી ગયા હતાં પણ એમણે તો રજવાડાને બદલે આખું રાજ્ય હસ્તગત કરી દીધું હતું. યુવાવસ્થાએ રાજકારણમાં જોડાયા હતા. શહેરના મેયરપદેથી સીધા દિલ્હી પાર્લામેન્ટમાં પ્રવેશ્યા હતા. જેમ જેમ જૂદી જૂદી પાર્ટીઓનું વર્ચસ્વ બદલાતું ગયું તેમ તેમ તેમના પણ પક્ષપલટા થતા રહ્યા. છેલ્લા ત્રણ દાયકાથી એમણે કેંદ્રને બદલે  પોતાના રાજ્યમાં જ સત્તાપર રહેવાનો નિર્ણય કર્યો હતો. એઓ જીતતા આવ્યા હતા. એઓ કુશળ રાજ્યકર્તા સાબીત થયા હતા. રાજ્યની પ્રજાને પણ એકંદરે સંતોષ હતો. એની ચાણક્ય નજર એના મિત્ર પર નહિ પણ દુશ્મન, વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર રહેતી. થોડા જ સમયમાં દુશ્મનો અદૃષ્ય થઈ જતાં કે મિત્ર બની જતાં. સામ, દામ, દંડ અને ભેદની કૂટ રીતિ નીતિથી તેઓએ હંમેશા વિજય મેળવ્યો હતો. આ વખતનો ચૂટણી જંગ સરળ ન હતો. એની સામે એમના જ એક ભૂતપૂર્વ સાથીદાર અને મિત્ર ઉભા હતા; જેમનું ચૂંટણીના માત્ર એક અઠવાડીયા પહેલાં જ હાર્ટ એટેકથી અવસાન થયું; અને એમની પ્રાર્થનાસભામાં જ એમના પત્નીએ જણાવ્યું હતું કે દેવેન્દ્રસિંહજી અમારા સ્નેહી જ છે અને મારા પતિના જે જે વિરોધી મુદ્દાઓ હતા તેની સાથે સમજુતી થઈ ગઈ છે. એમણે મતદારોને દેવેન્દ્રજીને મત આપવાનો અનુરોધ કર્યો હતો. દેવેન્દ્રજીએ પ્રતિસ્પર્ધી અને સદ્ગત મિત્રના યુવાન પત્નીને પ્રધાન મંડ્ળમાં સમાવેશ કરવા વચન આપ્યું હતું. દેખીતી રીતે જ દેવેન્દ્રજીનો જ્વલંત વિજય થયો હતો.

આજે સવારે રાજ્યપાલજીએ સોગનવિધિ કરાવી હતી. પંચ્યાસી વયના દેવેન્દ્રસિંહજીએ પાંચમી વાર મુખ્યમંત્રી તરીકે અને ત્રેતાળીસ વર્ષના મિત્રપત્ની કેતકીએ પહેલી જ વાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ટેબ્લોઈડ અને ગોસીપ મિડિયાએ દેવેન્દ્રજી અને કેતકીના સંબંધો અંગે કાદવ ઉછાળવા પ્રયાસ કર્યો અને મિડિયા થોડા જ દિવસોમાં ચૂપ પણ થઈ ગયું હતું. દેવેન્દ્રસિંહના રંગીન જીવન અંગે વર્ષોથી એનેક વાતો પ્રસારતી. આમ છતાં આજ સુધીમાં કોઈપણ મહિલાએ એમના વિરૂધ્ધ કોઈપણ ફરિયાદ કરી ન હતી.

આજે સવારની સોગનવિધિ પછી સાંજે વિશાળ બેન્ક્વેટ હોલમાં દેશના અનેક મહાનુભાવોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીનો અભિનંદન સમારંભ યોજાયો હતો. દેવેન્દ્રજીનો પુત્ર અમેરિકામાં ડોક્ટર હતો અને વર્ષોથી પરિવાર સાથે ત્યાં સ્થાયી થયો હતો. એને રાજકારણમાં રસ ન હતો. એની પુત્રી વિશાખા એક આઈ સર્જનને પરણી હતી અને બેંગલોરમાં રહેતી હતી. આજે તે પિતાના ના અભિનંદન-સત્કાર સમારંભમાં ભક્તિ સંગીતના જાણીતા પ્રજ્ઞાચક્ષુ સ્વામિજીને લઈને આવી હતી. સૌ પ્રથમ સ્વામિજીએ સંગીતમય ભદ્રસૂક્તનું વેદ ગાન કરીને દેવેન્દ્રસિંહજીને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા. એમની કાર્ય નિષ્ઠાના વખાણ કરી અનેક સફળતા મળતી રહે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. દેવેન્દ્રસિંહમાટે સ્વામિજીની હાજરી એક ન કળાય એવી સરપ્રાઈઝ વાત હતી. આજના સમારંભનું સંચાલન જાણીતી અભિનેત્રી સાજલે કર્યું હતું. અનેક વક્તાઓએ વિજેતાના પ્રશસ્તિગાન ગાયા. પણ આજે દેવેન્દ્રસિહ કંઈક અસ્વસ્થ લાગતા હતા.

આગલી હરોળમાં ચોર્યાસી વર્ષના દેવેન્દ્રસિંહના પત્ની અનંતાદેવી, પ્રજ્ઞાચક્ષુ સ્વામિજી મહારાજ પાસે જ બેઠા હતા. લોક વાયકા પ્રમાણે સ્વામિજી લોયર થયા હતા. એમના પહેલા કેસમાં જ કોઈ ગુંડા વિરોધીએ એમની આંખો પર એસિડ છાંટ્યો  અને એમણે આંખ ગુમાવી હતી. પરિણામે એમને સંસારના અને કાયદાના કાવાદાવા પર વૈરાગ્ય આવ્યો અને એઓએ આધ્યાત્મિક અને ભક્તિસંગીતમાં જીવન વિતાવવા માંડ્યું હતું. બેંગલોર પાસેના નાના ગામમાં રહેતા હતા. એઓ સ્વામિજી કહેવાતા પણ એમનો કોઈ સંપ્રદાય ન હતો કે ન હતો કોઈ આશ્રમ. પરિવાર વગરનું એકાકી જીવન ગાળતા હતા. કવિ હતા. સંગીતકાર હતા. એમનું ભક્તિસંગીત પ્રસિધ્ધ હતું. એમની શબ્દ અને સંગીત રચનામાં પ્રેમ લક્ષણા ભક્તિ, વિરહની વેદના અને અંત અનંતની વાતો આવતી. એમનું રેકોર્ડિંગ ઉચ્ચતર વર્ગમાં પ્રસરતું રહ્યું. વિશાખા અને એના ડોક્ટર પતિને સ્વામિજીનું સંગીત ગમતું અને એ મમ્મીને પહોંચાડતી હતી. અનંતાદેવી પણ એમના પ્રશંસક બની ગયા હતા. એકવાર વિશાખાએ સ્વામિજી સાથે મમ્મીની મુલાકાત કરાવી; પછી તો વર્ષમાં બે-ત્રણ વાર દીકરી વિશાખા સાથે એમની મુલાકાતે જવાનો એક નિયમ જ બનાવી દીધો હતો.

આજે દેવેન્દ્રસિંહજીના સન્માન સમારંભમાં હાજર રહેવા અનંતાદેવીએ એમને અંગત આમંત્રણ આપ્યું હતું. પગની પાની સૂધીનો ખાદીનો સફેદ લાંબો ઝબ્બો, લાંબી સફેદ દાઢી, પાછળ બાંધેલા સફેદ વાળ અને આંખ પર કાળા ચશ્મામાં સ્વામિજી એક વંદનીય પુરુષ લાગતા હતા.

ભાગ્યે જ અનંતાદેવી પતિની સભાઓમાં જતાં; પણ આવી મોટી સભા હોય ત્યારે એને જવું પડતું હતું. આજે એમણે જ પતિ દેવેન્દ્રસિંહજીને સંગીતમય શુભેચ્છા પાઠવવા આમંત્રણ આપ્યું હતું. લગભગ સભાની પૂર્ણાહૂતીના સમયે વયસ્ક અનંતાદેવી ધીમે રહીને સ્ટેજ પર ગયા. અને સાજલના હાથમાંથી માઈક લીધું.

સભાજનો માટે આ નવું હતું. અનંતાદેવી જાહેર સભામાં કંઈપણ બોલ્યા હોય એ નોંધાયું ન હતું. તાળીઓના ગડગડાટ સાથે અનંતાદેવીને વધાવી લેવાયા.

‘સજ્જનો અને સન્નારીઓ, મારા અને દેવેન્દ્રજીના વફાદાર અને મિત્રો’

‘દર વખતની જેમ જ આ વખતે પણ દેવેન્દ્રસિંહજીને વિજયમાળા પહેરાવવા માટે આપનો ખુબ આભાર. આપના સાથ અને કેતકીજીના આત્મીય સહકાર વગર આજનો આ સુખદ અવસર શક્ય ન હતો. મારા પતિશ્રીની પહેલી અગત્યની નીતિ મહિલા સશક્તિકરણની છે. સમાજમાં અડધો અડધ મહિલાઓ છે.  નારી કલ્યાણના મુદ્દે મારા પતિશ્રીએ જીવન સમર્પિત કર્યું છે.’ મારામાં મારા પતિની જેમ અનેકની સેવા કરવાનું સામથ્ર્ય નથી. મારે માટે એક જ વ્યક્તિ બસ છે. મારા લગ્નજીવનના અડસઠ વર્ષ મેં મારા પતિ અને આપના આદરણીય નેતાશ્રીના ચરણોમાં સમર્પણ કર્યા છે. જાહેર જીવનમાં પડેલા સમાજ સેવકોની પત્નીઓએ અનેક ભોગ આપવા જ પડે છે. એનેક પ્રોટોકોલ નિભાવવા પડે છે. મેં એ નિષ્ઠા પુર્વક નિભાવ્યા છે. બાહ્યજીવન અનેકવિધ પ્રવૃત્તિમાં વિતતું હોય છે જ્યારે આંતરિક જીવન એકાકી અને સથવારા વગરનું પણ હોય છે. દેવેન્દ્રજી અનેકવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. હું એકલી છું. સ્વામિજીનું આધ્યાત્મિક સંગીત મારા હૈયામાં ગુંજે છે. મને ગમે છે.  માનવસેવાની મને એક નવી દિશા સાંપડી છે. મારું શેષ જીવન સ્વામિજીના સાનિધ્યમાં વિતાવવા માંગું છું. સેવા અને ત્યાગ એ અમારા પરિવારનો ધર્મ છે. મને આશા છે કે મારા પતિ પણ મારા વિચારોને અનુમતિ આપશે અને રાજકારણમાંથી સમય ફાળવીને અવાર નવાર સ્વામિજીના સત્સંગનો પણ લાભ લેશે.

મારા જમાઈ બેંગ્લોરમાં આંખના મોટા સર્જન છે. એમના અભિપ્રાય પ્રમાણે જો સ્વામિજીની આંખને અનુકૂળ  કોર્નિયા મળે તો એમને ફરીથી દૃષ્ટિ પ્રાપ્ત થાય એમ છે. પણ લાંબા સમયથી મેચિંગ કોર્નિયા મળતા ન હતા. મારા કોર્નિયા એમને અનુકૂળ આવે એવા છે. સામાન્ય રીતે મૃત ડોનરની નેત્રદાન લેવાય. પણ અપવાદ રૂપે, અનેક સલાહો પછી મેં મારી હયાતી દરમ્યાન જ સ્વામિજીને એક નેત્ર અર્પણ કરવા નિર્ધાર કર્યો છે. હું એક આંખ ગુમાવીશ છતાં હું એક આંખે જોઈ શકીશ. સ્વામિજીને પણ જીવન જરૂરિયાત પ્રમાણેની એક નેત્રની આંશિક દૃષ્ટિ મળશે.

બેન્લ્વેટ હૉલમાં સન્નાટો છવાઈ ગયો. અનંતાદેવીએ પતિ દેવેન્દ્રસિંહજી અને સભાજનોને નમસ્કાર કર્યા અને ધીમે ધીમે સ્ટેજ પરથી નીચે ઉતર્યા. આગલી હરોળમાં બેઠેલા સ્વામિજી પાસે ગયા. દેવેન્દ્રસિહજી મૂઢ અને અવાચક હતા. અનંતાદેવીએ સ્વામિજીનો હાથ પકડ્યો અને બન્ને વયસ્કો હોલ બહાર ઉભેલી કારમાં નીકળી ગયા. એમની પાછળ પાછળ પુત્રી વિશાખા પણ ચાલી નીકળી.

***

કોણ હતા એ સ્વામિજી અને શું હતી એમની વાત!

સ્વામિજી તરીકે જાણીતા થયેલા ભક્તકવિનું યુવાવસ્થાનું નામ હતું ગૌરાંગ.  ગૌરાંગ દેવેન્દ્રસિંહનો બાળપણનો મિત્ર હતો. દેવેન્દ્રસિંહના પિતા બ્રિટિશરાજ હતું ત્યાં સુધી બ્રિટિશ સરકારને વફાદાર રહ્યા હતા અને આઝાદી મળતાં કોંગ્રેસમાં જોડાયા હતા. દેવેન્દ્રજી અમદાવાદ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. ગૌરાંગ એનો રૂમ પાર્ટનર હતો. ગૌરાંગ તેજ્સ્વી વિદ્યાર્થી હતો. નામ પ્રમાણે જ રૂપાળો હતો. નીલી આંખો અને ગાલમાં ખંજન. તે સોહામણો હતો. શરમાળ હતો. સંગીતનો શોખ હતો.

દેવેન્દ્રને અભ્યાસમાં ખાસ રસ ન હતો. એ વિદ્યાર્થીસંઘનો નેતા હતો. બાળપણથી જ રાજકારણના વાતાવરણમાં ઉછર્યો હતો. હંમેશા મહિલામિત્રોથી ઘેરાયલો રહેતો હતો.

ગૌરાંગના પિતા, દેવેન્દ્રસિંહના પિતા સુરેન્દ્રસિંહજીની ઓફિસના એક કર્મચારી હતા. દેવેન્દ્રસિંહને અભ્યાસમાં મદદરૂપ થાય એ ગણત્રીએ બાપુ ગૌરાંગનો અભ્યાસ ખર્ચ ઉપાડી બન્ને મિત્રોને સાથે રાખ્યા હતા. દેવેન્દ્ર પણ ગૌરાંગને મિત્રદાવે ઘણી આર્થિક મદદ કરતો હતો.

બન્ને મિત્રો જ્યારે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે ગૌરાંગના વિવાહ રૂપસુંદરી અનંતા સાથે થયા હતા. અનંતા આકર્ષક આંખોવાળી રૂપકન્યા હતી. તે જમાનામાં વિવાહ લગ્નની વાતમાં ગૌરાંગના સમાજમાં છોકરા છોકરીને પુછવા કે સહમતિ લેવાનો રિવાજ જ ન હતો. વડીલો જ બધું નક્કી કરી લેતા.

વેવીશાળ પછી પહેલી જ વાર ગૌરાંગે અનંતાને એક કુટુંબીના લગ્નમાં જોઈ હતી. પણ વાતો કરવાનો મોકો જ મળ્યો ન હતો. તે સમયે વડીલો અને સમાજની આમન્યાની કેટલીક મર્યાદાઓને કારણે એણે પોતાની ઊર્મીઓને દબાવી રાખી હતી. પણ ચાર વિશિષ્ટ આંખોએ ઘણી વાત કરી લીધી હતી. અનંતા, લાવણ્યમય લજામણું કોમળ પુષ્પ હતું, ગૌરાંગથી વાત ન થઈ, એટલે મિત્ર દેવેન્દ્રસિંહને વાગ્દત્તા અનંતાને એક પ્રેમપત્ર પહોંચાડવાનું કામ સોંફ્યું. તે જમાનામાં પ્રારંભિક સંપર્ક સમવયસ્ક મિત્ર કે ભાઈ બહેનોની મધ્યસ્થિ દ્વારા જ સધાતો. આ કામ એણે મિત્ર દેવેન્દ્રસિંહને સોંફ્યું. દેવેન્દ્રએ હર્ષભેર એ જવાબદારી સ્વીકારી. ગૌરાંગને કહ્યું ‘બે દિવસમાં અનંતા જવાબ આપશે.’ સુંદર ભાવીપત્ની સાથેની ભાવી જીંદગીની કલ્પનામાં રાચતો ગૌરાંગ અનંતાના પ્રત્યુત્તરની રાહ એક મહિના સુધી જોતો રહ્યો.

એક મહિના પછી ગૌરાંગના પિતાનો પત્ર મળ્યો. બેટા અનંતાના પિતાએ વેવિશાળ તોડી તારા જ મિત્ર દેવેન્દ્રસિંહજી સાથે કર્યા છે. એઓ મોટા માણસ છે. આપણા પર એમના અનેક ઉપકાર પણ છે. તું હવે એને ભૂલી જજે. એમાં જ આપણા સૌનું કલ્યાણ છે.

ગૌરાંગ દેવેન્દ્રસિંહનો મિત્ર હતો. એનો ઋણી હતો. બસ અનંતાને એ ભૂલવા નિરર્થક પ્રયાસો કરતો રહ્યો.  “દીકરી અને ગાય દોરે ત્યાં જાય” એ સ્વીકારીને અનંતા પણ શરણાઈના સૂર સાથે માહ્યરામાં ગોઠવાઈ ગઈ. હતી. લગ્નમાં ગૌરાંગે હાજરી આપી હતી. મિત્રને આલિંગન આપીને અભિનંદન પણ આપ્યા હતા. પણ ભૂતપૂર્વ વાગ્દતા સામેથી એની નજર હઠતી ન હતી. મલમલી ધૂંઘટમાં એ નિઃસહાય અનંતાની લાચારી જોઈ રહ્યો હતો.

બાપુ સુરેન્દ્રસિંહજીના સેક્રેટરીએ ગૌરાંગને અને એના પિતાને એક ખૂણામાં બોલાવીને નમ્રતાથી કહ્યું હતું કે હવે આપનો નિવૃત્ત થવાનો સમય થયો છે. ગૌરાંગને મુંબઈની કોલેજમાં ભણવાની વ્યવસ્થા કરી છે. ખર્ચાની ચિંતા કરશો નહિ. આપને આપના પગાર કરતાં પણ વધુ પેન્શન મળી રહેશે. દેવેન્દ્ર અને ગૌરાંગની જીવન દિશા બદલાઈ ગઈ. સંપર્ક તૂટી ગયો.

દેવેન્દ્રસિંહના પિતા સુરેન્દ્રસિંહજીનું અવસાનના સમાચાર મળતાં ગૌરાંગ દેવેન્દ્રને આશ્વાસન આપવા  શોક સભામાં ગયો હતો. ભૂતપૂર્વ વાગ્દત્તા અનંતા અને ગૌરાંગની વચ્ચે દૃષ્ટિસંવાદ થયો હતો જે દેવેન્દ્રના ધ્યાન બહાર નહતું. બીજે દિવસે ટ્રેઇનમાં મુંબઈ જતી વેળાએ કોઈક ગુંડાએ ગૌરાંગના ચહેરા પર એસિડ છાંટ્યો અને ટ્રેઇનમાંથી કૂદી પડ્યો. તાત્કાલિક સારવાર ન મળતાં ગૌરાંગે દૃષ્ટિ ગુમાવી દીધી.

ગૌરાંગનો એક મિત્ર એને બેંગ્લોર લઈ ગયો. પાસેના ગામમાંના ઘરમાં રહેવાની સગવડ કરી આપી હતી. ગુજરાતી સમાજથી દૂર એનું નવું જીવન શરું થયું. વર્ષો વિતતા ગયા. પૂર્વજીવન વિસરાઈ ગયું રવિન્દ્રનાથ ટાગોર જેવા જ દેખાતા ધવલ ગૌરાંગનું મૂળ નામ પણ ભૂલાઈ ગયું અને તે માત્ર સ્વામિજી તરીકે જ ઓળખાવા લાગ્યા. આંખના ડોક્ટર રેડ્ડી અને એમની પત્ની વિશાખા સ્વામિજીના પ્રસંશક હતા. એકવાર વિશાખા એની મમ્મી અનંતાદેવીને એમના ભજન સાંભળવા લઈ આવ્યા. સ્વામિજી તો અનંતાને ઓળખી ન શક્યા પણ અનંતાદેવીની વર્ષો પછી પણ સ્વામિજીને ઓળખી ગયા. પહેલી મુલાકાતે જ બન્ને વયસ્કોની એક નવી દુનિયા સર્જાઈ ગઈ.

વિશાખાની ગેરહાજરીમાં સ્વામિજી અને અનંતાદેવીએ અતિતને સજીવન કર્યો. અનેક ખુલાસાઓ થયા. દેવેન્દ્રએ ગૌરાંગનો પ્રથમ પ્રેમપત્ર પહોંચાડ્યો જ ન હતો. એ પત્ર અનંતાને એક જુના પુસ્તકમાંથી મળ્યો હતો. સસરાની શોક સભામાં આવેલા ગૌરાંગ સાથે નજરોથી લાચારી વ્યક્ત થઈ હતી. બસ ત્યાર પછી ગૌરાંગ નામની વ્યક્તિ અદૃષ્ય થઈ ગઈ હતી.

અનંતા એક પુત્ર અને એક પુત્રીની માતા બની ગઈ હતી. દેવેન્દ્રસિંહ સમૃદ્ધ નેતા બની ગયા હતા. સુંદર મહિલાઓના માનીતા હતા. રજપૂત હતા અનેક પત્ની કરી શકે એમ હતા; પણ કાયદા અને સમાજને માન આપીને બહુપત્નીત્વ સ્વીકાર્યું ન હતું. પતંગિયા સ્વભાવના દેવેન્દ્રને અનેક સ્વૈછિક પુષ્પોની ખોટ જ ન હતી.

વર્ષો બાદ અનંતાદેવીને આકસ્મિક રીતે પુત્રી વિશાખા દ્વારા ગૌરાંગસ્વામિ મળ્યા. પુત્રી વિશાખાને એમના અતિતની જાણ ન હતી પણ પિતાશ્રીના ચારિત્ર્યની જાણ તો હતી જ. વિશાખાએ શરૂઆતમાં તો મમ્મીના જીવતે જીવત નેત્રદાનનો વિરોધ કર્યો, પણ મમ્મીના મહાન ત્યાગને બિરદાવી નેત્રદાનની અનુમતી આપી. એક મહાન નેત્રદાન થઈ ગયું.

***

આજે પણ અનંતાદેવી દેવેન્દ્રસિંહજીના કાયદેસરના પત્ની જ છે. તેઓ પુત્રી વિશાખા સાથે બેંગલોરમાં રહે છે. વાસ્તવમાં એક નેત્રીય સ્વામિજી અને એક નેત્રીય અનંતાદેવી, દિવસના મોટાભાગનો સમય એક સાથે જ વ્યતિત કરે છે. વયોવૃધ્ધ દેવેન્દ્રસિંહજી હવે મુખ્યમંત્રી નથી પણ રાજકીય સમાચારોમાં ચમકતા રહે છે. ત્રણ જીવન પોતપોતાની રીતે વહ્યું જાય છે.

(ગુજરાત દર્પણ  ડિસે.૨૦૧૭)

4 responses to “નેત્ર પ્રદાન

  1. pravinshastri December 25, 2017 at 12:08 PM

    આભાર ગાંધી સાહેબ.

    Like

  2. મનસુખલાલ ગાંધી December 25, 2017 at 12:05 AM

    ઘણા વખતે નવી વાર્તા મળી.. બહુ સરસ..બઘુ જ સરસ, અેક નવી અસરકારક વાર્તાના જન્મને માટે.

    Liked by 1 person

  3. pravinshastri December 21, 2017 at 11:04 AM

    અમૃતભાઈ આપના ઉત્સાહપ્રેરક પ્રતિભાવ બદલા હંમેશનો ઋણી છું. જ્યાં જ્યાં ક્ષતિ લાગે ત્યાં નિઃસંકોચ આંગળી ચિંધતા રહેજો. આભાર મિત્ર.

    Like

  4. Amrut Hazari. December 21, 2017 at 9:14 AM

    પ્રવિણભાઇ, સરસ વાર્તા. નેત્રદાનનો નિર્ણય પણ . વાર્તાનો સૌથી મોટો પ્રભાવશાળી હિસ્સો છે….અેક સફળ રાજકારણિય થવા માટેનાં જરુરી સર્ટીફિકેટોની ….અને તેનો લખાણમાં જરીકે ઉલ્લેખ નહિ…. અેક વાત અેસ્ટાબ્લીસ્ડ છે કે અેક સફળ પોલીટીશીયન બનવા માટેના કેન્ડીડેટ પાસે આ દુનિયાના બઘાજ દુષણો, ગુંડાગીરી,વિ. માં અે ગ્રેડમાં પાસ થયાના સર્ટીફીકેટોની….જે દેવેન્દ્રસિંહજી પાસે બાળપણથી હતાં.
    અનંતાદેવીનું નામ જ તેમને માટે માન ઉપજાવનારું છે.
    બઘુ જ સરસ, અેક અસરકારક વાર્તાના જન્મને માટે.
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: