વડીલમિત્ર શ્રી ઉત્તમભાઈ અનેક રીતે ઉત્તમ સાહિત્યનું પ્રસારણ કરતા રહે છે . એમનો પોતાનો એક બહોળો વાચક પરિવાર છે. મને ખાત્રી છે કે મોટાભાગના મારા બ્લોગ-વાચક મિત્રો પણ એમની સન્ડે ઈ મહેફિલ અને ફોર્વર્ડેડ ઈ-મેઇલ દ્વારા વહેતી વાતોનો લાભ મેળવતા જ હશે. છતાં કોઈક મિત્રો તો હશે જેમને આ ફરી ફરીને વાંચવાનું ગમશે. આજે શ્રી વિક્રમભાઈ દલાલ સાહેબની ભાષાંતરીત લઘુ વાર્તા આપને માટે એમના સૌજન્ય સહિત રજુ કરું છું.
વીક્રમભાઈ,
આ ઉમ્મરે તમારા ઉદ્યમને સલામ !
કેટલી સરસ વાર્તા !માત્ર સાતસો પચાસ શબ્દોમાં સમાતી વાર્તા !!વાર્તાનાં વીષય–વસ્તુની ‘હરીશ્ચન્દ્ર’બહેનોએ કરેલી માવજતને તો ઘણી જ સલામ !!..ઉ.મ..
2018-03-17 Vikram Dalal <inkabhai@gmail.com>:
***
આજનું મન્થન 17-3-2018વિજ્ઞાનની દરેક શોધમાં લાભ અને ગેરલાભ બન્ને એકસાથે સમાયેલા હોય છે. અગ્નીથી માંડીને અણુશક્તી સુધીની શોધના સારા અને નરસા ઉપયોગ થઈ શકે છે. સાચી કેળવણી શોધનો સારો ઉપયોગ કરવા માટે અને નરસો ઉપયોગ ન કરવા માટેની સમઝણ આપે છે. સમઝણ પ્રમાણેનું વર્તન પ્રેરણા સંસ્કાર આપે છે.
———————————————-
વાર્તા 83
83 મોટપભરી માવજત
વીમલાબહેન કાયમ એકલાં અને પગભર રહેલાં. કોઈના ઓશીયાળા નહીં. પતીના અવસાન બાદ શીક્ષીકાની નૉકરી લીધી અને બે નાનાં બાળકોને એકલા હાથે ઉછેર્યાં, ભણાવ્યાં‑ગણાવ્યાં અને પરણાવ્યાં.
.
હવે વીમલાબહેનને બધી વાતે સુખ હતું. દીકરી પરણીને સાસરે ગઈ. દીકરો પણ પરણ્યો. ઘરમાં વહુ આવી. પાંચ વરસમાં બે બાળકોથી ઘર ગુંજતું થયું. એમનો સારો એવો સમય નીશાળમાં પસાર થઈ જતો, અને ઘરે પણ દીકરો‑વહુ એમને સારી રીતે રાખતાં.
.
દીકરો કમાતો થયો પછી તેણે માને ઘણું કહ્યું કે તું હવે નૉકરી છોડી દે. પણ વીમલાબહેન ન માન્યાં. છેક હમણાં ચાર‑છ મહીના પહેલાં નીવૃત્તી વય થઈ એટલે ન છુટકે નૉકરી છોડવી પડી.
.
હવે આખો દીવસ ઘરમાં રહેવાનું થયું. રસોડામાં જવાનું થતું, વહુ સાથે કામ કરવાનું થતું. ધીરે ધીરે એમને ખ્યાલમાં આવતું ગયું કે પોતાનું કેટલુંક વર્તન વહુને ગમતું નથી. થોડો ઘણો સ્વભાવ‑ભેદ છે, સંસ્કાર‑ભેદ છે. અને તે તો રહેવાનો જ ને. મોટું મન રાખી તેને સાચવી લેવાનો. જો કે એમને માટે આ જરા વસમું હતું. કેમ કે આખી જીન્દગી એકલાં રહેલાં, કોઈને માટે એડજસ્ટ થવાની જરુર જ નહોતી પડી. પણ હવે જરા સાચવવું પડશે. મોટપ એમાં જ ગણાય.
.
વીમલાબહેનને એકલા એકલા ખાવાનું ન ગમે. નીશાળમાં નાસ્તો લઈ જાય, તે હમેશાં બે‑ત્રણને બોલાવી સાથે બેસીને કરે. બીજાને ખવડાવવા‑પીવડાવવામાં એમને બહુ ખુશી થાય. પણ વહુનો સ્વભાવ આનાથી સાવ ઉલટો છે, તે હવે એમના ધ્યાનમાં આવવા લાગ્યું હતું.
.
નીશાળમાં ત્રણ વાગે અને ચા આવે. વરસોની આ ટેવ પડી ગયેલી. હવે ઘરે પણ ત્રણ વાગે એટલે ચાની તલપ લાગે. એમણે કામવાળી પાસે ચા કરાવવા માંડી. પણ પોતે એકલાં ન પીએ, કામવાળીનેય સાથે બેસાડીને પીવડાવે. શરુમાં એકાદ મહીનો વહુને બપોરે બહાર જવાનું થતું, એટલે આમ ચાલ્યું, પણ પછી વહુને આ આંખમાં આવ્યું. કાંઈ બોલી નહીં. પણ ધીરેથી ક્યારેક કહેતી, ‘બા, આને આપણે કોરી રાખી છે, ખાવા‑પીવા આપવાની જરુર નહીં’.
.
વીમલાબહેનને ત્યારે ખ્યાલ આવ્યો કે વહુને આ ગમતું નથી. બે‑ચાર દીવસ જાતે ચા બનાવી લીધી, બે‑ચાર દીવસ વહુએ બનાવી દીધી. પરન્તુ કામવાળી ઘરમાં હોય અને એની નજર સામે એકલાં એકલાં ચા પીવી પડે, એ વીમલાબહેનને રુચ્યું નહીં. એમને એ બહુ ખુંચતું. છેવટે એમણે બપોરે એ જ સમયે મન્દીરે જવાનું શરું કર્યું, જેથી ચાની તલપ છુટે.
.
દીકરા‑વહુને નવાઈ લાગી, કેમ કે આગાઉ વીમલાબહેન ભાગ્યે જ મન્દીરે જતાં. પણ ઘડપણમાં બધાં આ બાજુ વળતા હોય છે, એમ માની એમણે મન મનાવ્યું.
.
એક વાર સુગમ સંગીતનો કાર્યક્રમ હતો. દીકરો‑વહુ જવાના હતાં. દીકરાને ખબર કે બાને સુગમ સંગીતમાં બહુ રસ. રેડીઓ પર બરાબર સમય યાદ રાખીને અચુક સાંભળે. એને એમ કે બા પણ આવે. પણ વહુની ઈચ્છા નહીં. પાછાં છોકરાંને ક્યાંક મુકી આવવા પડે. વીમલાબહેનની ઝીણી નજરમાં આ આવી ગયું. દીકરાએ વાત કાઢી, ત્યારે એમણે જ કહી દીધું, ‘ના બેટા, મારાથી હવે એટલો વખત બેસાય નહીં, ઉજાગરા થાય નહીં’. વહુના મોઢા પર ‘હાશ’ થઈ, તે પણ એમની નજરમાંથી અછતું ન રહ્યું.
.
ગાજરનો હલવો કરેલો. બધાંને બહુ ભાવે એટલે ખાસ્સો પાંચ કીલોનો કરીને ફ્રીઝમાં મુકેલો. વીમલાબહેનને પણ બહુ ભાવે. પણ પહેલે દીવસે થોડો ચાખીને પછી એમણે એ ખાધો જ નહીં. ‘આજે પેટમાં સારું નથી’…..‘હવે આ ઉમ્મરે ગળ્યું ઓછું જ ખાવું સારું’….એમ કહેતા રહ્યાં. દીકરાએ વહુને કહ્યું, ‘આમ, ફ્રીઝમાં રાખી મુકેલી વાનગી બાને નથી ભાવતી’. પરન્તુ ખરું કારણ તો વીમલાબહેને કહ્યું જ નહીં, અને કોઈએ જાણ્યું પણ નહીં. ખરું કારણ એ હતું કે કામવાળી પાસે આટલા બધા ગાજર છીણાવ્યા પણ એને ચાખવા પુરતોયે હલવો અપાયો નહોતો. એને લીધે હલવો વીમલાબહેન માટે કડવો બની ગયો.
.
દર મહીનાના પહેલા બુધવારે બપોરે ત્રણ વાગે વહુની બહેનપણીઓ વારા ફરતી જુદાં‑જુદાં ઘરે મળતી. 25‑30 જણી હોય. બે‑ત્રણ કલાક સાથે ગાળે. ગપ્પાં મારે, નાસ્તોપાણી કરે. આ વખતે વહુનો વારો હતો. વીમલાબહેને કહેવા માંડ્યું કે આ બનવીએ ને તે બનવીએ. વહુ કહે, ‘બહારથી તૈયાર નાસ્તો જ લઈ આવીશું’.
.
‘ના બેટા, એવું બહારનું શું ખવડાવવું’?
‘બા, બધાં બહારનો નાસ્તો લાવીને જ ધરી દે છે. આટલાં જણની કડાકુટ કૉણ કરે?’
‘એમાં કડાકુટ શાની? માણસ આપણાં ઘરે ક્યાંથી? તું જરીકે બોજો ન રાખીશ. હું બધુંયે તને ગોઠવી આપીશ’.
.
‘પણ બા, આ બધી તો ભારે વરણાગીવાળી. એમનું ખાવાનું પણ એવું જ. ખાય તો ખાય, નહીં તો છાંડીને ઉભી થઈ જાય. ખાવામાં પણ એમની ફેશન. તમે નાહક મહેનત ન કરશો.’
.
વહુએ બાને વારવા બહુ પ્રયત્ન કર્યો, પણ બા માન્યાં જ નહીં. ‘તું જો તો ખરી, તારી બધી બહેનપણીઓ આંગળા ચાટી જશે’.
.
અને ખરેખર બધાં આંગળા ચાટી ગયાં. બાએ ચાર‑પાંચ વાનગી બનાવેલી. બધાંને તે બહુ જ ભાવી. અને બાએ પણ ખુબ તાણ કરી‑કરીને બધાંને ખવડાવી. દરેકે ખુશ થતાં‑થતાં પેટ ભરીને ખાધું અને પેટ ભરીને બાની વાનગીઓનાં વખાણ કર્યાં. આવતા વખતે જેનો વારો હતો, તેણે તો અત્યારથી જ કહી દીધું કે, ‘બા, તમારે મારે ત્યાં આવવાનુ જ છે’.
.
એ બધાંને આવો હૈયાની ઉલટનો અનુભવ પહેલી વાર થયો હતો. સામાન્ય રીતે એમનું ખાવા‑પીવાનું ઔપચારીક હોય. ઉપર‑ઉપરની રોનક હોય, દેખાડો વધુ હોય, પણ સ્વાદ ઓછો. જ્યારે અહીં બધું સ્વાદીશ્ટ તો હતું જ, સાથે અન્તરનો ઉમંગ પણ હતો. એ ઉમંગ સહુને સ્પર્શી ગયો.
.
વહુનેય તે સ્પર્શી ગયો. બીજાંને ખાતાં જોઈને જે આનન્દ અનુભવાય, તે એણે જીન્દગીમાં પહેલી વાર અનુભવ્યો. બાએ પણ જરીકે થાક અનુભવ્યા વીના જે ઉલટથી આ બધું કર્યું, તે જોઈ એ પીગળી ગઈ. મનની સંકીર્ણતામાંથી છુટાય, તો જગત કેવું ભર્યું‑ ભર્યું છે, તે તેણે માણ્યું, અનુભવ્યું, ઓળખ્યું. બધાં ગયા પછી એ બાને વળગી પડી. બા એના માથે વહાલથી હાથ ફેરવતાં રહ્યાં.
.
( ‘શ્રી માલતી જોશી’ ની ‘મરાઠી’ વાર્તાને આધારે ) (વીણેલાં ફુલ–ભાગ 12 પાનાં 19‑20)
— Vikram Dalal
2/15 Kalhaar Bungaloz
Shilaj
L.L. No. (02717) 249 825
Like this:
Like Loading...
Related
મનની સંકીર્ણતામાંથી છુટાય,
તો જગત કેવું ભર્યું‑ ભર્યું છે,
LikeLike