“સજા યે મૌત”

“સજા યે મૌત”

ઋચા

Photo Credit: Google Image

.

‘ઋચા, ગુડ ન્યુઝ. તારો પેરોલ ગ્રાન્ટ થઈ ગયો છે. આવતી કાલે સવારે તું તારે ઘેર જશે. જો બેટી દરેક જીંદગી પ્રભુએ આપી છે. ઉતાવળ અને ગુસ્સામાં આવીને કોઈનું જીવન સમાપ્ત કરવું એ યોગ્ય નથી. ભગવાને આપણને એ અધિકાર આપ્યો નથી. નાદાનિયતમાં તેં  બે જીવનનો અકાળે અંત આણ્યો અને તારી જિંદગીના કિમતી ત્રણ વર્ષો બરબાદ કરી દીધા. તું નશીબદાર છે કે આવતી કાલે તું ઘેર જઈ રહી છે.  તને તો ખબર છે કે સેસન્સકોર્ટમાં પ્રોસિક્યુટરે તો તને  ફાંસીએ લટકાવવાની વાત કરી હતી. એડલ્ટ તરીકે આજીવન કેદમાં ફેરવાઈ. ભગવાનનો પાડ માન કે તારો કેસ હાઈકોર્ટે જુવેનાઈલમાં ફેરવ્યો અને તું બચી ગઈ. કાલે તને સુચના મળી જશે કે તું ભલે ઘેર જઈ શકશે પણ સંપૂર્ણ પણે મુક્ત તો નથી જ. તારા રિસ્ટ્રીકશન્સના પેપર્સ તને અને તારા પેરન્ટ્સને મળી જશે. બી ગુડ યંગ લેડી. ગોડ બ્લેસ યુ.’

જેલ સુપ્રીન્ટેન્ડટે ઋચાના માથાપર  હાથ ફેરવતા કહ્યું. સાડા ત્રણ વર્ષ દરમ્યાન ઋચા આવા બોધપાઠ અનેક વખત સાંભળી ચૂકી હતી. એ સમજતી હતી, પણ એણે જે કર્યું હતું એને માટે કોઈ વસવસો કે રંજ ન હતો.

સાડા ત્રણ વર્ષ પહેલાં સત્તર વર્ષની ઋચાને સેસન્સ કોર્ટે ડબલ મર્ડર માટે એડલ્ટ તરીકે આજીવન કેદની સજા ફરમાવી હતી જે હાઈકોર્ટે કેન્સલ કરી સગીર ગણીને એની સજા ચાર વર્ષની જુવેનાઇલ રિહેબમાં ફેરવી હતી.

ઋચા એની જેલ સેલમાં ગઈ. બેડમાં પડી સિલિંગને તાકતી રહી. આજની રાત ચાર દિવાલની છેલ્લી રાત હતી. કાલે સવારે આઠ વાગ્યે પપ્પા મમ્મી અને દીદી મને લેવા આવશે. પપ્પા મમ્મીની હાજરીમાં ફરી એકવાર કાઉન્સિલર સાઈકોલોજીસ્ટ એકનું એક લેક્ચર આપશે. હિંસા ખોટી છે. કાયદો હાથમાં ન લેવો જોઈએ. કાયદો અને ન્યાય પર વિશ્વાસ રાખવો જ જોઈએ. વિગેરે વિગેરે. હાહાહા. જે સાડા ત્રણ વર્ષ પહેલાં કર્યું તે જ આજે કરવું પડે તો જરૂર કરીશ. પણ મેડમ આગળ તો નીચી મૂંડીએ પાઠ સ્વીકારવા જ રહ્યા.

………એ દિવસ પણ ભૂલ્યો ભૂલાય એવો ન હતો.

તે દિવસે દીદી કોલેજથી આવીને મમ્મી પાસે ખૂબ રડી હતી. ‘કાળીયો મારી પાછળ પડ્યો છે. રોજ કોલેજ આગળ આવીને મને હેરાન કરે છે. સાથેના ગુંડાઓ મને ભાભી તરીકે બુમ પાડે છે. આજે હું અમર સાથે અમારી કોલેજ કેન્ટિનમાં નાસ્તો કરતી હતી ત્યારે કાળીયા એ આવીને અમરને ખૂબ માર માર્યો અને મારી સાથે સંબંધ રાખશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.’

ઋચાની દીદી એટલે મિસ યુનિવર્સિટી ઉર્વશી કે ઉર્વી. રતનલાલ ઝવેરીના બે પુત્રી રત્નો. મોટી ઉર્વશી અને નાની ઋચા. સાક્ષાત અપ્સરાસમી સૌદર્ય સુંદરી ઉર્વશી, એ કોલેજનું ગૌરવ ગણાતી હતી. પિતાના ઝ્વેરાતની એડવર્ટાઈઝિમ્ગની મોડેલ  ઉપરાંત ઉર્વીને ગાર્મેન્ટ ઈન્ડ્સ્ટ્રીની મોડેલ તરીકે પણ કોન્ટ્રાક્ટ મળતા હતા. નાની ઋચા હાઈસ્કુલમાં ભણતી હતી.

અમર ઉર્વશીનો બાળપણનો અને સાથે જ ભણતો દોસ્ત હતો. સીધોસાદો, સામાન્ય ઘરનો અમર, મોટો થતાં કોલેજમાં ઉર્વીનો બોયફ્રેન્ડ બની ચૂક્યો હતો. મધ્યમ વર્ગનો હતો. પપ્પા રતનલાલને ખબર ન હતી કે ઉર્વી એક સામાન્ય કક્ષાના બાપના દીકરાના પ્રેમમાં પાગલ હતી. મમ્મીને દીકરીની પસંદ ખબર હતી. અમર સંસ્કારી યુવાન હતો. અવાર નવાર ઉર્વીને ત્યાં આવતો પણ હતો. મમ્મી સમજુ હતી. ભલે આર્થિક સમાનતા ન હોય પણ સંસ્કાર અને પ્રેમ હોવો જોઈએ. અમર અને ઉર્વીના સંબંધને મમ્મીના મૂક આશીર્વાદ મળી ચૂક્યા હતા. પપ્પા તો એની દીકરીઓને કોઈ સમૃદ્ધ અને વગદાર કુટુંબમાં પરણાવવાની વાતો કર્યા કરતા હતા. મમ્મીએ દીદીને સાંત્વન આપ્યું હતું કે પહેલાં તું ભણી લે સમય આવ્યે હું પપ્પાને સમજાવી દઈશ.

આ કાળીયો રોજ જ ઉર્વીને સતાવતો રહ્યો હતો. સ્ટુડન્ટથી ભરચક કેન્ટીનમાં કાળિયાએ અમરને માર્યો પણ કોઈ એનો બચાવ કરવા આગળ આવ્યું નહી. બે મહિના પછી દીદી અમર સાથે ડેઇટ પર ગઈ હતી. અમર દીદીને ઘરે મૂકી પોતાને ઘેર જતો હતો. રાતનો સમય હતો. કોઈ ટ્રક એની બાઈકને ટક્કર મારીને નાસી છૂટી હતી. અમર એક્સીડન્ટમાં મરી ગયો હતો. માત્ર દીદી જ નહી મમ્મી અને ઋચા પોતે પણ ખૂબ રડી હતી. દુનિયા માટે, ન્યુઝ પેપર માટે એક કોલમના એક્સિડન્ટના સમાચાર માત્ર હતા. હીટ અને રનમાં કોઈ પકડાયું ન હતું. દીદીને શંકા હતી કે આ કાળીયાનું જ કામ છે. પણ એ પુરાવા વગરની શંકાનો શો અર્થ?

કાળીયો એટલે ધારાસભ્ય અભયસિંહનો કુપુત્ર ચિરંજીવ. રંગમાં તદ્દન આફ્રિકન જેવો કાળો. યુવા જગતમાં ‘કાળીયો કાળ’ તરીકે જાણીતો હતો.  ગુંડાગીરીમાં “ભાઈલોગ” જેવો. અનેક છોકરીઓને સતાવતો. પછી રૂપસુંદરી ઉર્વશી પર નજર પડી. બસ એની પાછળ ભમવા લાગ્યો. કોલેજમાં ભણતો ન હતો પણ કોલેજ નજીક ભટક્યા કરતો હતો. છોકરાઓ પર એનો ધાક ઘણો હતો. એની ગુંડાગીરીથી કોલેજનાના સત્તાવાળા પણ ગભરાતા. ચૂટણી સમયે બાપની સામે ઉભેલાના ઉમેદવારના સપોર્ટરની મારપીટ કરતો.

અમરના મૃત્યુ પછી થોડા સમય સુધી ચિરંજીવ કોલેજ નજીક ફરક્યો ન હતો. ઉર્વશી ડિપ્રેશનમાં સરી ગઈ હતી. છેલ્લા વર્ષની પરીક્ષા પણ આપી શકી નહિ. આમ તો પપ્પાને તો એમ કે દીકરી બિમાર છે. ભલે પરીક્ષા ના આપે. આવતે વર્ષે આપશે. બિચારા પપ્પાને દીકરીઓ પાસે બેસીને વાતો કરવાનો સમયજ ન  હતો.

ધારાસભ્ય અભયસિંહ સાથે રતનલાલને વ્યાવહારિક સંબંધો હતા; બલ્કે બિઝનેશને કારણે રાખવા પડતા હતા. ભય વિના પ્રિતી નહિનો ઘાટ હતો. ઈલેક્શન સમયે ચૂંટણી ફંડમાં સારી જેવી રકમ આપવી પડતી હતી. બદલામાં રતનલાલનું સરકારી કામકાજ અભયસિંહની કૃપાથી સરળ થઈ જતું

ઝવેરાતના વેપારી રતનલાલ પર ઈન્કમટેક્ષની નવી તપાસ ચાલતી હતી. અભયસિંહે પતાવી આપવાની ખાસ વાતચીત કરવા ચાર અઠવાડિયા પહેલાં જ રતનલાલ ઝવેરીને મળવા બોલાવ્યા હતા. ઝવેરી ઈન્કમટેક્ષના સાચાખોટા સકંજામાં તો હતા જ. તેમાં અભયસિંહે ધડાકો કર્યો કે તમારા પર પચ્ચીસ કરોડની દાણચોરીના ઝવેરાતનો પણ કેસ થવાની શક્યતા છે. સીધા જ જેલમાં જવાય એવા આંધણ છે પણ ચિંતા નહિ. હું બેઠો છું ત્યાં સુધી આપને કશું નહિ થાય. આ વાત પછી બીજે જ દિવસે ઈન્કમટેક્ષની ફોજે એમને ત્યાં ધર અને શો રૂમપર રેડ પાડી હતી. આમ તેમ શોધ ખોળનો દેખાવ થયો અને ઈન્સ્પેક્ટરે કહ્યું ‘શેઠજી કશું ગભરાવા જેવું નથી. આપના પર અભયસિંહજીની કૃપા છે એટલે અમારે કશું કરવાનું રહેતું જ નથી. આજે રાત્રે મિસિસ સાથે સાહેબને મળવા જઈ આવજો.’

અભયસિંહને ત્યાં ઝવેરી દંપતિનો સારો જેવો આદર સત્કાર થયો હતો. છૂટાં પડતાં પહેલાં અભયસિંહે નમ્ર ભાષામાં જાણે ભીખ માંગતા હોય એમ કહ્યું ‘શેઠજી આપને ત્યાંનું એક રત્ન ઉર્વશીની હું મારા દીકરા માટે ભિક્ષા માંગું છું. મારો ચિરંજીવ અને આપની પુત્રી એકબીજાના પ્રેમમાં છે. દીકરી તો સંસ્કારી છે એ આપને કહી શકતી નથી પણ મને ખબર પડી છે. આપને આ સંબંધ બંધાય તેમાં વાંધો તો નથીને? આવતા ઈલેક્શનમાં ચિરંજીવને પણ ટિકિટ મળવાની છે.

રતનલાલ તો ખૂશ થઈ ગયા હતા પણ એમની પત્નીને તો ઉર્વી અને કાળીયાના પ્રેમની જુઠ્ઠી વાત સાંભળતા ચક્કર આવી ગયા. ઋચાની મમ્મીએ ઘેર આવી રતનલાલને કાળીયાની ગુંડાગીરી અને ઉર્વીના પ્રેમી અમરની વાત કરી આ સંબંધનો વિરોધ કર્યો. પણ બાપ વેપારી હતા. પોલિટિશીયન જમાઈ મળે તો ઘણાં ફાયદા થાય એવું સમજતા હતા. અને હવે ક્યાં અમર છે? જે થયું તે સારૂં જ થયું.

અમરના મૃત્યુ પછી ઋચાની દીદી ઉર્વી ડિપ્રેશનમાં શૂન્યમનસ્ક થઈ ગઈ હતી. એકવાર કોઈ ઝેરી દવા પીવાની કોશીશ પણ કરી હતી પણ ડોક્ટરોએ એને બચાવી લીધી હતી. ઉર્વીનું બોલવાનું બંધ થઈ ગયું.  મમ્મીએ પપ્પાને સમજાવવા ઘણી કોશીષ કરી પણ ઉગ્ર સ્વભાવના રતનલાલ સમજી શક્યા નહિ. એમણે તો માની લીધું કે દીકરી કાંઈ બોલતી નથી એટલે એની તો મંજુરી જ છે.

સગાઈ વિધી થઈ ગઈ. ચિરંજીવ દર બે દિવસે આવતો અને ઉર્વીની સાથે બેસતો. દીદી એની વાતો સાંભળતી કે સમજતી હતી કે કેમ તે શંકા હતી. એની છેડછાડ કરતો. એણે ચિરંજીવનો પ્રતિકાર પણ નહોતો કર્યો. બે વાર એને કારમાં ફરવા લઈ ગયો હતો. ઉર્વી ઘરે આવીને રડી હતી. કાળીયાએ લગ્ન પહેલાં જ એને લૂંટી લીધી હતી. દીદી તો હરતું ફરતું એક મડદું જ બની ગઈ હતી. એને જે કંઈ કહેવામાં આવે તે રોબોટની જેમ કર્યા કરતી. જાણે એને પોતાને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે.

નાની ઋચા સમજતી હતી. તેણે ઉર્વીને કહ્યું પણ હતું, ‘દીદી તું કશે ભાગી જા. આ લોકોતો રાક્ષસ છે. તને ચૂસી રહ્યા છે. પપ્પાને બ્લેક મેઇલ કરી રહ્યા છે. પપ્પાને બિઝનેશ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. તું ભાગ.’ પણ દીદીને કંઈ સમજાયું જ નહિ.

લગ્નના દિવસો પાસે આવતા ગયા. ચિરંજીવ રોજ આવવા માંડ્યો. પપ્પા મમ્મી સાથે એનો વ્યવહાર સુધર્યો હતો. એક સજ્જન તરીકેની છાપ ઉભી કરતો હતો. એકવાર મમ્મી ઘરે ન હતી. દીદીની હાજરીમાં જ એક વાર ઋચાનો હાથ પકડી એની પાસે બેસાડી. મારી આધી ઘરવાલી કહીને ઋચાના શરીર સાથે ચેડા કરવાની કોશીશ કરી. તે હાથ છોડાવી દૂર જઈને બેઠી. દીદીએ જોયું પણ એ કશું બોલી શકી નહિ.

ઋચા વિતેલા દિવસો અને ધટનાઓએ યાદ કરતી હતી. આવતી કાલે એને પણ મમ્મીના હાથનું ખાવાનું મળશે. હવે તો ધીમે ધીમે દીદી પણ સ્વસ્થ થઈ ગઈ હતી. દીદીએ ત્રણ વર્ષ સાઈકોથેરાપી લીધી હતી. ઋચા ખૂશ હતી. ફરી અતિતચક્ર ચાલુ થયું.

ઋચા મનોમન તે દિવસને યાદ કરી હસતી હતી. બે સફેદ બદમાશોને ગણત્રી પૂર્વક હજાર માણસોની જાજરીમાં ફૂંકી માર્યા હતા.

માત્ર શહેર કે રાજ્ય જ નહિ પણ આખો દેશ આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો હતો. ધારાસભ્ય અભયસિંહના પુત્ર ચિરંજીવના લગ્નમાં ચિરંજીવ અને એના પિતાની હજાર માનવોની હાજરી વચ્ચે હત્યા કરી હતી. પાંચ મિનિટ માટે તો રઘવાટમાં કોઈને કશી સમજ નહિ પડી ન હતી. એક ટીવીએ તો જાહેર પણ કરી દીધું હતું કે કાશ્મિરી જેહાદીઓનો આતંકવાદી હુમલો. લગ્નના પાર્ટિપ્લોટમાં રઘવાટ, ઘમાચકડી મચી ગઈ હતી. પણ પાંચ મિનિટ પછી સમાચાર બદલાયા. શહેરના પ્રતિષ્ઠીત રતનલાલ ઝવેરીની પુત્રી ઉર્વશીના લગ્ન સમારંભમાં, સત્તર વર્ષીય પુત્રી ઋચાએ બાપ દીકરાને ઊડાવી દીધા. બિચારી ઉર્વશી તો મ્હાયરામાં ધ્રૂજતી હતી. પિતા રતનલાલ ઝવેરી તો મહેમાનોની આગતા સ્વાગતામાં રોકાયલા હતા. એને સમજ જ ન પડી કે શું થઈ રહ્યું છે.

પાર્ટી પ્લોટ ખાલી થઈ ગયો હતો. બાપ દીકરાની લાશો ઑટોપ્સી માટે લઈ જવાઈ હતી.

એને ખાત્રી હતી કે એને કશું થવાનું નથી. કારણકે પોતે હજુ સગીર છે. એ પકડાય તો પણ એને ભારે સજા થવાની નથી. પણ એકદમ સામાજિક હવા બદલાઈ ગઈ. તાજેતરમાં સોળ વર્ષની ઉપરના દરેક ગુનેગારો માટે પુખ્ત ઉમરની જેમ જ કેસ ચલાવવાની માંગ હતી અને ઋચા પર એડલ્ટ તરીકે જ કેસ ચલાવાયો પણ હતો. ઋચા હારી ગઈ હતી.  એની ગણત્રી ખોટી પડી અને ડબલ મર્ડર માટે જન્મટીપની સજા પણ થઈ હતી. ખૂબ રડી. ધ્રૂજી ઉઠી. સદભાગ્યે પાછળથી સ્પેશીયલ જુવેનાઈલ પ્રોટેકશન અને ડિફેન્સ એટર્ની સરોજ શાહે હાઈકોર્ટમાં તે કેશને જુવેનાઈલ કોર્ટમાં ફેરવી ચાર વર્ષની રિહેબમાં ફેરવી હતી. રૂચાએ તો ગુનો કબુલી જ દીધો હતો; ક્રોસ એક્ઝામિનેશનમાં ઋચાના  જણાવ્યા મુજબ હકીકત આ પ્રમાણે હતી.

લગ્નના બે દિવસ પહેલાં રતનલાલને આંગણે સરકારી કાર આવીને ઉભી રહી. ડ્રાઈવરે કહ્યું કે ચિરંજીવ સાહેબે ઉર્વીને સાડીની પસંદગી કરવા માટે બોલાવી છે. ઉર્વી ડ્રાયવર સાથે સાસરે પહોંચી. બે કલાકમાં પાછી ફરી. લગ્નની સવારે ઉર્વીના મહેંદી વાળા હાથમાં ગન હતી. પોતાને લમણે તાકી અને ટ્રિગર દબાવવા જતી હતી ત્યાં ઋચાએ આવીને, થપ્પડ મારીને ગન પાડી નાંખી.

‘ઋચી મને મરવા દે.’

‘સારુ દીદી મરી જા, પણ કહેતી જા કેમ? પણ દીદી મને કહેતો ખરી શું થયું? અહિં મરવાને બદલે મ્હાયરામાં મરજે ફેમસ થઈ જશે ’

‘મને પરમ દિવસે કાળીયાએ બોલાવી હતી. હું ગઈ ત્યારે કાળીયો તો એની મા સાથે કોઈ કામે ગયો હતો. એ બન્નેની ગેરહાજરીમાં એના બાપે જ મને બોલાવી હતી. એણે મને પેટ ભરીને ચૂંથી નાંખી. હું લાચાર હતી. બસ જવે જીવવાની હામ નથી. પ્લીઝ આ વાત મારે કોઈને કહેવી નથી. મારે મરવું જ છે.’

‘જો મરવું હોય તો માહ્યરામાં બેસીને મરજે. હમણાં નહિ. હું તને મદદ કરીશ.’ ઋચા ગન લઈને બીજા રૂમમાં ચાલી ગઈ. વરઘોડો આવ્યો. માંડવે દુલ્હો પોંખાયો. અને કાળીયો માંહ્યરામાં ગોઠવાયો. પાર્ટિપ્લોટ પર મોટો શામિયાણો નામાંકિત માણસોથી ઉભરાતો હતો. ધારાસભ્યના પુત્રના લગ્ન. અને એ પણ નાની ઉમ્મરનો ભાવી ધારાસભ્ય, ઘણાં પ્રધાનો પણ આશીર્વાદ આપવા આવ્યાં હતાં. વિરોધ પક્ષના આગેવાનો પણ હાજર હતા. પુરોહિતો કન્યા પધરાવો સાવધાન ના મંત્રો ભણતા હતા. મામાઓ પાલખીમાં ઉર્વીને લઈ આવ્યા. નાની બહેન ઋચા પાલખીની સાથે જ હતી. ઉર્વી ખુરશી પર બેઠી. વરકન્યા વચ્ચે અંતર પટ હતું. મંગળાષ્ટકો ગવાતા હતાં. દુલ્હાની બાજુમાંન પિતા અભયસિંહ અને એની પત્ની ઉભા હતા. બસ એ જ સમયે ઋચાએ ખુબ જ સ્વસ્થતાથી  માહ્યરામાં બેઠેલા જીજાજી અને એના પિતા અભયસિંહની છાતીમાં બબ્બે બુલેટ ધરબી દીધી હતી. ખુબ જ સ્વસ્થતાથી પોતે સ્મિત સાથે હાથમાંની રિવોલ્વર, ધારાસભ્ય અભયસિંહની તહેનાતમાં ઉભેલા પોલિસ ઓફિસરને સોંફી દીધી હતી.

સત્તર વર્ષની ઋચાની ગણત્રી ચોક્કસ હતી. દીદીને આત્મહત્યા કરવા દેવી ન હતી. જો દીદી ખૂન કરે તો તેને ફાંસી કે જન્મટીપ ની સજા થઈ શકે. એ જાણતી હતી કે ગુનેગારો પણ હવે સગીર વયના છોકરાઓ પાસે ખૂન જેવા ગુનાઓ કરાવે છે અને તેઓ સહેલાઈથી છૂટી જાય છે. બસ મારે તો મારી બહેન માટે જ કરવાનું છે ને. આ કામ હું જ કરીશ. અને એણે એ જ કર્યું.

નીચલી કોર્ટમાં તો જન્મટીપની સજા થઈ પણ સગીર હિતના કાયદાએ એને બચાવી લીધી. સમાજને અભયસિંહ અને એના પુત્રના ખૂનનો કોઈ જ વસવસો ન હતો. ઘણાંએ રાહત અનુભવી રૂચાના છૂટકારા માટે બાધાઓ માની હતી. ઋચાએ પોતાના પરિવારના અને સમાજના બે નરાધમોને સજાયે મોતની ફરમાવી હતી. આજે લગભગ બાવીસ વર્ષની રૂચાને ગુનો કર્યાનો જરા પણ અફસોષ ન હતો.

કાલ સવારની રાહ જોતી ઋચા નિરાંતે ઊંઘી ગઈ.

એપ્રિલ ૨૦૧૮ “ગુજરાત દર્પણ”

7 responses to ““સજા યે મૌત”

  1. Vimala Gohil April 14, 2018 at 4:07 PM

    “ભલેને પ્રેસ રીપોર્ટ જેવી લાગતી હોય, પણ, પ્રવિણભાઈની વાર્તાઓમાં એક છુપો બોધપાઠ તો હોય, હોય ને હોયજ…!! ” શ્રી મનસુખલાલ ગાંધીની આ વાત સાચી .

    Liked by 1 person

  2. pravinshastri April 13, 2018 at 3:17 PM

    આજે સમાજ ઉદારમતવાળો થતો જાય છે. અનૈતિક સંબંધ પ્રત્યે આંખવિચાંમણા થાય છે, પણ બળાત્કાર તો કેમ ચલાવી લેવાય? વિક્ટિમ જાતે જ જો હિમ્મત નહિ દાખવે તો બીજા એને શીરીતે મદદ કરી શકે આ સાથે મારી ચોથી ચોથી વાર્તા આ સંદર્ભમાં રચાઈ છે. એક સમય આવશે કે જ્યારે પ્રજા જાહેર રસ્તાપર ગુનેગારોને જરૂરી સજા આપી દેશે. કોર્ટની જરૂર જ નહિ રહે.

    Like

  3. મનસુખલાલ ગાંધી April 13, 2018 at 2:08 PM

    ભલેને પ્રેસ રીપોર્ટ જેવી લાગતી હોય, પણ, પ્રવિણભાઈની વાર્તાઓમાં એક છુપો બોધપાઠ તો હોય, હોય ને હોયજ…!! આગલી ઘણી વાર્તાઓમાં પણ છેજ…આવા લાગવગવાળા લબાડ-લપોડશંખ લોકો કાયદો તો તેઓના પોતાનાજ હાથમાં રાખે છે, અને પોલીસ પણ તેઓના ઈશારે નાચે છે, ત્યારે આવી અસંખ્ય રૂચાઓ પોતાના જાનના જોખમે પણ જાગશે અને આવા લબાડ લોકોના હાથમાંથી કાયદો ઝુંટવીને પોતાના હાથમાં લેશે ત્યારેજ કાયદો આવી રૂચાઓ અને ઉર્વશીઓને અને અનેક પીડિત નારીઓને બચાવશે…..ત્યાં સુધી તો નિર્ભયા-જ્યોતિ-ઉન્નાવ-કથુઆ જેવા બનાવો બન્યાજ કરશે -બન્યાજ કરશે- રાહુલ ગાંધી જેવા અર્ધી રાતે કેંડલ માર્ચ કર્યા કરશે…અને પછી જાણે.બસ, પ્રકરણ પુરું……નવું શરૂ થાય ત્યારે નવી વાત…!!!!!!!

    ઝીનત અમાન-રાજ બબ્બર અને પદ્મીની કોલ્હાપુરેની ફીલમ ‘ઈંન્સાફકા તરાઝુ’ યાદ આવી ગઈ..એને પણ પ્રેસ સ્ટોરી કહેશો??

    Like

  4. chaman April 12, 2018 at 10:56 AM

    સરસ! એક બેઠકે વાંચી ગયો! આજે જ વિપુલ કલ્યાણીની સાઈટપર પંજાબમાં છોકરીઓએ નિર્ણય કર્યો છે કે આવી વર્તણૂક કરનારા વાંદરાઓને છોકરીઓએ માર મારવો જોઈએ. તમારી વાર્તાઓ પહેલા જેવી નથી રહી! શું કોઈ ઋચા જેવીએ જીભ બંદુક બતાવી કે શું? એ… આવજો..અને આવો વહેવાર ચાલુ રાખજો ભઈ!

    Liked by 1 person

  5. pravinshastri April 12, 2018 at 10:14 AM

    કાન પકડવા જેવી વાત છે. મને તો આવા જ સૂચનો ગમે. અને આત્મીય હોય તે જ પ્રેમથી ઠપકારે.

    Like

  6. Amrut Hazari. April 12, 2018 at 9:15 AM

    સ્નેહી પ્રવિણભાઇ,
    વાર્તા વાંચી.
    પ્રવિણ શાસ્ત્રી બહુ ઓછા દેખાયા.
    Pragnaju…અે લખ્યુ છે તે મને પણ દેખાયુ…..‘ આ વાર્તા કરતાં પ્રેસ રીપોર્ટ લાગે છે.‘
    ના. પ્રવિણ શાસ્ત્રી આવું નહિ લખે.
    સોરી.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. pragnaju April 11, 2018 at 6:07 PM

    ‘.અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ’! આ વાર્તા કરતા પ્રેસ રીપોર્ટ લાગે છે.આ ઋચા ,અભય ,ચિરંજીવ ,ઉર્વી ,અમર જેવા પાત્રો જોયા છે. કાઉન્સિલર કામ પણ કર્યું છે !
    વાંચતા ગુલઝાર અનાયાસ જ યાદ આવી જાય.
    યે નૂર કૈસા હૈ, રાખ કા સા રંગ પહનેબર્ફ઼ કી લાશ હૈ લાવા કા સા બદન પહને,
    ગુંગી ચાહત હૈ રૂસ્વાઈ કા કફન પહનેહર એક કતરા હૈ મૈલે આંસુ કા,
    યે કૈસા શોર હૈ જો બે-આવાઝ ફૈલા હૈ,રૂપહલી છાંઓં મેં બદનામીયોં કા ડેરા હૈ….
    હર ઇક મોડ પર દો હી નામ મિલે હૈં,મૌત કહ લો – જો મોહબ્બત કહ ન પાઓ!
    અને મગજમા ગુંજે મૃત્યુની નજીક પહોંચેલી ઉર્વી ના પુકાર ….
    યે રાત યે તન્હાઇ યે દિલ કે ધડકને કી આવાઝ યે સન્નાટા
    યે ડુબતે તારોં કી ખામોશ ગઝલખ્વાની યે વક્ત કી પલકોં પર સોતી હુઇ વિરાની,
    જઝ્બાતે મુહબ્બત કી યે આખરી અંગડાઇ બજતી હુઇ હર જાનિબ યે મૌત કી શહનાઇ
    સબ તુમકો બુલાતે હૈં પલ ભર કો તુમ આ જાઓ
    બંદ હોતી મેરી આંખોં મેં મુહબ્બત કા એક ખ્વાબ સજા દો
    .
    .
    .
    . સિરીયલમા કામ લાગે તેવી સ રસ વાત

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: