સૌજન્યઃ ફેસબુક મિત્ર
Babu Suthar
કેટલાક મિત્રો અવારનવાર ‘પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં’ સૂત્રનો ઉલ્લેખ કરી જે કૃતિઓ પોતાને ન સમજાય એવી કૃતિઓનાં સાહિત્યિક મૂલ્યો વિશે પ્રશ્નો ઊભા કરતા હોય છે. હું પણ એમની જેમ ‘પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં’ એ સૂત્ર સાથે સંમત છું. પણ હું ‘પ્રત્યાયન’ની વિભાવના જરા જુદી રીતે સમજું છું.
અહીં મને વિત્ગેન્સ્ટાઈન નામનો ફિલસૂફ યાદ આવે છે. એ કહે છે કે જો હું ચીની ભાષા ન જાણતો હોઉં અને સામેનો માણસ મારી સાથે ચીની ભાષામાં વાત કરે તો મને એમ લાગશે કે એ માણસ મારા કાનમાં કોગળા કરી રહ્યો છે.
સાહિત્ય પણ એક ભાષા છે. કલ્પના કરો કે કહેવાતી દુર્બોધ કૃતિઓ બધી જ ‘ચીની’ ભાષામાં લખાઈ છે અને આપણે એ ભાષા જાણતા નથી તો આપણને એ કૃતિઓ નહીં સમજાય. જેમ રોજબરોજની ભાષા છે એમ સાહિત્યની પણ એક ભાષા હોય છે. એ ભાષા જેટલી રોજબરોજની ભાષાની નજીક એમ વાચકને એ કૃતિઓ વધારે સરળતાથી સમજાશે. પણ, કેટલાક સર્જકો એમની ભાષાને રોજબરોજની ભાષાથી ઘણે દૂર લઈ જતા હોય છે. જ્યારે એવું થાય ત્યારે એ ભાષા આપણા માટે પેલી ‘ચીની’ ભાષા જેવી બની રહેતી હોય છે. જો આપણે એ ભાષા સમજવી હોય તો આપણે નવેસરથી એ ભાષા શીખવી પડતી હોય છે.
તમે રમણલાલ દેસાઈની ભાષા જુઓ. રોજબરોજના જીવનની સમાન્તરે ચાલતી એ ભાષા સમજવામાં તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે. પણ, એની સામે કિશોર જાદવની ભાષા જુઓ. એ ભાષા રોજબરોજની વાસ્તવિકતાની સમાન્તરે નથી ચાલતી. એ ભાષા વધુને વધુ અમૂર્ત તરફ જાય છે. સરેરાશ ભાવક એવી ભાષા નહીં સમજી શકે. કેમ કે એની ભાષા અને કિશોર જાદવની ભાષાના codes જુદા છે. એની સામે છેડે રમણલાલ દેેસાઈની ભાષાના codes અને સરેરાશ વાચકની ભાષાના codes લગભગ એકસરખા છે. સંસ્કૃતમાં સહ્રદયની વાત કરવામાં આવી છે. આ સહ્રદયમાં આવતા સ- નો એક અર્થ ‘સમાન’ પણ કરી શકાય.
મૂળ લેખકના હ્રદય જેવું જ હ્રદય ધરાવનાર વ્યક્તિ તે સહ્રદયી. આપણે બધા જાણીએ છીએ એમ અહીં ‘હ્રદય’ શારિરીક અવયવ તરીકે નથી લેવાનું. દરેક કૃતિમાં લેખકનું એક ‘હ્રદય’ ધબકતું હોય છે. જો આપણી પાસે એ હ્રદયની સાથો તાલ મેળવે એવું હ્રદય ન હોય તો આપણા અને એના હ્રદયની વચ્ચે સંવાદનો અભાવ સર્જાશે. એ અભાવ કૃતિના પ્રત્યાયનને શક્ય નહીં બનાવે. હું અમેરિકન સાહિત્ય ખાસ વાંચી શકતો નથી. મને અંગ્રેજી આવડે છે તો પણ. પણ, એની સામે છેડે યુરોપિયન સાહિત્ય, લેટિન અમેરિકિન સાહિત્ય અને મધ્ય-પૂર્વનું સાહિત્ય હું સરળતાથી વાંચી શકું છું. એ જ રીતે પૂર્વનું (જાપાન, વિયેતનામ વગેરે) સાહિત્ય પણ. કેમ કે મારા code અને અમેરિકન સાહિત્યના codeની વચ્ચે સરળતાથી તાલ મળતો નથી. એથી જ તો મારા અંગત પુસ્તકાલયમાં તમને અમેરિકન નવલકથાઓ બહુ ઓછી જોવા મળશે. મેં બહુ ઓછા અમેરિકન કવિઓ વાંચ્યા છે. એમાં વ્હીટમેન, વૉલેસ સ્ટીવન, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ અને એકન ગીન્સબર્ગનો સમાવેશ થાય છે. હું રોબર્ટ ફ્રોસ્ટને ભાગ્યે જ વાંચતો હતો. પણ ઓક્ટોવિયો પાઝનો ફ્રોસ્ટ પરનો એક લેખ વાંચ્યા પછી હું ફ્રોસ્ટને વાંચતો થયો. અહીં તમે સમજી શકશો કે એક લેટિન અમેરિકન કવિનો એક અમેરિકન કવિ પરનો લેખ વાંચ્યા પછી હું પેલા અમેરિકન કવિને વાંચતો થયો! વૉલેન્સ સ્ટીવન અને વિલિયમ કાર્લોસ વિલિયમ્સ મેં ન વાંચ્યા હોત. પણ હિલિસ મિલર મારો ગમતો વિવેચક. એનું એક પુસ્તક આ કવિઓ પર વાંચ્યું. પછી મને એમનામાં રસ પડવા માંડ્યો. અહીં પણ તમે જોઈ શકશો કે એક વિવેચકને કારણે હું એમની કવિતા પાસે ગયો. પણ એવું પાબ્લો નેરુદા કે પેસોઆ કે બીજા અનેક કવિઓના સંદર્ભમાં નથી બન્યું. એમ હોવાથી જો કોઈ કૃતિ આપણને ન સમજાય તો આપણે એમ સમજવાનું કે આપણી પાસે એ કૃતિ સમજવાના codes નથી.
કોઈ પણ કૃતિ સમજવા માટે આપણી પાસે એક ચોક્કસ એવી ચાવી જોઈએ. સદનસીબે કે કમનસીબે સાહિત્યમાં કોઈ પણ કૃતિનાં બારણાં ખોલી શકે એવી માસ્ટર ચાવી નથી હોતી. મારી ઘણી કૃતિઓ ઘણા મિત્રોને ગમી છે. પણ, એમણે એ કૃતિઓનાં બારણાં ખોલવા માટે એમણે જે ચાવીઓ વાપરી છે એ ખોટી છે. કેટલાક સાહિત્યકારો એક જ કૃતિને અનેક ચાવીઓ વડે ખોલી શકાય એવી વ્યવસ્થા કરતા હોય છે. મને નામ યાદ નથી. કદાચ રશિયન કવયત્રી Anna Akhmatovaએ એક કવિતામાં લખેલું કે હું એક સાથે બબ્બે વિશ્વોમાં જીવ્યા કરું છું. મને પંક્તિ પણ બરાબર યાદ નથી. સામ્યવાદી રશિયાના વિવેચકોને આ પંક્તિમાં કશુંજ વાંધાજનક ન’તું લાગ્યું. પછી કોઈક મારા જેવાએ શોધી કાઢ્યું કે અહીં કવયત્રી એમ કહેવા માગે છે કે આ દેશમાં હંમેશાં મારી આંખમાં એક આંસુ હોય છે. મને એ આંસુમાંથી એક સાથે બબ્બે વિશ્વો દેખાતાં હોય છે. ત્યાર પછી એ લોકોએ એ કવિતા પર પ્રતિબંધ મૂકી દીધેલો.
હું જે કહેવા માગું છું તે એટલું જ કે જો કોઈ કૃતિનું પ્રત્યાયન ન થતું હોય તો એનો અર્થ એ કરવાનો કે એ કૃતિના codes તમે આત્મસાત કર્યા નથી. એ સંજોગોમાં તમારી પાસે બે જ વિકલ્પ રહે છે. એ કૃતિને ભૂલી જાઓ અથવા તો એના codes મેળવવાનો પ્રયાસ કરો. પણ જો તમે એમ કહો કે મને એ કૃતિ સમજાતી નથી એટલે એ સાહિત્ય નથી તો એ દલીલ વ્યાજબી નથી. કેમ કે એ કૃતિ બીજા કોઈકને તો સમજાય જ છે. કેટલાક એવી દલીલ પણ કરતા હોય છે કે તમને સમજાય છે તો મને સમજાવો. આ દલીલ પણ સાચી છે. પણ એ માણસ સમજાવે તો એને સમજવા માટેની ભૂમિકા તમારી પાસે છે ખરી? એવો પ્રશ્ન પણ તમારે તમારી જાતને પૂછવો જોઈએ. આપણે સંસ્કૃત વિદ્વાનોએ આપેલી અર્થવિલંબનની વિભાવના લઈએ. એક બાજુ એવી કવિતાઓ છે જેમાં અર્થવિલંબન લગભગ શૂન્ય સ્તરે છે જ્યારે બીજી બાજુ એવી કવિતાઓ પણ છે જેમાં અર્થવિલંબન અંતિમે જાય છે. હવે અર્થવિલંબન અંતિમે લઈ જતી કૃતિઓમાં આપણે અર્થ શોધવા બેસીએ તો આપણને કશુંજ હાથમાં નહીં આવે. એ સંજોગોમાં આપણે કવિએ અર્થવિલંબનને શક્ય બનાવવા માટે કઈ પ્રયુક્તિઓ યોજી છે એના પર ધ્યાન આપીએ તો? કવિ કદાચ ગૂગલ સર્ચની સામે ગૂગલ દર્શનમાં શોધ્યો ન લાધે એવો કોઈક અર્થ ઊભો કરવા માગતા હોય તો? મુક્ત અર્થતંત્ર મૂળે ગ્રાહકકેન્દ્રી છે. એ જમાનામાં સાહિત્ય પર ભાવકકેન્દ્રી બનવાનો પ્રયાસ કરે એ સ્વાભાવિક છે. પણ કેટલાક સાહિત્યકારો અર્થવલંબન દ્વારા એની સામે લડવાનો પ્રયાસ કરે પણ ખરા. જો કે, અર્થવિલંબન કાવ્યશાસ્ત્રનો એક અંશ બને છે કે કવિની નબળાઈનો એ નક્કી કરવાનું કામ અઘરું બની જાય. એ સંજોગોમાં શાણા ભાવકોએ જે ન સમજાય એ સાહિત્ય નથી એમ કહેવાને બદલે મને નથી સમજાતું. કદાચ હું એ માટે તૈયાર નથી. એમ કહેવું જોઈએ. સાહિત્યના લાભાર્થે થોડોક અહમ જતો કરીશું તો એનો આપણને પણ લાભ થશે (editing માટે સમય નથી. ભૂલો હોય તો ધ્યાન દોરજો. સુધારી લઈશ. પહેલેથી જ ક્ષમા).
ચિંતનાત્મક અભ્યાસુ લેખ
નવું જાણવા માણવા મળ્યુ
પ્રત્યાયનની વ્યાખ્યા બૃહદ છે અને અમુક લોકો માને છે કે માનવની માફક જ પ્રાણીઓ પણ પ્રત્યાયન કરતા હોય છે અને અમુક લોકો ખુબ જ સંકુચિત છે જેઓ માત્ર સાંકેતિક ક્રિયાપ્રતિક્રિયા ના માનવીય માપદંડની મર્યાદામાં રહીને જ મુલવે છે.
સાહિત્ય કૃતિને વાંચવા,સમજવા અને કૃતિ વિષે કંઈ કહેવા અંગેનું સરસ માર્ગદર્શન.
LikeLiked by 1 person
પ્રભુલાલભાઈ. લાંબા સમયે આપનો પ્રતિભાવ મળ્યો. શ્રી બાબુભાઈ ભાષાવૈજ્ઞાનિક છે. અંગત રીતે એ મારો વિષય નથી. સમજ પણ નથી. મને ફેસબુક પર મુકાયલી એમની આ વાત ગમી ” અહીં મને વિત્ગેન્સ્ટાઈન નામનો ફિલસૂફ યાદ આવે છે. એ કહે છે કે જો હું ચીની ભાષા ન જાણતો હોઉં અને સામેનો માણસ મારી સાથે ચીની ભાષામાં વાત કરે તો મને એમ લાગશે કે એ માણસ મારા કાનમાં કોગળા કરી રહ્યો છે.” ભલે ભાષા મારી ગુજરાતી જ હોય પણ મને ન સમજાતી વાત તો મારા પર ટોર્ચર થતું હોય એમ જ લાગે. વારી વાતો વાંચતા રહેજો. કુશળ હશો.
LikeLike
ગાંધીજીએ તેમની આત્મકથામાં જો અલંકારી ભાષાનો ઉપયોગ કર્યો હોત તો તેમની આત્મકથાની નકલો બહુ નાં ખપત અને લોકો સુધી તેમનાં જીવનની વાત પહોંચી ના શકી હોત.
અંગ્રેજીનો દાખલો લઇએ તો તે ભાષામાં હજારો પુસ્તકો લખાય છે અને લાખોમાં વેચાય પણ છે, આ ભાષા જેઓ જાણતા હોય તે વાંચી અને પોતાની રીતે સમજે,અર્થઘટન પણ કરે.
શ્રી બાબુ ભાઈ સુથાર આ નિબંધ લખીને કૈક એવું પુરવાર કરવાની કોશિશ કરી છે કે સમજાય તો વાંચવું નહિતર આગળ નાં વધવું,આ સંદેશ ઠીક નથી.
દરેક વ્યક્તિ જે કઈ વાંચન કરે છે તેમાં તેને કૈક નવું જાણવા નું મળે અને જીવનમાં ઉપયોગી થાય એવો હેતુ સહજ હોય છે.
કોઈ પણ લેખક જે કાઈ લખશે તે જો સરળ ભાષામાં નહિ હોય તો તેમની
લેખનપટ્ટીની દુકાન નહિ ચાલે. સાહિત્ય લખી આમ જનતામાં લોકપ્રિય
થવાનો ચાવી આજ છે સરળ,સાદું અને ચોટદાર ભાષામાં સાહિત્ય લખો.
લિ.પ્રભુલાલ ભારદિઆ
LikeLiked by 1 person
Art for the sake of art !
LikeLiked by 1 person
સંસ્કૃત અનેક ભાષાની જનની છે, પણ બહ લોકો નથી અપનાવી શકતા.. અઘરી કરતાં પણ, લાંબા લાંબા શબ્દો જોડાક્ષરો વગેરે સામાન્ય લોકોના મગજમાં ન બેસે. એટલેજ જે ભાષા લોકો સમજી શકે, જે લખ્યું હોય તે બધા સમજી શકે એજ ભાષાનું સાહિત્ય લોક્ભોગ્ય બને.
કોઈ પણ સાહિત્ય કૃતિને વાંચવા,સમજવા અને કૃતિ વિષે કંઈ કહેવા અંગેનું સરસ માર્ગદર્શન.
LikeLiked by 1 person
નમસ્તે, બાબુભાઇ, તમારા લેખને સમજવા પણ કોડની જરુર પડે, મારા જેવા અલ્પજ્ઞાનીને ખાસ. દા. ત. ‘પ્રત્યાયન,
અર્થવલંબન,વગેરે. આપણું પ્રાચીન સાહિત્ય મુખ્યત્વે ધાર્મિક ને દેવદેવીઓના સૌંદર્યના વર્ણનો ને પ્રશસ્તિથી ભરપુર છે. તો રાજાઓના સમયમાં સાહિત્ય રાજ્યાશ્રયે નભતું હોવાથી રાજવંશના પરાક્રમો ને રાજકુમારો કે કુમારીઓના સૌંદર્ય ને વિશેષતાના વર્ણનો. સામાન્ય પ્રજાને સાહિત્ય સાથે કોઇ સંબંધ નહિ. એની સામે સામાન્ય જનગણમાંથી આવતુ સાહિત્ય કાકાસાહેબ કાલેલકર, કિશોર મશરુવાળા, કિશનસિંહ ચાવડા, ર.વ. દેસાઇ, પન્નાલાલ પટેલ, ઇશ્ર્વર પેટલીકર, પીતાંબર પટેલ ને રામનારાયણ પાઠક પોતીકા લાગે છે. ગાંધીજીએ કહ્યું છે કે સાહિત્ય એવું હોવું જોઇએ કે એક કોસીયો પણ સમજી શકે. બાકી ઉચ્ચતર સાહિત્ય સમાજના કોડધારક વ્યકિત માટે હોય. શાકુંતલની શકુંતલા કે કુમારસંભવની ગૌરી કે મેધદુતની યક્ષપત્નીના
સૌંદર્યના રસપાન કરતા એને ગામને કુવે પાણી ભરતી ગ્રામિણ કન્યાનું સૌંદર્ય સમજવું સહેલું પડે.
LikeLike
.કોઈ પણ સાહિત્ય કૃતિને વાંચવા,સમજવા અને કૃતિ વિષે કંઈ કહેવા અંગેનું સરસ માર્ગદર્શન.
આભાર શ્રી બાબુ સાહેબનો અને આપનો.
LikeLiked by 1 person