નામ લેતાં મોં પાણી પાણી
સ્વનામધન્ય સ્વર્ગસ્થ રસનિધિ ચંદ્રકાંત બક્ષી કહેતા કે એમને બંગાલની ફક્ત બે જ વસ્તુઓ પ્રિય છે, એક છે રોશોગુલ્લા અને બીજી––યુ નોવ–– વિન્ક વિન્ક તમે સમજી જાઓ.
વરસોથી રસગુલ્લાનું ઉદગમ બંગાલ છે કે ઓડિષા તે બાબત બંને રાજ્યો ખાંડાં ખખડાવતાં હતાં, બે વર્ષ પહેલાં બંગાલને સરકારી GI tag લાધેલું ત્યારે જીતનો ઉન્માદ બંગાલીઓને ઘેરી વળેલો. સડકો ઉપર ને ગલીઓમાં બંગ નાગરિકો જીતનો દુંદુભિ વગડતાં હતા ને ત્યારે બંગાલની સરકારે ૧૪મી નવેમ્બરને રસગુલ્લા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. રસિકોએ સ્વીકારી લીધું કે રસગુલ્લાનો આવિષ્કાર કરેલો સન ૧૮૬૦માં કલકત્તાના એક કંદોઈ નબીન ચન્દ્ર દાસે.
પણ તેની સામે સખત વાંધો લીધેલો ઓડિષા રાજ્યે કેમકે વિધવિધ લોકોનું કહેવું છે કે રસગુલ્લાનો જન્મ તો થયેલો ૧૨મી સદીમાં ઓડિષાના જગન્નાથ પુરીના જગન્નાથના મંદિરમાં! ભગવાન જગન્નાથે લક્ષ્મીજીને રિઝવવા રસગુલ્લાનો પ્રસાદ ધરેલો રથયાત્રાના દિને, જેને “નીલાદ્રિ વિજય” પણ કહેવાય છે અને જેનો ઉલ્લેખ ૧૫મી સદીના ઓડિયા કવિ બલરામ દાસના દંડી રામાયણ કાવ્યોમાં પણ છે.
તેથી બંગાલને રસગુલ્લા આપી દેવાની સામે ઓડિષા સરકારે સણસણતી પિટિશન ફાઇલ કરી અદાલત મોજાર, અને આખરે ગયા સોમવાર, તા. ૨૯મી જુલાઈના રોજ ઓડિષા રાજ્યને પણ રસગુલ્લાનું જિયોગ્રોફિકલ ઇન્ડિકેશન GI tag લાધ્યું છે. અને તે રીતે ગ્રેટ રસગુલ્લા વોર (GRW)નો અંજામ બંને રાજ્યોની જીતમાં આવ્યો છે.
હા, હા, પણ GI tag બોલે તો ક્યા? અમુક ઉત્પાદન અમુક જગ્યાની પેદાશ છે અને તે કારણે ત્યાંનો માલ “સાચો” ને બીજે બનેલો માલ “ડુલ્પિકેટ” એવું સરકારી પ્રમાણપત્ર. તો એવા નિર્ણયો કોણ કરે છે? ચેનૈમાં આવેલ જીઆઈ રજિસ્ટ્રીની સંસ્થા. તે સંસ્થાએ સોમવારે જાહેર કરેલ છે કે હવેથી ઓડિષામાં બનેલા રસગુલ્લા પણ સાચા રસગુલ્લા કહેવાશે.
અભીક બર્મન નામે એક રસજ્ઞ પત્રકાર કહે છે કે રસગુલ્લા વિનાનું બંગાળ મીઠા વગરની દાળ જેવું મોળું કહેવાય. (એવું શબ્દશ: અભીક બર્મને કહ્યું નથી, પણ એવા મતલબનું કહ્યું છે. બંગાળમાં ઉછરેલા ગગનવાલા બંગાળની વાત આવે તો અગડમબગડમ બફાટ કરતા ફરે છે.)
ઓડિષાવાળા કહે છે કે ઓડિષાના રસગુલ્લા મોંમાં મૂકતાં જાણે ઓગળી જાય તેવા કૂણા છે દાંતને અડાડ્યા વિના ગળે ઊતરી જાય છે. બીજાના રસગુલ્લા ચવ્વડ હોય છે ને મહેનત કરીને ખાવા પડે છે.
રસગુલ્લાં બને છે ફાડેલા દૂધમાંથી, જેને “છાના” કહેવાય છે. અભીક બર્મન બાબુ પંડિત કે. ટી. આચાર્ય નામે રસકોવિદને ટાંકતાં કહે છે પોર્ચુગીઝોએ સન ૧૫૮૦માં શહેનશાહ અકબરના ફરમાનથી હુગલીના કિનારે વસાહત કરી ત્યારે તેઓ ભારતમાંથી રોમન જનાનખાનાઓ માટે મસલીન કાપડ તથા યુરોપનાં તથા ઇસ્ટ એશિયાનાં ભાણાં માટે હિંગ, જાયફળ અને કાળાં મરી જેવા મસાલા લઈ જતા અને લાલ મરચું તેમ જ છાના વગેરે નવીન જણસો ભારતમાં આયાત કરતા. અચરજ થાય કે છેક ૧૭મી સદી સુધી ભારતમાં દુર્યોધન કે ચંદ્રગુપ્ત કે અશોક કે ઇવન અકબર જેવા તોતિંગ શાસકોના ભોજનમાં બટાકા કે કાંદા કે લસણ કે લાલ કે લીલાં મરચાંનો વપરાશ નહોતો! બટાકા, મરચાં, કાંદા વગેરેની સાથે પોર્ચુગીઝો ભારતમાં “છાના” તથા મેંદો પણ લઈ આવ્યા! બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના દર–આમદ ફેહરિશ્ત યાને પોર્ચુગલથી આયાત માલના ઇમ્પોર્ટ લિસ્ટમાં “છાના”નો ઉલ્લેખ છે.
પણ સામે ઓડિયાઓ કહે છે કે શટ્ટઅપ! તમે લોકો ધરાર યુરોપીયનોને બધી ક્રેડિટ આપતા ફરો છો પણ ચૈતન્ય મહાપ્રભુએ ઓડિષામાં રસગુલ્લાની શોધ કરી છે. સન ૧૨૦૦થી અમારે ત્યાં “ખીર મોહન”ના નામે બનતી આ વાનગી લોકપ્રિય છે.
આટલું લખીને ગગનવાલા એક લામ્બો નિશ્વાસ તાણે છે. સન ૧૯૪૬–૪૭માં ઉનાળાના વેકેશનમાં પિતાજી કલકત્તાથી નબીન ચંદ્ર દાસના વારસ કે. સી. દાસની વિખ્યાત દુકાનેથી રસગુલ્લાંના રેણ કરેલા ડબ્બા લઈ આવતા અને તવેથા તથા દસ્તાથી તેનું પતરાનું ઢાંકણ તોડી અમે એ દિવ્ય વાનગીનો આનંદ લેતાં, નામે રસગુલ્લાં! તેનું સ્મરણ થતાં જ મોંમાં જલશિકરો ફૂટે છે, પરંતુ હવે જૈફ વયે ગગનલાલ પશુકલ્યાણના વિચારે “વીગન” થયા છે ને દૂધ–ઘી કે પશુજન્ય કશીય ચીજ ખાતા નથી કે વાપરતા નથી. હવે રસગુલ્લાં કરતાં રસગુલ્લાંનું ચિંતન વધુ મિષ્ટ છે. જય બાબા જગન્નાથ!
MADHU.THAKER@GMAIL.COM AUG 2, 2019
રસગુલ્લા સ્મરણ માત્રે ન સંસાર સાગર દુઃખાત મુક્તિ
LikeLiked by 1 person