ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૫૩
ખતીજાની ખ્યાતનામ ભીંસમાં કુરેશીના હોશકોશ ઉડી ગયા! અર્ધબેભાન કુરેશી,
ખતીજા ના ડ્રાઈવર ની મદદ થી ટ્રકમાં છુપાયેલી અણુકેન્દ્રની કારમાં ગોઠવાયો.
ખતીજાએ ડ્રાઈવરને ટ્રક ગોલપીઠા વિસ્તારમાં મૂકી આવવાનું ફરમાન કર્યું અને
સારા જેવા બદલાની ખાતરી આપી. પરંતુ કુરેશીના હાલ જોઈને ડ્રાઇવરના હાંજા
ગગડી ગયા હતા. એ તો નિષ્કામ ભાવે કામ કરવા તૈયાર હતો! ઘડીભર તો ડ્રાઇવરના
મઝહબે માઝા મૂકી, એને લાગ્યું કે કામાગ્નિની હોળી હવે એને જીવનભર નહીં રંજાડે.
ડ્રાઈવરે ટ્રક ગોલપીઠા ને રસ્તે વળી. ટ્રકમાં છુપાવેલી કારની ચાલચલગતે ત્રિશૂળ ના
કમ્પ્યુટરને સક્રિય કર્યું. કારનું ટ્પકુ કમ્પ્યુટર સ્ક્રીન પર ટપકતું ટપકતું ગોલપીઠા
વિસ્તારમાં સ્થિર થયું. જી.પી.એસ. ની મદદથી કારનું ચોક્કસ ઠેકાણું મળ્યું એટલે
હરિહરન ના નેતૃત્વ હેઠળ ત્રિશૂળની મંડળી કબ્જો લેવા નીકળી. ટ્રક શોધતા
વાર ન લાગી. હરિહરન નો એક સાથીદાર ટ્રક ડ્રાઈવ કરવાનો હતો, બીજો
ટ્રકમાં છુપાયેલી કાર તરફ વળ્યો. કારમાં એક અર્ધબેભાન માણસને જોઈને
ચોંક્યો અને એણે હરિહરનને જાણ કરી. હરિહરને કાર ડો. લાખાણીની
લેબોરેટરી તરફ વાળી અને ત્રિશૂળને જાણ કરી. ખાડો ખોદે તે પડે, એ તો
સાચું પણ ખાડો ખોદનારે બે ખાડા ખોદવા પડે; એક પાડવા માટે અને બીજો
પડવા માટે! શમા અને પરવાનાનું પારસ્પરિક આકર્ષણ પણ અજોડ છે ને!
અસંખ્ય આહુતીઓમાં કુરેશીનું નામ પણ ઉમેરાયું. પણ એને તો ફક્ત ઝાળ
જ લાગી હતી, ભડકે નહોતો બળ્યો! એ અભાગીયો ન સળગ્યો ન ખાખ થયો.
ટ્રક ડો. લાખાણી ને ત્યાં પહોંચી. કારમાં છુપાયેલ માણસને
તત્કાળ સારવારની જરૂર નહોતી કારણ કે એની વાઈટલ સાઇન્સ સ્ટેબલ હતી.
ડો. લાખાણીએ કુરેશીને ઓળખ્યો. એમણે કુરેશીનું શું કરવું તે જાણવા પરીક્ષિતને
ફોન કર્યો. પરીક્ષિતે કહ્યું ” ફરી એના મગજનો ખૂણેખૂણો ફરી વળો.” અને એમ જ થયું.
તેમને અગત્યની માહિતી પ્રાપ્ત થઇ. ખતીજા અને કુરેશી અણુકેન્દ્રની કાર દુરસ્ત
કરાવીને રંગુન જવા માટે વાપરવાના હતા.બીજૂં એ પણ જાણવા મળ્યું કે કુરેશીને
પાકો સશક હતો કે કોઈ શક્તિશાળી સંસ્થા અથવા જૂથની એમના પર દેખરેખ હતી.
અને કુરેશી જિન તાઓ મિન્હ ની સિફારસથી ચાઈનીઝ જાસૂસી ખાતાને કાને આ
વાત નાખશે. કુરેશીને આશા હતી કે ચાઈનીઝ જાસૂસી ખાતું યોગ્ય માર્ગદર્શન આપશે.
કુરેશીની અફઘાનિસ્તાન ટ્રાન્સફર થવાની હતી, એ વાતની પણ જાણ થઇ.
પરીક્ષિતના અનુરોધ મુજબ કુરેશીને ડો. લાખાણીએ તબીબી સારવાર
માટે સ્થાનિક હોસ્પિટલ માં ભરતી કરાવ્યો. પરીક્ષિતે પ્રાઈમ મિનિસ્ટર નરેશ નિત્યાનંદ
નો અનલિસ્ટેડ સ્ક્રેમ્બલર ફોન નો નંબર જોડ્યો. તેઓ શ્રી કામકાજથી પરવારીને ઘરે
જવાની તૈયારીમાં હતા. પરીક્ષિતે એનરિચ્ડ યુરેનિયમના મામલા બાબત જરૂરી વાર્તાલાપ
માટે વહેલામાં વહેલી તકે મુલાકાત માટે સમય માંગ્યો. નિત્યાનંદે કહ્યું ” હું ઘરે જાઉં છું.
અત્યારે રાતના આઠ વાગ્યા છે. કમર્શિયલ ફ્લાઈટની ગોઠવણમાં સમય બગાડવો
અયોગ્ય છે. તમે કલાકની અંદર કોલાબા નૌકા સૈન્ય મથક પહોંચો. મુંબઈથી ગગનદુત
એવિએશનનું ચાર્ટર્ડ વિમાન તમને દિલ્હી લાવશે. ત્યાંથી મારા માણસો તમને મારા
નિવાસસ્થાને લાવશે.” અને ફોનની લાઈન કપાઈ ગઈ.
પરીક્ષિતે જરૂરી દસ્તાવેજો એકઠા કર્યા. વામન અને વિનાયકને
લઈને પરીક્ષિત કોલાબા નૌકા મથક પહોંચ્યો. પરીક્ષિતની આંખો અને હાથના
પંજા સ્કેન થયા અને વામન અને વિનાયકના દસ્તાવેજોની ચકાસણી બાદ એમની
કાર એક મોટર સાઇકલ સવાર ની દોરવણી હેઠળ રનવે નજીક અટકી. પાંખો
ફફડાવવા માટે તલપાપડ થઇ રહેલું વિમાન પેસેન્જર્સ ગોઠવાયા એટલે ઊપડ્યું.
જોતજોતામાં ચાલીસ હજાર ફૂટ ની ઊંચાઈ એ પહોંચ્યું અને કલાકના છસો
માઈલની ઝડપે દોઢ કલાકમાં જ દિલ્હી પહોંચ્યું.ફ્લાઇટ દરમ્યાન પરીક્ષિતે
મનોમનજ પ્રાઈમ મિનિસ્ટર સમક્ષ રજૂ કરવાની બાબતો ની યાદી બનાવીને
એક કાગળ પર નોંધી લીધી.પરીક્ષિત પ્રાઈમ મિનિસ્ટરના આવાસમાં ઉપસ્થિત થયો.
પ્રાઈમ મિનિસ્ટરના અનુચરે ખાવાપીવાની વ્યવસ્થા કરી
રાખી હતી. ખાવાનું પત્યું અને તરત ડાઇનિંગ ટેબલ પર જ વાતચીતનો પ્રારંભ
થયો.પરીક્ષિતે વાતનો દોર સંભાળ્યો અને જણાવ્યું કે અણુકેન્દ્રની કારનો પત્તો
મળ્યો હતો. એનરિચ્ડ યુરેનિયમ કેવી રીતે સનત હિરાવતના સહકારથી ઉપાચત
કરવામાં આવી હતી, તેનો ઉલ્લેખ કર્યો. બાંગ્લાદેશ હાઈકમિશનની મુંબઈ ખાતેની
ઓફિસના માણસોએ પેંતરો રચ્યો હતો અને એમને ભ્રમ હતો કે એમણે મ્યાનમારના
કોન્સલ જનરલની મદદ થી એનરિચ્ડ યુરેનિયમ રંગુન રવાના કર્યું હતું.ભાસ્કર
ચૌહાણના ઇઝરાયલી મિત્રના કહેવા પ્રમાણે ત્યાં પહોંચ્યું નહોતું. જો કે કુરેશી
પાસેથી ડો. લાખાણીએ કઢાવેલી બાતમી અનુસાર મ્યાનમારમાં ઘણી શકમંદ
પ્રવૃતિઓ ચાલી રહી હતી.એના પુરાવામાં પરીક્ષિતે શુભાંગી અને રેહાનાના
અપહરણનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે એ બન્ને સલામત હતા. ત્રિશૂળના
માણસો પણ રંગુન પહોંચી ગયા હતા અને એમણે બજાવવાની કામગીરીનું
સંકલન ચાલી રહ્યું હતું. નિત્યાનંદે સઘળી હકીકત એકાગ્રતાપપૂર્વક સાંભળી.
શુભાંગી અને રેહાના સલામત હતા એ જાણીને નિરાંત અનુભવી. ડિફેન્સ
મિનિસ્ટર યશપાલ મૈની અને હોમ મિનિસ્ટર કુશળ અગ્રસેનને પણ બધો
અહેવાલ મળે એનો બંદોબસ્ત કરવાની ખાત્રી આપી.પરીક્ષિતની કામગીરીની
પ્રસંશા પણ નિત્યાનંદે કરી. મુલાકાત બરખાસ્ત થઇ અને પરીક્ષિત વહેલી
સવારે મુંબઈ પાછો ફર્યો.
પરીક્ષિતે ગરુડ સેટેલાઇટની ભ્રમણકક્ષાના રિપોર્ટ
જોયા હતા. આમ તો મ્યાનમારના જંગલો, ત્યાંની વસાહતો અને એવું જ નજરે
આવ્યું હતું. ગાઢ વનરાજીનું નિરીક્ષણ કરવા કરતા હવામાન- થર્મલ અને રેડીઓ
એક્ટિવિટી- કિરણોત્સર્ગ પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવાનું નક્કી કર્યું. ગરુડની તીક્ષ્ણ
આંખો એ કામ કરવા માટે શક્તિમાન હતી.એની નજરમાં જે આવે તે ડેટા
વારાંગના ડાઉનલોડ કરીને તૈયાર કરેલા ફોટોગ્રાફ ત્રિશૂળને મોકલાવે તેવી કાયમી
ગોઠવણ થયેલી હતી. પરીક્ષિતે ઇન્ડિયન સ્પેસ એજન્સીને સ્ક્રેમ્બલર ફોનથી ગરુડની
કામગીરીમાં તે પ્રમાણે ફેરફાર કરવાનો અનુરોધ કર્યો.
Like this:
Like Loading...
Related