Category Archives: હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી

લૉ ગાર્ડન

લૉ ગાર્ડન
Law Garden. was published in Kumar’s 1000th story issue.

“મારા લૉ ગાર્ડનના મિત્રો તો મારા માટે થેરાપી સમાન છે. મારાં સુખદુ:ખની વાતો સાંભળવાનો તમને અમેરિકામાં સમય મળશે ?’’
આ છે વયસ્કોની મુંઝવણ. વયસ્કોને વાત સાંભળનારની જરૂર હોય છે. એમણે પોતાની યોગ્યતા અને પ્રારબ્ધ મુજબ પોતાની પચાસ-પંચાવન ઉમ્મરમાં બધુ જ ભૌતિક સુખ પ્રાપ્ત કરી લીધું હોય છે. હવે તેઓને પરદેશમાં વસેલા સંતાનોની છ્ત્રછાયા કે બંધિયાર ગુલામીને બદલે મિત્રો સાથેની સ્વતંત્રતા વધુ ગમે છે. એવી જ એક વાત હરનિશ જાની લાવ્યા છે. તો વાંચો આ સરસ વાર્તા……

લૉ ગાર્ડન

harnish jani

–હરનિશ જાની

દર્શને, પોતાના પિતા ગોપાલભાઈને કહ્યું, ‘‘બાપુજી, સાહેબને તમારો પાસપોર્ટ બતાવો.’’ બાપુજી કોટના ખિસ્સામાં ફાંફાં મારવા લાગ્યા. બાપુજીને પાસપોર્ટ હાથ લાગતો નહોતો. અને દર્શન ભારપૂર્વક બોલ્યો, ‘‘મેં તમને થોડા વખત પહેલાં તો આપ્યો હતો !” દર્શનનો ગુસ્સો સમજી શકાય તેમ હતો. લાઈનમાં તેમની પાછળના લોકો હવે ઊંચા– નીચા થતા હતા.

દર્શન અને તેના બાપુજી અમેરિકા જતા હતા. તેઓ અમદાવાદના એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઈનમાં ઊભા હતા. હવે વાત એમ હતી કે બેટા દર્શનને બાપુજી ગોપાલભાઈને અમેરિકા લઈ જવા હતા અને બાપુજીને જવું નહોતું. આમ જોઈએ તો આ મુશ્કેલી બે પેઢીઓ વચ્ચે આજકાલ બહુ દેખાય છે. માબાપ અને છોકરાંઓ વચ્ચેના પ્રેમમાં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા ટપકી પડે છે !

ગોપાલભાઈ જાતે અને ધન્ધે સોની હતા. મૂળ નાનકડા રાજપીપળા ગામમાં સોનીની દુકાન હતી. ગોપાલભાઈએ વરસોથી ચાલતો આવતો બાપદાદાનો ધન્ધો ચાલુ રાખ્યો હતો. તેઓ રજવાડાના પણ સોની હતા. એટલે વડવાઓની મિલકત પણ હતી. ગોપાલભાઈની આવક પણ સારી રહેતી. તેમણે પોતાના બે દીકરાઓને પણ વડોદરાની યુનિવર્સિટીમાં ભણાવ્યા હતા. મોટો દર્શન આર્કિટૅક્ટ થયો હતો અને નાનો આશિષ સિવિલ એંજિનિયર થયો હતો. ગોપાલભાઈ અને એમનાં પત્ની ભાનુબહેનની હમ્મેશાં એવી ઇચ્છા
રહેતી કે સોનીના ધન્ધામાં હવે કાંઈ રહ્યું નથી. અને છોકરાઓએ તો આ મજુરી કરવાની જ નથી. આમ જુઓ તો ગોપાલભાઈ મજૂરી નહોતા કરતા. ખરેખર તો એમના નકશીકામને કોઈ ન પહોંચી શકે. એ બહુ મોટા કારીગર હતા. તેમણે બન્ને દીકરાઓને પરણાવ્યા હતા, વહુઓ પણ ભણેલી ગણેલી, નાતની મળી હતી. દર્શનને અમદાવાદમાં આર્કિટૅક્ટની નોકરી મળી. ગુજરાત કૉલેજ પાસેના એક બિલ્ડિંગમાં એક ફ્લેટ ભાડે રાખી લીધો. એણે બા બાપુજીને અમદાવાદ બોલાવી લીધા.

બાપુજીને અમદાવાદ પણ આવવું નહોતું. એમનું અને ભાનુબાનું જીવન રાજપીપળામાં સુખેથી જતું હતું. ગોપાલભાઈ ખૂબ જ ધાર્મિક હતા. રોજ સવારે નહાઈને સૌ પહેલાં રાજ રાજેશ્વરના મંદિરમાં શંકરની પૂજા કરતા. પછી શરીર ઉપર બાંડિયું, ધોતિયું અને માથે બ્રાઉન કલરની ટોપી પહેરતા. જૂના જમાનાના ગોપાલભાઈ હમ્મેશાં એમની બ્રાઉન ટોપી જ પહેરતા. આ ગણવેશ તેમણે આખી જિન્દગી સાચવી રાખ્યો હતો. તેમણે દીકરા દર્શન સાથે ખૂબ દલીલો કરી. દર્શને અને આશિષે બાપને સવારથી સાંજ, નાની પાતળી છેડેથી વાળેલી તાંબાની ફૂંકણીથી, ગલોફા ફુલાવી ફુલાવીને ફૂંકતા જોયા હતા. ખોળામાં સમાય એટલી નાની ભઠ્ઠીમાં કોલસા ઊંચાનીચા કરતા જોયા હતા. બન્ને છોકરાઓને ડર હતો કે ભવિષ્યમાં બાપુને ફેફસાંનું કેંસર થાય તો ? બન્ને દીકરાઓના અતિશય આગ્રહ અને ભાનુબાના મનામણાં પછી, છેવટે ગોપાલભાઈ માની ગયા. અને અમદાવાદ આવી ગયા તેમને વતન વહાલું હતું. કોઈ દિવસ ઘર હોય અને પાછું આવવું હોય તો અવાય એમ સમજીને રાજપીપળાનું ઘર તો ન જ વેચવા દીધું.

અમદાવાદમાં ગોપાલભાઈ ઠરીઠામ થવા લાગ્યા. તે રહેતા હતા તે હાઈ રાઈઝ બિલ્ડિંગની આજુબાજુ બીજાં એવાં જ બિલ્ડિંગ હતાં. તેની વચ્ચે એક મઝાનું નાનકડું શંકરનું મંદિર હતું. શંકરજી તો નામના જ, બાકી કોઈ માતાજીના ભક્તોએ માતાજીને પણ ગોઠવ્યા હતાં. અને ઓટલા પર સાંઈબાબા અને હનુમાનજીને પણ બેસાડ્યા હતા. લોકોને જગ્યાની મારામારી હતી. તેની અસર ભગવાનો પર પણ પડતી હતી. તેમ છતાં ગોપાલદાદાને તેનો જરાય વાંધો ન હતો. પૂજાપાઠ પતે એટલે દાદા ગુજરાત કૉલેજ તરફથી સીધા લૉ ગાર્ડનમાં ચાલવા જતા. આ ગાર્ડન તેમને ફાવી ગયો હતો. ગાર્ડનનું એક ચક્કર માર્યા પછી તે એક ભાગમાં આવેલા સામસામા ગોઠવાયેલા છ-સાત બાંકડાઓ તરફ જતા અને ત્યાં બેસતા. આ જગા પર દસબાર રિટાયર્ડ કાકાઓ ગોઠવાતા. માનોને કે સિનિયર પુરુષોની ક્લબ જ તો ! આ મંડળમાં રિટાયર્ડ ઓફિસરો, પ્રૉફેસરો, બિઝનેસમૅનો વગેરે મળતા. સૌની પાસે પોતાના ફિલ્ડનું પુષ્કળ જ્ઞાન હતું. ગોપાલદાદા પાસે જીવનનો અનુભવ હતો. ઉપરાંત આજ સુધીમાં વાંચેલા ધર્મગ્રંથોનું જ્ઞાન હતું. લગભગ રોજ નવા નવા વિષય પર ચર્ચા થતી. આ ગ્રુપમાં એક બે રિટાયર્ડ એન.આર.આઈ પણ હતા. લૉ ગાર્ડન દરરોજ બારથી બે, છોડવાઓને અને ઘાસને પાણી પીવડાવવા બંધ રહેતો. ત્યારે બાર વાગ્યા સુધી આ સિનિયરો ગાર્ડનનો લાભ ઉઠાવતા હતા. ગોપાલભાઈને પોતાના જ બિલ્ડિંગમાં રહેતા, રતિભાઈ સાથે ફાવી ગયું હતું. રતિભાઈ રિટાયર્ડ ઇન્કમ ટૅક્સ ઓફિસર હતા. લૉ ગાર્ડનમાંથી, ગોપાલદાદા ઘરે જતા, જમતા, બપોરે આરામ કરતા અને પાંચ વાગે એક ઝવેરીની દુકાન પર ત્રણચાર કલાક કામ કરતા. આ કામ, એટલે ગોપાલભાઈએ બેઠાબેઠા સોનાના દાગીનાની ચકાસણી કરવાની અને માલિકને કયો નવો માલ ખરીદવા લાયક છે એની સલાહ આપવાની. એમને એ કામ ગમતું. એમાં મજુરી નહોતી. કોઈક વાર રાતે રતિભાઇ પણ બેસવા આવતા અને વાતો કરતા. ઘણીવાર ભાનુબહેન પણ જોડાતાં હતાં. રતિભાઈ, ગોપાલદાદાથી બે પાંચ વરસ નાના હતા. વિધુર હતા. બાળકો નહોતાં. હવે તો સારા મિત્રો બની ગયા હતા. આમ દિવસ આનંદથી વીતી જતો.

જીવનના દાગીના માંડ ગોઠવાયા હતા. તેમાં મોટો દર્શન અમેરિકા ગયો અને તેણે નાના દીકરા આશિષને પણ બોલાવી દીધો. બન્ને ભાઈઓ ન્યુ જર્સીમાં નજીક નજીક ગોઠવાયા હતા. મોટો દર્શન ન્યુ યૉર્કની એક આર્કિટૅક્ટ ફર્મમાં કામ કરતો. નાનો આશિષ ન્યુ જર્સી સ્ટેટમાં સિવિલ એંજિનિયરિંગ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો. વૃદ્ધ માબાપ અમદાવાદમાં રહેતાં. એમનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલતો. તેઓ સુખી હતાં.

હવે, દીકરાઓને ગિલ્ટી ફિલિંગ(સ્વદોષ–ભાવના)થતી. તેમને થતું કે ઘરડાં માબાપને અમદાવાદમાં એકલાં છોડ્યાં અને પોતે અહીં આવી ગયા. મોટરોમાં ફરીએ, મોટાં ઘરોમાં રહીએ; પરંતુ જે માબાપે આપણને મોટા કર્યા તેને ઘડપણમાં છોડીએ ? માબાપને પણ મનમાં તો થોડો અજંપો રહે; પણ હમ્મેશાં કહે કે, ‘‘તમે ત્યાં નિરાંતે રહો. આ દેશમાં તમારે માટે મોટી–સારી નોકરીઓ નહોતી અને તમને પૈસાની તંગી રહેતી. તમે ત્યાં સુખથી રહો. અમે અહીં આનંદમાં છીએ. સાજે–સમે, મિત્રો-પાડોશીઓ મદદ કરે છે. સૌ અમારી સ્નેહથી સંભાળ રાખે છે.’’ તેમ છતાં દીકરાઓ દર વરસે અમદાવાદ એક મહિનો રહેવા આવતા. હવે તો તેમને બાળકો થયાં હતાં. મોટાને બે દીકરા, બે અને ચાર વરસના હતા અને નાનાને એક દીકરી હતી બે વરસની. ગોપાલભાઈને પોતાનાં પૌત્રો-પૌત્રી જોડે સમય વીતાવવાનો ગમતો; પરંતુ એ લોકો અમેરિકા પાછા ફરતાં ત્યારે બહુ દુખી થતાં.

ભાનુબહેન છોકરાંઓને કહેતાં કે, ‘‘ભાઈ, તમે હવે બહુ કમાયા. ઘરે આવી જાઓ.’’ ભાનુબહેનની વાત ખરી હતી. માનું હૃદય હતું. તેમને લાગતું કે જે છોકરાઓ માટે આખી જિન્દગી વૈતરું કર્યું, તે ઘડપણમાં કામ નથી લાગતા. બીજા લોકો ભલા છે. પણ આપણું પેટ એટલે આપણું જ પેટ ! પૈસા આપે છે; પણ નાનાં ભૂલકાંને અને તેમને પ્રેમ તો નથી અપાતો – નથી લેવાતો. ગોપાલદાદાની તબિયત તો સરસ હતી; પણ એમને પણ દિલમાં છોકરાંઓનો ઝુરાપો તો રહેતો. ઉપરાંત ભાનુબહેનને હાય બ્લડ પ્રેસરની પણ માંદગી રહેતી. એમને કયારે કંઈ થઈ જાય તે કહેવાય નહીં એમ એમને લાગતું. અને થયું પણ તેમ જ, ભાનુબહેનને હાર્ટ એટૅક આવ્યો. અને દીકરાઓ અમેરિકાથી દોડી આવ્યા; પરંતુ ભાનુ બહેનની લોહીની ધમની ફાટી જતાં તેમને બચાવી ન શકાયાં અને તેમનું અવસાન થયું. બાનાં ક્રિયાકર્મ પતી ગયાં પછી બન્ને દીકરાઓએ નક્કી કર્યું કે ગોપાલદાદાને અમેરિકા લઈ જવા. એમને માટે મોટા દીકરા દર્શને કાગળિયાં કરવાની તૈયારી આરંભી દીધી.

હવે આ બાજુ ગોપાલદાદાને અમેરિકા નહોતું જવું. તેમણે દીકરાઓને કહ્યું કે “મારું ઘર આ છે. આ મારો દેશ છે. આ ભુમિ મારી મા છે. તમારી જેમ મારી પાસે મારી માને ત્યજવાને માટે કોઈ કારણ પણ નથી. અહીં મારો દેવ છે. અહીં મારા મિત્રો છે.” દીકરાઓ કહેતા કે, “અહીં તમને કંઈ થઈ જાય તો ? ત્યાં તો અમે છીએ. સરસ મૅડિકલ સગવડ છે. વધુમાં તમારાં જ પૌત્ર-પૌત્રીને દાદા મળશે.’’ અને દાદા કહેતા કે, “જ્યાં આખું જીવન ગાળ્યું છે ત્યાં મરવું પણ ગમશે. તમારે ત્યાં સવારે ઊઠું ત્યારથી મારે શું કરવાનું ? તમારા ઘરમાં ટી.વી. જોવાનો. મારે છોકરાં સાચવવાનાં, ચોપડીઓ વાંચવાની. ઇન્ડિયન ચેનલ પર ફિલમ જોવાની. ત્યાં રતિલાલ જેવા મિત્રો ક્યાંથી લાવવા ? મારા લૉ ગાર્ડનના મિત્રો તો મારા માટે થેરાપી સમાન છે. મારાં સુખદુ:ખની વાતો સાંભળવાનો તમને અમેરિકામાં સમય મળશે ?’’

તેમ છતાં મોટો દર્શન છ મહિનામાં ગોપાલભાઈ માટે વિઝા-પાસપોર્ટ-ટિકિટ બધું તૈયાર કરીને તેમને અમેરિકા લઈ જવા હાજર થઈ ગયો. આ બાજુ ગોપાલદાદાને અમેરિકાના નામમાત્રથી ગુસ્સો આવતો. ઘર છોડવાના વિચારમાત્રથી રોવું આવતું. તેમને થતું કે, પૈસા ખાતર વતન છોડીને અમદાવાદ આવ્યા. હવે અમદાવાદમાં જેમતેમ ઠેકાણે પડ્યાં ત્યારે ઘર છોડવાનું ? દેશ છોડવાનો ?’ પછી રતિભાઈ તેમને સમજાવતા. તેમને કહેતા કે, ‘‘ગોપાલભાઈ, પાંચ છ મહિના રહી આવો ! ના ગમે તો પાછા ! ઘર ચાલુ રાખવાનું. વેચવાનું નહી.’’ અને એ જ વાત દર્શન કરવા લાગ્યો. છેવટે ગોપાલભાઈ માની ગયા અને જવા તૈયાર થઈ ગયા. તેઓ આટલા જલદી માની ગયા. જાણી રતિભાઈને પોતાને થોડી નવાઈ લાગી. પરંતુ આથી સંતોષ પણ થયો. ઘરની બધી કાળજી લેવાનું સ્વીકાર્યું. અને એમને વિદાય આપવા એરપોર્ટ પર પણ ગયા.

અમદાવાદના એરપોર્ટ ઉપર દર્શન અને ગોપાલભાઈને ભેટીને રતિભાઈએ ગેટ ઉપર વિદાય આપી. બાપ–બેટાએ સિક્યુરિટી ચૅક કરાવ્યું અને ઈમિગ્રેશનની લાઈનમાં ઊભા રહ્યા. ત્યાં આ પાસપોર્ટની ગરબડ થઈ. ગોપાલભાઈ પાસપોર્ટ શોધવા લાગ્યા.

દર્શને ગોપાલભાઈના કોટના ખિસ્સાં જાતે તપાસ્યાં; ખમીસનું ખિસ્સું પણ તપાસ્યું. હવે તે બેબાકળો થવા માંડ્યો. તે બન્ને લાઈનમાંથી નીકળી ગયા. ગોપાલભાઈ તેની શોધમાં સહકાર આપતા. હાથની બેગ આખી ફેંદી વળ્યા. દર્શનને કંઈ ન મળ્યું. દર્શન હાંફળોફાંફળો થતો સિક્યુરિટી ઓફિસરને પૂછવા લાગ્યો. તે એક જ વાત બોલતો કે, ‘‘હમણાં તો પાસપોર્ટ હાથમાં હતો !’’ હવે તે ગોપાલભાઈ પર ચિડાવા લાગ્યો. ‘‘બાપુજી, છેવટે તમે પાસપોર્ટ ખોઈને બેઠાને !’’ બીજી બાજુ અંદરથી બોર્ડિંગનો કૉલ આવ્યો. તેણે ના છુટકે, દૂર કાચની દિવાલની બહાર ઊભેલા રતિકાકાને હાથનો ઇશારો કરી સમજાવ્યું કે બાપુ બહાર આવે છે. તેણે ગોપાલદાદાને તેમની બેગ આપી દીધી. અને પોતે દોડ્યો ઇમિગ્રેશનની લાઈનમાં.

ગોપાલદાદાને એક બે ઓફિસરોએ ચૅક કર્યા અને પછી બહાર જવા દીધા. ગોપાલદાદા બહાર આવીને સીધા રતિભાઇને ભેટ્યા. રતિભાઈને કંઈ સમજાયું નહીં ! ‘‘તમે પાછા કેમ આવ્યા ?’’ ગોપાલભાઈ કહે, ‘‘મારો પાસપોર્ટ ખોવાઈ ગયો એટલે ન જવાયું.’’ રતિભાઈ કહે, ‘‘એ વાતમાં માલ નથી. હું ન માનું તમારી વાત. એમ બને જ કેમ ?’’ દાદા કહે, ‘‘હું તમને બધું પછી કહું છું.’’

હવે સવાર પડવા આવી હતી. ગોપાલભાઈ દૂર ઊગતા સૂરજને જોઈ રહ્યા. આજે આ સવાર બહુ રૂપાળી લાગતી હતી. તેમણે સૂર્યદેવને નમન કર્યા. રતિભાઈ તરફ જોઈને માથા પરની બ્રાઉન ટોપી ઊંચી કરી. તેમાંથી પોતાનો પાસપોર્ટ ખેંચી કાઢ્યો. અને રતિભાઈ સામે ફરકાવવા માંડ્યો. રતિભાઈને હવે ખબર પડી કે ગોપાલભાઈ અમેરિકા જવા પાછળથી કેમ આટલા ઝટ માની ગયા હતા. તે કાંઈ બોલે તે પહેલાં ગોપાલભાઇ બોલ્યા, ‘‘ચાલો ચાલો, રિક્સા પકડી ઘેર પહોંચી જઈએ. નહીં તો લૉ ગાર્ડનમાં મોડા પડીશું.’’

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
Harnish Jani
4 – Pleasant Drive, Yardville, NJ – 08620 – USA.
Phone-609-585-0861
Cell- 1-609-577-7102
Email : harnish5@yahoo.com

April- 2011

ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની – હરનિશ જાની

હમણાંજ થોડા દિવસો પર વિશ્વભરમાં માતૃભાષા દિન ઉજવાયો. ગુજરાતી કવિ, લેખકો અને ભાષા શાસ્ત્રીઓ એ ઉમળકાથી ગુજરાતીના ગુણગાન અને પ્રસસ્તિના લેખો પણ લખ્યા. હું પોતે ગુજરાતી ભાષાની જોડણીમાં હંમેશાં નાપાસ થતો આવ્યો છું. બોલવામાં પણ શુધ્ધ નાગરી ગુજરાતી બોલતો નથી. સુરતી છું. ‘બાર ગાઉએ બોલી બદલાય.’ સૌરાસ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને વચ્ચેના જીલ્લાઓની ગુજરાતી બોલીમાં પણ કેટલો ફરક? દરેકની અલગ મીઠાશ. આતો માત્ર ગુજરાત પુરતી અને ગુજરાતી બોલીની જ વાત થઈ; પણ અંગ્રેજી ભાષાતો વિશ્વભરમાં ફેલાયલી છે. એને માત્ર બે વિભાગમાં જ અલગ કરીએ તો જેઓની માતૃભાષા જ અંગ્રેજી છે તે લોકો અને અંગ્રેજી બીજી ભાષા તરીકે બોલતા લોકો. આપણે ગુજરાતીઓ કેવું અંગ્રેજી બોલીએ છીએ તેની સરસ મજાની વાત મિત્ર હરનિશ જાની એમની ગુજરાતમિત્રની બુધવારની કોલમ ફિરભી દિલ હૈ હિન્દુસતાનીમાં કરી છે. તો માણો ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ હાસ્ય લેખકની સરસ મજાની વાત……..

harnish janiહરનિશ જાની

ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની

ભાષાને વળગે ભૂર– અમેરિકા .

ઈંગ્લેંડમાં ઈંગ્લીશ બોલાય છે.ભારતમાં ઈંગ્લીશ બોલાય છે.અને અમેરિકામાં ઈંગ્લીશ બોલાય છે. ઈગ્લીશ તે જ પણ ત્રણે દેશોના ઈંગ્લીશના ઉચ્ચારોમાં કાંઈ જ સામ્યતા નથી. હવે તેમાં પાછું અમેરિકનો કરતાં અમેરિકાના ભારતીયોનું ઈંગ્લીશ જુદું. અમે લંડન જઈએ છીએ અને કોઈ રેસ્ટોરાંમાં જઈએ. ત્યારે લંડનમાં જન્મેલી મારી ભાણી દુભાષિયા (ઈન્ટરપ્રીટર) નો રોલ ભજવે છે.તે બ્રિટીશ ઈંગ્લીશ બોલે છે. લંડનમાં વરસોથી રહેતા ભાણીના માતાજી ,મીનાબેન,અંકલેશ્વરનું ઈંગ્લીશ બોલે છે. અને હું ન્યૂ જર્સીના ગુજરાતી જેવું ઈંગ્લીશ બોલું છું. ન્યૂ જર્સીના પંજાબીઓ વળી “ઈસ્કુલ”વાળું ઈંગ્લીશ બોલે છે.

હું સપ્ટેમ્બર ૧૯૬૯માં અમેરિકામાં વિલ્યમ્સબર્ગ, વર્જિનીયામાં આવ્યો. તે દિવસે શનિવાર હતો. સોમવારે વિલ્યમ એન્ડ મેરી કોલેજ ચાલુ કરી. ૩૦૦૦ સ્ટુડન્ટસમાં હું અને ગાંધી બે જ ઈન્ડિયન હતા. હજુ તો જેટલેગમાંથી મુક્ત થયો નહોતો. અમેરિકા આવ્યાનો આનંદ હતો. સાથે એકે પૈસો નહોતો. કોલેજની એક સમેસ્ટરની ફી ઈન્ડિયામાંથી ભરી દીધી હતી. મંગળવારે સાંજની કોઈક નોકરી શોધવા ચાલતો નિકળી પડ્યો. મિત્રની સલાહથી રેસ્ટોરાંમાં બસબોય (ટેબલ સેટર)ની સાંજની નોકરી એક  “એન્ગસબાર્ન” રેસ્ટોરાંમાં બુધવારે ચાલુ કરી ” તે એક ગ્રીક લેડી મિસ મનેટીની હતી. અમેરિકામાં ગ્રીક લોકો રેસ્ટોરાંના બિઝનેસમાં વધુ હોય છે. સારી સારી રેસ્ટોરાં ગ્રીક લોકોની હોય છે. મને મીસ મનેટીએ કહ્યું કે ” ડુ યુ હેવ હેર કટ?” મને એ બાઈ શું બોલી તે જ ન સમજાયું. મને કહે કે “બ્રિંગ ઈટ ટુ મોરો.” મને એમ કે હેર કટ તો કરાવીને પ્લેનમાં બેઠો છું. બીજે દિવસે એ જ સવાલ. “ડુ યુ હેવ હેર કટ”? પછી મેં મારા માથે હાથ ફેરવીને કહ્યું કે “મિસ. લુક એટ માય હેડ.અઈ હેવ એ હેર કટ.” તે બોલી, “ટુ વર્ક ઈન રેસ્ટોરાં યુ નીડ ટુ હેવ હેલ્થ કાર્ડ.” તે જે રીતે એ અમેરિકન બાઈ “હેલ્થ કાર્ડ” બોલતી હતી કે મને “હેર કટ‘ સંભળાતું. આ તો ભાષાના ભાંગરાની શરુઆત જ હતી. પરંતુ રેસ્ટોરાંના જોબથી મને કસ્ટમર અને બીજા વેઈટરો સાથે ઈંગ્લીશ બોલવાની તક મળી. હું માનું છું કે મેં રેસ્ટોરાંમાં જોબ કરી તેનો મને બહુ ફાયદો થયો. ડિનર માટે આવતા અમેરિકન ફેમિલીની અંદરોદંર કેવી હોય છે. તે પણ ધ્યાનથી જોતો.અને એમને કાંઈ જોઈતું હોય તો હું વેઈટરને જઈને કહેતો. એ રીતે થોડું વહેલો તૈયાર થઈ ગયો. કોલેજમાં પહેલા એક મહિના સુધી ટેક્ષબુકમાં જોઈ જોઈને થોડું ઘણું સમજવા પ્રયત્ન કરતો. પરંતુ પ્રોફેસર આર્મસ્ટ્રોંગ અને પ્રોફેસર ક્વિનની બીજી બધી કોમેંટમાં સમજ નહોતી પડતી. કેમેસ્ટ્રીના લેબોરેટરીના એક્સપરીમેંટ મારાથી બધાં સ્ટુડન્ટસ સાથે ન હોતા થતા. મારી મુશ્કેલી મેં લેબ પ્રોફેસર ડો.આર્મસ્ટ્રોંગને કહી. હવે અમેરિકન એજ્યુકેશનની વાત કરું,

પ્રો.આર્મસ્ટ્રોન્ગ સાંજે પાંચ વાગે બધાં સ્ટુડન્ટસ્ લેબ પતાવે.પછી મારા એકલા સાથે જાણે પ્રાઈવેટ લેશન આપતા હોય એમ ધીમે ધીમે બોલીને આખો પ્રેક્ટિકલ સાંજના આઠ નવ સુધી રહીને કરાવડાવે. મને સંકોચ થાય પણ પ્રો.આર્મસ્ટ્રોંગે તો પુરા દિલથી પોતાનો સમય આપતા. એટલું જ નહીં સાથે એમને ભૂખ લાગતી એટલે સેંડવીચ લાવતા.સાથે સાથે મારી પણ લાવતા. મને અમેરિકન એજ્યુકેશન પધ્ધતિ સમજવામાં મળી. સાથે સાથે અમેરિકન સામાન્ય નાગરીકનો પણ પરિચય થયો. પ્રોફેસરે મારા ઈંગ્લીશ માટે જરાય કોમેન્ટ નથી કરી .નથી તો કહ્યું કે તું ઈન્ડિયાનો સાયન્સ ગ્રેજ્યુએટ અને તને આ સામાન્ય પ્રેક્ટીકલ નથી આવડતો? અમેરિકનો પાસેથી ઘણું શીખવા જેવું છે. તેમાં એક એ કે બીજા કોઈની કોઈપણ જાતની પર્સનલ ટીકા ન કરવાની ટેવ.આપણે ત્યાં તો શેરીમાં કોને ઘેર શું રંધાયું કે કોની છોકરી કોને છાની માની ક્યાં મળે છે. જ્યારે અહીં કોઈની વાતમાં કોઈને ઈન્ટરેસ્ટ નથી હોતો. તેથી,અમેરિકામાં,તમે ડાન્સ ફ્લોર પર જુઓ તો તમે જોઈ શકો કે જાડો માણસ, પાતળી, બાઈ કે પછી લંગડાતી વ્યક્તિ બધાં જ કોઈની પણ શેહ વગર પોતાની મસ્તીમાં જ ડાન્સ કરશે. તમને ઈંગ્લીશ આવડે કે ન આવડે પણ તમે તમારી ભાંગલી તુટલી ભાષામાં પણ તમારો સંદેશો સામેની વ્યક્તિને પહોંચાડી શકતા હો તો ઘણું છે. અને એ સમજી શકાય એવું છે કે તમારે ક્યાં બોલવાનું છે એ વાત અગત્યની છે. ઓફિસમાં નોકરી કરતા હો તો ભાષા સારી રીતે બોલવી પડે અને લખવી પણ પડે. જ્યારે તમારે હાથથી કામ કરવાનું હોય ત્યાં સારી ભાષા વિના તમારું ગાડું ગબડી જાય એટલે આપણે ત્યાંથી પાછલી ઉંમરમાં આવતા લોકો સારા ઈંગ્લીશના અભાવે ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં કામે લાગી જાય છે. અથવા બીજી કોઈ જાતના સ્ટોરમાં ફલોર પરની જોબ શોધી નાખે.

હું ૧૯૫૮માં એસ.એસ.સી.માં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો, શુધ્ધ ગુજરાતી મિડિયમમાં. અમારી સ્કુલમાં તો ઈંગ્લીશ પણ ગુજરાતીમાં ભણાવાતું હતું. હવે કોલેજ જોઈન કરી,એમ.એસ.યુનિ.કે જેમાં ઈંગ્લીશ મિડીયમ હતું. મનમાં એમ હતું કે કેમેસ્ટ્રી એ કેમેસ્ટ્રી ગુજરાતી શું કે ઈંગ્લીશ શું? પરંતુ ત્યાં જ ભૂલ હતી. અમારા પ્રોફેસરો તો ઈંગ્લીશ બોલતા હતા. પ્રો.સુરેશ જોષી તો ગુજરાતી પણ ઈંગ્લીશમાં ભણાવતા હતા.પ્રો. રાવલ તો મારી બા જેટલી ઝડપથી સંસ્કૃતના શ્લોકો બોલતી તેટલી ઝડપથી ટેનીસનના કાવ્યો બોલતા. પ્રો.જે.ટી. દવે ,કેમેસ્ટ્રીના પ્રોફેસર તો સવાલ જવાબ ઈંગ્લીશમાં કરતા. ત્યાં જ મારી દાંડી ઊડી જતી. એક વખતે તેમના પિરીયડમાં હું બે મિનીટ મોડો પડ્યો. છાનો માનો ક્લાસમાં ઘુસી જતો હતો.અને દવે સાહેબે પૂછ્યું,” વ્હેર વેર યુ?” અને જાનીની દાંડી ઊડી ગઈ. મને થયું કે તેમણે મને ક્લાસ છોડી જવાનું કહ્યું અને હું ક્લાસ છોડીને જતો રહ્યો. આ ઈંગ્લીશના ચક્ક્રમાં જેમ તેમ પહેલું વરસ પતાવ્યું. આ કહેવાનું કારણ એટલું જ કે અમેરિકામાં જ નહીં ઈન્ડિયામાં પણ ઈંગ્લીશ ન સમજાય તો આવા લોચા થાય. પછી ગુજરાત યુનિ.મા સુરત આવી ગયો. એન્જીનીયરીંગમાં જવું હતું પણ સાયન્સ સ્હેલું લાગ્યું.પરીણામે સાયન્સ કોલેજમાં બી.એસ.સી. થયો. મારે એક વાત તો કહેવી પડશે કે ઈંગ્લીશ મિડીયમવાળી સ્કુલમાં ગુજરાતી હાઈસ્કુલમાંથી આવેલી વ્યક્તિને ભણવું અશક્ય તો નથી જ પરંતુ પહેલેથી ઈંગ્લીશ વાંચવા લખવાની પ્રેક્ટીસ હોય તો કોલેજમાં સ્હેલું પડે.

અમેરિકામાં કેટલાક શબ્દો આપણાં કરતાં જુદા બોલાય છે. આપણે લોકો રૂપિયાની નોટ કહીએ છીએ. એને આ લોકો બિલ કહે છે. અને આપણે જેને હોટેલનું બિલ કહીએ છીએ એને આ લોકો હોટલનો ચેક કહે છે. આપણે જેને ટોયલેટ કહીએ છીએ તેને આ લોકો રેસ્ટ રુમ કહે છે.

એક મઝાની વાત. હું અને મારો મિત્ર ઉપેન વૈદ્ય ઓહાયોથી ન્યૂ યોર્ક આવતા હતા. ઉપેન મારા કરતાં એક વરસ વહેલો આવ્યો હતો.હું નવો હતો. અમને બન્નેને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. હાઈવે પર રેસ્ટ એરીયામાં ગયા..અમે કાઉન્ટર પર ગયા. અમેરિકન વેઈટ્રેસ ઓર્ડર લેવા આવી. ઉપેને ઓર્ડર આપ્યો.”વન સ્કુપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ.” પછી એ છોકરીએ મારા ઓર્ડરનું પૂછ્યું . એટલે મેં કહ્યું કે ,” આઈ નીડ વેનિલા આઈસ્ક્રીમ.” પેલી છોકરીએ મારા તરફ જોઈને પૂછ્યું,” એક્સક્યુઝ મી? વિચ ફલેવર?” મેં કહ્યુ કે “વેનીઈલા” પેલીને તો ય સમજ ન પડી. મેં કહ્યું કે “વનલા.” તો ય પેલી છોકરીને સમજ ન પડી કે હું શું બોલું છું” એટલે મેં કહ્યું કે વૅન્નીલા.” તે ટગર ટગર જોયા કરતી હતી.મારો વેનિલાનો ઉચ્ચાર તેને સમજાતો નહોતો. છેવટે મેં તેને મેન્યુ બતાવી વેનિલા પર આંગળી મુકીને બતાવ્યુ. તો બ્હેન કહે કે, “ઓહ, વેનિલા.” અને મારા માટે આઈસ્ક્રીમ લેવા ગઈ. મને એ ન સમજાયું કે હું શું ખોટું બોલતો હતો? ત્યારે ઉપેન મારા તરફ જોયા વિના ધીમેથી બોલ્યો, “તને એમ લાગે છે કે મને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભાવે છે?”
આ વેનિલાનું નાટક ટાળવા હવે હું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાતો થઈ ગયો છું.

સૌજન્ય – “ગુજરાતમિત્ર”
સાભાર – હરનિશ જાની.
પ્રગટ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૫.
Email harnishjani5@gmail.com

મંદીર તારું વિશ્વ રુપાળુ. હરનિશ જાની.

મંદીર તારું વિશ્વ રુપાળુ. હરનિશ જાની.

મિત્રો,
માત્ર મોટા ભાગના મારા મિત્રો જ નહીં હું પોતે પણ મને સમજી શકતો નથી કે મારી આસ્થા શું છે. મારા સ્વજનો માને છે કે હું બગડેલો નાસ્તિક બ્રાહ્મણ છું. મારા રેશનાલિસ્ટ મિત્રો મક્કમ પણે માને છે કે હું એક ધાર્મિક ઘેટું છું.

ન્યુ જર્સી રોબિન્સવિલ્લમાં સ્વામિનારાયણનું વિશ્વવિખ્યાત મંદિર બંધાઈ રહ્યું છે તેની મેં મુલાકાત લીધી અને તેની હળવી વાત ફેસબુક પર આ પ્રમાણે રજુ કરી હવે વાંચો મારી પોસ્ટ અને તેના થોડા પતિભાવો…….

આ ઉપરાંત મારા હાસ્યલેખક મિત્ર હરનિશ જાનીનો ઓપિનિયનમાં પ્રગટ થયેલો લેખ એમણે મને આપ સૌના વાંચન માટે મોકલ્યો છે જે ઓપિનિયન અને જાનીના આભાર સહ રજુ કરું છું.
પ્રવીણ શાસ્ત્રી

POSTED ON FACE BOOK ON SUNDAY December 21st, 2014.

Pravinkant Shastri.
પ્લીઝ સ્ટોપ. જો આપ રેશનાલિસ્ટ મિત્રો હો તો આગળ વાંચશો જ નહીં. જો આપ સંડાસ પ્રેમી હો અને મંદિરની વાત આવતાં જ ભૂરાયા થઈ જતાં હો તો પણ વાંચશો નહીં.
જય સ્વામિનારાયણ.

આજે સાંજે આ ઘેટાને (એટલે કે મને) મંદિરના મહાપ્રસાદનો મફતનો ચારો ચરવાનું મન થયું. મારા ઘરથી રોબિન્સવિલનો ૩૪ મિનિટનો રસ્તો છે. આરતી પછી સામાન્ય રીતે પ્રસાદ હોય છે. હજુ તો ભવ્ય મંદિરનું ઘણું કામ બાકી છે. પણ ખરેખર યુરોપના મેં જોયલા ચર્ચ-કે બીજા ભવ્ય ધાર્મિક સ્થળો કરતાં પણ ચડે એવું સ્થાપત્ય બનશે એ સ્વીકારવું રહ્યું. સમરમાં પાછો મુલાકાત લઈશ. પાંચ મિનિટમાં સ્થાપીત પ્રતીમાઓ દર્શન કર્યા, વંદન કર્યા. એક કલાક ભટકી ભટકીને નાસ્તાની વાનગીઓનું શોપીંગ કર્યું. સભાખંડમા કોઈ સંતનું પ્રવચન ચાલતું હતું. એમાં કાંઈ આ ઘેટાને સમજ ના પડે. અને સમજ ના પડે એટલે રસ પણ ન પડે. આરતી પ્રસાદ સૂધી રોકાવાની હિમ્મત ના થઈ. કોઈ બીજી વાર સમરમાં…બસ ‘પિઝા હટ’ નો પ્રસાદ લઈ ઘર ભેગો થયો. માનો કે ન માનો પણ રેશનાલિસ્ટોએ પણ મંદિર જોવા જેવું તો ખરું જ. હું જૈન નથી તો પણ દેલવાડાના દેરાસરોનો ભક્ત તો ખરો જ. મને કયો અંબાણી કે બચ્ચન કે ખાન એની ભવ્યતા ઝૂપડીઓમાં જમવા બોલાવવાનો છે? બસ આવા ભવ્ય મંદિરની મુલાકાતો આનંદ તો આપે જ છે. ભલે મારા મિત્રો મને ઘેટું કહે. મારી વાર્તા “રિવર્સલ” ના પાત્રો મંગળામાસીને અન્યાય ન થાય એટલા માટે પણ મારે તો જોવું જાણવું પડે. મારા ભાવિક મિત્રોને જય સ્વામિનારાયણ.

Pravinbhai- I just read your piece about Robinsville Swaminarayan Mandir in NJ. Check out my column and compare the similarity-We both think on same line.You also notice anout stolls and sculptures.
Thanks,
Harnish.
I m also sharing with friends

harnish janiહરનિશ જાની.

inner-robbinsville

મંદીર તારું વિશ્વ રુપાળુ.

આ વરસના ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ન્યૂ જર્સીના રોબિન્સવિલમા સ્વામી નારાયણ સંસ્થાના(બોચાસણ) મંદીરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સ્વયં પ્રમુખ સ્વામીજી પધાર્યા હતા. અને તે પ્રસંગે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી ભક્તોના ટોળાં ઉમટ્યાં. અમેરિકા તો અમેરિકા આખા જગતમાંથી ભક્તોના ધાડાં રોબિન્સવિલ (ન્યૂ જર્સી) પર ઉતરી આવ્યાં. આ મંદીર અમારા ઘરથી પાંચ કીલોમિટર દૂર છે. અમેરિકામાં તો દસ માણસનું પણ મોટું ટોળું ગણાય. તો આ તો વીસ હજાર જેવા હરિભક્તો પધાર્યા હતા. નવાઈની વાત એ હતી કે કોઈને જમ્યા સિવાય નહોતા જવા દેવાયા. જમવાનો મહિમા બીજા કોઈપણ મંદીર કરતાં આ પંથના મંદીરોમાં સૌથી વધુ છે. ભૂખે ભજન ન હોય ગોપાલા– એ સિધ્ધાંતને લીધે મારા જેવા અભક્તો પણ ભગવાન માટે નહીં પણ રસરંજનના થાળના દર્શન માટે ઘુસી જાય છે. મારા જેવા અભક્તને જ્યારે જ્યારે ઈન્ડિયન ફુડની ઈચ્છા થાય છે ત્યારે ત્યારે આ મંદીરની વિઝીટ મારી આવે છે. આ જ એક મંદીર છે કે જ્યાં અમ બન્ને પતિ પત્નીની જરુરિયાત પુરી થાય છે. એ ભજનગૃહમાં જાય છે. અને હું ભોજનગૃહમાં.પણ તેથી વધુ આનંદ એ વાતનો છે કે મારે એની સાથે નથી બેસવું પડતું. કહેવાય છે કે આ પંથના સાધુ સંતો સ્ત્રીઓથી અને તેમના દર્શનથી દૂર રહે છે. વિધીની વક્રતા એ છે કે સ્ત્રીઓ જ એ મંદીર તરફ વધુ દોડે છે.

કદાચ ભગવાનને સ્ત્રી દર્શનનો વાંધો ન હોય. પંદર કરોડ ડોલરના ખર્ચે બંધાયેલા આ મંદીરમાં મારા જેવા મફતિયાનો આનંદ લૂંટાઈ ગયો છે. હવે અહીં રવિવારના મફતના જમવાના પૈસા પડશે. આ મંદીરના પરિસરમાં જાત જાતના બીજા સ્ટોલ્સ છે. અને અંદર મોલ જેવું લાગે. આપણને થાય કે આ બધો માલ વેચવા જ મંદીર બનાવ્યું છે. ભગવાનનું તો બ્હાનું છે.

ત્રીસ ચાલિસ વરસ પહેલાં મંદીર માટેનો આવો વીસ હજાર હરિભક્તોનો ધસારો કોઈની કલ્પનામાં પણ ન આવ્યો હોત!

સ્વામી નારાયણનું પહેલું મંદીર અમેરિકામાં ક્વિન્સમાં બાઉની સ્ટ્રીટ પર એક સામાન્ય ઘરમાં હતું ત્યાં મારે ભારતથી આવેલા મિત્રને લઈ જવાના હતા. હું અને મારા પત્ની હંસા એ ભાઈને લઈ ગયા હતા. સાલ હશે ૧૯૭૪–૭૫.શ્રી પ્રમુખ સ્વામીની પધરામણી થઈ હતી. બસો હરિભક્તો અને અમે હાજર હતા. એ દિવસે એ સૌને એક કલાકમાં જમાડ્યા હતા. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને ત્યારથી સ્વામી નારાયણ સંસ્થાના સ્વયંસેવકો માટે બહુ માન છે. જે નિષ્ઠાથી તેઓ કામ કરે છે એવી કર્તવ્યપરાયણતા મિલીટરીમાં જ જોવા મળે. ત્યારે અમેરિકામાં એ એક જ સ્વામી નારાયણ મંદીર હતું. આજે હજાર કરતાં વધુ મંદીરો શ્રી પ્રમુખ સ્વામીની આગેવાની હેઠળ આખા જગતમાં થયા છે. અમેરિકાની લોકશાહીના તો કેટલા વખાણ થાય? અમે લોકો આવા મંદીરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમેરિકન સેનેટર, કોંગ્રેસમેનને પકડી લાવીએ છીએ. અને એ લોકો

અમારા વોટ લેવા આવા પ્રસંગોએ આવી જાય છે. મને આ પોલિટીશયનોના અને વેશ્યાના ધંધામાં કાંઈ ફેર નથી લાગતો. સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થાય. આવા મંદીરોમાં એકે ગોરો કે કાળો અમેરિકન દેખાતો નથી. કરોડોના ખર્ચે અમેરિકાની ધરતી પર મંદીરો બાંધીએ છીએ પણ અમેરિકન પ્રજા માટે કેટલા પૈસા ખર્ચાતા હશે? યાદ આવે છે. હોલિવુડની ફિલ્મ ” ધ સિક્સથ સેન્સ ” બનાવનાર ઈન્ડિયન યુવાન ડાયરેક્ટર એમ.નાઈટ શ્યામલને ફિલ્મના નફામાંથી પંદર મિલીયન ડોલર, ફિલાડેલ્ફીયાના કાળા અમેરિકનોના સ્લમમાં ઘરો બંધાવવામાં ખર્ચ્યા. વાત એમ હતી કે એ ફિલ્મનું શુટિંગ ફિલાડેલ્ફીયાના એ સ્લમમાં થતું હતું .તેમની ગરિબાઈ જોઈને આ યંગ ઈન્ડિયનને પોતાના પૈસા અમેરિકા માટે ખર્ચ્યા. આવા વિચારો આવે તો આ ભૂમિ આપણને સ્વીકારે. આખો વખત દેશ પાસેથી લે લે કરીએ અને દેશ માટે ન ખર્ચીએ તો પરીણામ આફ્રિકા જેવું આવે. એક સર્વે મુજબ અમેરિકામાં ૪૭ ટકા ઘરોમાં ગન છે.

મને યાદ છે કે ૧૯૭૦માં, ન્યૂ યોર્કમાં જો ખોટ હતી તો તે મંદીરની અને બીજી ઈન્ડિયન ગ્રોસારી સ્ટોર્સની જો ભૂખનો પ્રશ્ન ઉકલે તો ભગવાનના પ્રશ્નનું કાંઈ ઠેકાણું પડે. તેમાં ન્યૂ યોર્કના મેનહટન વિસ્તારમાં લેક્ઝિંગ્ટન એવન્યુ પર એક આર્મેનિયનનો ગ્રોસરી સ્ટોર્સ હતો. અને મંદીર માટે એક “હરે રામા હરે ક્રષ્ણા”વાળાઓનું સેકન્ડ એવન્યુ પર ખાનગી ઘરમાં મંદીર હતું.

રસ્તા પરથી જ દાદર પર ચઢી ઉપર જવાનું હતું. એક વાર અમે ચાર પાંચ મિત્રો, મંદીર છે તો જોઈએ. એ ભાવથી ગયા હતા. ત્યાં ઉપર મોટા ગાદી તકિયા પર શ્રીલા પ્રભૂપાદ આડા પડયા હતા અને અમેરિકન યુવાન યુવતીઓ તેમના પગ પાસે બેઠા હતા.ગોરી છોકરીઓ સાડીમાં ખૂબ શોભતી હતી. અમે ત્યાં મહા પ્રસાદમ આરોગ્યો. કારણકે અમે બધાં “સિંગલ” હતા અને રુમ પર રેડી મેડ ફુડના ડબ્બા ખોલી ખોલીને ચણા,વટાણા, દાળ ગરમ કરીને પાંઉ રોટી સાથે ખાઈ લેતા. એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને ભગવાનના આશિર્વાદ મેળવાય અને પેટ ભરાય. આમ બહાર મંદીરોમાં જમવાનો ચસ્કો મને વસોથી લાગ્યો છે. પછીથી એ મંદીર, બ્રુકલિનમાં હેનરી સ્ટ્રીટ પર ગયું. ઈન્ડિયાથી આવતા વિઝીટર્સને અને નવા સ્ટુડન્ટસ્ ને એ મંદીર જોવા લઈ જતા. આખા ન્યૂ યોર્કમાં એક માત્ર હિન્દુ મંદીર અને તે પણ અમેરિકનો ચલાવે એ વિચારે જ હિન્દુઓએ મરવું પડે.અને હિન્દુઓ હવે તો સારું કમાતા હતા. તેમાં ખાસ કરીને ગુજરાતીઓને ગરબા માટે કોઈ જગ્યા જોઈતી હતી. હવે ન્યૂ યોર્કમાં દેશીઓની, અમે અમેરિકાના ગુજરાતીઓ કોઈ પણ ઈન્ડિયનને માટે “દેશી” શબ્દ વાપરીયે છીએ, સંખ્યા વધવા માંડી હતી.(મારા પત્ની પણ ઈન્ડિયાથી મારી મોટી દીકરી આશિનીને લઈને આવી ગયાં હતાં. અને અમે અમારો નવો સંસાર ન્યૂ યોર્કમાં ચાલુ કર્યો. મને બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી ગઈ હતી.એટલે પૈસાની સગવડ થઈ ગઈ હતી. એટલે મનમાં શાંતી હતી.)

૧૯૭૮ની આસપાસ ન્યૂ યોર્કના કરોના એરિયામાં ગીતા મંદીરની સ્થાપના થઈ. ભગવાનનું બહુ મહત્વ નહોતું. પરંતુ ગરબા માટે જગ્યા મળી ગઈ. જ્યાં ત્રીસ ચાલિસ જણથી ગરબા ગવાતા હતા. બે વરસ પછી તે જગ્યા પણ નાની પડવા લાગી. એટલે મોટી જગ્યામાં કરોનામાં જ નવું મંદીર બન્યું .મંદીર બનાવનારા લોકો સ્માર્ટ હતા. તેમણે તે મંદીરમાં બધા ભગવાનો ગોઠવી દીધા.ગાયત્રીમાતા, હનુમાનજી,શંકર પાર્વતી,દુર્ગામાતા,રામ–સીતા, રાધા–કૃષ્ણ જાણે ભગવાનોની પરિષદ ભરાઈ હોય તેમ. આપણા લોકોના સંસ્કાર જ એવા છે કે મંદીર વિના આપણું જીવન સુનું સુનું લાગે.

સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપના મોટા શહેરો અને ટાઉનમા સૌથી પહેલાં બન્યા હોય તો તે ટાઉન હોલ.યુરોપના બધા દેશમાં જોઈશું તો ટાઉન મોટું હોય કે નાનું હોય પરંતુ તેમાં ટાઉન સ્ક્વેર (ગામનો ચોક) અને એક ટાઉન હોલ જોવા મળશે. આ ટાઉન હોલમાં ગામની બધી જ સામુહિક પ્રવૃત્તિ થતી હોય છે. તેમાં નાટકો, સંગીતના સંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય. અને સામાજીક મિટીંગો પણ થાય. હા, તેઓ પણ ચર્ચ બનાવે છે. પરંતુ તેની પહેલી જરુરિઆત નથી ગણાતી.

૧૯૮૦ પછી તો ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં બીજા બે રામ મદીર થયા. કોઈ માને ના પણ એક પટેલે અને એક બામણે મળીને એક ચર્ચનું જુનું બિલ્ડીંગ ન્યૂ જર્સીમાં ખરીદી લીધું અને પહેલું ખાનગી મંદીર ચાલુ કર્યું. ફક્ત કમાણીના સાધન માટે જ. લોકો ગ્રોસરીની કે દૂધની દુકાન કાઢે તેમ આ લોકોએ ખાનગી મંદીર કાઢ્યું “ઓનલી ઈન અમેરિકા” આવું ફક્ત અમેરિકામાં જ બને અને તે પણ ગુજરાતી જ કરે. અને એ લોકોએ એ મંદીર સામાજીક પ્રસંગોએ લોકોને ભાડે આપવા માંડ્યું.અને મંદીરનો બિઝનેસ ચાલુ કર્યો. આવા તો ઘણાં મંદીરો ચાલુ થયા. આજે ન્યૂ યોર્ક ,ન્યૂ જર્સીમાં બધાં ભગવાનો અને માતાઓ વસ્યા છે.
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
Date Aug 30th 2014 E mail- harnishjani5@gmail.com
Harnish Jani, 4 Pleasant Drive Yardville NJ 08620

મારી પોસ્ટના કેટલાક પ્રતિભાવો.

Harnish Jani હું મારા ગેસ્ટને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સાથે સાથે રોબિન્સવીલના મંદીરની પણ વિઝીટ લેવડાવું છું

• Manish Desai ચારો ચરવા સુધી બરાબર છે. બાકી પરમાત્મા સાથેનાં સંવાદો માટે કોઇ મંદીર નામના લોકેસન પર ક્લીયર મોબાઇલ નેટવર્ક મળતું હોય તો જણાવવું.. :

Pravinkant Shastri Manish Desai સાહેબ આ તો મને ગાંડો કરવાની વાત કરી. ભાઈ એ નેટવર્ક તો મારી, તમારી, ખોપડીમાં ઓલરેડી ઈમ્પ્લાન્ટ થયેલી જ છે. તમારા રિસેપ્ટરને એકટિવેટ કરોને! પરમાત્મા સાથે સીધું જ કોમ્યુનિકેશન ચાલુ થઈ જશે. નેટવર્ક માટે મંદિર ગુરુ જેવાને બાયપાસ કરી શકાશે. મૂળ વાત તો મંદિરની મુલાકાતની છે. શક્ય છે કે તમારા ઘરમાં આવું એનો અર્થ એ નથી કે તમને મળવા જ કે વાતો કરવા આવું છું. બસ ઘણાં એવું જ કરે છે. મંદિરમાં બધા ભક્તિ કરવા જ જાય એવું થોડું છે. તમે તો મારા ભાઈ મારા જેવા ડોબાને બહુ ગહન અને ગંભીર સવાલ પૂછી કાઢ્યો. જય સ્વામિનારાયણ.

Deepak Solanki pravinkant shastriji તમે તમારા ડોપાપણુ દર્શાવીને ઘણી ડાહપણની વાત કરી છે…

Himatbhai Mehta ખુબ સરસ કામ કરેલ છે

Himatbhai Mehta હું ઘણી વખત ISKON ના મંદિર જતો ને ત્યાના સંતો મારા ઘણા સારા મિત્રો પણ છે બધા દંભી નથી હોતા હું ઘણી વખત જતો ને હળવો થઇ ને આવતો.. મને ઘેટા કહેનાર માં મને હળવો કરવાની શક્તિ નથી જયારે આવા મંદિરો માં સ્થાપત્ય જોઈ ને મજા આવે છે

Pankaj Shah Sometimes, the most meaningful things are found through silence.I LIKE SILENCE…..bcause., …everything is hidden in its meaning.

Vimal Trivedi Temple church mosque etc are part of human life…

Jayendra Ashara …
અમે તો પરસાદીયા-ભગત …સ્થાપત્ય નાં પ્રશંશક …એમાં રેશનાલીઝમ નાં નડે… રેશનાલીઝમ ધર્મ ઝનુન નથી … રેશનાલીઝમ એટલે વાસ્તવ-વાદ … જે છે-એ-છે અને જે નથી-એ-નથી… ભગવાન છે એવી ધારણાઓ નાં કરવાની હોય … પરંતુ પ્રસાદ તે આરોગવાની ચીજ છે તો આરોગવામાં શું વાંધો?.. …

Himatbhai Mehta શ્રધા અને અંધશ્રધા ને બાજુમાં રાખી કોઈ ખોટો દંભ કર્યા વગર જયા મન ને આરામ મળે અને કોઈ ને નડીએ નહિ ..તેમ કરવામાં વાંધો નથી… પછી તે કોઈ પણ જગ્યા હોય પણ તેની ખોટી અસર ના થાય તે પણ ધ્યાન રાખવું

Pankaj Bhatt વાંક (Mistake) અને ભગવાન નું સરખું છે. માનો તો દેખાય , ના માનો તો ના દેખાય. પણ પ્રસાદ તો દેખાય છે……. એની સુગંધ અને સ્વાદ મન ને તરબતર કરી દે છે…. જલ્સા કરોને ભાઈ. રેશનાલીઝમ અને આસ્તિકતા બન્ને નો અતિરેક ઝનુન પેદા કરે
અને સમાજ ને હાનિ થાય.

Mukesh Raval સારુ થયુ.. ઘેટુ સહી સલામત પાછુ આવ્યુ… નહીંતર અમુક ઘેટા તો “ઉન” ઉતરાવીને આવે છે…

Sanatkumar Dave dearest PKSji loko bhale Swaminarayn Dharma ne Guruone GHETA sathe sarkhave (!!??) tena jevi BENMUN SISTA ne STHAPTYA no JOTO Nathi !!!!?? dadu..

Kartik Zaveri મોટા ભાગે તો ઘેટા ટોળામાં જ હોય…
એટલે તમે……
ઘેટા નથી એવું આ લખીને પ્રસ્થાપિત કર્યું……. Pravinkant Shastriji.
આપની વિદ્વતાને પડકારતો નથી, પરંતુ દરેક પોતાની મરજી મુજબ જીવે તે જ ખરું છે……

Amrut Hazari આ ઘેંટુ કલા સ્થપત્યની વાતો કરે છે કે રેશનાલીસ્ટોની ? કલા સ્થાપત્ય અને પૂજા…ઘરમ…..મહાપ્રસાદ…..( મફતીયો)…..બે વસ્તઓ જુદી છે….સંડાસ અને મંદિરની સરખામણી ક્યા મગજની પેદાશ છે ભાઇ,,,???????????

Pravinkant Shastri Amrut Hazari સાહેબ મને ખાત્રી હતી કે તમે મને ક્રોસ એક્ક્ષામમાં ગુંચવશો જ. એટલે તો તમને ના લખી હતી કે તમે આ વાંચશો જ નહીં. ભલે. આ ઘેટાએ ડ્રોઈગની બે પરીક્ષા પાસ કર્યા પછી એવું માનતું થઈ ગયેલું કે એને આર્ટમાં રસ છે. અમારા સી.એમ. દેસાઈ સાહેબ કેમેસ્ટ્રી ભણાવતા ત્યારે આ ધેટું સાબુની ગોટીમાંથી સસલું અને ચોકસ્ટીકમાંથી કુતુબ મિનાર બનાવતું. એટલે એને મંદિરના કલામય ગુંબજમાં રસ પડી ગયેલો. ડોકી દુખી જાય ત્યાંસૂધી જોયા કર્યુ. આ તો કેટલાક લોકો મંદિર વર્સીસ સંડાસની જ ‘ફાડ્યા’ કરે છે તેમને કોન્સ્ટીપેશન માટે વાત કરી હતી. અને પ્રસાદની વાત…ગાંઠના ખર્ચે પિઝા ખાઈ ને ઘર ભેગો થયો. દોસ્ત એકાદ મુલાકાત તો લેવા જેવી છે.

• Bhupendrasinh Raol @Amrut Hazari આ કન્ફ્યુઝ્ડ ઘેટું છે અને બીજાઓને પણ કન્ફ્યુઝ્ડ કરે છે. તબલા નહિ ઢોલક છે બે બાજુ વગાડે છે .. હહાહાહાહાહાહહાહાહાહા રેશનલીસ્ટને ગાળો દેવી હોય એટલે આવી પોસ્ટો મુકે છે…. બે બાજુ લાડવા ખાવા જાય તેવા પરસાદીયા ભગત છે.. હહાહાહાહાહાહા મજા આવે પણ તેમની પોસ્ટ વાંચી…

Pravinkant Shastri Bhupendrasinh Raol લાડવાની ઈચ્છા તો છે પણ સાલુ બધી તરફથી લાત ખાવા મળે છે. આખું વાંચ્યું નહીં? પિઝા હટ્ટ્નો પ્રસાદ લઈને ઘેર ગયોતો! આ બધ્ધી વાતો મેં બ્લોગમાં પણ મૂકી છે. અને ખાસતો હરનિશ જાનીનો મજાનો લેખ પણ મૂકું છું. ટાઈમ કાઢીને બ્લોગ પાવન કરજો બાપુ…

અને મિત્રો આટલું લાંબુ વાંચ્યું છે તો આપ પણ આપનો મુક્ત અભિપ્રાય  ઉપર ડાબીબાજુના ખૂણા પર કોમેન્ટ પર ક્લિક કરો અને દર્શાવો.

સિનીયરનામા – હરનિશ જાની.

શ્રી હરનિશ જાનીનો આ હાસ્યલેખ વાંચ્યો હોય તો પણ ફરી ફરીને વાંચવા ગમશે જ તેની ખાત્રી સાથે આપને માટે મિત્રની પ્રસાદી રૂપે રજુ કરું છું….

સિનીયરનામા

harnish jani

હરનિશ જાની.

વરસો પહેલાં મારા બાપુજી ગુરુદત્તની ફિલ્મ “સાહબ બીબી ગુલામ જોઈને આવ્યા. મેં તેમને પૂછયું કે ફિલ્મ કેવી લાગી? ત્યારે તે બોલ્યા,” બહુ સરસ હતી, અને તેમાં નિરૂપારૉયનો રોલ સરસ હતો. મને ગમ્યો.” “સાહેબ બીબી ગુલામ અને નિરૂપારૉય?” મારાથી બોલાય ગયું. મેં આગળ ચલાવ્યું,” ગરુદત્તે બીજું પિક્ચર બનાવ્યું લાગે છે. બાકી એ ફિલ્મમાં તો મીનાકુમારી છે.”. મારા બાપુજી બોલ્યા મને તો બધીઓ સરખી લાગે છે. અને જે હોય તે ,મને તેમાં કાંઈ ફેર લાગતો નથી.” ત્યારે હું વડોદરા કોલેજમાં ભણતો હતો. બાપુજી રિટાયર્ડ થઈને રાજપીપલામાં રહેતા મને અચાનક મારા બાપુજી યાદ આવી ગયા. જ્યારે મેં મારા દીકરા સંદિપને કહ્યું કે રામલીલા ” ફિલ્મમાં ઐશ્વર્યા રાયના ગરબા બહુ જ સરસ લાગે છે. જાણે કોઈ ગુજરાતણ ન કરતી હોય?” સંદિપકુમાર કહે ” ડૅડ,એ તો દિપીકા હતી.ઐશ્વર્યાનો ઢોલી તારો ઢોલ બાજે ગરબો તો “હમ દિલ દે ચૂકે સનમ”માં છે.” મેં કહ્યું કે “મને તો બધી સરખી લાગે છે. અને મને કોઈનામાં કાંઈ ફેર લાગતો નથી.” મારો દીકરો કહે કે “ડૅડ,યુ આર નાઉ ઓલ્ડ.” અને મેં હરનિશનો નિયમ બાનાવી દીધો કે જ્યારે સૌદર્યવાન છોકરીઓમાં જેઓને ફેર ન દેખાતો હોય તેને સિનીયર કહેવાય. અને તેમણે છોકરીઓ જોવાના શોખને તિલાંજલી આપી દેવી જોઈએ. દુખની વાત એ છે કે તેમ કરવાનું હવે ગમે છે્ ડોસાઓને પત્ની કરતાં ચશ્માની જરૂર વધુ હોય છે. તેમ છતાં આપણને ડોસા શબ્દ કરતાં સિનીયર શબ્દ વધારે ગમે છે. નામ જે હોય તે હાડકાં બન્નેના દુખે છે અને  મગજ બન્નેના જલ્દી થાકી જાય છે. અમેરિકામાં ઓલ્ડ થઈએ તે તુરત નથી સમજાતું . ઈન્ડિયામાં તો જયારથી અજાણ્યા છોકરાં આપણને કાકા –કાકા કરે ત્યારથી માની લેવાનું કે હવે આપણને ગમે કે ન ગમે પણ જુવાન નથી રહ્યા . હવે સિનીયર કાંઈ એમને એમ નથી થવાતું. સિનીયરનું તો એક પેકેજ હોય છે. હવે જીવન જીવવાની ફિલસુફી શીખી લીધી છે. હવે રોજ દાઢી કરવી જોઈએ એવું કાંઈ નથી. કપડાંને ઈસ્ત્રી હોવી જ જોઈએ એવું જરૂરી નથી.અરે! પેન્ટની ઝિપર બંધ થાય પણ ખરી અને ન પણ થાય.એવી કોઈ મોટાઈ નહીં. મને ડાયા બિટીસ છે. એટલે ઘણી વખતે રાતે સૂતી વખતે પગમાં બળતરા થાય છે. એટલે ડોક્ટરે મને ગેબેનોપેન્ટીન નામની દવા આપી છે. ડોકટર કહેવાનું ભૂલી ગયા કે પગની બળતરા તો જશે પણ સાથે સાથે યાદ શક્તિ પણ જશે. કેટલા ય જાણીતા ચ્હેરા તુરત ઓળખાતા નથી. જો કે તેનો વાંધો નથી. પણ જેને કદી મળ્યો નથી. તે મને ઓળખીતા લાગે છે. અને એમને ખોટું ન લાગે એટલેથી તેમને સામેથી બોલાવું છું. મઝાની વાત તો તે છે કે એ વ્યક્તિ ગુચવાઈને મને કહેશે,” કેમછો? સોરી તમારું નામ ભૂલી ગયો છું”. ગયા અઠવાડિયે ક્રેકર બ્રિજ મૉલમાં ગયો હતો. મેં સિયર્સના સ્ટોર પાસે મારી કાર પાર્ક કરી અને હું અંદર ગયો. કલાક પછી એક શર્ટ ખરીદીને બહાર નિકળ્યો. બહાર આવીને જોયું તો મારી કાર ન મળે. ખૂબ ફાંફાં માર્યા. મને એવો પણ વિચાર આવ્યો કે મેં મારી કાર મેસીઝ પાસે પાર્ક કરી હોય અને મગજમાં સિયર્સ ઘુસી ગયું. એટલે મેસિઝ સામે પણ ચેક કર્યું પછી. સિક્યુરીટી ગાર્ડને મળ્યો અને કમ્પ્લેઈનટ નોંધાવી. પછી ઘેર પત્નીજીને ફોન કર્યો.કે,”મારી કાર ચોરાઈ ગઈ છે.મને આવીને લઈ જા.” પત્નીજીએ જવાબ આપ્યો, કે “તારી કાર અહીં ઘેર ડ્રાઈવ વે માં પડી છે. તું મારી કાર લઈને ગયો છે. મારી કાર શોધ.” યાદ શક્તિ ઓછી થાય એનું સૌથી મોટું દુખ એ છેકે આપણે હમેશાં સાચું બોલવું પડે અને ખોટા બહાનાઓ બનાવવાના છોડી દેવા પડે.

હવે હું ઘણી બધી વસ્તુઓ ભૂલી જાઉં છું. ઘરના સૌ જાણે છે. તેમાં મારી દીકરીને હું જો કોઈ વચન આપું છું તો તે લખાવી લે છે. જ્યારે પત્ની ફેબ્રુઆરીમાં આવતા વેલેન્ટાઈન ડેની ગિફ્ટ તો ડિસેમ્બરમાં ક્રિસમસ ટાણે જ લઈ લે છે. તે પણ હું ખરીદીને આપું તે પહેલાં પોતે મારા કાર્ડ પર મારા તરફથી ખરીદી લે છે. મારું સૌથી મોટું દુ;ખ એ છે કે ઘણી વખતે એ લોકો મને બનાવે છે. મેં કશું ન કહ્યું હોય તો ય મને કહેશે કે “તમે જ તો તેમ કરવાનું  કહ્યું હતું. તમને યાદ રહ્યું નથી.” હમણાંનો મને એવો વ્હેમ ઘુસાડવામાં આવ્યો છે કે મને બરાબર સંભળાતું નથી. કારણકે મારા પત્ની થોડી થોડી વારે બૂમ પાડશે કે “આટ આટલી રીંગ થાય છે ને તું ફોન ઉપાડતો નથી. પછી મને લાગવા માંડ્યું કે આપણામાં કાંઈ ગરબળ છે. પરંતુ ડોકટરે કહ્યું કે ” તમારામાં નહીં પણ બ્હેનના કાનમાં રિંગીંગ ઈફેકટ થાય છે. એને માટે કાંઈ કરવું પડશે.”

અમેરિકામાં જેટલા કાર એક્સિડન્ટ થાય છે .તેમાં મોટા ભાગના એક્સિડન્ટમાં સિનીયર સિટીઝન સંડોવાયલા હોય છે. એટલે
મારા પત્નીએ મારા ડ્રાઈવિંગને સ્હેલુ બનાવવા મને પૂછ્યા સિવાય નિયમ બનાવ્યો છે. “તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ.” અને તેને માટે પાછા હાથના સિગ્નલ બનાવ્યા છે. કોઈને આશિર્વાદ આપતો જમણો હાથ ઊંચો થાય એટલે “સ્પિડ ઓછી કર.” ઘઉંમાંથી કાંકરા દૂર કરતી હોય એ રીતે હાથ હાલે તો મારે માની જવાનું કે કાર બીજી બાજુ જાય છે. “એને સેન્ટરમાં લાવ.” ” જો આગળ લાલ લાઈટ છે.””ચાલ હવે ગ્રીન થઈ.” મેં કહ્યું કે “આના કરતાં તો તું જ ડ્રાઈવ કરી લે ને!” તો તે બોલી ગાડી ચલાવવાની મઝા અહીં બેઠા બેઠા વધારે આવે છે. ત્યાં બેસું તો ખોટો એક્સીડન્ટ થઈ જાય.” હું સિનીયર થયો છું. જ્યારે રિટાયર્ડ થયો ત્યારે મને દિવસ કશું ય કર્યા સિવાય પસાર કરવો અઘરો લાગતો. ત્યારે મેં મારાથી સિનીયર મિત્રને પૂછયું કે મારો સમય પસાર થતો નથી. તો તે કહે કે “રોજ બપોરે ત્રણ કલાક સુઈ જાવ. સમયની પછી ચિંતા જ નહીં .ઉઠશો. ડિનર લેશો કે પાછો સુવાનો ટાઈમ થઈ જશે.”મેં જોયું કે જેઓ બપોરે ઊંઘતા નથી તેઓ ટી.વી.ની સામે ચ્હોંટી જાય છે. એટલે નોકરિયાતને ખબર નહીં હોય પણ બપોરે આ ડોસાઓ માટે બધાં રોગોની દવાઓની કમર્શિયલ બધી ચેનલો પર આવે છે. એ લોકો જેટલા રોગોના સિમ્પ્ટમ્સ બતાવશે એટલા બધાં જ મને બંધ બેસતા થાય છે. મને મારામાં એ બધાં રોગ દેખાય છે.વાયગ્રા સિવાય બધી મેડિસીનના ઓર્ડર આપવાનું મન થાય છે. બીજું તો કાંઈ નહીં પણ મજેદાર મારા દાદા વાપરતા હતા અવી લાકડી પણ મંગાવી છે.આ લાકડીથી મારો વટ પડે તે કરતાં લોકો મને મદદ કરવા કાયમ તૈયાર રહે છે.સ્ટોરના બારણાં ખોલી દે છે.અને મારા હાથમાંની થેલી પણ માંગીને ઊંચકી લે છે. મારી દીકરીને તે લાકડી નથી ગમતી. તેનું કહેવું છે કે લાકડી મને વધારે ડોસો બનાવી દે છે.અને પોતાની સાથે બાબા રામદેવના યોગાસનોનો પ્રોગ્રામ જોવા બેસાડી દે છે. હવે જ્યાં સુધી છાતી ફુલાવવાની વાત આવે છે તેટલું મને માન્ય છે. તેમાં પણ તે કહેશે. “છાતી ફુલાવવાની છે. પેટ નહીં. તમે તો પેટ ફુલાવો છો.” ઊંડા શ્વાસ લેવાની વાતો માન્ય છે. પરંતુ બાબા તેમના ટાંટિયા ઉંચા નીચા કરે છે તે જોઈને જ મને હાંફ ચઢે છે.અને પરસેવો વળે છે. એટલું ખરું કે આટલું કર્યા પછી ભૂખ લાગે છે.

મારો એક નિયમ છે કે કોઈપણ સિનીયરને તેની તબિયતના સમાચાર નહીં પૂછવા. દસમાંથી નવ જણને કાંઈકને કાંઈક દુ;ખ હશે. અને જો પૂછવાની ભૂલ કરો તો તે જુવાનીમાં કેટલા સ્ટ્રોંગ હતા અને પચીસ રોટલી ખાતા હતા. ત્યાંથી ચાલુ કરશે, તે આજ સુધીમાં કેટલા ઓપરેશનો થયા ત્યાં સુધીનું રામાયણ કહેશે. અને તે લોકોને એની વાતો કરવાની ખૂબ ગમશે. કારણકે એમના રોગની કોઈને પડી નથી હોતી. જ્યારે ચાર પાંચ ડોસાઓને સાથે વાતો કરતાં જુઓ તો માની લેવું કે તે એક બીજાના રોગોની વાતો કરતાં હશે. એટલું જ નહીં પણ પોતે અજમાવેલા ઉપાય પણ સુચવશે. પોતાને તે ઉપાયથી ફાયદો થયો હતો કે નહીં તે ભગવાન જાણે. અમેરિકન પ્રેસીડન્ટ લિન્ડન જ્હોનસને પ્રેસ કોન્ફરન્સમાં શર્ટ ખોલીને તેમના એપેન્ડિક્સના ઓપરેશનનો કાપ બતાવ્યો હતો. પ્રેસીડન્ટ હોય એટલે શું થયું તે ડોસા તો હતા જ ને!.એ બધી વાતોથી બચવા સિનીયરોના દુખડાં સાભળવા ન પડે તેથી સિનીયર સેન્ટરમાં જતો નથી. અને હમેશાં યાદ રાખું છું કે “સર પે બઢાપા હૈ મગર દિલ તો જવાં હૈ”

આ બધી વાતનો નિષ્કર્ષ એટલો જ કે દરેક સિનીયર પાસે જીવન આખાના અનુભવ હોય છે. તેમ છતાં, દરેક નવી પેઢી પોતાની જ ભૂલોથી. નવા પાઠ ભણશે. અને નવું ડહાપણ શિખશે. નવી પેઢીને સિનીયરોની સલાહની કે એમના અનુભવની જરૂર નથી. બાકીનું જીવન નિજાનંદમાં જીવો. મરીઝ સાહેબની જેમ

“જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી.
જે ખૂશી આવી જીવનમાં આખરી સમજી લીધી.”
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
27th April 2014
Harnish Jani.
4, Pleasant Drive,
Yardville, NJ 08620.
harnishjani5@gmail.com
1-609-585-0861

સ્વામી વિવેકાનન્દે કહ્યું છે કે… –હરનિશ જાની

સ્વામી વિવેકાનન્દે કહ્યું છે કે…

harnish jani

–હરનિશ જાની

     નાનપણથી એક વાત શિખી ગયો છું કે જો પથ્થર તરાવવા હોય તો ઉપર ‘રામનામ’નો સિકકો મારવો પડે ! મારા હાઈ સ્કુલના દિવસોમાં હું અને મારો મિત્ર યોગેશ રાજપીપળાની કરજણ નદીના ઓવારે પાણીમાં પગ લટકાવીને બેઠા હતા. કિનારા પર ઓવારાને કારણે પાણી વહેતું નહોતું અને ગરમ બાફ આવતો હતો. મેં કહ્યું, ‘ જીવન અને નદી તો વહેતાં સારાં. જો ઘેરાઈ જાય તો ગંધાય, બાફ મારે.’

      યોગેશ બોલ્યો, ‘ એવું કોણે કહ્યું છે ? ‘  

     ત્યારે જ મને સમજાય ગયું કે ‘સાલું, આપણા બોલનું વજન નથી.’

     એટલે મેં યોગેશને કહ્યું કે ‘એવું વિવેકાન્દે કહ્યું છે.’

    પોતાનાં વાક્યો બીજાના મગજમાં ઘુસાડવા માટે લોકો બીજા લોકોના મત- સુવાક્યો પોતાની વાત સાથે જોડી દે છે.           આઝાદીના એ સમયમાં જાહેરમાં ભાષણ આપનાર માટે ગાંધીજી પોપ્યુલર હતા. હાલ્યોચાલ્યો દરેક નેતા પોતાના ભાષણમાં પોતાના બકવાશ સાથે ગાંધીજીની એકાદ વાત ઠોકી દે.” બાપુ સાથે અમે યરવાડા જેલમાં હતા ત્યારે બાપુ કહેતા કે ગુલામીમાં આઝાદ રહેવા કરતાં આઝાદીની જેલ સારી.” જો ધ્યાનથી વિચારીએ તો લાગે કે બાપુ આમ બોલે ખરા ? જેણે કહ્યું હોય તેણે, પરંતુ પેલા વક્તાને ગાંધીજીના નામ સાથે તાલીઓના ગડગડાટ મળ્યા.

         પોતાના ભાષણમાં નવા નેતાઓ પોતાની પણ કાંઇ કિંમત છે  એમ સાબિત કરવા બાપુજી સાથેની પોતાની કોઈ અંગત વાત રજુ કરતા. હવે તે વાત સાચી છે કે ખોટી એને માટે એમને કોઈ સવાલ નહોતું કરવાનું. અમારા ભરૂચ જીલ્લાના કોંગ્રેસી નેતાઓ બાપુનું નામ છુટથી વાપરતા. અમને વિદ્યાર્થીઓને લાગે કે આ નેતાઓ ના હોત તો બાપુથી કંઈ થયું ન હોત.

         એ નેતાઓની જેમ હું પણ ક્લાસમાં બેન્ચ ઉપર ઉભો થઈને ભાષણની નકલ કરતો,  ‘સાબરમતી આશ્રમમાં બાપુ મને કહેતા કે હરનિશ, તને ગણિતના દાખલા ગણતાં ગણતાં ઊંઘ આવતી હોય તો ગુજરાતી નોવેલ વાંચજે.’  કોઈક વાર અમારા પંડયાસાહેબ કોઈ કારણસર મારા પર ચીડાય ત્યારે હું કહેતો, ‘સાહેબ, ગાંધી બાપુએ કહ્યું છે કે અમે બાળકો દેશનું ભવિષ્ય છીએ. અમને પ્રેમથી ભણાવો.’

          મારી પત્નીને કોઈ વાત મારા મગજમાં ઠસાવવી હોય અથવા તો પોતાનું કોઈ કામ કરાવવું હોય તો કહે, ‘ બાએ પણ આવું કહ્યું છે. “ જા, બાને પુછી જો.” જયારે વહુ સાસુને પોતાની ટીમમાં લે, ત્યારે સમજદારે ચેતતા રહેવું જોઈએ. ‘

        વરસોથી હું જોતો આવ્યો છું, સાંભળતો આવ્યો છું,વાંચતો આવ્યો છું એવાં નામો છે આઈન્સ્ટાઈન, ડો. રાધાકૃષ્ણ , જે. કૃષ્ણમુર્તી, વિવેકાનંદ, વાલ્ડો એમર્સન વગેરે. પરંતુ મારા પ્રિય હતા વિવેકાનંદ. હું જયારે–ત્યારે સ્વામી વિવેકાનંદના નામે મારા વીચારો ઘુસાડી દેતો. સૌ કોઈ જાણે છે કે વિવેકાનંદજીએ અમેરીકાની પ્રજાને શિકાગોની પરીષદમાં ‘બ્રધર્સ એન્ડ સીસ્ટર્સ’નું સંબોધન કર્યું હતું. એથી વિશેષ સામાન્ય લોકોને વિવેકાનંદ વિશે ખબર નથી. એટલે કોઈએ મારી વાતમાં કદી શંકા નથી કરી.

હવે આજના પ્રધાનો માટે કહી શકાય કે તેમને બાપુજીનો પરીચય જ નથી.”ગાંધી” તેમને માટે ફિલ્મ બની ગયા છે.એટલે ગાંધીજીના જ નહીં પરંતુ કોઈનાં સુવાક્યો ભાષણમાં વાપરતાં આવડતાં નથી. કદાચ તેમનો આત્મ વિશ્વાસ વધ્યો હોય કે પછી વાંચવાની ટેવ જ ન હોય.

      આપણે જયારે ગુજરાતી મેગેઝીનોમાં કોલમ લખનારા પ્રખ્યાત લેખકોને વાંચીએ છીએ ત્યારે લાગે કે આ લેખકો કેટલા વિદ્વાન છે અને તેઓ કેટકેટલું વાંચે છે, કારણ કે તેમના એક લેખમાં તેઓ ત્રણ-ચાર વ્યક્તિઓનાં બોલેલાં ‘અવતરણો’ ફટકારે છે અને આ એવી વિભૂતીઓ હોય છે કે જે આપણાં જન્મ પહેલાં થઈ ગઈ છે. આ વ્યક્તિઓ ફીલોસોફર હોય શકે કે પછી કોઈ નેતા કે મોટા લેખક- કવિ હોય. આ મહાનુભવોનાં તો આપણે નામ પણ ના સાંભળ્યાં હોય. આપણને થાય કે ‘સાલું, આટલાં વરસોથી છાપાં વાંચીએ છીએ અને આપણને આટલું જ્ઞાન પણ લાધ્યું નહીં ! હવે ધ્યાનથી જોઇએ તો સમજાશે કે આપણામાં અને એ કોલમ લખનારમાં ફેર એટલો છે કે તેમને એ ફીલોસોફરનાં નામ ખબર છે, આપણને ખબર નથી અને સામ્યતા એટલી છે કે આપણે એ ફીલોસોફરને વાંચ્યા નથી અને પેલા કોલમના લેખકે પણ વાંચ્યા નથી. બ્રિટન અને અમેરીકામાં આ સુવાક્યો–અવતરણોનાં ઢગલાબંધ પુસ્તકો મળે છે. ઓક્સફર્ડની કવોટેશનની ડીક્ષનરી તો વખણાય છે. જો આ કોલમ લેખકો ખરેખર આ ફીલોસોફર અને વિખ્યાત લોકોનાં પુસ્તકો વાંચીને બેઠા હોત તો તેમની પોતાની જ ગણતરી ફીલોસોફરમાં થઈ જાત. પણ કાંઈ નહીં . આવાં અવતરણો શોધીને વાપરવાની હોશીયારી તો છે ને !

         સામાન્ય રીતે ગુજરાતી સાહિત્ય રસીકો સામે વક્તાઓ સુવાક્ય યાદ ન આવે તો વાતોમાં ઉર્દુ ગઝલના એક–બે શેર ઠોકી દે. અને આમ કોઈ પણ ગઝલને ગાલીબનો સીક્કો લગાવી દો એટલે કોઈ ચેલેન્જ ન કરે. સામાન્ય જણને માટે તો ગાલીબ પછી કોઈ બીજો ગઝલકાર પેદા જ નથી થયો ! ગુજરાતી સાહિત્યકાર માટે ઉમાશંકર જોશી,  સુન્દરમ્, રાજેન્દ્ર શાહ હુકમના એક્કા છે. છેવટે કલાપી, ખબરદાર, બોટાદકર, મેઘાણી, ધુમકેતુનાં વાક્યો, સુવાક્યો ફરી–ફરીને શ્રોતાઓના માથે સાહિત્યકારો ઝીંકે. વધારે સોફીસ્ટીકેટેડ દેખાવા માટે કોઈક ફ્રેન્ચ, મેક્સીકન, ઈટાલીયન સાહિત્યનાં અવતરણો શ્રોતાઓને માથે ફટકારશે.  શ્રોતાઓ આમેય તેમનું લેક્ચર સાંભળતા નથી હોતા. એટલે આ પરદેશી અવતરણોની ખરાખરીની ચિંતામાં પડતા નથી.    

          એના પરથી કોલેજનો મારો મિત્ર ભટ્ટ યાદ આવે છે. તે ઈકોનોમીક્સના વિષયમાં ઈંગ્લીશ નામો વાપરીને પોતાના મુદ્દા લખતો. તેને જગતના ઇકોનોમીસ્ટના નામ નહોતા આવડતા.તેમ છતાં  ભટ્ટની હોલીવુડના સ્ટાર્સનાં નામ લખવાની જે હોશીયારી હતી. એટલી અમારા પ્રોફેસરની સમજવાની નહોતી. ફ્રેન્ક સીનાટ્રાએ કહ્યું છે કે,- મી. કર્ક ડગ્લાસે કહ્યું છે કે- વિગેરે વિગેરે. છેવટ કશું ન મળે તો. અમેરિકન ભૂતપુર્વ પ્રમુખનાં નામ વાપરે. ‘મી. હેરી ટ્રુમેને કહ્યું હતું … ‘.  હવે નામ આ લોકોનાં અને ઈકોનોમીકસની થિયરી ભટ્ટની કહેવાની જરૂર નથી કે ઈકોનોમીકસના વિષયમાં ભટ્ટનો ફર્સ્ટ ક્લાસ આવતો.

       આમાં મજા આવી જાય છે ધાર્મિક કથાકારને. તેમનું અડધું ઓડીયન્સ અભણ હોય છે. બાકીના અડધા ઓડીયન્સને ખબર નથી કે તેઓ અભણ છે અને આ સત્ય કથાકાર જાણે છે. કથાકાર એ પણ જાણે છે કે તેમના ઓડીયન્સે ઉપનિષદ કે વેદો વાંચ્યાં નથી.  રામાયણ અને મહાભારતનું જ્ઞાન ટીવી સિરીયલો જોઈને મેળવ્યું છે. એટલે કથા કરનાર મહારાજ  શ્રીમદ્  ભાગવત, ઉપનિષદ, યર્જુવેદ વિગેરેમાં ભગવાને શું શું કહ્યું છે એની બોલીંગ કરીને ઓડીયન્સની દાંડીઓ પહેલી પાંચ મિનીટમાં ઉડાડી દેશે.

      બાકીનો સમય જયારે મહાત્મા કથા કહે ત્યારે ઓડીયન્સ ચકીત થઈને મહાત્માજીના ચહેરા પર કેટલું પ્રતાપી તેજ છે એ જોશે. આમાં કોઈ દોઢડાહી વ્યક્તિ મહારાજજીની વાતોમાં શંકા કરે તો મહાત્મા ખચકાયા વિના કહેશે, ‘શ્રીમદ્  ભાગવતના ચોથા અધ્યાયના સોળમા શ્લોકમાં સ્વયં ભગવાને કહ્યું છે કે …’  અથવા  ‘શાસ્ત્રોમાં લખેલું છે કે …’  હવે જે લોકો શાસ્રો વાંચીને બેઠા છે  તેઓ મહાત્માની કથામાં નથી આવતા. એટલે કથાકારની જોડે વાદ વિવાદ કરવામાં ઓડીયન્સમાંથી કોઈની તાકાત કે ઈચ્છા નથી હોતી. કદાચ જો થોડી ઈચ્છા હોય તો દાબી દેવી પડે. શંકા કરે તે શાસ્ત્રોનું — ભાગવતનું અપમાન કહેવાય !

     છેવટે મારે એટલું કહેવું છે — ના, ના, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણાં ધ્યાનબીંબ (ધીરજ)  ત્રીસ સેકન્ડથી વધારે લાંબાં નથી હોતાં. એટલે તો ટીવી પરની જાહેરખબરો ત્રીસ સેકન્ડની હોય છે. તો લેખકોએ ટુંકા લેખ જ લખવા. લાંબાં ભાષણ, લાંબા લેખ, લાંબા ઉપદેશ આ કમ્પ્યુટર યુગમાં લોકોનાં કાન, આંખ અને મગજને થકવી દે છે. આવું જ કંઈક આઈન્સ્ટાઈન પણ કહી ગયા હતા.

(લેખકના નિબંધ સંગ્રહ-સુશીલા-માં થી)

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA

E-Mail- harnish5@yahoo.com  –   Phone-1-609-585-0861.

સ્વર્ગની ચાવી

સ્વર્ગની ચાવી

harnish jani
હરનિશ જાની ની હાસ્ય પ્રસાદી
07-07-2014

હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.
દોઢસો વરસ પહેલાં, ગાલિબ સાહેબ આ ડહાપણની વાત કહી ગયા છે. વાત વિચારીએ તો ‘જન્નત’ છે કે નહીં. તેની પાકી ખાતરી કોઈની પાસે નથી. આજ સુધીમાં એકે હાલતા ચાલતા મનુષ્યએ સ્વર્ગ જોઈને પૃથ્વી પર આવીને સ્વર્ગની વાતો નથી કરી. હવે આ વાત આપણે ફેલાવીએ કે ‘ભાઈ, ઉપર સ્વર્ગ જેવું કાંઈ છે જ નહીં.’ તો? અને આપણી વાત લોકો માને તો ? આ પૃથ્વી પર કેટલી અરાજકતા ફેલાય ? તેની કલ્પના કરવી પણ અઘરી છે.
મારા બાલુકાકા રોજ સવારે ગામના વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરે છે. એમની બે ઈચ્છા છે. એક તો બીજીવાર પરણવું છે અને બીજી ઈચ્છા સ્વર્ગમાં જવું છે. મારે એમને કહેવું પડ્યું કે એક વાર પરણો તો ખરા! પછી આપોઆપ સ્વર્ગના વિચારો સૂઝશે. બીજી કાકી સારી હશે તો અહીં જ સ્વર્ગ ઉતારશે. અને નહીં હોય તો તમને સ્વર્ગમાં પહોંચવાની વ્યવસ્થા કરી આપશે.
આપણાંમાંના ઘણાં માને છે કે ભગવાન કે સ્વર્ગ–નરક જેવું કાંઈ નથી. ચાલો, આપણે તે માની લઈએ. અને કદાચ કોઈ ગેબી શક્તિ (ભગવાન?) આ પૃથ્વી પરથી બધાં દેવ-સ્થળો ગાયબ કરી દે તો ? મારા મિત્ર યોગેશભાઈ દર શનિવારે હનુમાનજીના મંદિરે ચાલતા દર્શન કરવા જાય છે. તે તો ગુંચવાઈ જાય કે સાલું, આ શનિવારે શું કરવાનું? અને તેનાથી પણ વધુ એમના પત્ની ગીતાબહેનનું સરદર્દ વધી જાય. જ્યારે યોગેશભાઈ મંદિરે જાય છે તે જ સમય ગીતાબહેનનો નિરાંતનો સમય હોય છે. હવે એ ઘેર રહે તો ? ભારતમાં મંદિરનો સૌથી વધુ ઉપયોગ કરતી હોય તો તે સ્ત્રીઓ છે. પત્નીની ભક્તિ કદાચ ફળે તો તેમને પણ સુખ મળવાનું જ છે. અને ભક્તિ ન ફળે તો ય ઘરમાં તેમની ગેરહાજરીની શાંતિ તો છે! એમ સમજીને કોઈ પણ ડાહ્યા પતિદેવો તેમને તેમ કરતાં રોકતા નથી. લાંબા લગ્ન જીવનનું રહસ્ય એ છે કે બન્ને જણે દિવસના અમુક કલાક છૂટાં રહેવું જોઈએ. શરૂઆતનાં વરસો એકમેકની સાથે ચોવીસ કલાક નિકટ રહ્યાં હોય છે. એટલે જ પાછલાં વરસોમાં થોડા છૂટાં રહેવાનું ગમે છે. અને એ ભગવાનની આ એક્ટિવિટીને કારણે જ શક્ય છે.
હવે બધાં મંદિરો જ ન હોય તો દેશની ઈકોનોમી પડી ભાંગે. ભારતનું આખું અર્થતંત્ર મંદિરો પર નિર્ભર છે. કાલે ઊઠીને કોઈ ડિક્ટેટર કે જે ભગવાનમાં ન માનતો હોય તેના હાથમાં સત્તા આવે અને કહે કે ‘બધાં મંદિરો દૂર કરો.’(એકલાં મંદિરો જ નહીં, પણ બધાં જ ધર્મના ધાર્મિક સ્થળો) તો અડધો દેશ બેકાર થઈ જાય. લાખો પૂજારીઓ અને કરોડો ભક્તો જાય કયાં? મંદિર એટલે ઈંટ ચૂનાનું બિલ્ડીંગ જ નહીં, પણ તેને લીધે તૈયાર થતાં બીજા સેંકડો ધંધાઓ પણ ગણવાના.
વરસો પહેલાં અમે મોટા અંબાજી ગયા હતા અમદાવાદથી ત્યારે બે ટાઈમ બસ ઉપડતી હતી. અને રહેવા માટે માંડ પાંચ ધર્મશાળાઓ હતી. આજે ત્યાં મોટું શહેર વસી ગયું છે. ફાઈવ સ્ટાર હોટલો છે. મોટો હાઈ વે પણ બન્યો છે. નાનકડું મંદિર આજે મોટો મહેલ થઈ ગયું છે. આ બધું માતાજીના નામ પર થયું છે. અને એનો લાભ કોને મળ્યો ? માતાજીને ? ના એ પૈસા લોકોના જ ખીસ્સામાં આવ્યા. આમ લોકોની માતાજીમાં શ્રદ્ધાને કારણે થયું છે.
અમે વિજ્ઞાન અને કલાના પારણાં સમાન ઈટાલી ગયા હતા. અમારે જિસસ જોડે આમ જોઈએ તો કાંઈ લેવા દેવા નહીં. પરંતુ ક્રિશ્ચિયનોનું વેટિકન સીટી જોવા ગયા. ત્યાં સેન્ટ પિટર્સ બેસેલિકામાં સેન્ટ પિટર્સનું બ્રોન્ઝનું સ્ટેચ્યુ છે. તેના હાથમા સ્વર્ગની ચાવી લટકે છે. રોજના હજારો લોકો તે સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરવા લાઈનોમાં ઊભા રહે છે. મારા પત્નીએ મને કહ્યું કે, ‘આપણે પણ લાઈનમાં ઊભા રહીએ.’ મેં કહ્યું કે, ‘પહેલે નંબર સેન્ટ પિટર્સ મને ઓળખે પણ નહીં. અને ભૂલે ચૂકે મને સ્વર્ગમાં જવા દે તો શું આ અજાણ્યા લોકો જોડે ત્યાં રહેવાનું ? રામભક્તોની લાઈનમાં ન ઊભો રહું !’ જે હોય તે પણ અમે ત્યાં સો, બસો ડોલર ખર્ચી આવ્યા.
ત્યાં તેના પરિસરની બહાર ડઝનબંધી ટુરિસ્ટની બસો ઊભી હતી. અને ત્યાંની અસંખ્ય રેસ્ટોરાં માનવ મહેરામણના પૈસા ભેગા કરતી હતી. અને વેટિકનની ઈકોનોમી સુધારતી હતી. વેટિકનની બીજી તો કોઈ ઇન્કમ જ નથી. લોકો આ સ્વર્ગની ચાવીના ચક્કરમાં જ વેટિકનનું ચક્કર ફરતું રાખે છે. હવે સવાલ એ થાય કે એને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા ? આ લોકો આગળ હું ગેલેલિયો કે વિન્ચીની વાતો કરું તો કોઈ મને સાંભળે ખરા? ગાલિબ કહે છે તેમ સ્વર્ગ છે કે નહીં તે અગત્યનું નથી; પરંતુ તેના અસ્તિત્વનો વિચાર જ આ જગત માટે પુરતો છે. અને એ વિચાર જગતમાં લોકોને નીતિમય જીવન જીવવા પ્રેરે છે. (નીતિમય જીવન જીવવું કે નહીં તે વાતનો આધાર વ્યક્તિ પર નિર્ભર છે.) જગતના દરેક ધર્મમાં આ જ વિચાર પ્રવર્તે છે. મરણ પછી સ્વર્ગમાં જવું છે. અને સ્વર્ગમાં જવા સારા કૃત્યો કરવા જરૂરી છે. એટલે હજુ લોકોમાં કાંઈક માનવતા છે. દુનિયામાં ભગવાન છે કે નહીં તે જાણવું હોય તો કોઈ પણ હોસ્પિટલની મુલાકાત લો. પલંગે પલંગે ભક્તો ભગવાનનું રટણ કરે છે. જો ભગવાનનો વિચાર જ ન હોય તો દર્દીઓ શું બોલિવુડના હીરોનું નામ લેશે? દુ:ખમાં તેમની ઇશ્વરમાં શ્રદ્ધા જ રાહત આપે છે. કોઈ અપંગ બાળકના માતા પિતાને સમજાવી જો જો કે ભગવાન જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં.
સવાલ ઈકોનોમીનો છે. પછી તેને શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા. આપણી ઈકોનોમીમાં લોકો પોતાનું સોનું શિરડીમાં ચઢાવે છે. ત્યાં હજારો કિલોગ્રામ સોનું છે. તે આપણું જ છે. બીજા ધંધાઓ કરનારા પણ સોનું કમાય છે. વકિલો, ડૉક્ટરો, શિક્ષણ સંસ્થાઓ, સ્ટોક અને શેર બજારવાળા અને ખાસ તો પોલિટીશિયનો ક્યાં લોકોને નથી લૂંટતાં? અને તે લૂંટ સ્વિસ બેંકોમાં જમા કરાવાય છે. દરેક ધંધાઓ કરતાં મંદિરના ધંધા દેશની બેકારી દૂર કરવામાં મદદ કરે છે. અરે! બુટ ચંપલ સાચવવાનો પણ ધંધો તેને લીધે ખિલ્યો છે. અને એમાં મંદી તો હોય જ નહીં. કથાકારોનો પણ જબરદસ્ત ફાળો છે. કથા કાંઈ એમને એમ નથી થતી. એક કથા પાછળ લાખોનો ધુમાડો થાય છે. તે ધુમાડો લોકોના શ્વાસમાં જ જાય છે ને ! દેશમાં ક્રિકેટના કે કોલસાના કે મિલીટરીના કોંટ્રાકટોમાં કેટલા કરોડો ખવાય છે. તો એક કથાકાર કથા કરીને કમાય તેમાં શું ખોટું છે? કેટલીય ટીવી ચેનલોને આજે આ કથાકારો પોષે છે! કેટલાય પુસ્તક પ્રકાશનો ધાર્મિક પુસ્તકો છાપીને જીવંત રહે છે. કવિતાનાં પુસ્તકોથી તો બિચારો કવિ પણ નથી કમાતો.
ટૂંકમાં લોકોનો ઈશ્વરમાં અને સ્વર્ગમાં વિશ્વાસ એમનું જીવન સરળ બનાવી દે છે. અને એ ન હોય તો માનવ જીવનમાં મોટું વેક્યુમ સર્જાય. તે પુરવા માટે પોલિટીશિયનો અને બીજા ધંધાધારીઓ ઘુસી જાય. તેના કરતાં ભગવાન સારા. એકની એક માન્યતા, કોઈની શ્રદ્ધા અને તો કોઈની અંધશ્રદ્ધા પણ બની શકે છે. પરંતુ એક વાત સાચી છે કે તે દેશની ઈકોનોમી ટકાવવામાં એ માન્યતા ભાગ ભજવે છે. પછી તમે કે હું ભગવાનમાં માનીએ કે ન માનીએ તેથી આ હકીકત બદલાતી નથી.
ગાલિબ સાહેબની વાત સોએ સો ટકા સાચી છે કે જન્નત નથી. એ બધાંને ખબર છે. પણ જન્નતનો ખ્યાલ જગતને દોડતું રાખે છે.
હરનિશ જાની
[4th July 2014]
4, Pleasant drive, Yardville, NJ 08620. USA
e.mail. harnishjani5@gmail.com
સાભાર – સૌજન્ય
Category :- Opinion Online / Opinion

એ તો એમ જ ચાલે !

 

એ તો એમ જ ચાલે !

Image
– હરનિશ જાની
અમેરિકામાં મોટર કાર જમણી બાજુ દોડે છે. ભારતમાં બધી બાજુ દોડે છે. ડાબી બાજુ દોડતાં વાહનોની સામે પણ ટ્રાફિક આવતો હોય છે જેની કોઈને નવાઈ નથી. કાયદેસર દોડતાં વાહનોને સામેનાં વાહનોની કાયમ અપેક્ષા હોય છે. ઈન્ડિયામાં બધે –બધાં જ ક્ષેત્રોમાં–આમ જ બનતું હોય છે. ફોરેનરને હમ્મેશાં આપણે ત્યાં દોડતાં વાહનોને જોઈને અચરજ થાય છે કે બે વાહનો અથડાતા કેમ નથી ! મને કહેતાં ગૌરવ થાય છે કે મારી પચાસ દિવસની ગુજરાતની મુસાફરીમાં મેં પાંચ શહેરોનો ટ્રાફિક જોયો છે. દરરોજ કારમાં બેઠો છું; પરંતુ મોટો અકસ્માત એકે જોયો નથી. એકવાર મારા મિત્રની કાર બીજાની કાર સાથે હુંસાતુંસીમાં ઘસડાઈ હતી. બન્નેમાંથી કોઈ ઊભું રહ્યું નહોતું; કારણ કે બન્ને કાર હાલીચાલી શકતી હતી. બન્ને પાસે વાદ–વિવાદનો સમય નહોતો. અને મોટો અકસ્માત થાય તોય શું ? જો આપણે જીવતા હોઈએ તો ભૂલ કબૂલવાની નહીં. ભૂલ હમ્મેશાં સામાવાળાની જ હોય છે. એ વાતની બન્ને ડ્રાઈવરોને ખબર હોય છે, પોલીસને પણ ખબર હોય છે.

આપણે ધ્યાનથી જોઈએ તો આ ટ્રાફિક આખા દેશના સંચલનનું નાનું મોડેલ છે. જો ઈન્ડિયાનું રાજતંત્ર સમજવું હોય તો ટ્રાફિકને બરાબર સમજવાનો. દેશનાં બધાં જ ક્ષેત્રમાં બને છે તેમ, એકાદ ગાંધી ભક્ત કાયદાનું પાલન કરવા જાય છે ત્યારે તે આખી સિસ્ટમને અપસેટ કરી નાખે છે અને ઍક્સિડન્ટ ઊભો કરે છે. તેમ અહીં જો ઍક્સિડન્ટ કરવો હોય તો જ બીજાનો વિચાર કરી કાયદેસર કાર ચલાવવી. આગલી સીટ પર બેસીને મેં જે જોયું છે. તે એ કે સરસ અને સરળ રીતે કાર કે મોટર સાયકલ ચલાવવી હોય તો બીજાની ચિંતા છોડી દેવાની. આપણે કાંઈ આદર્શ નાગરિક બનવા નથી નીકળ્યા. ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં ઘુસી જવાનું અને તમારાથી નબળાને દબાવવાનો. નબળાનો અર્થ તમારાથી નાના વાહનને. અને મોટું વાહન હોય છતાં સ્પીડમાં ન જતું હોય તેને. જો સર્કલ પર હો તો –જો ડર ગયા વો મર ગયા–ના નિયમ મુજબ આગળ વધ્યે જાઓ. બાજુમાંથી ભલેને મોટું વાહન આવતું હોય ! એને ક્યાં જલદી જવાની ઉતાવળ છે ? એને તમારા વાહન જોડે અથડાવાનું ન પોષાય. એટલે એ વાહન ઊભું રહેશે અને તમને જવા દેશે. જો તમે સ્કૂટર પર હો તો એક પગ ઘસડતાં ઘસડતાં જતા રહેવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણે આગળ વધીએ છીએ કે નહીં ! લાકડી લઈને પોલીસ ઊભો હોય ને લાકડી ઊંચી રાખી હોય તો તેના હાથ નીચેથી નીકળી જવાનું. એણે લાકડી આપણને મારવા માટે નથી રાખી; પરંતુ જો ગાયો એ સર્કલમાં આવી જાય તો પ્રેમથી એને રસ્તાની કોરે મૂકી દેવા માટે છે. પોલીસની બીજી જવાબદારી પણ છે, આપણી કોર્ટોનો બોજો હલકો કરવાનો. એ માટે ટ્રાફિક વાયોલેશનના કેસોનો ત્યાં જ ફેંસલો આપી દેવાનો. પેલા વાહનચાલકને કાયદાભંગ માટે ત્યાંને ત્યાં દંડ કરવાનો અને દંડ વસૂલ કરી લેવાનો. આપણી કોર્ટોમાં પંદરપંદર–વીસવીસ વરસના કેસ પડ્યા છે. આ ટ્રાફિકના મામુલી કેસનો તેમાં ઉમેરો કરીને દેશના ન્યાયતંત્રનો બોજો નહીં વધારવાનો. આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે. ‘સરવાઈવલ ઓફ ધ ફિટેસ્ટ.’ મોટું પ્રાણી નાના પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટરસાયકલ પરના જ્હોન અબ્રાહમને જવા દેવાના. તેઓ આલ્ટો, નેનોની તો દરકાર પણ નહીં કરે ! દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઊતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્સાવાળાઓ આવે અને છેલ્લે માથા પર ઓઢણી લપેટેલી–બુકાનીવાળી – સ્કૂટરસવાર કૉલેજ કન્યાઓ. આપણે જો ધ્યાનથી જોઈએ તો આ કન્યાઓની ઓઢણીની જુદી જુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે છોકરીઓ પોલીસ માટે એ દુપટ્ટાને માથાની હેલ્મેટમાં ખપાવતી હશે. અને પોલીસ એનો વાંધો ન લેતી હોય કારણ કે એકસીડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો જ તરત કામ લાગેને ! મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલીસ એને રોકે કે ના રોકે ? આપણો ટ્રાફિક તો જાણે યુદ્ધમાં આગળ વધતી સેના ! જમણી બાજુ ઐરાવત, પછી અશ્વો, પછી પાયદળ. આ સ્કૂટરસવાર કન્યાઓ તે પાયદળ ! ટોયોટા, હોન્ડા બધા રથ ! આ લશ્કરની સૌથી મોટી ખૂબી એ છે કે તેમણે અંદરોઅંદર લડવાનું હોય છે.

હવે આખા દેશમાં આ જ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. સ્કૂલ–કૉલેજમાં એડમિશન લેવું છે, માર્કસ ઓછા છે; તો ગભરાવાનું નહીં. કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું. નહીં તો ડોનેશન પકડાવો. એ જ આદર્શ વસ્તુ છે. તમારે ગેરકાયદેસર રાઈટ ટર્ન મારવો છે, તો મોટા વાહનની ઓથે ભરાઈ જાઓ. જોઈએ તો પોલીસને માગે તેનાથી અડધું ડોનેશન આપી દેવાનું. પરદેશની જેમ જો આપણે રેડ લાઈટને માન આપીએ તો ટ્રાફિક કેટલો બધો વધી જાય ! પછી આપણા ટ્ર્રાફિક પોલીસોની નોકરીનું શું ? તમારે મકાન બનાવવું છે, બનાવી દો ! મરજી પ્રમાણે માળ બનાવો, જેટલી જમીન દબાવવી હોય તેટલી દબાવો. ત્યાં પણ ટ્રાફિક પોલીસો જેવા સરકારી કર્મચારીઓ છે. અને એમને પણ ખબર છે કે ડોનેશન કેવી રીતે લેવાનું. આમ કોઈ બનેલું બિલ્ડિંગ તોડે ખરું ? એ તો એમ જ ચાલે ! ભારતમાં વરસોથી ચાલી આવતી કંઈ કેટલીય ગેરકાયદેસર કાર્યપદ્ધતિઓ છે જે હજીયે ચાલુ છે. તમારે મકાન ખરીદવંી છે. તો બ્લેકના પૈસા આપો. હવે આ બ્લેક–સત્ય દેશનો દરેક નાગરિક અને સરકારી કર્મચારી જાણે છે. મોટર બાઈક પર વગર હેલ્મેટે છ જણથી ન બેસાય એ પણ બધા જાણે છે. એટલે મઝા એ છે કે હવે આપણને શું કાયદેસર અને શું ગેરકાયદેસર એનું જ્ઞાન જ નથી. આપણે ત્યાં ગેરકાયદેસર રીતો જ કાયદેસર બની ગઈ છે. એ તો એમ જ ચાલે !

તમને કાર આવડે કે ન આવડે લાયસન્સ મળી જાય. જો તમને એરોપ્લેનમાં બેસતા ચક્કર ન ચઢતા હોય તો પછી પાયલોટનું લાયસન્સ જ કઢાવી લેવાનું. થોડું ડોનેશન કરવું પડે મારા ભાઈ ! પછી દુનિયાકી સેર કર લો. તમારે આઈસ્ક્રીમ ખાવો છે. બીજાની ચિંતા કર્યા સિવાય તમારી કાર આઈસ્ક્રીમ પાર્લર પાસે ઊભી કરી દો. બીજા વાહનો તમારી આજુબાજુથી જશે. અને હોર્ન શેને માટે આપ્યા છે ? એ લોકો હોર્ન વગાડશે. આમ તો તેઓને હોર્નની ટેવ હોય છે જ. હું માનું છું કે હોર્ન તો વગાડવા જ જોઈએ. એથી ડ્રાઈવરનો સ્ટ્રેસ દૂર થાય છે. જો હોર્ન ન હોય તો બધાએ ગાળાગાળી કરવી પડે અને એ પછી મારામારીનું સ્વરૂપ પકડે. તો પછી ટ્રાફિક પોલીસનું કામ વધી જાય. યુરોપ અને અમેરિકામાં કોઈ હોર્ન નથી વગાડતું. એને જ કારણે મને લાગે છે કે અમેરિકાના મોટા શહેરોમાં ડ્રાઈવરો વચ્ચે ગોળીબારના બનાવો બને છે. જ્યારે આપણે ત્યાં હોર્ન વગાડવાના કારણે કોઈ મર્યું નથી. મને તો લાગતું કે ડ્રાઈવરો આ હોર્ન દ્વારા એક મેક સાથે વાતો કરે છે, મીઠો મધુર સંવાદ કરે છે. ‘‘એ ડોબા, જલદી ચલાવ’’, ‘‘પેલો તારો કાકો હટે તો ને !’’, ‘‘એ ઓટોવાળા, અહીં ક્યાં ભરાય છે ?’’, ‘‘સાલો અભણ દેશ છે. આ મોટરબાઈકવાળો એના બાપનો રસ્તો સમજે છે’’, ‘‘મારી બાઈક આ બે કાર વચ્ચેથી લઈ લઉં. સાલી લેડિઝ ડ્રાઈવરો’’, ‘‘આ બાયલો ધીમો ધીમો કેમ જાય છે ?’’, ‘‘ઓ ભાઈ, હું નવો ડ્રાઈવર છું. મારાથી બચો.’’ હવે આવી વાતો એકમેક જોડે કરવી પડે તો ? આપણે ત્યાં પણ ધારિયાં ઊછળે ! એના કરતાં હોર્ન વગાડવા સારા.

કોણ કહે છે કે આપણે ગાંધી બાપુને ભૂલી ગયા છીએ ? તેમની જેમ આપણે પણ સવિનય કાયદાભંગમાં ચુસ્ત રીતે માનીએ છીએ. આ ટ્રાફિકના કંઈ કેટકેટલાય કાયદા બન્યા હશે ! જમણી બાજુ વાહન નહીં ચલાવવાનું; છતાં કાયદાનો ભંગ કરો. ‘એ તો ચાલે’. સીટ બેલ્ટ બાંધવો જોઈએ; પણ કાયદા કી ઐસીકી તૈસી. ‘એ તો ચાલે.’ તમે રેલવે ફાટક પરનો ટ્રાફિક તો જોયો જ હશે. કોઈ ફોરેનર જુએ તો એને ચિંતા થાય કે ફાટક ખૂલશે તો બન્ને બાજુ પરનાં સૈન્યો સામ સામે આવી જશે તો ટ્રાફિક કેવી રીતે આગળ વધશે ? કોણ પકડવાનું છે ? અને આ વાત બધાં જ ક્ષેત્રમાં છે. અને એક રીતે જોઈએ તો તેમ ચાલે પણ છે.

સદીઓથી ગુલામ રહેલી આપણી પ્રજાને ખબર જ નથી કે આઝાદીનો અર્થ જવાબદારી છે, ફરજભાન છે. આમાં હૉસ્પિટલો, સ્કૂલો, અરે, આર્મી સુધ્ધાં આ ગેરકાયદેસર–કાયદેસર વાતોમાં ફસાયું છે ! વીસ–ત્રીસ વરસથી આર્મીનાં જાતજાતનાં કૌભાંડો બહાર આવે છે ! એ દેશ માટે અશુભ છે. તકલાદી શસ્ત્રોથી આપણું સૈન્ય સજ્જ છે. હવે આ વાતની મારા જેવા ડોબાને પણ ખબર છે તો તમે માનો છો કે ચીનને ખબર નહીં હોય ?

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

લખ્યા તારીખ : April 15th 2012
Harnish Jani
4, Pleasant Drive, Yardville. NJ 08620-USA
Email – harnishjani5@gmail.com Phone-809-585-0861

એક બંગલા બને ન્યારા

વિશ્વભરના ગુજરાતી સાહિત્ય રસિક વાચકો માટે હાસ્ય લેખક શ્રી હરનિશ જાનીનું નામ અજાણ્યું નથી…તો મિત્રની પ્રસાદીમાં વાંચો એમનો અર્થ સભર હાસ્ય લેખ….
એક બંગલા બને ન્યારા

Image
હરનિશ જાની.

મિસ્ટર નોબેલની મોટામાં મોટી ભૂલ એ થઇ કે નવી શોધો માટે પ્રાઇઝ આપવા માટે સાયન્સ,લિટરેચર.ઇકોનોમિક્સ, મેથેમેટિકસ જેવા વિષયો સુઝ્યા. અરે ! તેમને વિશ્વશાંતિ માટે પણ ઇનામ સુઝ્યું. પરંતુ ધર્મનો વિષય ન સુઝયો. દર વરસે જો ધર્મ ક્ષેત્રમાં નવી શોધખોળનું ઇનામ આપવાનું હોત તો આપણો દેશ-આપણો ધર્મ કોઇને જીતવા ન દે.છેલ્લા દસ વરસમાં આપણે ઘણું બધું શોધ્યું છે. તેમાં એક છે “વાસ્તુ શાસ્ત્ર”.જે નોબેલ પ્રાઇઝને કાબિલ છે.

આ વાસ્તુ શાસ્ત્ર શું બલા છે? મારા ખ્યાલથી ૧૯૯૦ પછી જન્મેલા લોકો તો એમ માનતા હશે કે આ પણ ઋષિમુનીઓનો ખેલ હશે. આશ્રમોમાં રહેતા ઋષિમુનીઓએ આ વાસ્તુ શાસ્ત્ર શોધી કાઢ્યું હશે.અને તેમણે તેમના આશ્રમોની ઝુંપડીઓ વસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધી હશે.જેથી ચોમાસામાં છાપરું ન ગળે.બારીઓ એવી રાખી હશે કે પ્રભૂનું ધ્યાન ધરતાં ધરતાં ય પાડોશીને ત્યાં શું થઇ રહ્યું છે તે દેખાય.આમાં વાત એમ છે કે આ વાસ્તુશાસ્ત્ર છેલ્લા આઠ દસ વરસથી જ પ્રસિદ્ધિ પામ્યું છે. એટલે આજથી પંદર વીસ વરસ પહેલાં જન્મેલાને તો એમ કે આ શાસ્ત્ર યુગોથી અસ્તિત્વમાં છે. આ દુખી પણ મૂર્ખ પ્રજા ચમત્કારો પાછળ દોડે છે-આ ચમત્કારો માટે તો કેટલા ય શાસ્ત્રો હતા.તેમને આ નવા શાસ્ત્રની જરુર નહોતી. પરંતુ આ નવી પેઢીને માટે નોબેલ પ્રાઇઝને લાયક એક નવું શાસ્ત્ર ઉમેરાયું.આ શાસ્ત્ર ગરીબો માટે નહીં પણ આ તો ઘરો બંધાવી શકે એવા પૈસાદારોને ઉલ્લુ બનાવવાનું “શસ્ત્ર”. આમ જુઓ તો શાસ્ત્ર નહીં પણ શસ્ત્ર જ ગણાય.મારા હિસાબે એનો પ્રચાર કરનારા પણ ખૂબ બ્રિલીયન્ટ ગણાય.અને એ લોકોને તો નોબેલ પ્રાઇઝ મળવું જ જોઇએ-જો એવું કોઇ પ્રાઇઝ હોય તો-બાકી જે વ્યક્તિ ઘર બનાવી શકવા શક્તિમાન હોય તે બુધ્ધિશાળી તો કહેવાય જ અને એને આ શાસ્ત્ર મગજમાં ઠસાવવુ.એ કોઇ ઓર્ડીનરી માણસનું કામ નહીં.અને આમ થવાથી હજારો જોષીઓને રોજી રોટી ઉપરાંત મોટર ગાડી પણ મળી. આ લોકોએ ધર્મમાં લોભ લાલચ સાથે ભય પણ ઘુસાડ્યો છે. આમ નહીં કરો તો ભગવાન તમને ધૂળ ચાટતા કરી દેશે. તેમ નહીં કરો તો તમારું બાળક મરી જશે. આપણને થાય કે આ તો ગૉડ છે કે ગૉડફાધર ! એવો તો કેવો જગત પિતા કે જે બાળકનું રક્ષણ ન કરતાં એનું નખ્ખોદ કાઢી નાખે. જો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર ન બાંધ્યું હોય તો ધંધામાં ખોટ જાય. શરીરમાં રોગો ઘુસે.લગ્ન જીવનમાં અશાંતિ પેદા થાય.સારું છે કે આવી વાતો

પુરવાર નથી થઇ.નહીં તો એવો કાયદો નિકળત કે અમદાવાદના જે ઘરો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ન બાંધ્યા હોય એને તોડી નાખવાના. અને એમ થાય તો અમદાવાદની બધી પોળોમાં બુલ ડૉઝરો મકાનોને ધરાશાયી કરતી હોત. મારા દાદાએ જ્યારે ઘર બાંધ્યું હશે ત્યારે જે પ્લોટ મળ્યો , તેમાં એક લાઇનમાં બીજા ઘરો સાથે બાંધી દીધું હશે. પ્રકાશ જ્યાંથી આવતો હશે ત્યાં બારીઓ અને મેઇન રોડ તરફ ઘરમાં પ્રવેશવા માટેનું બારણું. આથી વિશેષ કોઇ વાસ્તુ નહીં.પૂર્વ દિશામાં દરેક ઘરનું પ્રવેશદ્વાર હોય એ ઇચ્છનિય છે.પરંતુ દરેક ઘરના પ્લોટ એ પ્રમાણે નથી હોતા.એટલે લોકો પૂર્વ દિશામાં દ્વાર નહીં તો બારીઓ રાખશે.મારી બાને વાસ્તુશાસ્ત્ર ખબર નહોતી છતાં કહેતી કે “બારી બારણાં ખૂલ્લા રાખો તો તડકો ઘરમાં આવે.” એ વાસ્તુ શાસ્ત્ર જોવા નહોતી ગઇ.એક વાત ચોક્કસ છે.સામાન્ય બુધ્ધિવાળા સામાન્ય લોકોને વાસ્તુશાસ્ત્રની જરૂર નથી.

આપણે ત્યાંથી થોડા દોરાધાગાવાળા અમેરિકામાં પણ આવી ગયા છે.એટલે તેમની પાછળ વાસ્તુશાસ્ત્રોવાળા આવી ગયા.અને અમેરિકાના લોભી-લાલચી લોકોને ભડકાવે છે .એમાં જોષીઓનો વાંક નથી તેમને તો આવા મુરખ પૈસાવાળાઓની જરૂર જ હતી.બાકી સામાન્ય બુધ્ધિ હોય તો વાસ્તુશાસ્ત્રની જરૂર જ નથી.અમેરિકામાં ઘરમાં બે સોફા એકમેકની સામે નથી ગોઠવાતા.જો તેમ ગોઠવે તો બે સોફામાં બેઠેલા એકમેક સામે જોયા કરે અને તે યોગ્ય બેઠક નથી પરંતુ બે સોફા કાટખૂણે “ L” આકારમાં ગોઠવાય છે.જેથી બન્ને સોફા પર બેઠેલાઓ બીજી દિશામાં જોઇ શકે. આવી સામાન્ય બુધ્ધિની વાતમાં વાસ્તુશાસ્ત્રની જરૂર જ શું છે?

અમેરિકામાં અમારા એક મિત્ર કોઇ વાસ્તુ શાસ્ત્રવાળી બાઇ (ટીવી પર એમનો રોજ પ્રોગ્રામા આવે છે) પાસેથી ઘર વિષે વાતો શિખી લાવ્યા છે.તેમણે મને અને મારા પત્નીને પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર ગોઠવી અને ધંધામાં કેવી રીતે કમાયા તે સમજાવ્યું.હવે તે પણ ગ્નાની થઇ ગયા.તેમણે કહ્યું કે આ લેમ્પ ખૂણામાં અગ્નિ દિશામાં ન મુકતાં રુમની વચ્ચે ગોઠવો.તમે આગલા દરવાજેથી ઘરમાં ન પ્રવેશો.ઘરનો પાછળનો પૂર્વ દિશાનો દરવાજો વાપરો.અને ઉત્તર દિશામાં બીજી બે બારીઓ બનાવો.નહાવાનો બાથરુમ ઉપરના માળે લઇ જાઓ.તો લક્ષ્મીજી તમારે ત્યાં આવશે. પત્નીને એમની વાતો ગમી.અને મેં વિરોધ કર્યો.કે વચ્ચે લેમ્પ ગોઠવીએ તો આવતા જતાં અથડાયા કરીએ,લેમ્પ તો ખૂણામાં જ્યાં અંધારું હોય ત્યાં જ જોઇએ ને ! પાછલા બારણેથી પ્રવેશવા વાડને કુદીને આવવું પડે અથવા તો તેમાં છીંડું પાડીને આવવું પડે.અને નીચેનો બાથરુમ છો રહ્યો, લક્ષમીજીને કયાં ન્હાવું છે? અને નહાવું હશે તો, જો બાથરુમ નીચે હશે તો સહેલુ પડશે.ઉપલા માળાના બાથરુમમાં પાણી લિક થયું તો? મારા પત્ની એમની વાતોમાં આવી ગયા.એમણે મને લેક્ચર આપ્યું કે દુનિયા આખી પૈસાદાર થઇ ગઇ અને આપણે હજુ સુધી કેમ ગરીબ રહ્યા છીએ?અને થયો ઉગ્ર સંવાદ.પેલા મિત્ર ત્યાં જ બેઠા હતા.બોલ્યા,”જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું આ ઘર બંધાયું હોત તો આવા ઝગડા કદી ન થાત”

આ વાસ્તુશાસ્ત્રની શોધ એટલે સંતોષી માની શોધ .આ સંતોષી મા પણ નોબેલ પ્રાઇઝ મેળવવાને યોગ્ય છે. મને યાદ છે,૧૯૫૫ માં જયારે હું નવમા ધોરણમાં હાઇસ્કુલમાં હતો ત્યારે મારા ભાનુકાકી મારી બાને સંતોષી માનું વ્રત સમજાવવા આવ્યા હતા.કે શુક્રવારે આખો દિવસ ભૂખ્યા રહેવાનું અને સાંજે ચણા અને ગોળ ખાવાના.મારી બા એ પૂછ્યું-કે “શાસ્ત્રોમાં તો નવ દૂર્ગાનું મહત્વ સમજાવ્યું છે.અને આ નવા માતા કયાંથી આવ્યા?” ભાનુકાકી બોલ્યા,”વડોદરેથી આવ્યા. –“મારી બહેન ભીખીનો કાગળ છે.કે અહીં વડોદરામાં જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમની ઇચ્છાઓ સફળ થાય છે.” મારી બા એમ સહેલાયથી માને એવી નહોતી. તે બોલી,”તો પછી આ નવ માતાઓ ઇચ્છા પુરી નથી કરતી? અંબા માતા તો મારા બધાં કામ કરે છે.તો તેમને છોડીને સંતોષી મા પાછળ કેમ દોડું?” ભાનુ કાકી કહે કે “મારી ભીખી ખોટું ન બોલે.હું તો શુક્રવાર ચાલુ કરી દઇશ. વડોદરાના લોકો કરે છે તો પછી આપણને શો વાંધો?” મારી બા કહે કે “ દેવી પુરાણમાં સંતોષી માનું નામ કદી વાંચ્યું નથી.હું અંબાજીને છોડીને તારી સંતોષી મા પાછળ દોડું તો અંબા માતાને ખોટું લાગે.” મારી બા નાસ્તિક નહોતી પણ સામાન્ય બુધ્ધિ ચલાવતી.તે જીવનભર અંબા માતાને છોડીને સંતોષીમા પાછળ દોડી નથી. તેમનો ફોટો સુધ્ધાં પોતાના ભગવાનોના ફોટાની ગેલેરીમાં નથી રાખ્યો. તેમાં સંતોષીમાનું નસીબ સારું તે કોઇકે એમના નામની ફિલ્મ બનાવી અને ખૂબ ચાલી.પ્રોડ્યુસરો કમાઇ ગયા.થિયેટરવાળાઓએ તો બહાર મંદિરો બનાવ્યા અને ફિલમ તો ફિલમ ,આરતીમાં પણ કમાઇ ગયા.પછી તો સંતોષીમા જામી ગયા. ફિલ્મ ચાલી અને એમનો પ્રભાવ પણ ચાલ્યો. અને આ પ્રભાવ સદીઓ સુધી ચાલશે.

આ બ્રિલીયન્ટ માણસો નોબેલ પ્રાઇઝ દર વરસે જીતી શકે અને માનવજાતના કલ્યાણના કાર્યો પણ કરી શકે. અમેરિકામાં બેઠાં બેઠાં સાંભળ્યું છે કે દર
અમાસે ગુજરાતીઓ, કાલસર્પ યોગથી બચવા નર્મદા કિનારે વસેલા ચાંદોદ-કરનાળીના શંકર ભગવાનના દર્શને હજારોની સંખ્યામાં દોડે છે.હવે આ કાલસર્પ યોગની શાંતિપૂજા પણ નોબેલ પ્રાઇઝની અધિકારી બની શકે. આવી પૂજાઓ કરવાથી મૃત્યુ ન આવે એનાથી માનવજાત માટે વધુ રૂડું શું? હવે જાત્રા ધામ તો બની ગયું પણ વાહન વ્યવહારને પહોંચી વળવા રસ્તાઓ તો જુના જ છે. સેંકડોની સંખ્યામાં વાહનો દોડે છે.એટલે જેમાં કેટલા ય ભક્તો વાહનોના એક્સિડન્ટોમાં માર્યા જાય છે.કાળથી બચવા ભગવાનને શરણે પહોંચે તે પહેલાં તે કાળને શરણ પહોંચે છે અને ભગવાન જોતા રહી જાય છે. ઘેર બેઠા હોત તો કદાચ બચી ગયા હોત.પણ પાછા એ જ લોકો કહેશે-“ભઇ ,મોત જ જો નસિબમાં હોય તો ઘરમાં પણ આવે.” ચાલો, બીજું કાંઇ નહીં તો એ બહાને રસ્તાઓ તો નવા બનશે!

આપણે તો આ મામુલી વાતો ગુજરાતની જ કરીએ છીએ.આખા ભારત વર્ષમાં તો કેટલા ય નવા શાસ્ત્રો અને પેટાધર્મો ભક્તોના પ્રતાપે ભગવાન માટે રોજ સર્જાતા હોય છે. આ બધાં નવા શાસ્ત્રો નોબેલ પ્રાઇઝને લાયક ઠરે -જો મિસ્ટર નોબેલને નોબેલ પ્રાઇઝ માટેધર્મનો વિષય સુઝયો હોત તો !

Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
Date-13th March 2011.
Harnish Jani.
4,Plesant Drive
Yardville, NJ 08620
E Mail –harnish5@yahoo.com
Phone-609-585-0861.

મેરે પિયા ચલે પરદેશ

મેરે પિયા ચલે પરદેશ

Image
હરનિશ જાની
મારી પત્નીએ જયારે પ્રસ્તાવ મુકયો કે આ વરસે વેકેશનમાં એવા દેશમાં જવું છે કે જેના સંબંધો અમેરિકા સાથે ફ્રેન્ડલી હોય. તો મારે કહેવું પડયું કે તો પછી ફલોરિડા જઇએ.ત્યાં જ આપણને ફ્રેન્ડલી આવકાર મળવાની શક્યતા છે. જો યુરોપ અને મિડલ ઇસ્ટમાં જવું હોય તો અમેરિકન પાસપોર્ટ કરતાં તારી સાડી વધુ કામ લાગશે.અમારા ઘરમાં દર વરસે વેકેશનમાં કયાં જવું એની ચર્ચા થાય છે.છેવટે કાંઇ ન સુઝે તો સારે જહાંસે અચ્છામાં પહોંચી જઇએ છીએ. પરંતુ ઇન્ડિયા જવુંએ વેકેશન નથી .એડવેન્ચર છે.જયાં શું કરવું એના કરતાં ,શું ન કરવું અનું લિસ્ટ લાંબુ હોય છે.હું કહું છું કે ઇન્ડિયા જઇએ છીએ ત્યારે બે વખતે આનંદ આવે છે.જયારે પ્લેઇન લેન્ડ થાય છે ત્યારે અને જયારે પ્લેઇન ટેક અૅાફ લે છે ત્યારે.ઘણી વખતે વેકેશનમાં એટલા થાકી જઇએ છીએ કે ઘેર આવીને વરસ આરામ કરવો પડે છે.
અમદાવાદમાં બે સ્થળો વચ્ચેનું અંતર પૈસામાં દર્શાવાય છે.…તમારે અમારે ત્યાં આવવું હોય તો તમારે ત્યાંથી પચાસ રૂપિયાની રીક્ષા પડશે….જયારે અમેરિકામાં અંતર સમયમાં ગણાય છે. …તમારાથી અમે એક કલાક દૂર છીએ….મઝાની વાત એ છે કે કોઇને અંતર કેટલા કીલો મિટર નું છે એની ખબર નથી. પરદેશ જવા માટે પ્લેઇનની મુસાફરીમાં તો પૈસા અને સમય બન્નેની ગણતરી થાય છે.આપણે ઓછામાં ઓછા સમયમાં પહોંચાડનાર એરલાઇન્સ પસંદ કરીએ છીએ.દુ:ખની વાત એ છે કે તેમાં એરપોર્ટ પર પહોંચવાના કલાકો,એરપોર્ટ ઉપર બેસી રહેવાના કલાકો તથા ઉતર્યા પછી ઘેર જવાના ટા્રફિકના કલાકો ગણવાના ભૂલી જઇએ છીએ.એ વાત કૅાફીમાં સુગર સબસ્ટીટયુટ ઇક્વલ વાપરીને સાથે મિઠાઇ ખાવા બરાબર છે.
તેમાં જો કોઇ ગ્રુપમાં ટુર લેવાની હોય તો જમણ પણ ગણવું પડે. પાંચસો જાતની બ્રેડ ના શહેર ,પેરિસમાં ખિચડી ન મળે તો મહા ઉપાધિ અને બસો જાતના ચિઝના દેશ બેલજીયમમાં કાંદા લસણ વિનાનું જમણ ન મળે તો આ જન્મારો બગડે.અમારા એક મિત્ર જે વીસ વરસથી અમેરિકા રહે છે તેમણે હજુ સુધી પેરીસ કે ર્રંમ નથી જોયા કારણકે એમને ઘરની ખિચડી જ ભાવે છે. અને પરદેશમાં, ઘરના જેવા ભોજનની કોઇ ટ્રાવેલ એજન્ટ ગેરેન્ટી નથી આપતો.આ મુસાફરી કોણે કરવાની છે ? સ્ત્રીએ કે પુરુષે? તો લગેજનું વિચારવાનું રહ્યું. પુરુષને કેટલા દિવસની મુસાફરી છે તે વિચારીને કપડાં અને બીજો સામાન લેશે.સ્ત્રીઓને એ ગણિત ન ફાવે. સ્ત્રીઓ ખૂબ સમજદાર હોય છે.જયારે પોતાની બેગ પૅક કરે તો બધી જાતના વિચાર કરીને પૅક કરે છે. ધારો કે ધરતીકંપ થાય અને સાડી પર ચ્હા ઢોળાય અને સાડી બગડે તો? તેથી બીજી એ જ જાતની અને એ જ કલરની સાડી લેવી જરૂરી છે.પછી ભલેને સાડીઓ પાછી લાવવી પડે.પેરીસમાં પહેરેલી સાડી તે કાંઇ રૅામમાં પહેરાય?અને એફિલ ટાવર પર પહેરેલા સેંડલ ફરીથી પહેરીને વૅટિકન સીટીમાં જઇએ અને કોઇ આપણને એના એ સેંડલ પહેરેલા જૂએ તો ? કોઇ શું વિચારે એ વિચારથી જ મરવા જેવું લાગે 1 ધારો કે ર્રંમમાં કે દિલ્હીમાં ંસુનામીં આવે અથવા વરસાદ પડે અને પહેરેલા સેન્ડલ તણાય જાય તો ? બેક અપમાં એવા જ સેન્ડલની બીજી જોડ સાથે રાખવી જરૂરી છે. એવા વરસાદ કાયમ હોય છે.એટલે બે દિવસની મુસાફરી હોય તો ય પાંચ છ જોડી સેંડલ અને સ્નીકર્સ હોવા જરૂરી છે. ન કરે નારાયણ અને આપણે બૂટ ચંપલ વિનાના થઇ જઇએ તો? એ ન પરવડે. પુરુષને એકના એક કપડાં આખો દિવસ ચાલે.સ્ત્રીને જુદા જુદા પ્રસંગ પર જુદા જુદા વસ્ત્રો જોઇએ.મતલબ કે મુસાફરીમાં દિવસની ત્રણ જોડ તો જોઇએ જ. અને ત્રણ દિવસની મુસાફરી હોય તો ઓછામાં ઓછી નવ જોડ કપડાં જોઇએ.અને બીજી ત્રણ જોડ એક્ષટ્રા, મુસાફરીમાં વાપર્યા વિના ઘેર પાછી લાવવા માટે.સાથે કપડાં લઇ જઇએ તો પહેરવા જ પડે એવું કાંઇ જરૂરી નથી.મને ખાતરી છે કે જયારે સીતાજી, ભગવાન રામ સાથે વનમાં જવા તૈયાર થયા હશે ત્યારે તેમણે આગલી રાતે છ બેગો તૈયાર કરી હશે.જે જોઇને લક્ણ્મણે કૈકેયીને કમ્પલેઇન કરી હશે કે માતાજી અમારે પહેરેલે વસ્ત્ર વનમાં જવાની શરત કરો નહીં તો સજા તમે રામને કરી છે અને સીતાજીનો સામાન ઊંચકી ઊંચકીને હું તમારી સજાનો ભોગ બનીશ.કોક ડાહ્યા માણસે કહ્યું છે કે જયારે તમે લાંબા પ્રવાસે જાવ તો બેડમાં એક બાજુ સાથે લઇ જવાના કપડાં મુકવાના અને બીજી બાજુ સાથે લઇ જવાના પૈસા મુકવાના.હવે જેટલા કપડાં છે તેને અડધા કરો અને જેટલા પૈસા છે તેને ડબલ કરો.હવે ટ્રીપની તૈયારી કરો.
નાનપણમાં મારી બા સાથે વેકેશનમાં રાજપીપલા થી મારે મોસાળ,છોટાઉદેપુર જતાં ત્યારે અમારા લગેજમાં પાણીનો કુંજો અને નાસ્તાનો પિત્તળનો ડબ્બો પણ બેગો સાથે ઉમેરાતો.હવે મારી બા શુકન અપશુકનમાં માનતી. એટલે અઠવાડિયા પહેલાં સારા શુકનમાં બેગમાં એક કપડું મુકી દેવાનું . પછી પ્રવાસને દિવસે સારા શુકનમાં ચોઘડિયાં પ્રમાણે પસ્તાની એક બેગ ઘરની બહાર ગોઠવી દેવાની.પછી ભલેને બપોરની ટ્રેઇન હોય 1 નિકળતી વખતે મારા મિત્ર સવાઇ દરજીને કહેવામાં આવે કે ગમે ત્યાંથી ગાય શોધી કાઢ અને એને મારતો મારતો લાવી અમારા ઘર પાસે દોડાવ .જેથી અમે ગાયના શુકને ઘર છોડી શકીએ.સામાનમાં પાંચ સાત દાગીના થતાં. દરેક જગ્યાએ સામાન ઉંચકવા મજૂર મળતા પરંતુ સામાન ગણવાની જવાબદારી મારી હતી.આજે વિચારું છું તો નવાઇ લાગે છે એ મુસાફરીની.સિત્તેર એંસી કિલો મિટરની મુસાફરીમાં આખો દિવસ જતો.તેમાં રાજપીપલાથી પોઇચા સુધી બસમાં. પોઇચાથી નર્મદા નદીની હોડીઓ સુધી ચાલવાનું.હોડીમાં નર્મદા પાર કરીને ચાંદોદ સ્ટેશને પહોંચવા ગામમાં ચાલવાનું .ચાંદોદથી ટ્રેઇનમાં ડભોઇ.અને ડભોઇ જંકશન પર ભગવાન જાણે કેટલો વખત પડી રહેતા.ખાતા,ઊંઘતા,રમતા, કંટાળતા અને ટ્રેઇન માટે ,બાનો જીવ લેતા .સાંભળ્યું છે કે આજે મુસાફરી હવે નર્મદા પર બંધાયેલા પુલને કારણે બે ત્રણ કલાકમાં પતે છે. હા, હવે સમય બચે પરંતુ પેલી આખા દિવસની મુસાફરીની મઝા કયાં 1
યુરોપની સાથે સાથે,હવે ઓસ્ટ્રેલિયા.ન્યુઝીલેન્ડ,રશિયા, ચાઇના પણ વેકેશનના લિસ્ટમાં ઉમેરાયા છે.કોલંબસની જેમ એકલા ફરવા જવાની મઝા છે.પરંતુ કોલંબસની જેમ ભટકવું પડે.એકલા ફરવા ગયા હોઇએ તો દિવસનો મોટો ભાગ જગ્યાઓની પૂછતાછમાં જાય.તે ઉપરાંત વેજીટેરિયન વાનગીઓ શોધવામાં જાય અને જેટલો સમય બચે તેમાં ભૂખ્યા પેટે રઝડપાટનો થાક ઉતારવાનો.અને લિસ્ટમાં ન હોય એવા સ્થળોની મુલાકાત લેવાય કારણકે ખોટી ટ્રેઇન કે બસ પકડી હોય. ગ્રુપમાં ગયા હોઇએ તો સારો એવો સમય બચે.અને જયારે આપણને કોઇ મુસિબત પડે તો બીજા પણ દુખી થાય છે. એનો સંતોષ રહે.હવે આ જુદી જુદી ટુરએજન્સીઓ વચ્ચે ગ્રાહકો મેળવવાની હરિફાઇઓ થાય છે. દરેક એજન્સી પોતાના ટુરના પેકેજને લોભામણા બનાવવા પ્રયત્નો કરશે.એક કંપની તમને પેરિસમાં ખિચડી કઢી આપશે તો બીજી કંપની ખિચડી કઢી અને વેઢમી આપશે.આમાં અમેરિકામાં એવા ગુજરાતીઓ છે કે જેમાં મિત્રો વચ્ચે હરિફાઇ થાય.એક જણ જો અલાસ્કા જશે તો એમનો ઓળખીતો બીજે વરસે હવાઇ ફરવા જતો હશે તે કેન્સલ કરીને પોતે અલાસ્કા જશે.મારા એક મિત્રએ એટલી મુસાફરી કરી છે કે દર વખતે મુસાફરીના માઇલોનો ટોટલ આપણને કહ્યા કરશે.એમના હિસાબે તેમણે પથ્વીની પ્રદક્ષિણા બે વાર કરી છે.આવા લોકોએ જ આ ટ્રાવેલ એજન્સીઓ ને ચઢાવી મુકી છે. એક કંપની તમને પાંચ દિવસમાં ત્રણ દેશ બતાવશે તો બીજી કંપની ત્રણ દિવસમાં પાંચ દેશ બતાવશે. એ તમને બતાવશે જરૂર. તમને દેખાય કે ન દેખાય એ તમારી જવાબદારી.અમે ફ્રાંસ થી બપોરે એક વાગે બસમાં નિકળ્યા રોટરડેમ,ªહોલેન્ડº જવા. વચ્ચે મને ઝોકું આવી ગયું. જયારે આંખ ખુલી ત્યારે બહાર પવન ચક્કીઓ દેખાવા લાગી. પત્નીને પૂછયું…હોલેન્ડ જેવું લાગે છે.નહીં?…
પત્ની કહે …હા હોલેન્ડ છે.…
…તો પછી બેલ્જીયમ દેશ તો વચ્ચે આવ્યો નહીં.…
પત્ની બોલી …બેલ્જીયમ માં થી બસ પસાર થઇ ત્યારે તું ઊંઘતો હતો.…
…ઉઠાડવો હતોને મને 1…મેં કહ્યું
ંમને જ નહોતી ખબર.પરંતુ જયારે હૅાલેન્ડ આવ્યું, ત્યારે ટુર ગાઇડે જાહેર કર્યું કે આપણે બેલ્જીયમ વટાવી હોલેન્ડમાં પ્રવેશ્યા છીએ ત્યારે મને ખબર પડી.…
હવે અમારા ટુરના પેકેજમાં બેલ્જીયમ બતાવીશું એમ હતું.હું ઊંઘતો હતો ત્યારે ટુર ગાઇડે , બિચારાએ બતાવી દીધું હતું. હવે મેં ન જોયું એમાં કોનો વાંક? આ વાતોનો નિચોડ એટલો જ કે જયારે ન્યુ જર્સી પાછા આવ્યા પછી ઘેર બેઠાં બેઠાં ,એકે મટકું માર્યા સિવાય ટી વી સામે બેસીને બેલજીયમ જોયું. નવાઇની વાત એ કે એક દિવસના ત્રણ દેશ જોવા કરતાં ઘેર બેસીને ટીવી જોવામાં ઓછો થાક લાગે.એટલે આ વરસે ભલું આપણું ન્યુજર્સી.
જાન્યુઆરી ૨૦૦૭