જિપ્સીની ડાયરી-કોણ હતા એ તારણહાર? (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Saturday, September 25, 2021

કોણ હતા એ તારણહાર? (૨)

  અમારા અભિયાનનો ઉદ્દેશ હવે કેવળ પહેલી પોસ્ટ પૂરતું ન રહેતાં બમણો થયો હતો. માઝી મેવાઁ જવા માટેનો અવેજીનો જે રસ્તો હતો તે લેવા માટે અમારે પહેલાં બહેણીયાઁ પોસ્ટ પર જવું પડે. ત્યાં પરિસ્થિતિ કેવી હતી તે વિશે અમારી પાસે કે કર્નલ પાસે કોઇ માહિતી નહોતી. આ વિશેની પૂરી માહિતી  કર્નલની તે વિસ્તારની કંપનીએ સૌને પહોંચાડવી જોઇએ. બ્રિગેડના Op Order (ઑરેશનલ ઑર્ડર – જેમાં બ્રિગેડની દરેક બટાલિયનની કામગિરી અને જવાબદારી વિશે વિશદ હુકમ લખીને આપવામાં આવે છે, તેમાં BSFની કંપની કે પ્લૅટુનને ક્યા સ્થાને ક્યા અભિયાન માટે ઉપયોગમાં લેવાની છે, તેના માટે સંબંધિત ઇન્ફન્ટ્રી કંપની કમાંડરે BSF અને તેમની કંપની વચ્ચેનાં સંચાર સાધનોનો સમન્વય (coordination and synchronisation of communication network), chain of command, reporting system – આમાનું કશું યોજાયું નહોતું. અમારા ક્ષેત્રની BSF બટાલિયનોના ઉપયોગ વિશે આ બાબતમાં ઝીણવટભર્યો ન તો અભ્યાસ થયો હતો, ન તે વિશે કોઇ યોજના થઇ હતી. પરિણામે અમારી સંચાર વ્યવસ્થામાં ગંભીર ઉણપ રહી ગઇ હતી.  આનું પ્રત્યક્ષ પ્રમાણ એટલે BSFના વાયરલેસ વજનમાં ભારે અને તેના માટેની બૅટરી તે જમાનાની મોટરકારમાં વપરાતી તે પ્રકારની હતી. તેનો ચાર્જ – જો સેટ સતત ચાલુ રહે તો દોઢ કે બે કલાક જેટલો રહે. ત્યાર બાદ બૅટરી ચાર્જ કરવા માટે પેટ્રોલથી ચાલનાર ભારે જનરેટર જોઇએ. અમારા વાયરલેસની ફ્રિક્વન્સી તથા અમારા મિલિટરીના ઑપરેશનલ કમાંડરની બટાલિયનની ફ્રિક્વન્સી જુદી હતી. બન્નેના વાયરલેસ સેટની બનાવટ પણ જુદી. પરિણામ ગંભીર નીવડ્યાં. મોટા ભાગની BSF પોસ્ટ, જ્યાં મિલિટરીની ટુકડી તેમના વાયરલેસ સાથે ન હોય, તો અમારા પોસ્ટ કમાંડર અને તેમના મિલિટરી કમાંડરો વચ્ચે વાતચીત શક્ય નહોતી, તેથી એકબીજાને પરિસ્થિતિ વાકેફ નહોતા કરી શકતા, કે ન કોઇ હુકમ પહોંચાડી શકતા. અમારી બહેણીયાઁ ચોકીનો વાયરલેસ સેટ છેલ્લા ૧૪ કલાકથી બંધ પડી ગયો હતો. અમને તેમની પરિસ્થિતિ વિશે જાણ નહોતી. તેમની સાથે મિલિટરીની કોઇ ટુકડી નહોતી તેથી તેમના બટાલિયન કમાંડર સાથે પણ તેમનો કોઇ સમ્પર્ક નહોતો. આ કારણે અમને કોઇને ખબર નહોતી કે તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે. તેઓ બે બાજુએથી આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયા હતા, અને પાછળની બાજુએ એક ઊંડો, તેજ ગતિથી વહેતો વહેળો હતો જે આગળ જતાં રાવિને મળતો હતો. આ વહેળો પાર કર્યા બાદ એક કિલોમિટર  પહોળો અને ત્રણ કિલોમિટર લાંબો બેટ. તે પાર કરીએ ત્યારે રાવિ નદીના કિનારે રાખેલી નૌકામાં બેસી પાર કરીને ધુસ્સી બંધ પર પહોંચાય.

    કર્નલને રામ રામ કરીને અમે નીકળ્યા બાદ ખ્યાલ આવ્યો કે ગઈ કાલ રાતના વાળુ બાદ અમારામાંથી કોઇએ સવારની ચ્હા નહોતી પીધી કે નહોતું કર્યું શિરામણ. દોઢ વાગી ગયો હતો. ત્રણે’ક કિલોમિટર ચાલ્યા બાદ ધુસ્સીની નજીક ત્રણ – ચાર ઝૂંપડા દેખાયા, જેમાંનું એક બંધને અડીને હતું. તેના નાનકડા ફળીયામાં સરકંડામાંથી બનાવેલી નાનકડી ટોપલી લઇને એક વૃદ્ધ માઈ બેઠાં હતાં.  મેં તેમને ‘સત શ્રી અકાલ’ કહી નમસ્કાર કરીને પૂછ્યું, “માઇ,  તમે હજી સુધી અહીં કેમ રહ્યાં છો? લડાઇ શરૂ થઇ ગઇ છે. આપે સહીસલામત જગ્યાએ જવું જોઇએ.” આજુબાજુનાં ગામ ખાલી થઇ ગયા હતા.

માઇનો આખો ચહેરો કરચલીઓવાળો હતો. બોખા મુખેથી સ્મિત કરીને તેઓ બોલ્યાં, “પુત્તર, આખી જીંદગી આ ઘરમાં ગુજારી છે. હવે આ ઉમરે તે છોડીને ક્યાં જઉં? જુઓ, તમે ફૌજી દેશની રખ્યા કરવા નીકળ્યા છો, અહીં બેઠી છું તમારા જેવા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તે વાહે ગુરુનું લંગર સમજી આરોગો,” કહી બાજુમાં રાખેલી છાબડી પર ઢાંકેલું કપડું ખસેડ્યું. તેમાંથી નીકળેલી એક સુંદર સોડમથી વાતાવરણ ખિલી ઉઠ્યું. આ વૃદ્ધ અન્નપૂર્ણાએ અમારી સામે ટોપલી ધરી અને અમારૂં હૃદય ભરાઇ આવ્યું. અમે સૌ ભુખ્યા થયા હતા. દરેકના ભાગે અર્ધી – અર્ધી રોટલી આવી. પાણી સાથે અમે જમ્યા અને જીવનભર યાદ રહી ગયો તેનો સ્વાદ. તેમાં ભારતમાતાની મમતાનો મોણ હતો અને આસ્થાનું ખમીર. કૃતજ્ઞતા અને માતાની દેશ સેવાની ભાવનાથી અમારો ઉત્સાહ સો ગણો વધી ગયો, નમસ્કાર કરી અમે આગળ વધ્યા.

    શિયાળામાં ઉત્તર ભારતમાં સૂરજ વહેલો ઢળી જાય છે,  બહેણીયાઁ પત્તન પર પહોંચતાં સુધીમાં સુરજબાપા ક્ષિતિજની તળાઇમાં પોઢી ગયા. ધુસ્સી બંધની નીચે પત્તન તરફ ગયા અને હૈયામાં ફાળ પડી. આનું કારણ :

    સામાન્ય રીતે અમારી નૌકા ધુસ્સીના કિનારે લાંગરેલી રહેતી અને બે જવાન ત્યાં હંમેશા રહેતા. બીજું : મને ઉમેદ હતી કે S.I. કરમચંદને તેમના ઑપ કમાંડરે પોસ્ટ છોડવાનો આદેશ આપ્યો હશે (જે તેમણે આપવો જોઇતો હતો),  તો તેઓ શેરપુર પોસ્ટના જવાનોની જેમ ત્યાં આવી પહોંચ્યા હશે. તે રાતે ન તો ત્યાં અમારી નાવ હતી કે નહોતાં કરમચંદ અને તેમના જવાન. તો શું તેમને દુશ્મને કેદ કરી લીધા હતા? બહેણીયાઁ પોસ્ટથી સીમા કેવળ ૧૫૦ ગજ પર હતી અને ત્યાંથી પાકિસ્તાનનો mainland શરૂ થાય. તેમની ચોકી બહુ બહુ તો ૫૦૦ ગજ દૂર હતી. જો તેમણે અમારી પોસ્ટ પર હુમલો કર્યો હોય તોઅમારા સૈનિકોને પોસ્ટ ખાલી કરી આપણી સુરક્ષિત જગ્યાએ જવા તન્ના નાળા પાર કરવો પડે. ત્યાંની નૌકા નાનકડી હતી અને વધુમાં વધુ ચાર સૈનિકો તેમાં બેસી શકે. તે પાર કરવા પોસ્ટના સઘળા જવાનોને ત્રણ ખેપ તો કરવી જ પડે. આ કારણસર પ્લૅટૂનની સલામતિ પર મોટું પ્રશ્નચિહ્ન હતું. અંગ્રેજીમાં જેને worst case scenario કહીએ, તે પ્રમાણે પાકિસ્તાનના હુમલામાં કેટલાક જવાનોને હાનિ પહોંચી હશે અને બાકીના યુદ્ધકેદી થયા હશે.

    આ સમગ્ર સ્થિતિનો ઊંડો – પણ તેજ ગતિથી વિચાર કરી મેં નક્કી કર્યું કે  જે કામ કરવા નીકળ્યા છીએ તે પૂરૂં કરવું. આગળની સઘળી કાર્યવાહી એક અનુભવી કમાંડરની જેમ સમ્પન્ન કરીશ.

    મારી ટુકડીમાં આ સ્થનનો જાણકાર સૈનિક હતો. રાવિના ક્યા ભાગમાં છિછરાં પાણી છે તે જાણતો હતો. અમારે હવે નદીમાં ઉતરી નદીના મધ્ય ભાગમાં આવેલા એક બેટ પર જવાનું હતું. લગભગ અર્ધો કિલોમિટર પહોળો અને બે – ત્રણ કિલોમિટર લાંબા ટાપુ પર  સરકંડાનું જંગલ હતું. તેમાં બનાવેલી પગદંડી પર આગળ વધીએ તો અગાઉ કહેલો તન્ના નાલા નામનો ઊંડો અને તેજ ગતિથી વહેતો વહેળો આવે. તે પાર કરી એક કિલોમિટર ચાલીએ ત્યારે બહેણીયાઁ પોસ્ટ આવે. 

    અંધારૂં, ટાઢ અને ધુમ્મસ જ્યારે ભેગા થાય ત્યારે તેમાં એક પ્રકારની ઘનતા આવી જાય એવું લાગે. રાવિ નદી પર તેની ઘનતા બેયોનેટ વતી કાપી શકાય એટલી ભારે હતી !  અમે ફરી એક વાર ‘બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ’ ના હળવા નાદથી રાવિમાં પગ મૂક્યો. ફરી એક વાર સો – સો વિંછીઓના ડંખનો અનુભવ. હાડકાં થરથરી ગયા. બૂટ – મોજાં ભીના થયા અને ત્વચાની ઉષ્ણતાને કારણે બરફની જેમ જામ્યા નહી. પહેલાં પગનાં તળીયાં અને ત્યાર બાદ ઘૂંટી, ઘૂંટણ, સાથળ અને કમર પર બરફની પોટલી મૂકાતી ગઇ. અંતે છાતી સમાણાં. અમે હથિયાર ઉપર ધરીને ચાલતા હતા. આ વખતે અમારો ભોમિયો આગળ, અને તેની પાછળ હું અને અમારા જવાન, પંજાબ રેજિમેન્ટના સુબેદાર સાહેબ અને તેમના દસ જવાન.

    Celloના તાર પર ફરતા bowની હળવી તરજથી ખરજનો સૂર નીકળે તેમ એક solo તમરાનું ગીત શરૂ થયું.   અમે રાવિ પાર કરી અને કિનારા પર પહોંચ્યા. સૌ ઠરીને હિમ જેવા થઇ ગયા હતા. અમારા પૂરા કપડાં ઠંડા પાણીમાં પૂરી રીતે ભીંજાઇ યગયા હતા. સરકંડામાં બનાવેલી પગદંડી પર મેં જવાનોને બેસવાનો હુકમ ઇશારાથી તુલસીરામને આપ્યો. તેણે તે ધીમે ધીમે છેલ્લા સૈનિક સુધી પહોંચાડ્યો અને ચોકસાઇ કરી કે સૌ કિનારા પર પહોંચી ગયા છે, અને સૌના હથિયાર – ગોળીઓ ઠીકઠાક છે. હવે મેં આગેવાની લીધી અને ઇશારાથી સૌને મારી પાછળ આવવાની સૂચના આપી. ઊંચા સરકંડાના જંગલ પરની પગદંડી પર અમે  આગળ વધી રહ્યા હતા

    ધીમે ધીમે તમારાંઓના સમૂહ ગાયનનો ઑરકેસ્ટ્રા શરૂ થયો. તેઓ હવે પૂર જોશમાં ‘ગાવા’ લાગ્યા હતા. પવન અત્યાર સુધી ધીરેથી વહેતો હતો તેણે પોતાની ગતિ વધારી અને સૂસવાટા થવા લાગ્યા.  ચોકી સુધી પહોંચતામાં crescendo થશે અને આ સમૂહવાદનની પૂર્ણાહૂતિમાં cymbalsનો ધડાકો ક્યારે થશે એવો વિચાર કરતો હતો, ત્યાં અચાનક…

.

Posted by Capt. Narendra

જિપ્સીની ડાયરી-કોણ હતા એ તારણહાર ?

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Friday, September 24, 2021

કોણ હતા એ તારણહાર ?

    કહેવાય છે કે એક ચિત્ર સો શબ્દોની ગરજ સારે છે. અત્યાર સુધી આપે “રાવિ, ધુસ્સી બંધ અને સરકંડા” શબ્દો વાંચ્યા. હવે જુઓ તે સ્થળની તસ્વિરો.  આપેલા ચિત્રોમાંનું  ડાબી બાજુનું ચિત્ર છે ધુસ્સી બંધનો spur. તેના પર ખડા યુવાનને scale તરીકે લઇએ તો ખ્યાલ આવશે કે નદીનો પટ કેટલો પહોળો છે, અને પાણી કેટલાં ઊંડાં.  જમણી તરફના ચિત્રમાં નદીમાં આવેલું પૂર છે અને તેના ધસમસતા પ્રવાહે ધુસ્સી બંધનું કેટલું નુકસાન પહોંચાડ્યું છે. સામાન્ય રીતે જ્યાં લોકો કામ કરી રહ્યા છે, તે ભાગ દસ-બાર ફિટ પહોળો હોય છે, જેના પરથી જીપ અને one-ton ટ્રક સહેલાઇથી જઇ શકે છે. આ ભાગ પર મોરચા (bunker) બાંધી શકાય છે.  

રાવિમાં પૂર આવે તો ધુસ્સી બંધની આ દશા થાય.
રાવિના ડાબા કાંઠાની પેલે પાર અમારી ચોકીઓ.
રાવિ નદી પરના ધુસ્સીબંધનું દૃશ્ય. નીચે જમણી તરફ
ખાંચો દેખાય છે, ત્યાં નૌકા લાંગરી શકાય.

    અમારી ચોકી પર જવા ડાબી તરફના ચિત્રમાં બતાવેલ ધુસ્સીની નીચે યોગ્ય સ્થળે નૌકા લાંગરવામાં આવે છે. તેમાં બેસી નદી પાર કર્યા બાદ સામા કાંઠે આવી જ કોઇ જગ્યાએ ઉતરવાનું સ્થળ હોય છે,  જેને ‘પત્તન’ કહેવાય છે. ત્યાં ઉતરી, નીચેના ચિત્રમાં દર્શાવેલ સરકંડાના ઘાસના જંગલમાં બનાવેલી પગદંડી પર ચાલીને એકાદ કિલોમિટર જઇએ ત્યારે અમારી આઉટપોસ્ટ આવે. આઉટપોસ્ટની ચારે તરફ ધુસ્સી બંધ જેવો કોટ બાંધવામાં આવેલા છે. ત્યાંથી આંતરરાષ્ટ્રીય સીમાના BP (બાઉન્ડરી પિલર) દોઢસોથી બસો ગજના અંતરે હોય છે.  આ ચિત્રો જોઇને અંદાજ આવશે કે રાવિ નદીમાં પગપાળા ઉતરીને ગળાડૂબ પાણીમાંથી શિયાળાની ટાઢમાં, સો’એક ગજ પહોળા નદીના પટમાંથી ચાલીને જવાનું હોય, અને પારો શૂન્યની આસપાસ હોય તો જવાનોની હાલત કેવી થઇ હશે ! પણ આ હતા ભારતીય સૈનિકો. સૌ આનાકાની કર્યા વગર તેમના અફસર પર વિશ્વાસ રાખી, શિર હાથમાં લઇ આગળ વધતા હતા. 

    નદીને પેલે પાર લગભગ છ થી આઠ ફીટ ઉંચા સરકંડાના ઘાસનું જંગલ આવે જેમાંથી પગદંડી બનાવી પોસ્ટ સુધી જવાય. જંગલનું એક દૃશ્ય.

આવી ઝાડીમાં રાતના અંધારામાં સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના જવાન
LMG તાણીને બેઠા હતા. તેની નાળની સીધી લાઇનમાં હતા…અમે ! 

***

સવારના અગિયાર – બાર થવા આવ્યા હતા. દુશ્મન તેની મશિનગનથી અમારો સંહાર કરવા ઉત્સુક હતો. પાણીમાં પાંખ વગરના બતક જેવી અમારી હાલત હતી. અમે હવે ગરદન સમાણા પાણીમાં હતા, જેથી અમારી સામે દુશ્મન આવે તો પણ અમે તેના પર ફાયરિંગ ન કરી શકીએ.

    આ સ્થિતિ એવી હતી કે મારે તત્કાળ નિર્ણય લેવાનો હતો. મારી ટુકડીને લઇ રાવિ પાર જતાં પહેલાં મેં કર્નલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું attack કરવા નહીં,  Recce (Reconnaissance) કરવા માટે મારી Patrol Party સાથે જઈશ. રેકી પેટ્રોલના કેટલાક નિયમ અને સિદ્ધાંત હોય છે, જેનું વિવરણ કરવું જરૂરી છે. 

    રેકી પેટ્રોલનું મૂળભૂત કામ એક જ હોય : Reconnaissance – જેનો અંગ્રેજી અર્થ છે “Military observation of a region to locate an enemy or ascertain strategic features.” અર્થાત્ કોઇ એક વિસ્તારમાં દુશ્મનની ટુકડી છે કે નહીં તેની તપાસ કરવી; અથવા કોઇ એક સ્થાન લશ્કરી અભિયાન માટે ઉપયોગી છે કે કેમ તેનો કયાસ કરવા જતી ટુકડી તે રેકી પેટ્રોલ. 

આ બેઉ પ્રકારની પેટ્રોલના ઉદાહરણ આપીએ.

(૧) સન ૧૯૯૯માં જનરલ મુશર્રફે ભારત સાથેની સમજુતિનો ભંગ કરી ચોરી છુપીથી તેમની સેનાને ભારતના કારગિલ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે મોકલી હતી. તેમના કેટલાક સૈનિકોને ભારતના એક ગાડરિયાએ જોયા અને તેની માહિતી આપણી સેનાના ઉચ્ચ અધિકારીઓને આપી. આ માહિતી સાચી છે કે કેમ તેની તપાસ કરવા આપણી સેનાએ કૅપ્ટન સૌરભ કાલીઆની આગેવાની હેઠળ આઠ સૈનિકોની ટુકડીને રેકી પેટ્રોલ મોકલી હતી.   

(૨) ૧૯૭૧માં જિપ્સીની શેરપુર ચોકીની નૌકા લાંગરવાનું સ્થાન લશ્કરી અભિયાન માટે કેટલું અગત્યનું છે અને તેના પર કબજો કરવાથી શો લાભ થશે તે જોવા પાકિસ્તાનની સેનાએ એક ટુકડી મોકલી હતી, જેનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે રેકી પેટ્રોલ લડવા માટે નહીં, તપાસ કરવા મોકલવામાં આવે છે. આવી પેટ્રોલ પાર્ટી પર ગોળીબાર થાય તો પેટ્રોલ કમાંડરની જવાબદારી છે કે તેના બને એટલા સૈનિકોને તેની અસર નીચેથી બચાવીને પાછા base પર લઈ આવે.

    જિપ્સી તેની ટુકડી લઈને ચાર્લી કંપનીની ખાલી કરેલી ચોકીની શી સ્થિતિ છે, અને તેના પર કબજો મેળવવા અમારે કઇ જાતની કાર્યવાહી કરવી જોઈશે તેની તપાસ માટે નીકળ્યો હતો.  રાવિના મધ્ય-પ્રવાહમાં પહોંચતાં જ અમારા પર મશિનગનનો મારો શરૂ થયો હતો તે જ પુરવાર કરતું હતું કે આ પોસ્ટ દુશ્મનના કાબુ હેઠળ છે. અમે તેમની ફાયરિંગની રેન્જમાં હતા, તેથી જે માર્ગે અમે ત્યાં જવા નીકળ્યા હતા, તે માર્ગ સુરક્ષિત નહોતો. આ માહિતી આમ લગભગ વિના સાયાસ મળી હતી. હા, અમે તેમની રેન્જમાં હોત તો કદાચ અમારાં મડદાંઓએ આ વાત કર્નલ સાહેબને જણાવી હોત તે વાત જુદી ! હવે માઝી મેવાઁ ચોકીમાં તેમના કેટલા સૈનિકો છે, અને તેમની તપાસ કરવા જવાનું હોય તો મારે બીજા રસ્તેથી ત્યાં જવું જોઈશે, એવું નક્કી કર્યું. હવે મારી જવાબદારી મારી ટુકડીને સહીસલામત પાછા બેઝ પર લઈ જવાની હતી. સૌ પ્રથમ મેં જવાનોને દુશ્મનની મશિનગનની રેન્જથી દૂર કાઢ્યા અને પાછા વળવાનો હુકમ કર્યો. 

   જેમ જેમ અમે પાછા ફરવા લાગ્યા, દુશ્મનનું ફાયરિંગ ઘનીષ્ઠ થતું ગયું. ગોળીઓ નજીક વરસવા લાગી. સદ્ભાગ્યે હજી પણ અમે તેમની ઘાતક રેન્જની બહાર હતા તેથી  સુરક્ષિત પાછા આવી ગયા. કર્નલ મારી પાસે ઝઘડવાના ઇરાદાથી આવ્યા હતા. પણ આ વખતે તેમની રૅંકની પરવા કર્યા વગર તેઓ કંઇ કહે તે પહેલાં જ મેં તેમને પૂછ્યું, “મારી પેટ્રોલ પર દુશ્મન મશિનગન ચલાવી રહ્યો હતો ત્યારે તમે મને શા માટે covering fire ન આપ્યું? તમે જોયું નહીં કે પાણીમાં અમે sitting ducks જેવી સ્થિતિમાં હતા?” આ ઉપરાંત ઘણી વાતો થઇ, જેનું વર્ણન યોગ્ય નહીં ગણાય. 

    કર્નલ પાસે કહેવા જેવું કંઇ નહોતું.  હું તેમના ઑપરેશનલ કમાંડ નીચે નહોતો. મારા કમાંન્ડન્ટને કે બ્રિગેડ કમાંડરને જણાવ્યા વગર મને આ અભિયાન પર મોકલી તેમણે નિયમનો ભંગ કર્યો હતો. આ બાબતમાં તપાસ થાત તો એ પણ જણાઇ આવ્યું હોત કે મારી પેટ્રોલને extricate કરવા માટે તેમની પાસે ઉચિત સંખ્યામાં હથિયારબંધ સૈનિકો હતા તેમ છતાં કોઇ કાર્યવાહી કરી નહોતી. આ તેમની dereliction of dutyમાં આવી જાય.

    મારો પોતાનો અંગત નિયમ હતો કે કોઇ કામ અધવચ્ચે ન છોડવું. મેં કર્નલ ગુરબચનને કહ્યું, “દિવસના ઉજાસમાં માઝી મેવાઁની રેકી શક્ય નથી. દુશ્મન અમને  જોઇ શકે છે અને તેમની મશિનગન અને આર્ટિલરીનો મારો કરાવી શકે છે. હું મારી રીતે આ કામ પૂરૂં કરીશ. આ માટે હું ઉપરવાસ જઇ, યોગ્ય સ્થળેથી નદી પાર કરીશ,” કહી સૅલ્યૂટ કરી મારા જવાન પાસે જવા લાગ્યો ત્યારે કર્નલે મને બોલાવ્યો.

    “સાંભળ, DSP,”  કર્નલ અમને હજી પોલીસવાળા માનતા હતા, તેથી મારી રૅંક – જે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની હતી, તે ન વાપરતાં પંજાબમાં DySPને DSP કહે છે તેમ ઉદ્દેશીને કહ્યું “તારી પાસે જવાનોની સંખ્યા પૂરતી નથી. મારા સુબેદાર અને તેમની સાથેના દસ સિપાહીઓને તારી સાથે મોકલું છું. મારો વાયરલેસ સેટ તેમને આપું છુું તેથી મારી સાથે સમ્પર્ક રહેશે. કૅરી ઑન!”

    હવે અમારી સંખ્યા વધીને લગભગ વીસ – બાવીસની થઇ હતી. અમે ધુસ્સી પરથી જ ઉપરવાસ માર્ચિંગ શરૂ કર્યું.
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-5 ડિસેમ્બર 1971

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Wednesday, September 22, 2021

5 ડિસેમ્બર 1971

    C કંપની તરફ જતાં પહેલાં અમે સિચ્યુએશન રિપોર્ટ જોયા. ગઇ રાતના અમારી 

પોસ્ટ સાથે થયેલી વાયરલેસ વાતચીત અને હકીકતનું સંબંધિત બ્રિગેડ હેડક્વાર્ટર્સમાંથી 

પૂરું સમર્થન આવ્યું હતું.. કૅપ્ટન સામ્બ્યાલે જોયેલા લગભગ 400 સૈનિકો – એટલે 

બલોચ રેજીમેન્ટની બટાલિયનની ચાર કંપનીઓ. તેમાંની બે કંપનીઓએ બુર્જ 

ચોકી પર અને બે કંપનીઓએ ફતેહપુર પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ બન્ને 

પોસ્ટ  નજીક – નજીક હતી. 

મહેરસિંહની પ્લૅટૂનના સમાચાર અત્યંત ગંભીર હતા. મહેરસિંહ મૃતપ્રાય થયા 

હતા. તેમને તેમના મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કમાંડરે પોસ્ટ ખાલી કરવાનો 

હુકમ કર્યો, પણ ક્યાં જઇને મળવું તેનું RV (rendezvous – મિલનસ્થાન) જણાવ્યું નહોતું. મહેરસિંહે ઘાયલ અવસ્થામાં પણ પોસ્ટમાંના 

વાયરલેસના કોડ અને સંકેત અંગેના દસ્તાવેજ બાળીને નષ્ટ કર્યા. પોસ્ટમાંના 

સૈનિકોને હાથ ઊંચો કરી આશિર્વાદ આપ્યા અને પ્રાણ ત્યાગ્યા. ત્યાં સુધીમાં 

બલોચ સિપાહીઓ પોસ્ટની પાળ સુધી પહોંચ્યા હતા. જવાનોએ તેમને મળેલા 

હુકમ પ્રમાણે ગુપ્ત માર્ગેથી પોસ્ટ છોડી અને નજીક આવેલા શેરડીના ખેતરમાં 

છુપાયા. ત્યાં shallow trench ખોદી મોરચાબંધી કરી.

રાવિ પારની આલ્ફા કંપનીની તોતી નામની ચોકી પર થયેલા હુમલામાં આપણા 

જવાનોના હિંમત પ્રદર્શનની અજબ વાત સાંભળી. આ ચોકી પર હુમલો કરવા 

સામે વાળા લાઇનબંધ થતા હતા (જેને ઇન્ફન્ટ્રી ટૅક્ટિક્સમાં FUP – Forming

up Place કહેવાય છે), તેમની સામેની ટ્રેન્ચમાં કેરળનો જવાન પ્રભાકરન્ 

નાયર અને તેના બે સાથીઓ હતા. તેમણે તેમની રાઇફલ પર બેયૉનેટ ચઢાવી 

“ભારત માતાકી જય”ની ગર્જનાથી આવી રહેલા દુશ્મન પર ‘ચાર્જ’ કર્યો! દુશ્મન હેબતાઇ ગયા અને તેમને લાગ્યું કે તેમની ચાલ છતી થઇ છે. 

તેમની પહેલી હરોળના સૈનિકોમાં ભંગાણ પડ્યું અને એવું લાગ્યું કે હુમલો ટળી ગયો છે. પ્રભાકરન્ આગળ વધે તે પહેલાં દુશ્મનોની બીજી હરોળના સૈનિકોએ જોયું 

કે આ તો કેવળ ત્રણ યુવાનોએ ‘કાઉન્ટર ઍટેક કર્યો હતો. તેમણે છોડેલી ગોળીઓમાં 

પ્રભાકરન્ નાયર વીર થયો અને તેના સાથી ઘાયલ. આ રિપોર્ટ જોયા બાદ હું ચાર્લી કંપની તરફ જવા નીકળી ગયો.

    COના હુકમ પ્રમાણે મારૂં કામ સામાન્ય હતું. અમારા ચાર્લી કંપનીના સબ ઇન્સપેક્ટર દર્શનસિંહ અને શેરપુર 

પોસ્ટના જવાનોને મળી તેમને CO વતી શાબાશી આપી તેમને તેમના 

રિઝર્વ કંપનીના સ્થાન પર મોકલી, તેમની જરુરિયાતો જાણી તે પૂરી 

કરવાની વ્યવસ્થા કરવાની હતી. હું કેવળ મારી 9 mm પિસ્ટલ, એક સ્પૅર મૅગેઝીન લઇને નીકળ્યો. યુનિફૉર્મમાં ઉનનું 

શર્ટ, અને પાતળી જર્સી હતી. ઇક્વિપમેન્ટ નહોતી પહેરી, કેમ કે કામ 

પૂરું થતાં મારે પાછા હેડક્વાર્ટર્સમાં જવાનું હતું.

    ધુસ્સી બંધ પર પહોંચ્યો તો ત્યાં દર્શનસિંહ, અમારા વીસ જવાન આગલા હુકમની  રાહ જોઇ રહ્યા હતા. તેમને મળી દરેક જવાનની પીઠ થાબડી 

તેમને શાબાધી આપી. અમારા લાન્સ નાયક અજાયબસિંહ અને સંતોખસિંહ 

વીર ગતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. કૂલ સાત જવાન જખમી થયા હતા. સૌને 

મારા વન ટન ટ્રકમાં તેમના કંપની હેડક્વાર્ટરમાં મોકલ્યા અને ટ્રકને પાછા 

આવવાનું કહ્યું, મારે હજી મારી બીજી પોસ્ટ – માઝી મેવાઁના જવાનોને 

મળવાનું હતું. થોડી વારમાં તેઓ નદી પાર કરીને તેમના પત્તનથી ચાલીને 

અમારા મિલનસ્થાન પર આવી પહોંચ્યા અને તેમની સાથે વાત કરતો હતો 

ત્યાં ચાર્લી કંપનીના જવાબદારીના વિસ્તારના ઑપરેશનલ કમાંડર ઇન્ફન્ટ્રી 

રેજીમેન્ટના CO કર્નલ ગુરચરન સિંઘ તેમની રક્ષક ટુકડી સાથે આવી પહોંચ્યા. કોઇ ઔપચારિકતા કર્યા વગર તેમણે મને કહ્યું, “તું મારા ઑોરેશનલ આધિપત્ય નીચે છે. મારો તને હુકમ છે કે તારા જવાનોને 

લઇ માઝી મેવાં પોસ્ટ પર હુમલો કરી તેના પર કબજો કર. તમે બૉર્ડર સ્મગલિંગ 

ફોર્સ વાળાઓને હવે અસલ કામ કરવાનો વારો આવ્યો છે તો હવે પૂરો કરો.”

    મિલિટરીના કેટલાક અફસરોને BSF પ્રત્યે જે અવિશ્વાસ કહો કે અણગમો, 

તેના અનુભવોમાં વધારા થતા જતા હતા ! અને તે પણ યુદ્ધ જ્યારે ચરમ 

સીમા પર પહોંચ્યું હતું તેવા સમયે! હું આ વાત સહન કરી શક્યો નહીં.

મારે તેમને જે કહેવાનું હતું તે કહ્યું – જેનું અહીં પુનરૂચ્ચારણ નહીં કરીએ.

એટલું જ કહેવું યોગ્ય થશે કે મેં તેમને કહ્યું કે માઝી મેવાઁથી આવેલા

જવાનોને લઇ તે પોસ્ટનું reconnaissance કરી આગળ જે કાર્યવાહી

કરવાની હશે તે કરીશ.

     વયોવૃદ્ધ એવા પોસ્ટ કમાંડર S.I. મુલ્ક રાજે મારી તરફ અસાહય નજરે જોઇ જવાનોને લાઇનબંધ થવાનો હુકમ કર્યો. મેં આગળ વધીને અને કર્નલ સિંઘને કહ્યું, “મુલ્ક રાજને હું તેની ફરજમાંથી 

ફારેગ કરૂં છું. હું જઇ રહ્યો છું તેથી તેમને ત્યાં જવાની જરૂર નથી. ફરીથી

કહું છું કે પોસ્ટ પર ઍટેક નહીં, પણ રેકી  કરવાના ઇરાદાથી જઇશ. માઝી

મેવાઁ પ્લૅટૂન પોસ્ટ છે. તેના પર હુમલો કરવા મારે ઓછામાં ઓછી એક

કંપની – ૧૦૦ જવાન જોઇએ, અને તે પણ પૂરી રેકી કર્યા બાદ”  કહી, સૅલ્યૂટ કરી જવાનોની સામે ગયો અને પૂછ્યું, “મારી સાથે 

આવવા તૈયાર છો?”

“સાબજી, આપ અમારી સાથે હશો તો જ્યાં કહેશો ત્યાં જવા અમે તૈયાર છીએ,” પ્લૅટૂનના સિનિયર નાયક તુલસી રામે જવાબ 

આપ્યો. મેં તેને મારો સેકન્ડ-ઇન-કમાંડ નીમ્યો અને તેને હુકમ કર્યો કે જવાનોને લાઇનબંધ કરે. ડ્રિલ પ્રમાણે અમે જવાનોનાં હથિયાર અને 

ઍમ્યુનિશન તપાસ્યા. બધું બરાબર હતું. મેં તેમને હુકમ કર્યો “પ્લૅટૂન,  

સાવધાન! મેરે પીછે માર્ચ!” અને અમે ધુસ્સી બંધ પરથી રાવિ નદીના પટ

ઉતરવાનું શરૂ કર્યું. અમારી નાવ સામા કાંઠે હતી. તેથી નદીમાં ઉતરી

પગપાળા જ અમારે પાર જવાનું હતું.  તુલસીરામનો એક જવાન આ

જગ્યાથી પરિચિત હતો. તે  છિછરાં – એટલે ખભા-સમાણાં ઊંડાણવાળા

ભાગ તરફઅમને લઇ ગયો. આગળ હું, સાથે નાયક તુલસી રામ અને પાછળ ૨૨ જવાન.    

    ડિસેમ્બરની  કાતિલ ટાઢ હતી. માઝી મેવાંથી આવેલા જવાનોનાં કપડાં

હજી સૂકાયાં નહોતાં. “બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ના નારા સાથે મેં

રાવિના જળમાં પગ મૂક્યો અને જાણે સો – સો વિંછીઓએ ડંખ માર્યો હોય

તેમ બરફ જેવા પાણીએ મારી ત્વચાને સ્પર્શ કરી મારૂં સ્વાગત કર્યું. ધીમે

ધીમે અમે આગળ વધ્યા. પાણી છાતી સમાણૂં થયું હતું. નીકળતાં પહેલાં મેં

મારી પિસ્તોલ મુલ્ક રાજને  આપી તેની સ્ટેનગન લીધી હતી. અમે સૌએ અમારા

હથિયાર અને રાઇફલની ગોળીઓના બંડોલિયર ઊંચા કર્યા જેથી તે પાણીમાં

ભિંજાય નહીં. અમારાં હાડ ઠરીને બરફ જેવા થયા હતા. 

   ધીરાં પણ મક્કમ પગલે અમે રાવિના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા હતાં

ત્યાં  મારી ડાબી બાજુએ  “છમ્.. છમ્..છમ્” જેવો અવાજ સંભળાયો – જાણે

ગરમ તવા પર પાણીનાં છાંટા પડ્યા હોય તેમ. બે – ત્રણ સેકંડ બાદ સંભળાયા

Rat-tat-tat જેવા ધડાકા. મેં ડાબી તરફ જોયું તો શેરપુર ચોકી પર કબજો

કરી, રાવિના કિનારા પર પોઝીશન લઇને બેઠેલા પાકિસ્તાની સૈનિકોની

બ્રાઉનિંગ મશિનગન અમારા પર  

ટ્રિગર દબાવી રહેલ સૈનિકના ટોપ પાસે સીધી દાંડી છે, તે
રેન્જ સેટર છે. ગોળીઓ છોડ્યા બાદ તેમની અમારા પર અસર થઇ
છે કે નહીં તે જોઇ આ રેન્જસેટરમાં ફેરફાર કરવામાં આવે છે અને ગનની
નળીનું alignment તે પ્રમાણે કરવામાં આવે છે..

ફાયરિંગ કરી રહી હતી. તેમના સૈનિકો દેખાયા નહીં, પણ જે ઝાડી પાછળથી 

તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા ત્યાંથી નીકળતો ધુમાડો જોયો. એકા’દ

મિનિટ બાદ ફરી એક વાર તેમની મશિનગનનો બર્સ્ટ આવ્યો. અમે

તેમની રેન્જથી દૂર હતા અને તેઓ ranging કરી રહ્યા હતા તે સ્પષ્ટ

હતું. તેમની ગોળીઓના નાના બર્સ્ટથી જે ઘડીએ અમારામાંથી

કોઇને ગોળી વાગે તે accurate range થાય. ત્યાર બાદ  મિનિટની

૩૫૦ ગોળીઓ છોડનારી આ કાતિલ નળીમાંથી નીકળનારા મૃત્યુના

સંદેશાઓમાંથી રાવિના પ્રવાહના મધ્યમાં ફસાયેલા અમારામાંથી કોણ

બચી શકે? આ વિચાર આવે તે પહેલાં ફરી એક બર્સ્ટ આવ્યો, જે હવે

અમારાથી કેવળ પચાસે’ક ગજ છેટે હતો.

***Posted by Capt. Narendra

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી-વિદાય – ફરી એક વાર – અને યુદ્ધની શરૂઆત અને ૪ ડિસેમ્બર ૧૯૭૧ની એ કાળ રાત્રી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Monday, September 20, 2021

૪ ડિસેમ્બર ૧૯૭૧ની એ કાળ રાત્રી

    અમારી કેટલીક ચોકીઓની સ્થિતિ નીચે દર્શાવેલ નકશા પ્રમાણે હતી:

        ખાખી રંગની પટ્ટી આંતરરાષ્ટ્રીય સીમા; ઘેરી નીલી આકૃતિ રાવિ નદી.
તેની દક્ષિણે ઘેરી બ્રાઉન પટ્ટી ધુસ્સી બંધ છે. 

    પચાસ વર્ષનાં વહાણાં વાયાં. એ કાળ રાત્રી ભુલાતી નથી. 

    અમારા વાયરલેસ સેટમાં રેડિયો-ટેલિફોની (RT) અને મોર્સ કોડ એવી બેઉ

સુવિધા હતી.  રાતના દસ વાગે એક સામટા કૉલ આવ્યા. આઉટપોસ્ટ્સની

કૉલ સાઇન કંપનીઓના વાયરલેસ સેટ પ્રમાણે – આલ્ફા વન A કંપની કમાંડરની,

આલ્ફા ટુ – થ્રી – ફોર તેમની આઉટપોસ્ટ્સની. તે પ્રમાણે ચાર્લી વન – અમારી C

કંપની કમાંડરની, ચાર્લી-ટુ શેરપુર પોસ્ટ, ચાર્લી-થ્રી માઝી મેવાઁ પોસ્ટની અને

ચાર્લી- પોર બહેણિયાઁ પોસ્ટની. E કંપની કમાંડરની કૉલ સાઇન ‘એકો વન’

અને તેમની બે પોસ્ટ્સ – ફતેહપુરની એકો ટુ, અને બુર્જ પોસ્ટની હતી એકો થ્રી. 

અમારી સાથે વાત કરવી હોય તો પહેલાં તેઓ કહેશે, “હૅલો આલ્ફા થ્રી”. એનો

અર્થ ‘બુર્જ ચોકી વાત કરવા માગે છે.’ અમારો જવાબ “હૅલો આલ્ફા થ્રી, OK over.”

   સૌ પ્રથમ કૉલ આવ્યો આલ્ફા થ્રી – બુર્જ ચોકીના કમાંડર સબ-ઇન્સપેેક્ટર

મહેરસિંહનો. ‘હેલો આલ્ફા થ્રી. BP નજીકથી LMGના બર્સ્ટ સંભળાયો. ત્યાં

ટાઇગર લિસનિંગ પોસ્ટ સાથે છે’. આ ટ્રાન્સમિશન પૂરૂં થતાં પહેલાં છ ધડાકા

સંભળાયા. ટાઇગર એટલે કમાંડર. આ સંજ્ઞા કંપની કમાંડર, બટાલિયન કમાંડર,

બ્રિગેડ કમાંડર – સૌ માટે વપરાય છે. કૉલ સાઇન પરથી ખ્યાલ આવે આ

ટાઇગર કઇ કક્ષાના છે.

    “આલ્ફા થ્રી. પોસ્ટ પર દુશ્મનની તોપનું પ્રેપ શરૂ થયું છે.  એક બૅટરી ગોળા

વરસાવી રહી છે. સાઢે બંદે તૈયાર ને. તુંસી ફિકર મત કરના. OK, over” અમારા

જવાન તૈયાર છે. આપ ચિંતા ના કરતા. અવાજ સ્પષ્ટ રીતે મહેરસિંહનો જ હતો.

શીખ રેજીમેન્ટમાં ત્રીસ વર્ષની સર્વિસ અને ૧૯૬૫ની લડાઇના અનુભવી રિટાયર્ડ

હવાલદાર તરત કહી શક્યા કે તોપખાનાની એક બૅટરીમાં છ તોપ હોય છે!

    મહેરસિંહનું ટ્રાન્સમિશન ચાલતું હતું ત્યાં બીજા સેટ પર અવાજ આવ્યો :

“હૅલો ચાર્લી ટુ, પોસ્ટ પર ભારી બમવારી હો રહી હૈ. અસિં ડટ કે બૈઠે હાં.  OK,

over.” અવાજ હતો સબ ઇન્સ્પેક્ટર દર્શન સિંહનો. આવા જ મૅસેજ આવ્યા ચાર્લી

કંપનીની બીજી બે પોસ્ટના.

    “હૅલો આલ્ફા થ્રી. બમવારી બંધ હો ગઇ. દુશ્મન પેરિમિટર તક પહૂંચા હૈ. હમ જોરોં

સે સામણા કર રહેં હૈં. OK over.” અવાજ મહેરસિંહનો હતો.

    “હૅલો ચાર્લી ટુ. દુશ્મન પેરિમિટર ફેન્સ પર રૂકા હૈ. હમ ઉન્હેં ઢેર કર રહેં હૈં.

OK Over”. દર્શનસિંહ.

    રાતના સાડા દસ વાગવા આવ્યા હતા. અચાનક ચાર્લી થ્રીનો કૉલ આવ્યો.

“હેલો આલ્ફા. દુશ્મનકા હમલા નાકામ કર દિયા. અમુનિશનકી કમી નહીં. હમ

ડટે હુવે હૈં.” અવાજ મૅસેજ મહેરસિંહનો. ડટે હુવેનો અર્થ ‘અમે દૃઢતાપૂર્વક જામ્યા છીએ.

    દુશ્મને બુર્જ તથા શેરપુરની Recce કરી હતી તે કોઇ ચોક્કસ ઇરાદાથી. તેઓ

આ બન્ને ચોકીઓ પર  કોઇ પણ હિસાબે કબજો કરવા માગતા હતા તે નક્કી.

તેઓ ફરીથી હુમલો કરશે એવું લાગતું હતું ત્યાં ફરીથી ..”હૅલો ચાર્લી થ્રી. ફિર

બમવારી શરુ હો ગઇ. બાયીં ફ્લૅંક કે LMG બંકર પર ડાયરેક્ટ હિટ હુવી.

લાન્સનાયક સંતોખ સિંઘ  ઔર અજાયબ સિંઘ  અંદર દબ ગયે હૈં.  તીન ઔર

જવાન જખમી હુવે હૈં. ઍટેક ફિર શુરૂ હો ગયા હૈ. બાદ મેં રિપોર્ટ ભેજુંગા.

Over.” દર્શનસિંહ

    “હૅલો એકો થ્રી. બાબા કે બંકર કો ડાયરેક્ટ હિટ લગી હૈ.  બાબા બૂરી તરહ

ઘાયલ હૈ. ઍમ્યુનિશન ખતમ હોને કો હૈ. વાયરલેસકી બૅટરી ભી ડાઉન હો રહી

હૈ. હમલા ફિર સે શુરૂ હુવા હૈ. હમ લડ રહેં હૈં..” અને એકો થ્રીનો વાયરલેસ બંધ

પડી ગયો. મહેરસિંહ ૬૫ વર્ષના હતા. તેમનાં દાઢી-મૂછ અને શિર પરના વાળ

સફેદ પડી ગયા હતા, તેથી તેમની ચોકીના જવાન તેમને ‘બાબા’ કહીને બોલાવતા.

    “હૅલો ચાર્લી થ્રી. બુરી ખબર હૈ. સંતોખ ઔર અજાયબ વાહે ગુરુ કો પ્યારે હો ગયે.

હમલા નાકામ કર દિયા હૈ. ઍમ્યુનિશન ખતમ હોને કે કગાર પર. ઓવર.”

    રાતના બે – અઢી થયા હતા. અચાનક વાયરલેસ પર ચાર્લી થ્રીનો મૅસેજ આવ્યો.  

“હૅલો ચાર્લી થ્રી. દુશ્મનને ચારોં તરફસે ઘેર લિયા હૈ ઔર ચાર્જ કર રહે હૈં. Over and out.”

    ઓવર ઍન્ડ આઉટનો અર્થ છે, મૅસેજ પૂરો થયો. હવે ફરી કૉલ નહીં કરીએ.  

    ચારે તરફ સોપો પડી ગયો. અમે સૌ ચિંતામાં હતા, પણ કશું કરવાની સ્થિતિમાં

નહોતા. અમારો – એટલે BSFના બટાલિયન કમાંડર અને તેમના સ્ટાફનો આ યુદ્ધની

રણનીતિમાં, લડાઇના કોઇ પાસા પર અભિપ્રાય કે સલાહ પણ આપવાનો કોઇ

role કે અધિકાર નહોતો. દરેક કંપની તેમના સેક્ટરની ઇન્ફન્ટ્રી બટાલિયનના

CO કે તેમના કંપની કમાંડરના સીધા અંકૂશ અને હુકમને આધિન હતા. પરોઢિયું

થવા આવ્યું હતું. અમે અમારા ક્વાર્ટરમાં તૈયાર થવા ગયા. તૈયાર થઇને અમે

બ્રિગેડ હેડક્વાર્ટર્સમાંથી શા સમાચાર આવે છે તે જોવા માટે અમારા COની

કમાંડ પોસ્ટમાં ગયા. 

    “નરિંદર, સમાચાર સારા નથી.  ત્રણે બ્રિગેડ હેડક્વાર્ટર્સ તરફથી sitrep આવ્યા છે.

તેમણે આલ્ફા કંપનીની તોતી ચોકી, એકોની બુર્જ  અને ફતેહપુર ચોકીઓ તથા

ચાર્લી કંપનીની શેરપુર સમેત ત્રણે’ય પોસ્ટ ખાલી કરવાનો હુકમ કર્યો છે. સઘળી

ચોકીઓ પર  દુશ્મનનો કબજો થયો છે. આપણી ફતેહપુરના પોસ્ટ કમાંડર અને તે

મના જવાન તેમના ઇન્ફન્ટ્રી કમાંડર પાસે પહોંચી ગયા છે. બુર્જ પોસ્ટના જવાનોના

કોઇ સમાચાર નથી. શેરપુરના S.I. દર્શન સિંહ તથા તેમના જવાન ધુસ્સી બંધ પર

આવી ગયા છે. તેઓ તેમના શહીદ સાથીઓને સાથે લાવ્યા છે. ઘાયલ જવાનોને

ફિલ્ડ હૉસ્પિટલમાં મોકલ્યા છે. માઝી મેવાઁના જવાન પણ તેમના કમાંડર સાથે

ધુસ્સી પર આવી ગયા છે. બહેણિયાઁ પોસ્ટના સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના

અઢાર જવાનોનો પત્તો નથી. તેમને પોસ્ટ ખાલી કરવાનો હુકમ બહુ મોડો મળ્યો હોય

તેવું લાગે છે. તેમની સાથે વાયરલેસનો પણ સમ્પર્ક નથી. મને લાગે છે તેઓ તન્ના

નાળાને પાર કરે તે પહેલાં  દુશ્મનોએ ભારે સંખ્યામાં પહોંચી તેમને યુદ્ધબંદી

બનાવ્યા છે. કરમચંદ સહેલાઇથી શરણે જાય તેવો પોસ્ટ કમાંડર નથી ; જો કે ત્રણે

બાજુએથી ઘેરાયેલા આ ૧૯ જવાનો શું કરી શકે?”

    શું કહેવું તે સૂઝતું નહોતું. લડાઇના સમાચાર સાંભળતા હતા ત્યારે જવાનોનો

જુસ્સો અભૂતપૂર્વ હતો. 1965માં નદી પારની ચોકીઓ indefensible હતી, તેમાં

આજના –  1971ના વર્ષમાં પણ કોઇ ફેર નહોતો પડ્યો. બુર્જ પોસ્ટમાં કેવળ ૨૪

જવાન હતા, જેમના પર ૪૦૦-૫૦૦ સૈનિકોની એક બટાલિયને હુમલો કર્યો હતો.

આ 43rd Battalion, the Baloch Regiment હતી તે પાછળથી જાણવા મળ્યું.

શેરપુર પોસ્ટ પર ત્રણ કંપનીઓ – ૩૦૦ જેટલા જવાનોએ હુમલો કર્યો હતો. તેમાં

આપણા કેવળ બાવીસ અને પંજાબ રેજિમેન્ટના દસ જવાન અને એક અફસર હતા.

***

E કંપની કમાંડર કૅપ્ટન સામ્બયાલ જમ્મુ ઍન્ડ કાશ્મિર રાઇફલ્સના ભૂતપૂર્વ

અફસર  અને OTS પુનાના મારા કોર્સ મેટ હતા. તે રાતે તેઓ એક સેક્શનની ટુકડી

લઇને આંતરરાષ્ટ્રીય સીમા પર સરકંડાના જંગલમાં સ્થાપેલી Listening Post માં

છુપાઇને દુશ્મનની દિશામાં તેમની હિલચાલનું નિરિક્ષણ કરી તેની માહિતી તેમના

ઑપરેશનલ કમાંડરને આપવા મોરચામાં બેઠા હતા. લિસનિંગ પોસ્ટનું કામ એટલે

‘દુશ્મનના આવવાના અનુમાનિત સ્થાનની નજીક રાતના અંધારામાં  shallow

trenchમાં છુપાઇ દુશ્મનની હિલચાલ સાંભળવી. જો તેમનો સહેજ પણ અવાજ કે

હિલચાલ સંભળાય તો તે  દિશામાં ચિત્તાની જેમ જમીન પર સરકતા જઇ બને એટલી

નજીક જઇ તેમની સંખ્યા વિશે માહિતી મેળવવી અને તેમના ઑપરેશનલ કમાંડરને

આપે. સાથે સાથે પોતાની કંપનીની રક્ષાપંક્તિને સચેત કરવાનું હોય છે  કે દુશ્મન

હુમલો કરવા આવી રહ્યો છે. આ કામ પૂરું થતાં આ Listening Postના સૈનિકોએ

તેમની કંપનીના મુખ્ય મોરચામાં જવાનું પહોંચી જાય. 

     પાકિસ્તાનના વિસ્તારના ગામનાં લોકોએ સરકંડાના જંગલ કાપીને ત્યાં ખેતી

શરૂ કરી હતી, તેથી સામ્બ્યાલને જણાયું કે પાકિસ્તાની સેનાના ચારસોથી વધુ

જવાન લાઇનબંધ થઇને અમારી બુર્જ ચોકી તરફ આગળ વધી રહ્યા હતા.

    બુર્જ ચોકી આપણા ધુસ્સી બંધને અડીને બાંધવામાં આવી હતી. રાવિ નદીનાં

વહેણ પાકિસ્તાનમાં હતાં તેથી તેઓ નદી પાર કરીને આવ્યા તે સામ્બ્યાલ જાણી

શક્યા નહોતા, જેવા તેઓ સીમા પરના BP પાસે આવ્યા, ત્યારે તેમની સંખ્યા અને

‘ચાર્જ’ કરવાના વ્યૂહમાં આગળ વધી રહ્યા હતા તે જોયું. અણીને વખતે વાયરલેસ

સેટ કામમાં ન આવ્યો તેથી તેમણે આગળ વધી રહેલા દુશ્મન પર LMGના બર્સ્ટ

માર્યા અને SOP પ્રમાણે તેમની મુખ્ય ચોકી તરફ ગયા અને ત્યાં મોરચાબંધી કરી.

    સવાર થતામાં કૅપ્ટન સામ્બ્યાલને તેમની ચોકીઓ ખાલી કરી તેમના ઇન્ફન્ટ્રી

કમાંડર – 15 Maratha Light Infantryના CO કર્નલ સચદેવ પાસે રિપોર્ટ કરવાનો

હુકમ મળ્યો. 

    આમ અમારી રાવિ પારની સઘળી ચોકીઓને 1965ના અનુભવ પ્રમાણે પાછા

બોલાવી આપણા mainland પર મોરચા બાંધવાનો હુકમ આપવામાં આવ્યો.

    C કંપની એટલે મારી ભૂતપૂર્વ કંપની. ભલે તેનો કમાંડ મારી પાસે એક મહિનાનો

હતો, પણ હતા તો મારા જવાન. તેમણે દુશ઼મનના બે હુમલા નિષ્ફળ કર્યા હતા.

અમારા ડિવિઝનના Signal Corpsની એક ટુકડી પાકિસ્તાનના વાયરલેસ

સંદેશાઓને monitor કરવાનું કામ કરે. તેમણે પકડેલા સંદેશાઓ થકી જાણવા

મળ્યું હતું કે બુર્જ પ્લૅટુનના કમાંડર મહેરસિંહના નેતૃત્વ નીચે તેમણે દુશમનોના

લગભગ પ૦ સૈનિકો ‘ઊપર’ પહોંચાડ્યા હતા અને લગભગ એટલા જ ઘાયલ

થયા હતા. આ વાતની પૂર્તિ કરી અમારા વિસ્તારમાં રહેતા આદિવાસી રાયશીખ

કોમના લોકોએ. રાયશીખ કોમની પ્રજા સરકંડાની  સળીમાંથી મુંઢાની ખુરશીઓ

અને ઘાસમાંથી દોરડાં બનાવી વેચે. તેમણે સરકંડામાં છુપાઇને સામેવાળા સૈનિકોને

તેમના સાથીઓનાં ઘાયલ અને મૃતક સાથીઓને સ્ટ્રેચરમાં લઇ જતા જોયા હતા.

તે પ્રમાણે દર્શનસિંહની સામે આવેલા સૈનિકોના પણ મારી ભૂતપૂર્વ કંપનીના

જવાનોએ એવા જ હાલ કર્યા હતા. C.O.એ મને ધુસ્સી પર જઇ તેમને સૌને

શાબાશી આપવા અને ઉત્સાહ વધારવા માટે જવાનો આદેશ આપ્યો, 

    આ નાનું સરખું કામ કરવા નીકળતી વખતે જિપ્સીને ખ્યાલ નહોતો કે

તે એક એવા અભિયાનમાં જઇ રહ્યો હતો કે તેમાંથી જીવતા પાછા

આવવાની શક્યતા નહિવત હતી.
Posted by Capt. Narendra 

Sunday, September 19, 2021

વિદાય – ફરી એક વાર – અને યુદ્ધની શરૂઆત

       અનુરાધાને મૂકવા અમૃતસર સ્ટેશન પર ગયો, મને ૧૯૬૫ના એપ્રિલની ઝાંસી

સ્ટેશન પરની બપોર યાદ આવી. ત્યારે ઝાંસી સ્ટેશન પર મને મૂકવા અનુરાધા

આવી હતી. એકલી. આ વખતે તે એકલી નહોતી. તેની સાથે અમારા બે બાળક,

છ વર્ષની કાશ્મીરા અને દોઢ વર્ષનો રાજેન હતા અને તેમને સ્ટેશન પર છોડવા

હું ગયો હતો. આ સમયે  પરિસ્થિતિ જુદી હતી. યુદ્ધ તો થવાનું જ હતું. ખુદ અમારા

આર્મી ચીફ સૅમ બહાદુરના મુખેથી સાંભળેલા શબ્દોમાં કેવળ ભવિષ્યવાણી નહીં,

પ્રતિજ્ઞા હતી. અજનાલામાંના અમારા હેડક્વાર્ટર્સમાં આવેલા પારિવારિક આવાસ

પાકિસ્તાનના ભારે તોપખાનાની રેન્જમાં હતા. લગભગ સઘળા પરિવારોને સુદૂર

આવેલા વતનના ગામે મોકલવા પડ્યા હતા. પાંચ વર્ષના લગ્નજીવનમાં વિખુટા

પડવાનો આ બીજો પ્રસંગ હતો. આ પાંચ વર્ષમાં ગંગાના પ્રવાહમાં ઘણું પાણી

વહી ગયું હતું. ૧૯૬૫માં અનુરાધાનું ધ્યાન રાખવા બાઇ હતાં. આ વખતે કોઇ નહીં.

બાઇના અવસાન બાદ જીવનમાં આવેલા વાવાઝોડામાં વતનમાંના અમારાં

મૂળીયાં  હચમચી ગયા હતા. ફ્રન્ટિયર મેઇલના ગાર્ડના ડબા પાછળનો લાલ દિવો

અવકાશમાં લુપ્ત થયો ત્યાં સુધી હું હાથ હલાવી મારા નાનકડા પરિવારને ‘આવજો’

કરતો રહ્યો. મારા વન-ટન ટ્રકનો ડ્રાઇવર ડોગરા રાજપુત યુવાન રણજીતસિંહ

દૂરથી મને જોઇ રહ્યો હતો. તેણે મારી સંવેદના સમજી હોવી જોઇએ, કેમ કે

તેણે મને ભાનમાં લાવવાનો પ્રયત્ન ન કર્યો, ના તેણે કહ્યું, ‘સાબજી, રેલગાડી

ચલ પડી. હૂણ ચલિયે ?”   સાહેબ, ટ્રેન તો જતી રહી. હવે જઇશું?

    પ્લૅટફોર્મ પર ફેલાયેલી શાંતિમાં મને અચાનક ભાન આવ્યું. કયા વિચારોમાં હું

ખોવાયો હતો કોણ જાણે. કદાચ એ પણ હશે કે આ વખતે ફરી મળીશું કે કેમ.

ખેર, આ વિચાર વમળમાં આપને નહીં ખેંચું. ભલા માણસો કહેતા હોય છે કે

આનંદ વહેંચવાથી તે બમણો થાય છે અને વ્યથા અર્ધી. આ અર્ધસત્ય છે. આનંદ

કેવળ આત્મીયોમાં વધે છે. કોઇની વ્યથા અને પાપમાં કોણ ભાગિદાર થવા

કોઇ તૈયાર હોતું નથી. હોય તો કેવળ વાણી વિલાસ. 

    પરમાત્મા પરમકૃપાના સિંધુ છે, અને તેમની કૃપાબિંદુઓની વર્ષાથી તેઓ

સૌને અભિસિંચિત કરતા રહે છે. તેમ છતાં કાળચક્ર તથા કર્મના શાશ્વત નિયમોને

તેમનું કામ કરવું જ પડે છે.  એ તો હળવે, મક્કમ પગલે ચાલ્યા કરે છે, અને તેમની

સાથે જોડાયા છે કરોડો માનવીઓનાં ભવિતવ્ય અને કર્મ ફળ. કેટલાક ગયા

જન્મનાં બાકી રહેલા અને હાલના જીવનના બનેલા પ્રારબ્ધ, પૂર્વલિખિત. બાકીનાં

તેણે સમજી, વિચારીને કે અવિચારમાં આવીને કરેલાં કૃત્યોનાં ફળસ્વરુપ. તેમાંથી

પ્રાણીમાત્ર કેવી રીતે છુટી શકે? સૃષ્ટિની રચનામાં માનવીનું અસ્તિત્વ ક્ષુદ્ર રજકણ

જેવું છે. આવા કોટ્યાવધિ રજકણોને નિસર્ગના સર્જનમાં કોઇને વ્યક્તિગત મહત્વ

નથી, કે નથી કોઇ સ્થાન. એ તો તેણે કરેલા કર્મોની કક્ષામાં, કર્મના ગુરુત્વાકર્ષણની

અસર નીચે ખેંચાતો રહે છે, ભટકતો રહે છે.

    વર્ષો બાદ મેં અનુરાધાને પૂછ્યું : તે સાંજે અમૃતસર સ્ટેશનેથી ઘેર જવા તમે

નીકળ્યા ત્યારે યુદ્ધનાં પરિણામનો કોઇ વિચાર આવ્યો હતો?”

    “સાચું કહું તો ના. મારો પરમાત્મા પર પૂરો વિશ્વાસ છે. આપણું કામ છે

પરમકૃપાળુની પરમ શક્તિ પર શ્રદ્ધા રાખવાનું. ભવિષ્યની ચિંતા આપણે ભગવાન

પર છોડીને આપણું કર્તવ્ય બજાવતા રહિએ તો પરમાત્મા આપણું રક્ષણ કરશે.

અમૃતસરથી ટ્રેન નીકળી ત્યારે હાથ જોડીને પરમાત્માને એ જ પ્રાર્થના કરી હતી.

ત્યાર પછી કાશ્મીરા અને રાજેનનું ધ્યાન રાખવામાં મન પરોવ્યું હતું.”

    ચમત્કાર કહો, સંજોગ કહો, એ જ ટ્રેનમાં નુરાધાની પિત્રાઇ બહેન મંદાકિની

અને તેના પતિ કાશ્મિરનો પ્રવાસ કરી અમૃતસરનું સુવર્ણ મંદિર જોવા ગયા હતા.

ત્યાંથી તેઓ મુંબઇ પાછા જઇ રહ્યા હતા. તેમને સીટ મળી હતી અનુરાધાના કૂપે

(coupé)ની બાજુના કમ્પાર્ટમેન્ટમાં!  અમૃતસરથી ટ્રેન છુટ્યા બાદ રાજેનને

બાથરૂમમાં લઇ જતી વખતે તેણે મંદાકિનીને જોઇ – અને ઠેઠ વડોદરા

સુધી તેમનો સંગાથ રહ્યો.

***

    બટાલિયનમાં પહોંચ્યા બાદ પરિવારનો વિચાર કરવા માટે એક સેકંડનો

પણ સમય નહોતો રહ્યો. વહેલી સવારથી અમારી આઉટપોસ્ટની મુલાકાતે

નીકળી જતો. રાવિ પારની ચોકીઓ, જે આંતરરાષ્ટ્રીય સીમાથી કેવળ

દોઢસોથી ત્રણસો ગજના અંતરે હતી, તેના બંકરોમાં ફરજ બજાવી રહેલા

દરેક જવાન પાસે જઇ ચકાસણી કરતો હતો કે દરેક સૈનિકને તેની arc of fire

(તેની જવાબદારીના વિસ્તારની ડાબી અને જમણી હદ, જેમાં દુશ્મન પ્રવેશતાં,

તેના કમાંડરનો હુકમ મળતાં તેમાં ફાયરીંગ કરવાની) જાણ છે, અને તે અંગેના

હુકમનું પાલન કરવા વિશે તેને પૂરો ખ્યાલ અને વિશ્વાસ છે.


બાજુની આકૃતિમાં ત્રણ રાઇફલમેન છે. તેમાંના દરેક સૈનિક માટે તેની ડાબી

અને જમણી હદ નક્કી કરવામાં આવે છે, અને તેના જમીન પરના ચિહ્નો તેણે

પોતાની હાથની રેખાની જેમ યાદ રાખવાની હોય છે. દાખલા તરીકે ડાબી બાજુના

જવાનની ડાબી હદ છે સડક પરના ગરનાળાની ડાબી હદ અને જમણી હદ છે બે

રસ્તાનું જંક્શન અને તેનો જમણો કિનારો. આ થયો તેનો arc of fire. તેની બહાર

તેણે ફાયરીંગ કરવાનું ન હોય, કેમ કે ત્યાં બીજા સૈનિકની જવાબદારી શરૂ થાય છે.

અહીં જોવા મળશે કે એક સૈનિક ન કેવળ પોતાના વિસ્તારને cover કરે છે, પણ

તેની arcમાં તેના સાથીનો ડાબી અને જમણી બાજુ (flank) પણ ગોળીબારના

ક્ષેત્રમાં સામેલ થાય છે. 

   બટાલિયનના ઑપરેશન્સ ઑફિસર તરીકે જિપ્સીએ દરેક ચોકીમાં જઇ,

પ્રત્યેક જવાનની તૈયારીની ચકાસણી કરવાનું શરૂ કર્યું. અમારા જવાન મુખ્યત્વે

શીખ, હિમાચલના ડોગરા રાજપુત અને કેરળના યુવાનો હતા. સૌ તૈયાર હતા.

સૌનાં હોંસલા બુલંદ હતા. એક એક જવાનની હિંમત અને જુસ્સો શિખર પર હતો. 

     અમારા પંજાબ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશ્વિની કુમાર તેમની હિંમત,

શૌર્ય અને રણનીતિ માટે પ્રખ્યાત હતા. આપણા વાચકમાંના કોઇક વડિલને

યાદ હશે કે સૌરાષ્ટ્રમાં ભુપત બહારવટિયાએ આતંક મચાવ્યો હતો. ગુજરાત

પોલીસ તેના પર કોઇ રીતે કાબુ કરી શકી નહોતી. તે સમયે પંજાબના યુવાન

આ જ અશ્વિની કુમાર ડેપ્યુટેશન પર આવ્યા હતા અને તેમના સહકારી શ્રી. કાનેટકર

સાથે અભિયાન ચલાવી તેનો એવો પીછો કર્યો કે ભુપતને દેશ છોડી પાકિસ્તાન

પલાયન કરવું પડેલ. અશ્વિની કુમારને  BSFના જવાનોની ચિંતા હતી. યુદ્ધની હવા

પ્રચંડ જોશથી ફૂંકાતી હતી. ૧ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ તેમણે સંદેશ મોકલ્યો કે

તેઓ સીમા પરની અમારી ચોકીઓની મુલાકાતે 5 Decemberના રોજ આવશે.

અમારા CO શ્રી. ભુલ્લરે મને જવાબદારી સોંપી કે મારે તેમને C કંપનીના હેડક્વાર્ટરમાં

sand model બનાવી તેના પરથી તેમને અમારા મોરચા, અમારી સામે પાકિસ્તાનની

કઇ સેના છે અને તેમના મોરચા, તેમના હુમલાનો સંભવિત માર્ગ અને તે ખાળવા

અમારી તૈયારી, તે વિશે briefing કરવાનું છે.  મેં તૈયારી કરી, તેની પ્રૅક્ટિસ કરી.

તે સમયે અમારી ચોકીની છત પર ભારતીય વાયુસેનાની ટુકડીઓ તેમને મળેલી

આધુનિક (પણ હાલ નકામી !) Warning Systemના ઉપકરણ લઇને  24×7

ફરજ બજાવી રહ્યા હતા. આ એવું વાયરલેસ ઉપકરણ હતું કે સામી દિશામાંથી

દુશ્મનોનાં બૉમ્બર/ફાઇટર જેટ આપણા પ્રદેશમાં પ્રવેશ કરે અને IAFની

ડિટેચમેન્ટને દેખાય કે આ યંત્રનું ફક્ત બટન દબાવવાથી અમૃતસરના રાજાસાંસી

ઍરપોર્ટ પરના ફાઇટર પાઇલટ scramble કરી તેમના વિમાનોમાં ઉડ્ડયન કરી

દુશ્મન વિમાનોનું સામૈયું કરે.

    મારા briefingનું ડ્રેસ રિહર્સલ કરવા શ્રી. ભુલ્લરને લઇ હું કંપની હેડક્વાર્ટરમાં

૪ ડિસેમ્બરની સાંજે પહોંચ્યો. મારૂં બ્રિફિંગ પુરૂં થયું ત્યાં તો અમારા હેડક્વાર્ટરની

છતથી કેવળ વીસ – પચીસ ફિટ ઉપરથી ત્રણ જેટ વિમાનો પાકિસ્તાન તરફથી

આવ્યા અને દક્ષિણમાં અમૃતસર તરફ ગયા. અમને આપણા અને પાકિસ્તાનના

વિમાનોના માર્કિંગથી ઓળખવાની ટ્રેનિંગ મળી હતી તેથી અમે તે તરત પહેચાની

શક્યા. ત્યાં ઍર ફોર્સના સાર્જન્ટે બૂમ પાડીને પૂછ્યું, ‘સર આ પાકિસ્તાનીઓ હતા ને?’

અમે હા પાડતાં જ તેણે બટન દબાવી રાજાસાંસી, આદમપુર અને આસપાસના

ઍર પોર્ટ પર જાણ કરી. સમગ્ર કાર્યવાહી અર્ધી મિનિટથી ઓછા સમયમાં પૂરી થઇ.

પાંચ મિનિટ પણ નહીં થઇ હોય ત્યાં આ વિમાનો આવ્યા તેવા જ પાછા ફર્યા અને

તેમનો પીછો કરી રહ્યા હતા આપણા સુખોઇ 7 – જેને તે સમયે અમે Su-Sevenના નામે જાણતા.

   PAF (પાકિસ્તાન ઍર ફોર્સ) દ્વારા થયેલ હુમલો pre-emptive strike હતો. આ

એ વાતનું દ્યોતક હતું કે તેમણે પશ્ચિમમાં મોરચો ખોલી દીધો હતો.

    યુદ્ધની વિકરાળ વાસ્તવિકતા હવે કેવું સ્વરુપ ધારણ કરશે તેનો અંદાજ કરવો

મુશ્કેલ હતો. અમે હેડકક્વાર્ટર્સ પહોંચ્યા . 

    રાત ના દસ વાગે સીમા પર તોપના ધડાકા શરૂ થઇ ગયા. આ હતું તેમનું

preparatory bombardment. પૂર્ણ કક્ષાના યુદ્ધની શરૂઆતનો આ  શંખનાદ

હતો. તેની સાથે અમારા સિગ્નલ સેન્ટરના વાયરલેસ સેટ ધણધણી ઊઠ્યા.

(વધુ આવતી પોસ્ટમાં)

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૭૧ – યુદ્ધનાં એંધાણ…

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Saturday, September 18, 2021

૧૯૭૧ – યુદ્ધનાં એંધાણ…

      ગઇ પોસ્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાની ટુકડીએ અમારી શેરપુર

ચોકીની આસપાસ નિરિક્ષણ કર્યું તેવી જ રીતે તેમણે અમારી કંપનીની પશ્ચિમમાં

આવેલી ‘એકો’ (Echo) કંપનીના બુર્જ અને ફતેહપુર નામની ચોકીઓ તરફ પણ 

ટુકડીઓ મોકલી હતી. તેમ છતાં અમારા ઑપરેશનલ કમાંડરને દુશ્મનના ઇરાદાનો પૂર્ણ ખ્યાલ નહોતો આવ્યો!  અમને એક વાત તો 

જરૂર જણાઇ કે રાવિ નદી સુધી આવેલી દુશ્મનની ટુકડીનો આશય અમારી 

ચોકીઓ પર હુમલો કરવાનો હતો. તે સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને

અમારી ચોકીના strategic point – નૌકા લાંગરવાના સ્થળનું નિરિક્ષણ કરવા ટુકડી

ન મોકલે. આની પાછળ તેમના બે ઉદ્દેશ હોઇ શકે : એક તો શેરપુર ચોકી પર હુમલો

કરી તે કબજે કરવી અને નૌકા લાંગરવાના સ્થાન પર અગાઉથી કબજો કરવો જેથી

ભારતના mainland તરફથી આવનારી કૂમકને રોકી શકાય.થનારી આગેકૂચને રોકી

શકાય. બીજો ઉદ્દેશ : શેરપુર ચોકીની પશ્ચિમનો વિસ્તાર જ્યાં રાવિનાં વહેણ તેમની

સીમાની અંદર વળતાં હતાં, તે પાર કરી, તે દિશામાંથી ભારત પર હુમલો કરવો. 

શેરપુર ચોકી તેમના ડાબા પડખામાં આવતું હોઇ, તેના પરનો કબજો તેમની

સેનાની તે દિશા સુરક્ષિત રહે. એક વાત સ્પષ્ટ હતી કે  પાકિસ્તાન તરફથી થનારા 

આક્રમણની આ પૂર્વ તૈયારી હતી. અમારા સી.ઓ.એ તેવો રિપોર્ટ બ્રિગેડ

કમાંડરને મોકલ્યો. તેમણે શેરપુર ચોકીમાં ઇન્ફન્ટ્રીના એક લેફ્ટેનન્ટ તથા દસ

સૈનિકો મોકલ્યા અને ચોકીની રક્ષાપંક્તિ થોડા અંશે મજબૂત કરી.

    બટાલિયન હેડક્વાર્ટર્સમાં ગયા બાદ મારી ડ્યુટી બે અફસરોની હતી : ઍજુટન્ટ

(Adjutant) તથા ક્વાર્ટરમાસ્ટરની. એક દિવસ સવારે અમારી Operations

Roomમાં બૉર્ડર પરથી આવેલા sitrep જોતો હતો ત્યાં અમારા સી.ઓ. આવ્યા.

તેમણે કહ્યું,  “નરિન્દર, આપણા ડિવિઝનલ કમાંડરે જણાવ્યું છે કે આજે દસ વાગે આપણા સેક્ટરની સઘળી બ્રિગેડ્ઝના ઑફિસરોની મિટિંગ 

આપણા હેડક્વાર્ટરમાં યોજવાની છે. લગભગ ૫૦ જેટલા અફસરોને સંબોધવા આર્મી 

ચીફ જનરલ સૅમ માણેકશૉ આવી રહ્યા છે. સુબેદાર મેજર માનસિંહે એક બૅરૅક ખાલી ક

રી છે અને ત્યાં ખુરશીઓ ગોઠવી રહ્યા છે. I am sorry, આ મિટિંગમાં BSFના અફસરોને 

બોલાવવામાં નથી આવ્યા. બ્રિગેડ કમાંડરે કહ્યું છે કે આ ફક્ત આર્મી ઑફિસર્સની

મિટિંગ છે. આપણી બટાલિયનમાં આ યોજાય છે તેથી તમે જાતે જઇને જોઇ લેજો કે 

ત્યાં ‘ટૉપ ક્લાસ’ વ્યવસ્થા થઇ છે.”

     આ બીજો પ્રસંગ હતો જ્યાં BSF પ્રત્યે મિલિટરીના કેટલાક વર્તુળોમાં ચાલતી

trust deficitની લાગણી પ્રદર્શિત થતી જણાઇ. 

    મેં મિટિંગ હૉલમાં જઇ તપાસ કરી. સુબેદાર મેજરે સરસ વ્યવસ્થા કરી હતી. 

ચીફ (ચીફ ઑફ આર્મી સ્ટાફ માટેનું આ 

સર્વમાન્ય સંબોધન છે) આવે તે પહેલાં C.O. શ્રી.ભુલ્લર, અમારા સેકન્ડ-ઇન કમાન્ડ 

શ્રી. યાદવ અને હું મિટિંગના સ્થળેથી દૂર આવેલી અમારી ઑફિસર્સ મેસમાં ગયા. 

    વીસે’ક મિનિટ બાદ અમારા ક્વાર્ટરગાર્ડ (જ્યાં Ceremonial Parade વખતે

પરિધાન કરાતા યુનિફૉર્મ સાથે સજ્જ હોય છે તે)ના ગાર્ડ કમાંડરનો સિનિયર અફસરોને આપવામાં આવતી હથિયારબંધ સલામી 

આપવાનો ગર્જના સમો હુકમ સાંભળ્યો. હુકમની સાથે સાથે સ્વાગતના બ્યુગલના

સૂર સંભળાયા. આનો અર્થ એ કે ચીફ તેમના સ્ટાફ તથા અન્ય સિનિયર અફસરો સાથે અમારા કૅમ્પસમાં આવી ચૂક્યા હતા. સીઓ થોડા ગમગીન હતા. અમારી 

બટાલિયનના હેડક્વાર્ટર્સમાં દેશના સરસેનાપતિ આવ્યા હતા અને તેમની 

સભામાંથી અમને બાકાત રાખવામાં આવ્યા હતા ! મેસનો ‘આબદાર’ અમારા 

‘માટે ચ્હા લાવે તે પહેલાં અમે બ્રિગેડ મેજરને દોડીને મેસ તરફ આવતા જોયા. 

હાંફતા શ્વાસે તેમણે સીઓને કહ્યું, “સર, ચીફે આપને અને આપના અફસરોને 

બોલાવ્યા છે. મિટિંગ હૉલની બહાર 

તેઓ તમારી રાહ જોઇ રહ્યા છે. તેમણે આપને સૌને મિટિંગ માટે બોલાવ્યા છે.

    અમને નવાઇ લાગી. અમે સૌ દોડતા જ મિટિંગના સ્થળે પહોંચ્યા. ત્યાં મસ્તક

પર સાઇડ કૅપમાં સજ્જ, ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા જનરલ સૅમ માણેકશૉ

ખડા હતા. તેમની બાજુમાં વિલાયેલા મોઢે અમારા કોર કમાંડર લેફ્ટેનન્ટ જનરલ

રૉલી, ડિવિઝનલ કમાંડર મેજર જનરલ ભટ્ટાચાર્જી અને ત્રણે’ય બ્રિગેડ કમાંડર

ઉભા હતા. અમે ત્યાં પહોંચતાં જ સૅમ બહાદુર એક ડગલું આગળ વધ્યા અને

શ્રી. ભુલ્લર સાથે હાથ મેળવીને કહ્યું, “ભુલ્લર, સૌ પ્રથમ તો હું દિલગિરી વ્યક્ત

કરીશ કે તમને અને તમારા અફસરોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નહોતા. 

BSFના સૈનિકો આ યુદ્ધમાં ભારતીય સેનાનું અંગ છો તે હંમેશા યાદ રાખજો. તમારૂં

બટાલિયન હેડક્વાર્ટર આ વેરાન પ્રદેશમાં પણ આટલું સુંદર બનાવ્યું છે તે માટે

તમને અભિનંદન.” ત્યાર બાદ તેમણે શ્રી. યાદવ અને જિપ્સી સાથે હાથ મિલાવ્યો,

અને કહ્યું, “તમે અંદર બેસો. અમે તમારી પાછળ પાછળ આવીશું.” 

    સૅમ બહાદુર સાથે હાથ મિલાવવાનું સદ્ભાગ્ય કોઇ વિરલ વ્યક્તિને જ મળતું

હોય છે. જિપ્સી માટે આ ધન્ય ઘડી હતી. અત્યારે વિચાર કરું છું, ૧૯૫૧ની સાલમાં

૧૭ વર્ષનો ભાવનગર જેવા નાનકડા શહેરની એક અનામી કૉલેજમાં ઝભ્ભો –

લેંઘો પહેરીને દોઢ-બે માઇલ ચાલીને જતો વિદ્યાર્થીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો

કે એક દિવસ તેને દેશના સર્વશ્રેષ્ઠ સેનાપતિ સાથે હાથ મીલાવવાનું સદ્ભાગ્ય

લાધશે ! તે પણ સૌરાષ્ટ્રથી હજાર માઇલ દૂર, પંજાબ – પાકિસ્તાનની સીમા

પર આવેલા એક અજનાલા નામના ધુળીયા ગામમાં, જેનું નામ પણ તેણે

કદી સાંભળ્યું નહોતું ! 

   જિપ્સી માટે તેના જીવનની એ સર્વશ્રેષ્ઠ ઘડી હતી.

  મિટિંગમાં સૅમ બહાદુરે જે વાત કહી તે એવી તો હૃદય સોંસરવી હતી,

કોઇ તે ભુલી શકે નહીં. કોઇ પણ જાતની ઔપચારિકતા કે આડંબર

વિના તેમણે જે કહ્યું તેનું સંક્ષિપ્ત વર્ણન કરીશ.

    તેમણે કહ્યું, “ગયા માર્ચ મહિનામાં મૅડમ પ્રાઇમ મિનિસ્ટરે મને તેમની

કૅબિનેટ કમિટીમાં બોલાવ્યો અને કહ્યું, ‘જનરલ, પૂર્વ પાકિસ્તાન પર હુમલો

કરો અને પાકિસ્તાની સેનાને ત્યાંથી હાંકી કાઢો. તમને સમગ્ર પરિસ્થિતિનો

ખ્યાલ છે તેથી વધુ કશું નહીં કહું.’ મેં પ્રાઇમ મિનિસ્ટરને ચોક્ખા શબ્દોમાં

કહ્યું, ‘મૅડમ, મારી સેના અને હું અત્યારે પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાની

સ્થિતિમાં નથી. તમારે જો હાર જ સ્વીકારવી હોય તો ભારતીય સેનાના

ભાવિ સેનાપતિને આ હુકમ કરશો, કારણ કે મને હુકમ આપશો તો હું રાજીનામું

આપીશ.’ તેમણે કારણ પૂછ્યું ત્યારે મેં કહ્યું કે યુદ્ધનો પ્લાન કરી હુમલો કરતાં

સુધીમાં બંગાળમાં વરસાદ શરૂ થઇ જશે. ત્યાં એટલા બધા નદી-નાળાં છે કે

તેને મારી ટૅંક્સ ઓળંગી નહીં શકે. ત્યાંની કાળી જમીનના કાદવમાં ટૅંક્સ

અને ભારે તોપ ખૂંપી જશે અને એક ગજ પણ આગળ વધી નહીં શકે. We

will be sitting ducks for their army. મને જોઇતી સાધન સામગ્રી આપો

અને યુદ્ધ માટે યોગ્ય સમય નક્કી કરવાની છૂટ આપો. હું એક મહિનામાં પૂ

ર્વ પાકિસ્તાન આપને ભેટ ધરીશ.’ તેમણે મને જોઇતી સામગ્રી, નદી-નાળાં પાર

કરવા માટે જોઇતી bridging equipment, પાણીમાં તરી શકે તેવી ટૅંક્સ – જે

જોઇએ તે વસ્તુની યાદી આપવા કહ્યું. આપણી સેના માટે મેં માગેલી એકેએક

વસ્તુ મળી છે. તમને યુદ્ધના અભિયાન માટેની ટ્રેનિંગ માટે ભરપૂર સમય આપ્યો.

તમને આધુનિક હથિયાર અને સામગ્રીમાં કોઇ કમી નહીં પડે તેની મને ખાતરી

થઇ છે, હવે ઘડી આવી છે આપણા પ્રધાન મંત્રીનો હુકમ પાર પાડવાની. મને

હવે તમારી પાસેથી વિજય અને કેવળ વિજય જોઇએ. નિષ્ફળતાનાં બહાનાં

નહી. એક વસ્તુ યાદ રાખજો. તમને પાકિસ્તાનમાં કૂચ કરવાનો હુકમ મળશે

તો મને ખાતરી છે કે તમે વિજેતા થઇને જશો. આ શબ્દ યાદ રાખજો  – તમે

ભારતીય સેનાના સૈનિકો છો. લૂંટારા નહીં. આપણી પરંપરા રહી છે કે આપણે

જ્યાં વિજેતા થઇને ગયા છીએ ત્યાં આપણું વર્તન સભ્ય અને સંસ્કારી સમાજના

પ્રતિનિધિ તરીકેનું રહ્યું છે. વિદેશમાં જશો તો ત્યાં તમારી સામે અનેક પ્રલોભન

આવશે. આવું થાય ત્યારે Hands in pockets, gentlemen, and turn back. 

તમારાં પત્ની, તમારી પ્રિયતમા તમારૂં સ્વાગત કરવા રાહ જોતી હશે. ગુડ લક 

ઍન્ડ ગુડ બાય” કહી સૅમ બહાદુર બહાર નીકળી ગયા.

    તેમના ગયા બાદ સાંજે અમારા બ્રિગેડ કમાંડરે શ્રી. ભુલ્લરને આ વાતનો

ખુલાસો કર્યો. અમારૂં હેડ ક્વાર્ટર ખરેખર અત્યંત સુંદર હતું. ગેટમાંથી પ્રવેશ

કરતાં વેંત મોગલ ગાર્ડન જેવી લીલીછમ લૉન, તેના ફરતાં વિવિધ રંગના ફ્લૉક્સના

ફૂલોની બૉર્ડર, સુગંધી ગુલાબનાં છોડ વિશાળ લૉન  ફરતા ઊંચા પૉપ્લરનાં વૃક્ષ

હતા. સૅમ બહાદુર અને તેમનાં પત્ની બાગકામના શોખિન હતા, તેમણે જનરલ

રૉલીને કહ્યું, આ બટાલિયનના સીઓને બોલાવો. મારે તેને અભિનંદન આપવા છે.

જ્યારે તેમણે કહ્યું કે BSFના અફસરોને બોલાવવામાં નથી આવ્યા, તે સાંભળી સૅમ

બહાદુર નાખુશ થયા. તેમણે કહ્યું, “શું BSF તમારા ઑપરેશનલ કમાંડ નીચેના

લડવૈયા નથી ? અત્યારે આ હેડક્વાર્ટરમાં જેટલા BSF અફસર છે તેમને બોલાવો.

તેઓ આવે ત્યાર પછી મિટિંગ શરૂ થશે’. 

***

    જનરલ માણેકશૉએ કેવળ મિટિંગ નહોતી રાખી. તેમણે અમારી ડિવિઝનના

સમગ્ર મોરચાની રણનીતિનું અવલોકન કર્યું અને હુકમ કર્યો કે ડિવિઝનની સઘળી

બ્રિગેડ્ઝ રાવિથી માઇલો દૂર આવેલા ‘સુરક્ષિત’ defenseમાંથી આગળ વધી 

ધુસ્સી બંધની નજીક મોરચાબંધી કરશે. આગળની ચોકીઓમાં રહેલી BSFની

ટુકડીઓને શક્ય હોય એટલો સમય દુશ્નનોના હુમલાનો પ્રતિકાર કરવા

રાખશે ત્યાર બાદ  ધુસ્સી બંધ પર આપણા સૈન્યની સાથે મળીને મોરચાબંધી કરશે.

    આ અમારા માટે સૌથી મોટી રાહતની વાત હતી. આ પહેલાં અમે બલીના

બકરાં કરતાં પણ વધુ ખરાબ હાલતમાં હતા ; અમને હવે સ્પષ્ટ હુકમ મળ્યા હતા. 

    વધારાની વાત એ હતી કે યુદ્ધ શરૂ થવાનું હતું. મેં મારા પરિવારને પાછા

મોકલવાનું નક્કી કર્યું અને નવેમ્બરના મધ્યમાં તેમને અમદાવાદ મોકલ્યા.


Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૭૧ – નુતન અભિયાન (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, September 16, 2021

૧૯૭૧ – નુતન અભિયાન (૨)

 BSFના નિર્માણ વિષયક ફેલાયેલી અફવા તદ્દન પાયા વગરની હતી. તેમ છતાં

ભારતીય સેનાના અફસરોમાં પ્રવર્તેલી શંકા દૂર કરવા કેન્દ્ર સરકારના ગૃહખાતા

કે સંરક્ષણ ખાતા તરફથી કોઇ પ્રયત્ન ન થયો. અત્યારે વિચાર કરીએ તો એવું

લાગ્યા વગર ન રહે કે તે સમયના રાજકારણીઓએ ભારતીય સેના પર એક

પ્રકારનું દબાણ લાવવા માટે જાણી જોઇને આ ભ્રામક ખ્યાલ દૂર કરવા કોઇ

પ્રયત્ન ન કર્યો. સ્વતંત્રતા મેળવ્યા બાદ મોટા ભાગના – બ્રહ્મદેશ,  ઇન્ડોનેશિયા,

ઇજિપ્ત, પાકિસ્તાન વિ. જેવા Third World દેશોના લશ્કરી વડાઓ જનતાએ

ચૂંટેલી સરકારને બરખાસ્ત કરી પોતે સરમુખત્યાર સત્તાધીશ થઇ બેઠા હતા.

આવું ભારતમાં ન થાય તેના માટે સરકારે સૈન્યની એવી કોઇ મનિષા હોય તો તે

ડામવા માટે BSFની રચના થઇ છે, એવી શંકા જગાવવા ભારતના તે સમયના

રાજકારણીઓને આ પરિસ્થિતિ સાનુકૂળ લાગી હોય તે પણ બનવાજોગ છે.  

    અલ્પમતિ રાજકારણીઓને ભારતીય સેના પર વિશ્વાસ હોવો જોઇતો હતો કે આપણું સૈન્ય હંમેશા રાજકારણથી અલિપ્ત રહ્યું છે. શરૂઆતથી જ.  ભારતીય સેનાના 

અફસરોની વાત કરીએ તો જેમ બાળકને જન્મતાં જ પ્રાણવાયુ મળે છે અને જીવન 

શરૂ થાય છે, તેમ ફૌજી અફસરને યુનિફૉર્મ પહેરતાંની સાથે જ પહેલો શ્વાસ મળે

છે તે રાષ્ટ્રભક્તિનો. ઇંડિયન મિલિટરી ઍકેડેમીમાં પગ મૂકતાં જ  સામે દેખાતો

બીજમંત્ર, જેની પ્રથમ પંક્તિના શબ્દ “The safety, honour and welfare of your country come first, always and every time” દરેક અફસરના શ્વાસમાં અને હૃદયના ધબકારમાં ધબકવા લાગે છે. ભારતીય સૈનિકોની દેશ ભક્તિ પર કદી કોઇને શંકા હોવી ન જોઇએ. 

ભારતીય સેનાના કેટલાક અફસરોમાં BSF પ્રત્યે સેના-વિરોધી પોલીસ ફોર્સની ભાવના હતી તેનો પ્રથમ અનુભવ ૧૯૬૯માં અમદાવાદના 

હુલ્લડ દરમિયાન કન્ટ્રોલ રૂમની ડ્યુટી દરમિયાન આવ્યો. વાતાવરણ શાંત થયું હતું 

અને નિરાંતનો દિવસ હતો. સાંજે ઇન્ફન્ટ્રીના એક કૅપ્ટને જિપ્સી પર સીધો આરોપ 

કર્યો કે BSFની રચના મૂળે ભારતીય સેનાની શક્તિને ડામવા માટે જ કરવામાં 

આવી હતી. ૧૯૬૫થી ૧૯૬૯ના ગાળામાં જે વાત હું સાવ ભૂલી ગયો હતો, તે અચાનક 

પ્રકટ થયેલા જીનની માફક ખિખિયાટા કરતું હોય તેવું લાગ્યું. 

કૅપ્ટનની વાતનો જિપ્સીએ પૂર જોશથી વિરોધ કર્યો. વાત આગળ વધે તે પહેલાં 

મેજર ટેલર વચ્ચે પડ્યા અને પેલા કૅપ્ટનને લગભગ ચૂપ રહેવાની આજ્ઞા કરી અને 

વાદ ખતમ કર્યો. આ વિવાદ ફરી વાર જોવા મળ્યો ૧૯૭૧માં, જ્યારે જિપ્સીનું 

પંજાબમાં પોસ્ટીંગ થયું. 

***

૧૯૬૫ના ડિસેમ્બરમાં BSFની રચનાની જાહેરાત થયા બાદ છેક ૧૯૬૬ના મધ્યમાં 

તેને કલેવર મળવા લાગ્યું. એક સામટી ૧૦૦ બટાલિયનો ખડી કરવાનું કામ 

અશક્ય હતું. કેન્દ્ર સરકારે રાજસ્થાન, પંજાબ વિ. જેવા રાજ્યો સાથે વાટાઘાટ 

કરી સીમા પર સેવા બજાવી રહેલ તેમની પોલીસ બટાલિયનોને BSFમાં સમ્મિલિત 

કરવાની શરૂઆત કરી. તેમની નેમ હતી ગુજરાત, રાજસ્થાન અને પંજાબની 

સીમા પર દસ – દસ બટાલિયનો મૂકવાની – એટલે કે ૩૦ બટાલિયનોની. 

જો કે એટલી સંખ્યામાં પોલીસ બટાલિયનો ઉપલબ્ધ નહોતી તેથી ૧૯૬૫થી 

૧૯૭૧ સુધીમાં પશ્ચિમની સીમા પર તેઓ કેવળ અઢાર બટાલિયનો મૂકી શક્યા હતા. BSFને સૌથી મોટો ફાયદો થયો હોય તો તેમને ભારતીય સેનાના એમર્જન્સી 

કમિશન્ડ ઑફિસર્સ મળ્યા, જેમને ૧૯૬૫ના યુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ હતો.

જો કે BSFને જેટલા અફસરોની જરૂરિયાત હતી તેના પચાસ ટકા કરતાં ઓછા અફસરો મળ્યા. પંજાબમાં અમારી બટાલિયનની જ વાત કરીએ તો અમારી પાસે કેવળ 

બૉર્ડર પરની પાંચ કંપનીઓનું સંચાલન કરવા માટે ફક્ત બે અફસર હતા, જ્યારે દ

રેક કંપનીમાં એક એક ઑફિસર જોઇએ. હેડક્વાર્ટર્સમાં માત્ર પચાસ ટકા અફસર હતા. 

અમારી ૧૫ બૉર્ડર આઉટ પોસ્ટના કમાંડર તરીકે ઇન્સ્પેક્ટર કે સબ-ઇન્સપેક્ટર હોવા જોઇએ, તેને બદલે ૮૦% સ્થાન પર સિનિયર હવાલદારોને 

ASIનું કામચલાઉ પ્રમોશન આપી પોસ્ટ કમાંડરની ફરજ સોંપવામાં આવી હતી. 

જવાનોની સંખ્યા પણ ઓછી હતી. જે ચોકીમાં ૩૦ થી ૩૫ સૈનિકો હોવા જોઇએ 

ત્યાં માંડ વીસે’ક જેટલા જવાન હતા. આ કહેવાનું તાત્પર્ય એ છે કે BSFનું કાર્ય 

શાંતિના સમયમાં પૂરું કરવા માટે આટલી કમી હોવા છતાં પણ કામ ચાલી જતું, 

જેમાં અમારે રોજનું પેટ્રોલિંગ અને રાત્રીના સમયે જ્યાંથી ઘૂસપેઠિયા અને 

દાણચોરોને આપણી સીમામાં પ્રવેશ કરવાની 

શક્યતા વધુ હતી ત્યાં નાકા (ambush) ગોઠવી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી

કરવી. યુદ્ધમાં મિલિટરીની જેમ રક્ષાપંક્તિ કરવી હોય તો તે BSF માટે અશક્ય

હતું. આનાં કારણો બતાવવા જઇશું તો આ પોસ્ટ ઘણી લાંબી થઇ જશે, તેથી

ટૂંકમાં આ કહેવામાં આવ્યું છે.

૧૯૬૫ના યુદ્ધના સમયે રાવિ નદી પારની સઘળી ચોકીઓમાં પંજાબની 

પોલીસ પાર્ટીઓ હતી. લડાઇ શરૂ થતાં જ તેમને ચોકીઓ ખાલી કરી 

પંજાબ આર્મ્ડ પોલીસના મુખ્ય કાર્યાલયોમાં ખસેડવામાં આવ્યા હતા. 

આનું કારણ હતું, રાવિ પારની ચોકીઓ ત્રણ તરફથી પાકિસ્તાનની સીમાથી 

ઘેરાયેલી અને પાછળની બાજુએ રાવિનાં ઘેરાં, ઊંડા જળનો અંતરાય. અમારી 

સામેનો વિસ્તાર એટલે પાકિસ્તાનનો મેદાની mainland. પોલીસ ફોર્સ પાસે 

ટૅંકને રોકી શકે તેવા હથિયાર ન હોય તેથી તેમની ટૅંક્સને આ પોલીસ ચોકીઓ 

ઉધ્વસ્ત કરી રાવિના કિનારા સુધી પહોંચવામાં અર્ધા કલાકથી વધુ સમય ન 

લાગે. આમ નદી પારની ચોકીઓ indefensible ગણાતી. આપણી સેનાની 

સંરક્ષણ પંક્તિ રાવિ નદીનાં પૂર ખાળવા માટે બાંધવામાં આવેલ ધુસ્સી બંધની 

પાછળ શરૂ થતી. ૧૯૭૧માં BSF પાસે આધુનિક હથિયાર નહોતાં. અમારી પાસે

હજી બીજા વિશ્વયુદ્ધના સમયની બોલ્ટ ઍક્શન રાઇલ્સ હતી. ટૅંક વિરોધી રિકૉઇલલેસ

Recoilless Gun – ટૅંક વિરોધી તોપ

(RCL) ગન્સ કે 

RPG

રૉકેટ પ્રૉપેલ્ડ ગ્રેનેડ્ઝ RPG નહોતી. પંજાબની ૨૩મી બટાલિયનની ‘ચાર્લી કંપની’ના 

કમાંડર તરીકે જિપ્સીની નીમણૂંક થયાના બે અઠવાડિયામાં પંજાબની સીમા પર 

તહેનાત હતી તે BSFની સઘળી બટાલિયનોને મિલિટરીના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે 

મૂકવામાં આવી. યુદ્ધનાં વાદળાં ઘેરાતા હતા.  તે સમયની સ્થિતિ એવી હતી કે 

ભારતીય સેનાની જે ઇન્ફન્ટ્રી બટાલિયનના નિયંત્રણ નીચે BSFની  કંપનીને મૂકવામાં 

આવે, તેના કંપની કમાંડર અને જવાનો તે બટાલિયનનો જ ભાગ બની જાય અને 

તેમના રાશન, દારૂગોળા, યુદ્ધમાં તેમણે શી ફરજ બજાવવાની છે તે BSFનો role 

ધ્યાનમાં રાખી તે સોંપવામાં આવે. આમ જે દિવસથી આ કંપની મિલિટરીને સોંપવામાં અવે, BSFના C.O.ની જવાબદારી પૂરી થઇ જાય અને BSFના અફસર અને જવાનોની 

સુરક્ષિતતા, રાશન વિ. ની જવાબદારી સંબંધિત ઇન્ફન્ટ્રી બટાલિયન કમાંડરના 

શિરે રહે. તેમાંનું કશું કરવામાં આવ્યું નહીં. અમારી logistical સમસ્યા ઘણી

વધી ગઇ. બીજી મહત્વની વાત હતી, BSFની યુદ્ધકાલિન ફરજ શી હશે તેનો 

નિર્ણય લેવાયો નહોતો. રણનીતિકારો એવું ધારી બેઠા હતા કે ભારત હુમલાખોર નથી, 

તેથી પંજાબ બૉર્ડર પરની સેનાને આક્રમણ કરવાની તૈયારી કરવાની જરૂર નહીં પડે. વળી યુદ્ધ થાય જ, તો તે પૂર્વ બંગાળના મોરચે થશે. આવું થાય તો પાકિસ્તાનને તેની પૂરી સેના પૂર્વ પાકિસ્તાનમાં મોકલવી પડે, 

અને પશ્ચિમના મોરચા પર લડાઇની કોઇ શક્યતા ન રહે. આવી વિચારધારાને 

કારણે જો પાકિસ્તાન યુદ્ધની ઘોષણા કરે તો BSFના સૈનિકો OP (ઑબ્ઝર્વેશન

પોસ્ટ)નું કામ કરતા રહે. ચોકીઓ પર હુમલો થાય તો ઇન્ફન્ટ્રીના કમાંડરો તેમને

યોગ્ય લાગે તે કાર્યવાહી કરે, પણ તે અંગેના સ્પષ્ટ હુકમ અપાયા નહોતા. BSFના

કમાન્ડીંગ ઑફિસરને અમારા સૈનિકોની સુરક્ષા, તેમનું deployment કે હુમલો થયા

બાદ તેમને ક્યાં મૂકવા તે અંગે કશું પણ કરવાનો અધિકાર નહોતો.  અમને મળેલા

હુકમ પ્રમાણે અમારી ચોકીઓ ઉપર હુમલો થાય તો BSFના કંપની કમાંડરે શું કરવું,

ક્યાં મોરચાબંધી કરવી તેનો ન તો 15 Infantry Divisionના જનરલ સાહેબે કે

અમારા direct commander તરીકે સંબંધિત બ્રિગેડ કમાંડરે કોઇ નિર્ણય ન લીધો. 

રણનીતિમાં આ એક મોટી ક્ષતિ રહી ગઇ હતી.

 અમારા ત્રણે બ્રિગેડ કમાંડર્સ તરફથી  BSF માટે કોઇ યોજનાબદ્ધ હુકમ મળતા

નહોતા. તેમણે BSF માટે status quo – જે હાલતમાં છો, તેવી જ રીતે રહોની

નીતિ અપનાવી હતી. અમારી ૨૩મી BSF બટાલિયનના કમાન્ડન્ટ પંજાબ

પોલીસના ચાણાક્ષ બુદ્ધિના અને દુરંદેશી ઑફિસર ગુર ઇકબાલ સિંહ ભુલ્લર

હતા. તેમણે આગેવાની લઇ બે અગત્યના નિર્ણય લીધા. અમારી ચોકીઓની

ભૌગોલિક સ્થિતિ તથા ૧૯૬૫ના અનુભવને ધ્યાનમાં લઇ એક વાત સ્પષ્ટ હતી કે

જો પાકિસ્તાન તરફથી હુમલો થાય, તો તેઓ ત્રણ પગલાં લેશે. ૧. તેમની સેના

સૌ પ્રથમ અમારી ચોકીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ કાપવાનો પ્રયત્ન કરશે.

આ માટે સૈનિકોને રાવિ પાર કરવા પત્તન (નૌકા લાંગરવાના સ્થળ) પર કબજો

કરશે. ૨. હુમલો કરતાં પહેલાં પાકિસ્તાની સેના Preparatory Bombardment

કરશે. ૩. ચોકીઓમાં અમારા કેવળ ૨૦થી ૨૫ સૈનિકો હોય છે, અને અમારી

પાસેના મોજુદા હથિયાર વડે અમે તેમનો સામનો નહીં કરી શકીએ. તેઓ

હુમલો કરે તો તેમાં તેઓ સો ટકા સફળ થાય. તેમાં શંકાને સ્થાન નહોતું. આ માટે

શ્રી. ભુલ્લરે ત્રણ પગલાં લીધાં. એક તો ચોકીની ચારે બાજુ બાર્બ્ડ વાયરના કેવળ

બે તારની વાડ બનાવી. આવી વાડ દર્શાવતી હોય છે કે તેમાં લગાડેલા તારની

પાછળ માઇનફિલ્ડ છે. તેથી હુમલાખોર સેના તે પાર કરવાનો પ્રયત્ન નહીં કરે.

અમારા સૈનિકોને તેમનો હુમલો નાકામયાબ કરવાનું શક્ય બનશે. બીજી વાત :

અમારી ચોકીનાં બંકર પરની છત વધુ મજબૂત બનાવી જેથી તેમની તોપના

સામાન્ય બૉમ્બાર્ડમેન્ટમાંથી બંકર નીચેના સૈનિકોનો બચાવ થાય. જો કોઇ

ખાસ પ્રકારનો – બંકરમાંથી સોંસરવો નીકળી પડ્યા બાદ ત્રણ કે ચાર સેકંડ બાદ

ફૂટનારા બૉમ્બ સીધા જ  બંકર પર પડે તો તેમાંથી કોઇ બચી ન શકે. પણ આવા

ગોળા જુજ પ્રમાણમાં વપરાતા. ત્રીજી સૌથી મહત્વની યોજના કરી તે ગુપ્ત હતી

અને તેની જાણ કેવળ પોસ્ટ કમાંડર, શ્રી. ભુલ્લર અને અમારા બ્રિગેડ કમાંડરને

હતી. તે હતી અમારી ચોકીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનું ભોંયરૂં

બનાવવાની. આ ભોંયરૂં અમારી ચોકીમાંથી નીકળી રાવિ નદીના એક અજાણ્યા

કિનારા પર  ખુલે. ત્યાં નદીનાં પાણી છિછરાં હતાં, જેથી સૈનિકો સહિસલામત

રીતે પાછા આપણા mainland પર આવી શકે. બીજી તરફ અમારી સીમા

પારની પાકિસ્તાની ચોકીઓમાં ભુરા કૂર્તા અને સફેદ તહેમદ પહેરેલા પહેલવાનોની

સંખ્યામાં સતત વધારો થતો જતો હતો.

હેડક્વાર્ટર્સમાં logistics તથા યુદ્ધ વિષયક તૈયારી, બ્રિગેડ તરફથી સ્થિતિ એવી

વિકટ થઇ હતી કે C.O.એ જિપ્સીને હેડક્વાર્ટર્સમાં બોલાવ્યો. આ કામકાજમાં

અમે ડુબી ગયા હતા ત્યાં એક અમારી શેરપુર ચોકીના વિસ્તારમાં ચોંકાવનારો

બનાવ બન્યો.

એક સાંજે ચોકી માટે સામાન લઇને બે જવાન રાવિ પાર કરી ચોકીના પત્તન પર

જઇ રહ્યા હતા. કિનારાથી દસે’ક ફિટ દૂર હતા ત્યાં તેમણે દસ – પંદર હથિયારબંધ

પાકિસ્તાની સૈનિકોને બાજુની સરકંડાની ઝાડીમાંથી પત્તન તરફ આવતા જોયા.

અમારા જવાન પડછંદ શીખ સિપાહીઓ હતા. તેમણે તેમના તરફ રાઇફલ તાકીને 

આ લોકોને પડકાર્યા તો આ ઘૂસણખોરો આવ્યા હતા તે પગદંડી પરથી રફુચક્કર

થઇ ગયા. અમારા જવાનો દોડતા જ ચોકીમાં ગયા, પોસ્ટ સાબદી કરી અને

બટાલિયન હેડક્વાર્ટરમાં અમને જાણ કરી. અમારા સી.ઓ. તરત શેરપુર પહોંચી

ગયા. બીજા દિવસે તેમણે પત્તન તથા ઘૂસણખોરોનાં પગલે પગલે જઇ તપાસ

કરી. બૂટના નિશાન પરથી સિદ્ધ થયું કે આ ટુકડી આપણી સેનાની નહોતી. તેઓ

નાસી ગયા તેનો અર્થ એ નીકળ્યો કે પાકિસ્તાની સેનાના સૈનિકોની આ

reconnoissance patrol હતી. Battle Indicationsની દૃષ્ટિએ તેનો નિષ્કર્ષ સ્પષ્ટ

હતો. તેમનો ઇરાદો આ ચોકી હુમલો કરવાનો હતો અને તેઓ તપાસ કરવા આવ્યા

હતા કે આ જગ્યા પર તેઓ કબજો કરે તો ત્યાં સંરક્ષણ પંક્તિ ગોઠવી શકાય કે કેમ.

અગાઉના અનુભવે બતાવ્યું હતું કે પાકિસ્તાન યુદ્ધની અધિકૃત ઘોષણા નહીં કરે,

પણ જો અચાનક હુમલો કરે તો અમારી શેરપુર ચોકી પર પહેલો હુમલો થશે.

આ અંગે વળતી રણનીતિનો વિચાર અમારા બ્રિગેડ કમાંડર કરતા હતા ત્યાં

અમારા બટાલિયન હેડક્વાર્ટર્સમાં એવો અપૂર્વ બનાવ બન્યો, જે જિપ્સીના

જીવનમાં બનેલા સૌથી ધન્ય પ્રસંગોમાંનો એક બની રહ્યો.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૭૧ : નુતન અભિયાન

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Sunday, September 12, 2021

૧૯૭૧ : નુતન અભિયાન

 જિપ્સીએ સરહદ પર આવેલી કંપનીનો ચાર્જ લીધા બાદ જાણવા મળ્યું કે અમારી ૨૩મી 

બટાલિયનના વિસ્તારને ત્રણ બ્રિગેડમાં વહેંચવામાં આવ્યો હતો. પૂર્વમાં ૫૮મી 

ઇન્ફન્ટ્રી બ્રિગેડ અને પશ્ચિમના છેડે ૮૬મી બ્રિગેડ. મધ્યમાં ૯૬મી બ્રિગેડ હતી. અમને 

ભારતીય સેનાના ઑપરેશન કમાંડ નીચે મૂકવામાં આવ્યા તેથી અમારી બે કંપનીઓ 

૫૮મી બ્રિગેડ, બે કંપનીઓ મધ્યમાં આવેલી ૯૬મી અને પશ્ચિમના છેવાડે આવેલ 

એક કંપની ૮૬મી બ્રિગેડ નીચે હતી.

અહીં એક અપ્રિય વાત કહેવી પડશે. જાહેરમાં તે કદી પણ ચર્ચાઇ નથી કે નથી થયો 

તેનો કોઇ સ્થળે ઉલ્લેખ. જુના જમાનામાં ગરીબ પરિવારો તેમના બાળકો માટે 

‘મેલ ખાઉ કાપડ’ માંથી કપડાં બનાવતા. રમત ગમતમાં કપડાં મેલાં થાય તેમ છતાં 

તેનો મેલ દેખાય નહીં. કપડાં રોજ ધોવા ન પડે અને સાબુની બચત થાય. રાજકારણના 

તાણાવાણા આ મેલ ખાઉ ધાગા-દોરામાંથી બનાવવામાં આવે છે, જેથી આવી નાની વાતોનો ‘મેલ’ જનતાની 

નજરમાં ન આવે.

એક આવા રાજકારણથી દુ:ખી થયેલા પુરાતન કાળના એક સંસ્કૃત કવિએ 

લખ્યું ‘सत्यं बृयात् प्रियं बृयात् मा बृयात् अप्रियं सत्यम्”। સાચું બોલવું, લોકોને ગમતું હોય તેવું બોલવું. પણ લોકોમાં અપ્રિય થાય તેવું 

સત્ય કદી ન બોલવું. આ ન્યાયે આ વાત કદી ચર્ચામાં આવી નહીં. અહીં  તેનો 

ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી છે કે તેના પરિણામ સ્વરૂપે  BSFના અનેક 

બહાદુર અફસરો અને જવાનોનાં માથાં વધેરાયાં. પરિવારના મોભ સમા પિતા,

પુત્ર, પતિ, ભાઇ યુદ્ધમાં ખપી જતાં તેમનાં પરિવારોએ અસહ્ય દુ:ખ ભોગવ્યું,

જેની કલ્પના બહુ ઓછા લોકોને છે. 

આની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે.

***

૧૯૬૫ની હાલમાં જ લડાઇ પૂરી થઇ હતી. ડિસેમ્બર મહિનામાં અખબારોમાં 

જાહેર થયું કે સીમાવર્તી વિસ્તારોમાં તંગદિલી ઓછી કરવા અને યુદ્ધ જેવી 

પરિસ્થિતિ ટાળવા ભારત સરકારે કેન્દ્રીય ગૃહ ખાતા નીચે એક નવા હથિયારબંધ 

પૅરા મિલિટરી ફોર્સ ઉભું કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું કે શ્રી. કે. એફ. રુસ્તમજીના આધિપત્ય નીચે લગભગ ૧૦૦ 

બટાલિયનોનું  –  એક લાખ સૈનિકોનું અર્ધલશ્કરી સૈન્ય  – BSF – તૈયાર કરવામાં આવશે. આ સૈન્યને ભારતીય સેના જેવા હથિયાર અને શસ્ત્ર 

સામગ્રી આપવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સીમા પર તહેનાત કરી, ભારતીય 

‘સેનાને તેમના શાંતિના કેન્ટોનમેન્ટ્સમાં મોકલવામાં આવશે. શ્રી. રૂસ્તમજી એક 

જમાનામાં સ્વ. જવાહરલાલ નહેરૂના ખાસ વિશ્વાસુ ગણાતા પોલીસ અફસર હતા,

BSFની સ્થાપના પાછળ જાહેર કરવામાં આવેલા ઉદ્દેશો હતા:

  1. આંતરરાષ્ટ્રીય સીમાની રક્ષા. સીમા પર કોઇ ગંભીર બનાવ બને તો પાકિસ્તાનની સીમા રક્ષક સેના  – રેન્જર્સ સાથે ફ્લૅગ મિટિંગ કરી તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો.
  2. યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સીમા પરથી BSFને ખસેડી ત્યાં ભારતીય સેનાને મૂકવામાં આવે. આવી સ્થિતિમાં BSFને સેનાની રક્ષાપંક્તિના ઊંડાણને સશક્તકરવા મોરચાબંધી કરવા ખસેડવી.
  3. જ્યાં દુશ્મનની સેના દ્વારા થનારા હુમલાની શક્યતા ઓછી હોય ત્યાં લશ્કરી અભિયાન કરવાની છૂટ (limited military action in less threatened sectors) આપવામાં આવે.
  4. દેશના vital points  તથા vital installationsની  (રેડિયો સ્ટેશન, એરોડ્રોમ્સ, જાહેર સંચાર સાધનો વિ.)ની રક્ષા કરવી.(આગળ જતાં આ કામ માટે CISFની રચના કરવામાં આવી.)
  5. દેશમાં આંતરિક સુરક્ષાની સમસ્યા ખડી થાય તો તેના પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારની મદદે જવા જેવી જવાબદારીઓ સોંપાય.

આ જાહેર થતાં ભારતીય સેનામાં એવી અફવા ફેલાઇ કે ભારત સરકારના રાજકારણી 

નેતાઓમાં ભય ઉત્પન્ન થયો છે કે ભારતીય સેનાએ મેળવેલ વિજય અને તેમાંથી 

પ્રાપ્ત થયેલી લોકપ્રિયતાનો 

લાભ લઇ ભારતીય સેના પાકિસ્તાની સૈન્યની જેમ coup d’état કરી સત્તા ખૂંચવી શકે તેવી સ્થિતિમાં છે. તેનો પ્રતિકાર કરવા 

કેન્દ્ર સરકાર તેમના ગૃહ ખાતા હેઠળ શરૂઆતમાં એક લાખ જેટલા સૈનિકોની 

સમાંતર સેના ખડી કરવા માગે છે. BSFની રચના તો સીમા સુરક્ષાનું બહાનું છે. અસલ ઇરાદો તો ભારતીય સેનાના 

પ્રતિકાર માટે આ ફોજ તૈયાર કરવામાં આવશે.

અફવા સાંભળી ભારતીય સેનાના ચીફ ઑફ આર્મી સ્ટાફથી માંડી સેકન્ડ 

લેફ્ટેનન્ટ નરેન જેવા જ્યુનિયરમોસ્ટ અફસરોમાં સનસનાટી ફેલાઇ ગઇ. આની 

સાથે સરકારે તરત હુકમ પણ બહાર પાડ્યા કે BSFમાં ભરતી શરૂ કરવામાં આવી છે. સીમા પરના રાજ્યોમાં SRP, રાજસ્થાન આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી, પંજાબ આર્મ્ડ 

પોલીસની બટાલિયનોને BSFમાં સમાવી લઇ સીમા પરથી ભારતીય સેનાને દેશના 

અંતરિયાળમાં આવેલા કેન્ટોનમેન્ટ્સમાં મોકલવાની શરૂઆત થઇ ગઇ. આમ 

દેશની અગ્રિમ રક્ષાપંક્તિ – First Line of Defenceનું ગૌરવશાળી બહુમાન ભારતીય 

સેના પાસેથી ખૂંચવી તે BSF જેવા 

“પોલીસ ફોર્સ”ને આપવામાં આવી રહ્યું છે એવો અસંતોષ સેનાના અફસરો અને 

JCO તથા NCOના પદાધિકારીઓ સુધી ફેલાઇ ગયો હતો, 

સરકારના પરિપત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે BSFને સીમા પર તહેનાત

કરવામાં આવશે, તેથી તેના આફસરો તથા સૈનિકોને ભારતીય સેના જેવું પ્રશિક્ષણ આપી, સૈન્ય પાસે છે તેવા જ હથિયાર – જેમાં 3” Mortars, Medium Machine Guns (MMG) વિ. આપી સક્ષમ સૈન્ય તૈયાર કરવામાં આવશે. હજી તો BSFમાં ભરતી 

શરૂ પણ નહોતી થઇ ત્યાં ભારતીય સેનાના અફસરો BSFને ધિક્કારવા લાગ્યા. 

જિપ્સી પોતે પણ આ માન્યતામાંથી બાકાત નહોતો ! 

ભારતીય સેનામાં BSF વિરોધી ફેલાયેલા અવિશ્વાસ અને ગેરસમજની પરાકાષ્ઠા 

દૂર કરવા લોકલાડીલા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કંઇ કરી શકે તે પહેલાં તેમનું 

જાન્યુઆરી ૧૯૬૬માં અવસાન થયું. એવું નહોતું કે દેશની ગુપ્તચર સંસ્થાઓને આ 

અફવાની જાણ નહોતી થઇ. તેમણે તેનો અહેવાલ ગૃહ ખાતાના અધિકારીઓને તથા 

સરકારના મંત્રીમંડળને પહોંચાડ્યો હોય તે શક્ય છે;  પણ કોઇએ આ અફવા દૂર 

કરવા કોઇ પ્રયત્ન ન કર્યો. જો આવો કોઇ પ્રયત્ન થયો હોત તો આ ગેરસમજ દૂર

કરવા ભારતીય સેનામાં BSF વિશે પૂરી માહિતી આપવામાં આવી હોત. ભારતીય

સેનાના અફસરોને શિક્ષણ આપવામાં આવ્યું હોત કે BSF ભારતીય સેનાનું પ્રતિસ્પર્ધી

કે સમાંતર સૈન્ય નહીં, પણ સેનાનું પૂરક અને સહકારી બળ છે..આવું ન કરવા પાછળના કારણો અંગે જિપ્સીનું વિશ્લેષણ આ પ્રમાણે છે:ભારત સ્વતંત્ર થયા બાદ નહેરૂ ભારતીય સેનાને બરખાસ્ત કરી તેની 

જગ્યાએ પોલીસ મૂકવા માગતા હતા. તેમના મક્કમ વિચાર પ્રમાણે ભારત 

એક અહિંસક અને શાંતિપ્રિય દેશ છે તેથી તેને સૈન્યની આવશ્યકતા નથી.

આ માન્યતા રત્તાધારી પક્ષ – કૉંગ્રેસમાં હજી ઘોળાતો હતો.

દેશમાં નાગરી સત્તાની સર્વોપરિતા (Civilian Authority over the  Military – Armed Forces)ની સ્થાપના માટે નહેરૂના સરકારી બાબુઓ (ICS જેવા) સલાહકારોએ \

ભલામણ 

કરી ભારતીય સેનાના Commander in Chiefનો હોદ્દો રદ કર્યો. તેમના સ્થાને 

સૈન્યની ત્રણે પાંખો – સેના, નૌકાદળ 

અને વિમાનદળને જુદા જુ દા ઉપરી – Chief of Army Staff, Chief of Air

Staff અને Chief of Naval Staffના નવનિર્મિત પદાધિકારીઓની નીચે મૂકવી. 

આમ કરવાથી સૈન્ય દ્વારા રાજપલટો ન થઇ શકે. આ અગાઉ C-in-Cનો હોદ્દો સરકારના કૅબિનેટ સેક્રેટરી કરતાં ઉંચો હતો તેથી બાબુઓના મનમાં 

પણ આ ભય કરતાં ઈર્ષ્યાની માત્રા વધુ હતી. આ ભય કેટલો સાચો હતો (અને 

હજી છે!) તે જાણવા આ link જોવા વિનંતી છે. 

https://theprint.in/india/pm-modis-cds-announcement-leaves-

ias-fraternity-anxious-about-seniority/278640/ 

જેના પરથી ખ્યાલ આવશે સરકારી ‘બાબુ’ઓના મનમાં 

ભારતીય સેનાના અધિકારીઓ પ્રત્યે કેટલી અસુરક્ષિતતા અને અસૂયાની ભાવના છે.  

આ કારણસર Chief of Army Staffને સરકારી અધિકારીઓની સિનિયોરિટીમાં 

જૉઇન્ટ સેક્રેટરીનો સમકક્ષ 

કરવામાં આવ્યો અને સૈન્યના વડાને સિનિયર-મોસ્ટ બાબુ – રક્ષા મંત્રાલયના 

સેક્રેટરી (Defence Secretary)ની નીચે મૂકવામાં આવ્યા. આ અપમાન હજી 

પણ ભારતીય સેનાના 

અફસરોના મનમાં સાલી રહ્યું છે એવું માનીએ તો તેમાં અતિશયોક્તિ નહીં થાય.

અહીં ‘બાબુ’ઓએ અંગ્રેજોના જમાનાથી ચાલી આવતી divide and ruleની

અનીતિને ચાલુ રાખી ભારતીય સેનાના મનમાં BSF એક પ્રતિસ્પર્ધી સેના છે

એવી શંકાનું બીજ રોપ્યું.. (વધુ આવતા અંકમાં)

Posted by Capt. Narendra at 5:48 PM

જિપ્સીની ડાયરી-૧૯૭૧ – નવા મોરચા તરફ પ્રયાણ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, September 9, 2021

૧૯૭૧ – નવા મોરચા તરફ પ્રયાણ

      મિલિટરી કે પૅરામિલિટરી સૈન્યોમાં પંજાબના સૈનિકો સૌથી વધુ સંખ્યામાં જોવા મળે.

 પંજાબમાં આવેલી BSFની દરેક બટાલિયન અગાઉ પંજાબ આર્મ્ડ પોલીસની હતી, 

જેમાંની મોટા ભાગની BSFમાં સમ્મિલિત કરી લેવામાં આવી હતી. પંજાબમાં બધા યુનિટોમાં ફૅમિલી ક્વાર્ટર્સ હતા તેથી પંજાબની 

બટાલિયનોમાં પોસ્ટીંગ મેળવવા પંજાબી અફસરો હંમેશા પ્રયત્ન કરતા રહેતા! મને 

વણમાગ્યે પંજાબ મળ્યું હતું તેનું મને આશ્ચર્ય થયું હતું. 

    સપ્ટેમ્બર ૧૯૭૧ની એક મોડી સાંજે અમે અમૃતસર સ્ટેશન પહોંચ્યા. અમને 

લેવા એક સબ ઇન્સપેક્ટર આવ્યા હતા. સ્ટેશન પર ઘણા સૈનિકો જોવા મળ્યા. 

જો કે અહીં મિલિટરીના ડિવિઝનનું હેડક્વાર્ટર હતું તેથી આ સામાન્ય આવ-જા 

હશે એવું માની લીધું. અમારૂં યુનિટ અમૃતસરથી ત્રીસે’ક કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી  

અજનાલા જતાં અમારા ટ્રકની હેડલાઇટના પ્રકાશમાં સડકના કિનારા પર ભારતીય 

સેનાની ટૅક્ટીકલ સાઇન (આ ખાસ સંજ્ઞા હોય છે)ના નાનાં બોર્ડ નજરે પડ્યા. 

૧૯૬૫ના સમયથી તે વિશે હું જાણતો હતો તેથી તરત ખ્યાલ આવ્યો કે આ 

વિસ્તારમાં ઠેર ઠેર આર્ટીલરી, ઇન્ફન્ટ્રી, આર્મર્ડ રેજિમેન્ટ વિગેરેની છાવણીઓ 

હતી. રસ્તાના ખૂણા પરનાં આ નાનાં ચિહ્નો દર્શાતા હતા કે આ યુનિટ 

(મિલિટરીમાં યુનિટ એટલે બટાલિયન/રેજીમેન્ટ/ટુકડી)માં જવાનો માર્ગ અહીં દર્શાવેલી ટૅક્ટિકલ સાઇનની નજીક પડેલા ચીલા પર 

હતો. કેટલીક જગ્યાએ તો ટૅંક્સ ચાલવાનો અવાજ પણ સંભળાતો હતો. 

    પૂર્વ પાકિસ્તાનની સરહદ પર – આસામ, મેઘાલય, ત્રિપુરા, મણીપુર વિ. સ્થળોમાં સૈન્ય અને BSFની હિલચાલ (mobilisation) શરૂ થઇ ગઈ હતી તેની અમને 

જાણ હતી. પંજાબના મોરચે આટલા મોટા પાયા પર આપણી  સેના ઉતરી હતી તેનો 

મને જરા પણ અંદાજ નહોતો. અમૃતસર શહેર બહારના વિસ્તારમાં આવેલી સેના 

જોઇને મને તરત ખ્યાલ આવ્યો કે પરિવારને બૉર્ડર પર લઇ જવામાં મેં ભુલ કરી હતી. 

***

    આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલી ચોકીઓમાંના કમાંડર્સની ખાસ જવાબદારી હોય છે 

કે સીમાને પેલે પાર ‘સામે વાળા’ની સેના પર અને સીમા ક્ષેત્રમાં રહેનારા નાગરિકોમાં ‘

થતી હિલચાલ પર નજર રાખવી. આ કાર્ય માટે ઊંચા watch tower કે વૃક્ષ પર 

માંચડા બાંધી ત્યાં અમારો

OP (Observation Post) રાખવામાં આવે છે. તેનું કામ છે સામેના વિસ્તારમાં 

ચોમેર નિરિક્ષણ કરવાનું. તેને દૂરબિન અને નોંધપોથી આપવામાં આવે છે. 

તેના જોવામાં જે જે આવે, તેની નોંધ કરી તેનો રિપોર્ટ પોસ્ટ કમાંડરને આપે. 

\પોસ્ટ કમાંડર તેનું આકલન કરી ઉપરના હેડક્વાર્ટરને અહેવાલ મોકલે. આ 

અહેવાલને સિચ્યુએશન રિપોર્ટ કહેવામાં આવે છે – જેનું ટૂંકું સંસ્કરણ sitrep  

હોય છે. રોજ સવારે અને સાંજે તે બટાલિયન હેડક્વાર્ટર્સમાં મોકલવામાં આવે. 

જો કોઇ ઘટના ન થઇ હોય તો ટૂંકમાં NTR – nothing to report નો સંદેશો મોકલાય. કોઇ અસાધારણ હિલચાલ દેખાય તો તેની 

કાર્યવાહી પ્રસંગ પ્રમાણે કરવામાં આવે છે. જો તેને સીમા પારના વિસ્તારમાં 

રહેતી જનતાના રોજીંદા જીવનમાં કોઇ ‘અસામાન્ય ફેરફાર દેખાય તો તેના પર 

વધુ સૂક્ષ્મ દૃષ્ટીથી જોવામાં આવે છે. આવી ઘટનાઓમાં ગંભીર સંકેત હોય છે. 

આને સૈન્યની ભાષામાં Battle Indications કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 

જો સીમા પરનાં ગામોના રહેવાસીઓને સામુહિક રીતે અન્ય કોઇ સ્થળે લઇ 

જવામાં આવે, કે સીમા પરની ચોકીઓમાં સામાન્ય રીતે રાખવામાં આવેલા 

સૈનિકોની સંખ્યામાં અચાનક વધારો થતો જાય અથવા તેમનું પેટ્રોલિંગ વધુ 

ઘનીષ્ઠ થાય તો તેઓ કોઇ ‘પરાક્રમ’ કરવાનો વિચાર કરતા હોય તેનાં આ 

એંધાણ હોય છે. આવી movementsનો રિપોર્ટ સીમા પરના કમાંડરે તેના 

હેડક્વાર્ટર્સમાં તરત મોકલવાના હોય છે, જેના આધારે આપણી સેનાના 

રણનીતિકારો નક્કી કરે કે આપણે કયા પ્રકારની વળતી તૈયારી કરવી જોઇશે. 

અમૃતસર સ્ટેશન તથા તેની આસપાસના વિસ્તારોમાં મિલિટરીના સૈનિકો 

અને વાહનોની અવરજવર જોઇને મને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાનની 

સીમામાં આવું કંઇક બની રહ્યું છે, જેના કારણે આપણી સેના આંતરરાષ્ટ્રીય 

સરહદની નજીક આટલા મોટા પ્રમાણમાં આવી પહોંચી છે. આનો જવાબ 

મળવામાં વાર ન લાગી.

    હેડક્વાર્ટર્સમાં એક અઠવાડિયું અનુરાધા અને બાળકોને સેટલ કર્યા બાદ મારે 

બટાલિયનની C કંપનીમા કંપની કમાંડરની ડ્યુટી બજાવવા સીમા પરના એક 

ગામડાની બહાર આવેલ બરલાસ નામના ગામડાની બહાર રહેવા જવાનું થયું. 

અમારી અજનાલા બટાલિયનની સીમાની રચના રસપ્રદ છે. અહીં અમારા ક્ષેત્રનું 

થોડું વર્ણન કરીશ. આગળ જતાં મારી 

વાતોમાં તેનો ઉલ્લેખ થશે તો અહીં અપાયેલા વર્ણનથી તેનો સંદર્ભ જળવાઇ રહેશે. 

અમારી બટાલિયનના પૂરા વિસ્તારમાં રાવિ નદી વહે છે. બટાલિયનની લગભગ 

બધી ચોકીઓ રાવિ નદીને પાર આવી હતી. અમારી જવાબદારીના વિસ્તારમાં 

આવેલી આંતરરાષ્ટ્રીય સીમાની હદને દરેક કંપની વચ્ચે વહેંચવામાં આવી હતી 

અને કંપનીઓએ તેની જવાબદારી પ્લૅટુનોમાં વહેંચી હતી. પંજાબની સરહદ 

સપાટ, સમતળ ભુમિ પર હોવાથી કેટલાક ભૌગોલિક ફેરફાર થતા હોય છે. 

સૌ પ્રથમ રાવિ નદીમાં પૂર આવે તો તેનાં જળ સીમા પરની ભૂમિ પર એવી 

રીતે ફરી વળે કે ખેતીની જમીન પર પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાન 

તો થતા જ, પણ ઘણી વાર તેનાં વહેણ એવાં પ્રખર કે ગામનાં ગામ વહી જતાં. ‘

જલપ્રલયની અસર ઓછી કરવા પંજાબ સરકારે રાવિ નદીના કિનારે પંજાબના 

ગુરદાસપુર જીલ્લાની દક્ષિણેથી અમૃતસર જીલ્લા સુધી આવી પાકિસ્તાનમાં 

વળી જાય ત્યાં સુધી લગભગ ત્રીસે’ક કિલોમિટર લાંબો બંધ બાંધ્યો છે. આ 

બંધ ‘ધુસ્સી’ના નામથી ઓળખાય છે. તેને અડીને વહે છે રાવિ નદી.

    રાવિ નદી એક અલ્લડ તરુણી જેવી છે. તેમાં પૂર આવે ત્યારે તે બેફામ 

થઇને એવી રીતે નૃત્ય કરતી હોય છે, જાણે તેની રંગભૂમિને કોઇ સીમા નથી. 

મન ફાવે ત્યાં તે ફરી વળે છે. ભારત- પાકિસ્તાન વચ્ચેની સીમા માનવ-નિર્મિત 

છે, જ્યારે રાવિ નિસર્ગ નંદિની. મન ફાવે ત્યારે તે બન્ને પ્રદેશોમાં વહીને પોતાનાં

એંધાણ છોડતી જાય.

સ્વાતંત્ર્ય બાદ બેઉ દેશની સીમા આંકવા BP બાંધવામાં આવ્યા. રાવિને 

તેની તમા નથી. પાંચ-દશ વર્ષે તે પોતાનાં વહેણ બદલતી રહે છે અને કોઇક વાર આપણી ચોકીઓ 

જે રાવિની દક્ષિણે હતી, તે પૂર બાદ રાવિના વહેણની ઉત્તરમાં થઇ જાય. તેમાં 

મારી જવાબદારીની ચોકીઓની હાલત બૂરી થઇ ગઇ હતી ! મારી કંપનીની ત્રણે 

ચોકીઓ – બહેણીયાઁ. માઝીમેવાં અને શેરપુર રાવિ નદીને પાર હતી. એટલું જ 

નહીં, પણ ત્રણે ચોકીઓ એક લાઇનમાં હોવા છતાં રાવિનાં બદલાતાં વહેણને 

કારણે આંતરરાષ્ટ્રીય સીમા બે ચોકીઓની વચ્ચે આવી જતી હતી ! મારૂં કંપની 

હેડક્વાર્ટર ધુસી બંધની દક્ષિણે, તેથી મારે બહેણીયાઁ જવાનું થાય તો બે માઇલ 

ચાલીને રાવિ નદીના કિનારે રાખેલી નૌકા સુધી જવાનું, નદી પાર કરીએ તો એક

વિશાળ બેટ આવે. લગભગ એક કિલોમિટર પહોળો અને પાંચ કિલોમિટર લાંબો.

રાવિ પાર કરી આ બેટ પર પહોંચીએ અને સરકંડા (આઠ-દસ ફીટ ઊંચા ઘાસ)ના જંગલમાં એક કિલોમિટર ચાલ્યા બાદ એક તેજ ગતિથી વહેતું ઊંડું નાળું – ‘તન્ના 

નાલા’ આવે, જેને પાર કરી સરકંડાના જંગલમાંથી નીકળતી પગદંડી પર એક 

માઇલ ચાલીને ગયા બાદ પહોંચાય બહેણિયાં પોસ્ટ પર. તન્ના નાલા ખૂબ ઊંડાણ ભર્યું અને પાણીની ગતિ એટલી તેજ કે તે પાર 

કરવા માટેની નૌકા વહી ન જાય તે માટે તેના બન્ને કિનારા પર મજબૂત થાંભલા 

રોપવામાં આવ્યા હતા.  તેના પર જસતના તારનું દોરડું બાંધવામાં આવેલું. 

તેમાં એક કડી પરોવી, તેને દોરડા સાથે જોડી અમારી નાળું પાર કરવા માટેની 

હોડી સાથે કસીને બાંધવામાં આવેલી. અમારો નાવિક લાંબા વાંસડાને નદીની 

તળેટી પર મૂકીને હોડીને ધકેલી સામે પાર લઇ જાય. ૮ -૧૦ ફિટ ઉંચા સરકંડા 

(જેમાંથી મૂંઢાની ખુરશીઓ બનાવવામાં આવે છે)નું જંગલ પાર કરીને બહેણીયાં 

ચોકીમાં જવાય. અહીંથી બીજી ચોકી માઝી મેવાઁ સીધી લાઇનમાં, પણ સરકંડાના 

જંગલનું ઘાસ કાપીને બનાવેલી પગદંડી પર બે કિલોમિટર ચાલીને ગયા બાદ  

પહોંચાય. હવે માઝી મેવાંથી શેરપુર જવું હોય તો સીધા જઇ ન શકાય, કારણ 

વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પડે. અગાઉ જે અંતર કેવળ ચારસો ગજનું હતું તેમાં 

આંતરરાષ્ટ્રીય સીમાનું વિઘ્ન આવી પડવાને કારણે મારે માઝી મેવાંથી દક્ષિણમાં 

એક કિલોમિટરના અંતરે આવેલ રાવિ નદીને પાર કરી, ત્રણ કિલોમિટર ચાલીને 

શેરપુરના Ferry Point સુધી જવાનું, નદી પાર કર્યા બાદ એક કિલોમિટર ચાલીને જઇએ તો 

શેરપુર ચોકી પર પહોંચાય. આમ મારી કંપની ત્રણ બાજુએથી આંતરરાષ્ટ્રીય 

સીમાથી  – એટલે પાકિસ્તાનથી ઘેરાયેલી હતી. જાણીને નવાઇ લાગશે કે મારી 

ત્રણે ચોકીઓથી આંતરરાષ્ટ્રીય સીમા કેવળ  ૩૦૦ – ૪૦૦ ફિટ દૂર, અને બાઉંડરી 

પિલર એટલો નજીક કે ચોકીમાંથી તેનો નંબર પણ સ્પષ્ટ વાંચી શકાય! આ જાણે 

કશું ન હોય તેમ અમારી ચોકીની પાછળ મોટું વિઘ્ન હતું તે રાવિનું. રાવિનો પટ 

વિશાળ અને પાણી ઊંડા. મારા વિસ્તારમાં કેવળ ત્રણ જગ્યાઓ એવી હતી કે ત્યાં 

પાણી છિછરૂં, એટલે ખભા-સમાણું. કોઇ વાર અચાનક વહેણ તેજ ગતિથી ચાલે, 

તેથી નદીના આ fordable 

ભાગનો વપરાશ ભાગ્યે જ કરીએ. બાકી બરલાસ (મારા હેડક્વાર્ટર)થી ત્રણે 

ચોકીઓમાં જવા માટે ધુસ્સી બંધ પાર કરી, રાવિ નદી પર પહોંચી તે પાર કરવા 

નૌકાનો ઉપયોગ કરવો પડે. અમારા સમયે સીમા પર વાડ બાંધવામાં આવી

નહોતી તેથી આરપાર આવવા જવાનું સરળ બની ગયું હતું.

    પંજાબની ફળદ્રુપ ધરતી સપાટ હોવાથી કેટલીક જગ્યાએ તો સરહદ દર્શક

થાંભલા સુધી લોકો ખેતી કરી શકે છે. થાંભલાની આ પાર આપણાં ખેતર અને

પેલી પાર પાકિસ્તાનના. નદીના વિસ્તારમાં આવેલી મોટા ભાગની સરહદ પર

સરકંડા (elephant grass)ના ગીચ જંગલ છે, જે કાપી, તેમાં ચોકીઓ સુધી

જવા પગદંડીઓ બનાવવામાં આવી હતી. પગદંડીની બન્ને બાજુ સાત-આઠ

ફીટ ઉંચા ઘાસના જંગલ છે, જ્યાં અનેક હરણ (swamp deer જેને પંજાબીમાં

“પાડા” કહે છે) જંગલી ડુક્કર, શિયાળ, સસલાં, બટેર તથા લાલ અને કાળા

તેતરના ઝુંડ જોવા મળે. લાલ તેતર જ્યારે સાદ પાડે ત્યારે બાળક ખિલખિલાટ

કરી હસતું હોય તેવું ભાસે.કાળા તેતર દેખાવમાં પણ સુંદર અને તેના સાદમાં

“સુભાન તેરી કુદરત” જેવા શબ્દો સંભળાય!

    પંજાબ સપાટ મેદાનનો પ્રદેશ હોવાથી અહીંની સરહદ સહેલાઇથી પાર કરી

શકાય. શરુઆતમાં પાકિસ્તાનીઓ દાણચોરીથી સોનું ભારતમાં લાવતા અને

ભારતમાંથી ચાંદી લઇ જતા. ત્યાર બાદ ISIએ ઘૃણાસ્પદ પ્રવૃત્તિ આચરી. ભારતની

સેના અને અર્ધ-લશ્કરી દળોમાં પંજાબની લડાયક પ્રજાની સંખ્યા સૌથી વધુ છે.

ખેતીવાડી તથા નાના પાયાના ઊદ્યોગોની સફળતાને કારણે પંજાબ સમૃદ્ધ રાજ્ય

બન્યું. પંજાબીઓ – અને ખાસ કરીને શીખ ખેડુતો વધારાની આવક મોજ શોખમાં

વાપરે. લગ્ન પ્રસંગ, ઉત્સવ કે પારિવારિક પ્રસંગોમાં નશા માટે દારૂનો ઉપયોગ

છુટથી થતો. ISIએ અફઘાનિસ્તાનમાંથી મોટા પાયા પર અફીણ તથા બ્રાઉન

શ્યુગર લાવી તેને પંજાબમાં ધકેલવાનું શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ હતો પંજાબની

પ્રજાને આવા કેફી દ્રવ્યોની લતમાં ચડાવી તેમની શક્તિનું હનન કરી ભારતની

સેનાની લડાયક શક્તિને નષ્ટ કરવી. આ કારણે તેઓ અમારા વિસ્તારમાં આવેલી

બટાલિયનોની હદમાંથી અફીણની મોટા પાયા પર દાણચોરી કરવાનો પ્રયત્ન

કરતા હતા. સોના કરતાં અફીણની દાણચોરીમાં વધુ પૈસા મળતા હોવાથી

અફીણને અહીં ‘કાળું સોનું’ કહેવામાં આવતું. અમારૂં મુખ્ય કામ દાણચોરી

રોકવાનું હતું અને દાણચોરોની સાથે ઘુસી આવતા જાસુસોને પકડી દેશની

Counter Intelligence એજન્સીઓને હવાલે કરવાની હતી. આ માટે અમે દરરોજ

રાત્રે નદીના કિનારે અથવા બાઉન્ડરી પિલરની આસપાસ નાકાબંધી (ambush)

કરીએ અને સતત પેટ્રોલીંગ કરી તેમને રોકવાનો પ્રયત્ન કરતા. દાણચોરોની ટોળીમાં

એક માણસ સ્થાનિક જગ્યાનો ભોમિયો હોય. તેની મદદથી દાણચોર એક કે બે

હથિયારબંધ રક્ષક અને દસ-બાર માલ ઉંચકનારા મજુર (જેમને પંજાબીમાં ‘પાંડી’

અને અંગ્રેજીમાં ‘mules’ કહેવાય છે) દાણચોરીનો માલ લાવતા અને લઇ જતા.

ભારત વિરોધી આ પ્રવૃત્તિ શિયાળામાં ટોચ પર આવે, ઉનાળામાં સહેજ ઓછી

થાય અને ચોમાસામાં લગભગ બંધ થતી.

  એક અઠવાડિયામાં મારે ત્રણે ચોકીઓની મુલાકાત લઈ, ત્યાંની સ્થિતિનો અંદાજ

લઇ હેડક્વાર્ટરમાં અહેવાલ મોકલવાનો રહેતો. 

પંજાબમાં આવેલી આપણી ચોકીઓ પર હુમલો કરવા પાકિસ્તાનની ટૅંક્સ અને

સૈનિક-વાહક વાહનોને હુમલો કરવા કેવળ ૧૦૦ થી ૨૦૦ મીટરનું અંતર કાપવું

પડે. પરંતુ લાગે છે એટલું આ કામ સહેલું નથી: દુશ્મનને આપણી ચોકી સુધી

પહોંચવામાં ભૌતિક અવરોધ ભલે ન હોય, પણ તેમને રોકવા ત્યાં બેઠા છે

આપણા બહાદુર બીએસએફના સૈનિકો, જેઓ જાનની પરવા કર્યા વગર

દેશની સરહદ સંભાળીને બેઠા છે.

    ડેરા બાબા નાનકથી આપણા વિસ્તારમાં આવતી રાવિ નદીનો પટ ૨૦૦

થી ૩૦૦ મિટર પહોળો છે. નદીમાં કેટલીક જગ્યાએ છાતી સમાણાં પાણી છે.

બાકીના એટલા ઊંડા કે પાર જવા હોડી જોઇએ. બન્ને કિનારે હોડી લાંગરવા

માટે જે જગ્યા તૈયાર કરવામાં આવે છે તેને પંજાબમાં ‘પત્તન’ કહે છે.

આવી રોમાંચક જગ્યાએ મારૂં પોસ્ટીંગ થયું હતું!

કાળા તેતર દેખાવમાં પણ સુંદર અને તેના સાદમાં “સુભાન તેરી કુદરત” જેવા શબ્દો સંભળાય!

comments:

  1. harnish5May 12, 2009 at 8:10 AMNice account-
    I recommend a nice book-“Kartography” by Kamila Shamsie. a pakistani writer. This book is about the birth of Bangladesh-It is in Novel form. She has received literary award from Pak prime Minister- She is teaching english in Boston Uni- she is only 35.
    Captain Saheb-ur last chapter and this is excellent-Very Informative.
    Thanks.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૭૦ – અનોખી રણભૂમિ (અંતિમ)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Sunday, September 5, 2021

૧૯૭૦ – અનોખી રણભૂમિ (અંતિમ)

    આજે અમારી જવાબદારીના વિભાગમાં આવેલા રણ પ્રદેશની આખ્યાયિકાઓ કહીશ. 

આખ્યાયિકાઓ કહો કે દંતકથા, તે ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસનો અંશ એટલા

માટે કે જુના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ

વાતો હોય છે, પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. રાણકદેવીનું અપહરણ કરીને રાજા

સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણ લઇ જઇ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો

ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઇ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે

કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તુટી પડતા ગિરનારને “મા પડ, મારા આધાર, ચોસલાં

કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે…” કહ્યું હતું અને પહાડ પરથી પડતો

ખડક છેક કિનારા પર આવીને અટક્યો હતો – જે હજી પણ જોઇ શકાય છે. તેની થઇ

આખ્યાયિકા; રાણકદે જીવંત, ઐતિહાસીક પાત્ર અને વંદનીય સતી હતાં. 

***    કચ્છના રણની આખ્યાયિકાઓ એવી જ છે – સત્યના અંશ સમાન.
    ભુજની પાસે આવેલ માધાપર ગામ પાસેનું જખનું મંદિર સુપ્રસિદ્ધ છે.

અહીંની આખ્યાયીકા છે કે હજારો વર્ષ પહેલાં અહીંની ધનિક અને શાંત પ્રજા પર

દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે ગોરા વાનના ‘તેજસ્વી’ યક્ષ

ઘોડા પર બેસીને ત્યાં આવ્યા અને દુશ્મનોને મારી હઠાવ્યા. લડાઇમાં કેટલાક ‘યક્ષ’ મૃત્યુ

પામ્યા અને સ્થાનિક પ્રજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટેકરી પર ઘોડા પર બેઠેલા

યક્ષોની ખાંભીઓ રચી. ત્યાં મંદીર થયું અને દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા

યક્ષોની ખાંભીઓ આપણને હજી જોવા મળશે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો

આકાશમાંથી ઉતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા, અને

કચ્છના બંદરેથી પોતાને વતન જવા નીકળ્યા હતા. ગામલોકોની ચીસો સાંભળી તેઓ

\તેમની મદદે ધસી ગયા હતા.
આવી જ વહેમભરી આખ્યાયિકા હતી સિંધમાં. એક ઉંચા, વિશાળ ટેકરામાં ભૂતોનો

વાસ છે એમ મનાતું. સાંજ પછી ત્યાં કોઇ જતું નહિ. આ ટેકરાનું નામ જ પડી ગયું-

મરેલાઓનો અડ્ડો. સિંધી ભાષામાં લોકો તેને “મૂંએ-જો-ડેરો” કહેતા. અંગ્રેજોએ તેનો

જેવો ઉચ્ચાર કર્યો તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ

તેનું ભારતીય-કરણ કર્યું, “મોહન જો દરો”. પુરાતત્વવિદ્ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ

થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઇ. સિંધુ-સરસ્વતિની ભારતીય સંસ્કૃતીની

પ્રાચિનતાનો નક્કર પુરાવો મળ્યો. કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ આવો

જ ઇતિહાસ છે. આમાંની કેટલીક CRPF તથા SRPના સમયની વાતો છે. આ વિસ્તારની

ચોકીઓનું SRPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ  રેડકર તથા આંબેગાંવકર પાસેથી Taking over

કરતી વખતે આ અનુભવો વર્ણવ્યા હતા.  નાડાબેટ નામની અમારી BOPમાં આવેલા નાડા

માતા (હવે લોકો તેમને નાડેશ્વરી માતાના નામે ઓળખે છે)ના સ્થાનક પર ગૂંથાયેલી છે.   

ભારતના ભાગલા થયા બાદ ગુજરાત સીમા પરની ચોકીઓઓના રક્ષણની જવાબદારી

CRPF તથા ગુજરાત રાજ્યની સ્ટેટ રિઝર્વ પોલીસ પાસે હતી. ૧૯૬૫ સુધી તેમણે સંયુક્ત

રીતે સીમાનું રક્ષણ કર્યું હતું. ૧૯૬૫ બાદ કેવળ SRP કાર્યરત હતી. ગુજરાતના અફસરોએ

કહેેલા બે પ્રસંગો અહીં રજુ કરીશું.    રણમાં રાત ઘણી વાર કાળરાત્રી નીવડે છે. રેતી અને

ખારા પાટમાં માઇલો સુધી કોઇ વૃક્ષ હોતું નથી, જેની છાયામાં કોઇ બેસી શકે. હજારો

વર્ગ માઇલના વિસ્તારમાં કોઇ વસવાટ, કોઇ ઘર કે ઝુંપડી નથી કે નથી મળતું પાણીનું

એક ટીપું. લોકશાયર મેઘાણીએ વર્ણવેલ ‘ભૂત રૂએ ભેંકાર’ ભૂમિ તે કચ્છનું રણ. ત્યાં

વસે કેવળ ભારતીય સૈનિકો, અને… જવા દો, આપ વિશ્વાસ નહીં કરો અને કહેવાતા રૅ

શનાલિસ્ટ તેને hallucination કે અંધશ્રદ્ધાના નમૂના કહી તેને તરત મજાકમાં ઉડાવી

દેશે. જી, હા. હું અમને બચાવનાર દિવ્યાત્માઓ તથા હજારો વર્ષોથી ત્યાં વસતા

આત્માઓની વાત કરૂં છું.      પ્રથમ કિસ્સા વિશે રેડકરની સાથે રહેલી CRPFની

ટુકડીની એક પગપાળા પેટ્રોલ કમાંડરે પોસ્ટ પર પાછા આવ્યા બાદ  debriefing

reportમાં કહી હતી.    આ પેટ્રોલને તેમને મળેલા આદેશ પ્રમાણે  નક્કી કરેલા બાઉંડરી

પિલર (BP)પર કોઇના ઘૂસપેઠના ચિહ્ન છે કે નહીં તેની તપાસ કરવા ગયા હતા. પાછા

ફરતાં રાત પડી ગઇ. અંધારામાં જ્યારે કોઇ ઉજાસ હોય તો ફક્ત ટમટમતા તારલાઓ

કે પૂનમની રાતનો પ્રકાશ હોય, ત્યારે રણ કોઇ અજાણ્યા ગ્રહ જેવું થઇ જાય. અધુરામાં

પૂરૂં, રાતના સમયે દિશાસૂચક liquid prismatic compass અને નકશા કામ ન આવે.

કમ્પાસ દિશા જરૂર બતાવે પણ જ્યાં સુધી નકશામાં આપણે પોતે ક્યાં છીએ તે બિંદુ

જડે નહીં તો કમ્પાસ શા કામનો? કમ્પાસ અને ‘one inch to a mileનો નકશો એક

બીજા માટે Siamese Twins જેવા હોય છે. એક વગર બીજો એક ઇંચ પણ ચાલી શકે

નહીં ! રાતના સમયે રણછોડદાસ પગી (જેઓ અમારા સુઇગામ વિસ્તારના જ હતા

અને ફિલ્ડ માર્શલ માણેકશૉએ તેમને પ્રસિદ્ધી અપાવી હતી, તેમના) જેવા ભોમિયાની

મદદ વગર આપણે એક પણ ડગલું ચાલી ન શકીએ.
    CRPFની એક પેટ્રોલ રણમાં અટવાઇ ગઇ. રાતના બાર વાગવા આવ્યા હતા. પેટ્રોલ

પાર્ટી સાંજના છેલ્લા કિરણ સુધી પાછી ન આવે તો તેમને શોધવા માટેની સર્ચ પાર્ટી

બીજા દિવસે જ નીકળી શકે. રેડકર ચિંતામાં પડી ગયા. રાતના લગભગ એક વાગ્યાના

સુમારે આ પેટ્રોલ પાર્ટી કૅમ્પમાં પાછી આવી. હવાલદારે વાત કહી તે આ પ્રમાણે હતી.
    “સાહેબ, અમે તો સાચે જ ગભરાઇ ગયા હતા. વૉટર બૉટલમાંનું પાણી ખતમ થઇ ગયું

હતું. અમને થયું કે બસ, અમે તો ગયા. ઘરવાળી અને બચ્ચાંઓને આખરી વાર મળી પણ

નહીં શકીએ એ ખ્યાલથી મારા યુવાન સાથીઓ દુ:ખી થઇ ગયા હતા. મને અચાનક યાદ

આવ્યું કે આપણી ચોકીનાં સ્થાનકનાં આઇ હાજરા હજૂર છે, અને સંકટના સમયે તેમને

યાદ કરો તો હંમેશા મદદે આવે છે એવું સાંભળ્યું હતું. અમે સૌ એક જગ્યાએ બેસી ગયા,

અને આંખો બંધ કરી માતાને પ્રાર્થના કરી. “મા, હમેં બચા લો!”  પાંચ – સાત મિનિટ થઇ

હશે ત્યાં કાળી લોબડી પહેરેલી ઘરડી માઇને અમે અમારી નજીક આવતી જોઇ. અમારી

પાસે રોકાઇને તેણે પૂછ્યું, “અટાણે અહિંયા શું કરો છો? કોઇ ઘરબાર નથી તે અહિંયા

બેઠા છો?”    “અમે તેમને કહ્યું કે અમે ભૂલાં પડયાં છીએ.”    “ક્યાં જાવું છે? હું નાડાબેટ

ભણી જઉં છું. ત્યાં જવું હોય તો મારી ભેગા ચાલો” કહી અમને પેલા ગાંડા બાવળની

ઝાડીના ખૂણામાં આવેલી સ્થાનકની દેરી સુધી લઇ આવ્યા. અમે માઇનો આભાર

માનીએ તે પહેલાં તે જતાં રહ્યાં હતાં.”      “નરેન, તે વખતે તો ઠીક, અત્યારે પણ અહીં

કોઇ સિવિલિયનોની વસ્તી નથી. આ ડોશીમા વિશે અમે કોઇ જાણતા નથી. મને

ગુજરાતી આવડે તેથી અમારા પગીને આ વિશે પૂછ્યું, તો કહે, “હા, અહીંયા તો

કેવળ એક શક્તિ રહે છે. નાડા માતા. આપણા જેવા રડ્યા ખડ્યા દેશના રખવાળાની

અને જે કોઇ તેમની મદદ માગે તેમને મારગ બતાવે છે.” થોડી વાર શાંત રહીને રેડકરે

વાત આગળ ચલાવી. “સાચું કહું તો મેં આ વાત પર વિશ્વાસ ન કર્યો. થયું હવાલદારને

ભ્રાન્તિ થઇ હશે. પણ એક વાર હું પોતે ફસાઇ ગયો હતો. શિયાળામાં આપણી આગળની

ચોકી જલોયાની આજુબાજુની ઝાડીમાં તેતર જેવા તિલ્લોર પક્ષી આવે છે. મને અભિમાન

હતું કે અહીં રણમાં ચાર વર્ષ રહીને હું અહીંનો ભોમિયો થઇ ગયો છું. એક સાંજે મને થયું

બે-ચાર તિલ્લોર મારી આવું અને એકલો જીપ લઇને જલોયા તરફ નીકળી ગયો. પંખીની

શોધમાં બહુ રખડ્યો, પણ તિલ્લોર કંઇ એવું પંખી નથી કે સામે આવીને કહે, આવ રેડકર,

મને માર! બહુ ભટક્યા બાદ મને કેટલાક પંખી દેખાયા. મારૂં કામ પતાવીને જંગલમાંથી

બહાર આવતામાં તો અંધારૂં થઇ ગયું. ત્યાર પછી બસ, જીપ ચલાવતો ગયો પણ  હંમેશ

વાપરીએ તે ટ્રૅક દેખાય જ નહીં. હું ગોળ ગોળ ફરતો રહ્યો. રાતના અગિયાર થયા. સાથે

પાણી પણ લીધું નહોતું. મને પેલા હવાલદારની વાત યાદ આવી. જીપમાંથી નીચે ઉતરીને

આસપાસ નજર કરી, પણ અંધારામાં કશું દેખાતું નહોતું. મને મારાં પત્ની અને બાળકોની

યાદ આવી, હૈયું ભરાઇ આવ્યું થયું, રેડકર, આજે તું ગયો. તારી બૈરી – બચ્ચાંને રામ રામ

કહ્યા વગર પહોંચી જા ઉપર!. અભિમાન – અહંકારમાં અવીને મેં જે ‘પરાક્રમ’ કર્યું તેનો

અફસોસ થયો . અંતે  મેં નાડામાતાની માનતા કરી, ‘મા આ વખતે બચાવી લો. આવી ભૂલ

ફરી કદી નહીં કરૂં.” અર્ધો કલાક કશું ન થયું. હું રણમાં દેખાતા પેલા દિવા જોઇ રહ્યો હતો.

અચાનક તેમાંનો એક દિવો મારી જીપથી પચીસ – ત્રીસ ગજ દૂર પ્રગટ્યો અને આગળ

વધવા લાગ્યો. મેં અંત:સ્ફૂરણાથી (intuitively) તેની પાછળ જીપ ચલાવી. અર્ધા કલાકમાં

આ દેેરી પાસેના બાવળના ઝાંખરામાં દીવો અદૃશ્ય થઇ ગયો. મારી વાત યાદ રાખજે, તું

believer છે કે નહીં તે હું નથી જાણતો, પણ કોઇ પણ વખતે આવી મુસીબતમાં આવી

પડે તો આ વાત યાદ રાખજે.”     ૧૯૬૮-૭૦ દરમિયાન આ વિસ્તાર ઉજ્જડ હતો. SRPની

પરંપરા યાદ રાખી અમે નાડા માતાની દેરીને સફેદ ચૂનાથી ધોળતા રહ્યા, અને એક

જવાનની ડ્યુટી લગાવી કે તે સવાર – સાંજ ત્યાં સાફસફાઇ કરી દિવો પ્રગટાવે. વર્ષમાં

એકાદ વાર સુઇગામથી બે – ચાર સ્ત્રી-પુરુષો, જેમણે માતાની કૃપાનો અનુભવ લીધો

હતો તે આવતા, માનતા પૂરી કરી, જવાનોને પ્રસાદી વહેંચી પાછા જતા રહેતા.   

૧૯૬૮માં આ ચોકીઓ Take over કરતી વખતે સાંભળેલી વાત હું ભૂલ્યો નહોતો. આનો

અનુભવ છેક ૧૯૭૦ની શરૂઆતમાં આવ્યો.   ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા

યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-

બાળકોની કરૂણ ઘટના રણમાં થઇ. આ ઇતિહાસ પાછળ અને તેની આસપાસ

વણાઇ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે જીપ્સીને નાડાબેટની સામેના

રણમાં થયેલ અનુભુતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં

છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4×4 મીટરની દેરી હતી તેનું આજે મોટા

મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી હજારો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા

ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષીત

સહાય – આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે તો સામાન્ય લોકો તેને ચમત્કાર

કહેશે. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું દિવ્ય અમૃત મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે

વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઇને મળે તો તેની ધન્યતામાં

ચમત્કારની ચમક રહેલી છે એવું જીપ્સીનું માનવું છે.અહીં જીપ્સીને નાડાબેટમાં થયેલા

અનુભવનો ઉલ્લેખ કર્યો છે તો તેની સંક્ષીપ્ત વાત કહીશ.
    બનાસકાંઠા- થર પારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે

મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. રસ્તામાં આવતા પાડણ નામના ગામમાં સોલંકી

રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદીર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય

જોઇ અમે હંમેશા દર્શન કરવા રોકાઇએ.
એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે.

આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઇગામ જઇએ તો

ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં

ઉતરી સીધી લાઇનમાં નાડાબેટ જઇએ તો કેવળ ત્રણ-ચાર કિલોમીટરનું અંતર હતું.

સ્થાયી હુકમ મુજબ ખારાપાટમાં વાહન લઇ જવાની અમને સખ્ત મનાઇ હતી. મેં

મારા ડ્રાઇવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઇ જઇએ.’ ડ્રાઇવર તો

ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી.
અમે પચીસે’ક મીટર ગયા હઇશું ત્યાં આગલા પૈડાંની નીચેથી સફેદ મીઠાના બદલે

કાળો કાદવ દેખાયો. ડ્રાઇવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં

ખૂંપવા લાગી. તેણે 4×4નો ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં skid

થવા લાગ્યા અને વ્હીલની નીચેથી ભીનો, કાળો કાદવ ઉડવા લાગ્યો. પોણા ભાગની

આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઇ. ડ્રાઇવરે જીપ રીવર્સ કરી, તો પાછળનાં પૈડાં પણ

સ્કીડ થયા અને એક જ જગ્યાએ ઘૂમતા રહ્યા. મીઠાના થરને દૂર કરી વ્હીલ તથા પાછલી

એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઇ.
    હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને

હવે જીપ ખારાપાટમાં અટવાઇ ગઇ. અહીં મીઠાના થરની નીચે કળણ હતું. જીપ અને

અમે એવી સ્થિતિમાં હતા કે ત્યાં જ જીપની સાથે અમારી  જળસમાધિ થાય. કોઇ પણ

હિસાબે જીવી જઇએ  તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ ઑફ ઇન્ક્વાયરી થાય અને મારી સામે

શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઇવરે મદદ માટે બૂમો

પાડી, પણ શિવ મંદીરમાં તે સમયે કોઇ નહોતું. આસપાસ કોઇ મકાન પણ નહોતાં.

તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતિજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને

કારણે લીલો છમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. અમને નાડાબેટનાં

માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ

પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. ડ્રાઇવરે થોડી વારે ફરી જીપનું એન્જીન

સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ

શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઉંચકીને

ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતા હોય તેમ થોડા ઉપર આવ્યા

અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડા ઉંચકાયા

અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યા હતા ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ

પંદર મિનીટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.
    હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઇવરે ધ્રુજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો

મૈંને કિયો? ઐસો લાગો જૈસો ગાડીકો કિસીને પીછેસે ઉઠાયો ઔર ખિંચ કે અઠે રણ-રે

કિનારે લાયો!”
    આ શું હતું? ચમત્કાર? આભાસ?
    કોઇ કહેશે તમારી જીપ 4×4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઇ.

ખારા પાટમાં ફસાયા બાદ પહેલી વાર જીપ રિવર્સ કરી ત્યારે પણ તેને 4 x 4 માં જ

ચલાવી હતી. તે સમયે  જીપનાં આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના

કાદવમાં ખૂંપી ગયા હતા. આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય

મારા માટે અગમ્ય છે.
    રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે

આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
    તે સમયે હું તેની વાતથી અસંમત ન થઇ શક્યો!    અહીં બે ચિત્રો રજુ કરૂં છું.

પહેલી છબિ એક દેરીની છે. ૧૯૬૮માં નાડા માતાની દેરી આવી જ, પણ તેનાથી

નાની, અને સિમેન્ટને બદલે ગારાથી લીંપાયેલ અને તેના પર જવાનો નિયમિત

રીતે સફેદ ચૂનાનો ધોળ ચઢાવતા હતા. તેની આજુ બાજુમાં ગાઁડા બાવળની ઝાડી

હતી જેમાં મંદિર ભાગ્યેજ દેખાતું.તાજીના ચમત્કારની વાતો જેમ જેમ ફેલાતી ગઇ, 

દેરીના સ્થાને એક ભવ્ય મંદિર તૈયાર થયું છે. દૂર દૂરથી લોકો માતાના દર્શન માટે

અને માનતા પૂરી કરવા આવે છે. 

માતાજીની દેરી.
નાડેશ્વરી માતાના મંદિરનો ક્લોોઝ અપ ફોટો (૨૦૧૯)

***
          સેકન્ડ બટાલિયન બીએસએફમાં મને ત્રણ વર્ષ થયા હતા. ગમે ત્યારે મારી

બદલીનો હુકમ આવવાનો હતો. હું પણ તૈયાર હતો.    કુલપતિ ક.મા. મુન્શીના પ્રિય

પ્રદેશમાં અને રણમાં અત્યંત રોમાંચક સમય ગાળ્યા બાદ નવેમ્બરમાં મારી બદલીનો

હુકમ આવ્યો. હુકમ પ્રમાણે મારે પંજાબ-પાકિસ્તાનની સરહદ પર જવાનું હતું. બદલીનો

આ હુકમ જોઇ મને નવાઇ લાગી. હું બંગાળી લખી-વાંચી-બોલી શકું એવું મારા

સર્વિસ રેકોર્ડમાં લખાયું હતું તેથી પૂર્વ પાકિસ્તાનની સરહદ પર બંગાળમાં મારી બદલી

થાય તેવું કહેવામાં આવ્યું હતું. આનું એક અન્ય કારણ પણ હતું.
    માર્ચ ૧૯૭૧માં શ્રીમતી ગાંધીએ જનરલ માણેકશૉને પૂર્વ પાકિસ્તાનના મોરચે

યુદ્ધ શરૂ કરવા લગભગ આદેશ જ આપ્યો હતો. આખી કૅબીનેટની સમક્ષ જનરલ

માણેકશૉએ પોતાનો સ્પષ્ટ મત આપ્યો: વ્યૂહાત્મક દૃષ્ટીએ યુદ્ધ માટે આ સમય અનુકૂળ

નથી. પ્રથમ તો ઈશાન દિશામાં હિમાલયના ઘાટ ચીન માટે ખુલ્લા હોવાથી તેમની

સેના પાકિસ્તાનની મદદે તરત જ તીડનાં ધાડાંની જેમ હાલના અરૂણાચલમાં પ્રવેશી

આસામ અને બંગાળમાં ઉતરશે. પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાથી પશ્ચિમ

પાકિસ્તાનમાં રહેલ પાકિસ્તાનની બે આર્મર્ડ ડીવીઝન્સ માટે પંજાબનો સપાટ પ્રદેશ

આક્રમણ કરવા અનુકૂળતા કરી આપશે. તેવી જ રીતે કાશ્મિરમાં અખનૂર – ચિકન નેક

વિસ્તારમાંથી દુશ્મનની સેના સીધો જમ્મુ પર હુમલો કરી શકશે. આમ ભારતીય

સેનાને ચાર મોરચા પર યુદ્ધ ખેલવું મુશ્કેલ થશે. બીજીજ પ્રતિકૂળ સ્થિતિ હવામાન ની

હતી. બંગાળમાં એપ્રિલ – મેમાં વરસાદની ઋતુ શરૂ થાય છે. વરસાદના એ ઝાપટામાં

જ પૂર્વ પાકિસ્તનામાં આવેલાં અસંખ્ય નાળાં-નદીઓ પાણીથી ઉરાઇ જાય અને

આજુબાજુના ખેતરોમાં ફેલાય. આવી ચીકણી ધરતી પર આપણી ભારે સેન્ચ્યુરીઅન

ટૅંક્સ એવી ફસાઇ જાય, કે ત્યાંથી આગળ કે પાછળ વધી જ ન શકે. આવા મોરચા પર

યુદ્ધ કરવા રશિયાની PT – એટલે પાણીમાં તરી શકે તેવી ટાંક્સ જોઇએ અને પુલ બાંધવા

માટેની સામગ્રી  પણ જોઇએ. આમાંનું કશું ભારતીય સેના પાસે નહોતુંં.  જીત મેળવવી

હોય તો ડિસેમ્બર મહિનો બધી રીતે અનુકૂળ છે અને તેઓ નિશ્ચયપૂર્વક વિજય

મેળવી આપશે.
    બીજી તરફ આસામમાં પૂર્વ પાકિસ્તાનમાંથી આવતા નિર્વાસીતોની સંખ્યા એક

કરોડથી વધુ થઇ હતી. પૂર્વ બંગાળના નાગરિકો અને ખાસ કરીને શેખ મુજીબુર્રહેમાન

ભારત પાસે મદદનો પોકાર કરી રહ્યા હતા. તેમને શસ્ત્રાસ્ત્ર તથા માનવબળની સહાયતા

આપવાની આવશ્યકતા તીવ્રતાપૂર્વક ભાસવા લાગી હતી. શ્રીમતી ગાંધીએ બીએસએફના

ડાયરેક્ટર જનરલ કે.એફ. રુસ્તમજીને બોલાવી આ દિશામાં તેઓ કશું કરી શકશે કે કેમ

પૂછ્યું. શ્રી. રુસ્તમજીએ તૈયારી દર્શાવી, અને તે મુજબ તેમણે પચાસ જેટલા ચુનંદા

અફસરોને મુક્તિવાહિનીને પ્રશિક્ષણ આપી, પાકિસ્તાની સેના પર ગેરીલા યુદ્ધ

આદરવા નેતૃત્વ આપવાનો હુકમ આપ્યો. બંગાળી અફસરોને પાકિસ્તાનની સીમા

પર રેડીયો સ્ટેશન સ્થાપી પ્રચાર કાર્ય માટે મોકલ્યા. બીએસએફના અફસર અને

જવાન સામાન્ય નાગરિકના પોશાકમાં પૂર્વ પાકિસ્તાનમાં કારવાઇ કરતા થયા હતા.

આ કાર્યમાં મુક્તિવાહિનીના કમાંડર મેજર ઝીયા ઉર્રહેમાન, જેઓ ઇસ્ટ બૅંગાલ

રાઇફલ્સના અફસર હતા તેમની સાથે મળી ઉગ્ર કારવાઇ શરૂ કરી. આપણા

અફસરોએ આપેલ નેતૃત્વ અને પ્રશિક્ષણનો લાભ લઇ મુક્તિવાહિનીને પાકિસ્તાની

સેના સામે છાપામાર લડાઇ (guerrilla warfare)માં સારી સફળતા મળી.
    મને બંગાળી સારૂં આવડતું હોવાથી મને ત્યાં મોકલવામાં આવશે એવું હું ધારતો

હતો. મેં પણ બંગાળ જવાની માનસિક તૈયારી કરી રાખી હતી, તેથી NRS Amritsar

(નિયરેસ્ટ રેલ્વે સ્ટેશન અમૃતસર)નો હુકમ જોઇ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું.    

મારા સૈનિકોની વાત કરૂં તો સૈન્યમાં પ્રવર્તતી કહેવત સાચી નીકળી: There are good

officers and bad officers, but never a bad jawan. મારા જવાનો જગતના

સર્વશ્રેષ્ઠ સૈનિકો હતા. બળબળતા રણમાં ઊંટ પર માઇલોના માઇલો પેટ્રોલિંગ

ડ્યુટી કરવામાં તેમણે કદી પાછી પાની ન કરી. રણમાં અમારા માટે આવતા

ખારા પાણીમાં સ્નાન કરવાથી શરીર પર સફેદ થર જામી જતો, તેનો તેમણે

વિના વiરોધ સ્વીકાર કર્યો. કેટલાક જવાનોનાં ગામ રાઘાજીના નેસડાથી કેવળ

૫૦ કિલોમીટર દૂર રાજસ્થાનમાં હતા. રજાઓ પર પ્રતિબંધ આવ્યો ત્યારે તેમાંના

કેટલાક નવપરિણિતો પોતાની પત્નિને મળવા જઇ શકતા નહોતા, પણ ડ્યુટીમાં

તેમણે કદી કંટાળો કે નારાજી ન દર્શાવી. તેમનો કંપની કમાંડર પણ તેમની સાથે જ

એકલતા અનુભવી રહ્યો હતો જેનો તેમને અહેસાસ હતો. એક બીજાના દુ:ખમાં અને

સુખમાં અમે સાથી હતા અને આ સંબંધ તેમણે બરાબર નિભાવ્યો. મારી

બટાલિયનમાં મારી ‘ફૉક્સટ્રૉટ’ કંપની બધી વાતે ઉત્તમ હતી. તેમને છોડવાનો

સમય આવ્યો હતો. ભારે હૃદયે તેમને છોડીને જવું પડ્યું.

Posted by Capt. Narendra at 10:49 PM

જિપ્સીની ડાયરી-૧૯૭૦ – એક અનોખી રણભૂમિ (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Friday, September 3, 2021

૧૯૭૦ – એક અનોખી રણભૂમિ (૨)

    ક્ચ્છના મોટા રણમાં વિતાવેલ વર્ષો ઘણી દૃષ્ટીએ યાદગાર રહ્યાં. અહીં જોયા અમે જંગલી

ગધેડાં. કલાકના ૪૦ કિલોમીટરની ગતિથી દોડતાં આ પ્રાણી બાવળનાં પાંદડા ખાઇને જીવે.

પણ પાણી ક્યાંથી મેળવતા હશે? તેમને પાળવાના બધાં પ્રયત્ન નિષ્ફળ થયા છે.

શિયાળામાં યુરોપથી હજારોની સંખ્યામાં ‘રાતા બગલા’

સુરખાબ (ફ્લેમિંગોઝ) રણમાં આવી ચઢે છે અને ખારા પાટમાં આખા વર્ષની ગરમીમાં

નજરે ન ચઢનારા નાનકડા કરચલા અને જિંગા એક જ વરસાદમાં જાદુઇ રીતે જીવિત

થઇને તેમનું ખાદ્ય બનવા તૈયાર થાય છે! રશિયાના સૌંદર્યવાન કુંજ પક્ષી (Demoiselle

Crane – અર્થ : કૌમાર્યશીલ કન્યા-સમા બગલા) અહીં જ શા માટે આવે છે? ‘ગ્રેટ

ઇંડીયન બસ્ટર્ડ’ તથા હરણાંઓના ઝુંડને રણમાં જેટલી સુરક્ષીતતા જણાય છે, એટલી

અન્ય સ્થળે શા માટે જણાતી નથી? અને રાતના સમયે ખારા પાટની મધ્યમાં, જ્યાં

કોઇ માનવ પગ પણ ન મૂકી શકે, ત્યાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-ચાર દીપક

કેવી રીતે પ્રગટે છે? અને તેમને તેજ ગતિથી જમીનને સમાંતર કોણ ઉડાવે છે?   

મૃગજળની વાતો ઘણી વાર સાંભળી હતી.  પહેલી વાર બળબળતી બપોરમાં અમે

ઊંટ પર બેસી પેટ્રોલિંગ પર નીકળ્યા તો દૂર, ખારાપાટની પેલે પાર દરિયા જેવો

પાણીનો પ્રવાહ જોયો. તેની ઉપર વરાળની પરત હતી અને તેની પેલે પાર  ઊંટોનું

ટોળું દેખાયું. મેં અમારા પગીને પૂછ્યું, આ જંગલી ઊંટ છે કે પછી કોઇએ તે છૂટા

મૂક્યા છે? તેણે કહ્યું,’ સાહેબ, તમારી દુરબિનથી જુઓ. આ હરણાં છે.  અને આ દરિયો

નથી. ઝાંઝવાનાં જળ છે. રણમાં આવું હંમેશા દેખાય છે.’ વાત સાચી હતી. Refraction

of lightના કારણે આવું optical illusion થતું હોય છે.
***    મારી કંપનીની જવાબદારીના બાઉંડરી પિલર (BP) પર સીધા જઇ શકાય તેવું

નહોતું. આ BP અને અમારી સેક્શનના દસ જવાનોની ચોકીનો બેટ, જે OP

(ઑબ્ઝર્વેશન પોસ્ટ) હતી અને જેનું વર્ણન ગયા અંકમાં કર્યું હતું, ત્યાંથી ખારો પાટ

શરૂ થાય. આ salt flat એવા હતા કે તેની સપાટીથી ત્રણ – ચાર ફિટ નીચે ઊંડું

ખારૂં પાણી હતું. તેમાં ગરક થઇ જવાય તો હાડકાં પણ હાથ આવે નહીં. તેથી BP

તપાસવા કે ત્યાંથી કોઇ ઘૂસણીયા દેશમાં પેસી તો નથી ગયાને તે જોવા, પાડોશી

દેશની બૉર્ડર પર કોઇ ગતિ વિધિ તો નથી થઇ તેની ચોકસાઇ કરવા મારે ત્યાં

પહોંચવું જરૂરી હતું. આ માટે અમારે માવસારીથી રાજસ્થાનમાં  BSFની બાડમેર

બટાલિયનની ભાખાસર અને બ્રાહ્મણાં-કી-ઢાણી નામની બૉર્ડર આઉટપોસ્ટ (BOP)

પર જવું પડતું. જ્યાં તેમની હદ પૂરી થાય, ત્યાંથી BSF ગુજરાતના BP શરૂ થાય.

અમારે  તેના કિનારે જવું પડે. અમને સખત હુકમ હતો કે જો જીપના પૈડાં નીચેથી કાળા

કાદવનો છાંટો પણ ઉડે, તરત જીપ રોકી પાછા ફરવું. નકશામાં કયા પૉઇન્ટ પર આ

કાદવ છે તેની નોંધ કરી અમારા હેડક્વાર્ટરને જણાવવું. આની નોંધ છેક દિલ્હીમાં

આવેલા અમારા ડાયરેક્ટર ઑફ ઑપરેશન્સ પાસે જાય અને ત્યાંથી આર્મી

હેડક્વાર્ટર્સમાં. આનું કારણ છે ક્યા પૉઇન્ટ સુધી જમીન સખત છે જ્યાંથી

ભવિષ્યમાં કદાચ હુમલો કરવાનો થાય કે હુમલો થવાનો હોય, તેની અમને જાણ

રહે અને તે પ્રમાણે તૈયારી કરી શકાય.    મારી પહેલી પેટ્રોલિંગ ડ્યુટી યાદગાર રહી.

જેવા અમે રાજસ્થાના ગામમાં પ્રવેશ કર્યો, ગામના મુખીએ અમારી જીપ રોકી

અને ‘પધારો સા, ચાઇ આરોગીને આગળ જવાનું છે, હુકમ.” આ હતી તેમની

પરંપરાગત મહેમાનગતિ. મને તરત કિશનસિંહજી ચાવડાના પુસ્તક – અમાસના

તારામાંનો એક પ્રસંગ યાદ આવ્યો. ટ્રેનથી પ્રવાસ કરતી વખતે તેમના ડબામાં એ

અત્તરવાળો આવ્યો અને ‘હુકમ’ શબ્દ બોલતાં જ કિશનસિંહજીએ તેમને પૂછેલું કે

રાજસ્થાનના ક્યા ગામથી તેઓ પધારે છે! તેને નવાઇ લાગી ત્યારે કિશનસિંહજીએ

તેને કહ્યું હતું, “રાજસ્થાનની તહેજીબ (સંસ્કાર)માં વાક્યને અંતે શબ્દ બોલાય છે,

‘હુકમ’.  અમે રોકાઇ શકતા નહોતાં ત્યાં ગામનો પોલીસ પટેલ આવ્યો આદરથી

પૂછ્યું, ‘સા, કઠિને પધાર્યા હો, હુકમ?” (ક્યાંથી પધાર્યા છો, સાહેબ?) અને એ જ

મહેમાનગતિનો આગ્રહ. અમારે તરત નીકળવું પડ્યું તેથી કહ્યું, ફરી કોઇક વાર!
    વહેલી સવારે નીકળ્યા હતા પણ બપોરનું ભોજન સાથે લઇને નીકળ્યા હતા.

ભાખાસરની BOP પર ત્યાંના કમાંડરને મળી સીધા બ્રાહ્મણાં કી ઢાણી પર ગયા.   

ઢાણી એટલે પાંચ- દસ ઝૂંપડાઓનું ગામ. આવી જ્ઞાતિ સૂચક કે સ્થળ સૂચક ગામ

રાજસ્થાનના થારમાં ઠેર ઠેર મળે. બ્રામ્હણાં કી ઢાણીનાં ઝૂંપડા બે-ત્રણ માઇલ દૂર

હતા. ચોકી એક નાનકડી ગઢી જેવી હતી. પત્થરોની દિવાલ પર રાઇફલમેનના

બંકર, પાછળ નાનકડી ઓસરી અને એક મોટો ઓરડો જ્યાં જવાનો સૂએ. રસોઇ

માટે લંગર અને એક સાંગરીના ઝાડની નીચે ઓટલો બાંધેલો હતો, જેની આસપાસ

બેસી જવાનો જમે. 
    ચોકીમાં પહોંચતાં પહેલાં ભાખાસરની ચોકીએ તેમને જાણ કરી હતી કે અમે ત્યાં

પહોંચીએ છીએ. પોસ્ટ કમાંડર એક વૃદ્ધ ગુરખા હવાલદાર હતા. તેમણે સૅલ્યૂટ કરીને

કહ્યું, “હુકમ, ભોજનનો ટેમ થયો છે તો જમી – કરીને જ આગળ જશો. આપના માટે

ભોજન તૈયાર છે.”   મને નવાઇ લાગી. પણ આ તો ફોજનો શિરસ્તો છે, અને તેમાં

ભળી રાજસ્થાનની મહેમાનગતી! ભોજનમાં રોટલી, તીખું તમતમતું બટેટા – સાંગરીનું

શાક અને દાળ. અમને ખબર હતી કે આ ભોજન ત્યાંના જવાનોના રાશન

એલાવન્સમાંથી ખરીદેલી સામગ્રીમાંનું હતું. મેં તેમને કહ્યું  કે અમે પૅક લંચ લઇને

નીકળ્યા છીએ, પણ તેઓ માનવા તૈયાર જ નથયા. ‘સા, આપ નહીં જીમેંગે તો યે

ખાના બરબાદ હો જાયેગા, હુકમ.” શું કરીએ? અમે જમ્યા અને પૈસા આપવાનો

પ્રયત્ન કર્યો. હવાલદારની આંખમાં પાણી આવ્યું. ‘સાબજી, આપ અમારા મહેમાન

છો.” Between the Lines અર્થ નીકળતો હતો, મહેમાનગતીની કિંમત ના કરશો, હુકમ. 
    અમે તેમની સાથે વાતો કરી ત્યારે જાણવા મળ્યું કે મહિનામાં એક વાર, જ્યારે તેમના

કંપની કમાંડર જવાનોનો પગાર આપવા આવે, ત્યારે તેમના માટે મહિનાનું રાશન લાવે.

શાક ભાજીમાં કાંદા – બટેટા અને બે -ત્રણ દિવસ ચાલે એટલાં તાજાં શાક ભાજી. ત્યાર

પછી ‘દાલ-રોટી-ચાવલ’ કોઇ કોઇ વાર કાંદા બટેટાનું શાક, નહીં તો નજીકનાં સાંગરીના

ઝાડનાં કૂણાં પાંદડાંનું શાક રોજનો આહાર. કોઇ કોઇ વાર ભાખાસરના બજારમાંથી

મળે તો શાકભાજી લાવે. ભોજન બાદ અમે પેટ્રોલીંગ પર ગયા, પાંચે’ક માઇલ ગયા બાદ

પાછા આવવું પડ્યું.    બીજી વાર પેટ્રોલીંગ પર જવાનું થયું તે પહેલાં મેં એક જવાનને

પાલનપુર મોકલ્યો અને ચાર-પાંચ ડઝન કેળાં અને એટલી જ નારંગી મંગાવી. ભાખાસર

પોસ્ટ પર થોડી આપી. જ્યારે બ્રાહ્મણાં કી ઢાણીના કમાંડરને ફળ આપ્યાં તો પહેલાં

તો તેમની આંખમાં ઝળઝળીયાં આવ્યા. પછી બોલ્યા,”શાબજી, આપ શંતરા લાયા?

ઇસ ઢાણીને ઉસકી હયાતીમેં પહેલી બાર શંતરા દેખા ! આપને બો’ત મહેરબાની

કિયા! ” અમે નિ:શબ્દ. અમે તો તેમની મહેમાનગતીની કદર કરવા એક નાની સરખી

ભેટ લઇ ગયા હતા અને તેની આટલી કૃતજ્ઞતા જોઇને ખરેખર સંકોચ થયો. પણ જ્યાં

સુધી જિપ્સી રાઘાજીના નેસડામાં રહ્યો, અને રાજસ્થાન જવાનું થયું, આ શિરસ્તો

ચાલુ રાખ્યો.
    આવતા અંકમાં બનાસકાંઠામાં  સાંભળેલી – અનુભવેલી કેટલીક

આખ્યાયિકાઓની વાત કરીશું.

 
***    Posted by Capt. Narendra