” Who Am I ”
જાતે જ જાતને ઓળખવી જોઈએ
મારી જાતને ઓળખવાના પ્રયાસ રૂપે આજે ફરી એકવાર પ્રમાણિકપણે મારું પોતાનું, મારા અત્યાર સૂધીના જીવનનું, મારા વિચાર અને વર્તનનું વિહંગાવલોકન (Bird eye view) કરવા માંગુ છું. હું કોણ છું? હું કેવો છું? અને શા માટે અથવા કયા કારણે હું છું તેવો છું. મારા જન્મથી આજ સૂધીના ઘડતર માટેના પરિબળો પણ તપાસવા રહ્યા.
આ પહેલા મેં પરાવલંબી ઓળખની વાત કરી હતી. અને હવે આત્મનિરીક્ષણ. મારા અંગત વિચારો માત્ર હું જ જાણું છું. મારા વિચારોની સાચી અભિવ્યક્તિ અન્યો સમક્ષ કરું છું કે દંભયુક્ત મઠારેલી વાતો જ રજું કરુ છું, એ માત્ર હું જ જાણું છું. મારી સાથે સંકળાયલી, મને જોનાર, જાણનાર કે સાંભળનાર વ્યક્તિ, કે મારા લખાણ વાંચનાર વાચક માત્ર મારા કથન કે કોરિયોગ્રાફી પ્રમાણે જ મારા વિચારોનું મુલ્યાંકન કરે છે. મારી સફાઈદાર વર્તણુક કે જાહેર વર્તન મુજબ મને માપે છે. એટલે ખરેખરતો મારી પરાવલંબી ઓળખ પણ કેટલેક અંશે મારા પોતાના નિયંત્રણ હેઠળ છે.
હું બધી બાજુથી ઘડાયલો સમાન પાસા વાળો હીરો નથી. હું એક અનિયમિત આકારનો પથરો છું. એની એક તરફ મારી આસ્તિકતા નાસ્તિકતાની ન સમજાય એવી બાજુ છે.
તો આજે મારે મારા ધાર્મિક વિચાર-વર્તનની વાત કરવી છે.
હું ગાઈ વગાડીને લોકોને કહેતો ફરું છું. જો અસલના ગુજરાતની શાળાઓના ધારા ધોરણ પ્રમાણે પરીક્ષામાં ૩૫% માર્કે પાસ થવાતું હોય તો હું ૩૦% ધાર્મિક છું. ૩૦% રેશનાલિસ્ટ છું….બન્નેમાં નાપાસ છું. બાકીના ૪૦%? હું, હું જ છું. પણ હું કોણ? ફરી પાછો એજ પ્રશ્ન.
ચાલો આજે હું સ્વેચ્છાએ આપની અદાલતમાં મારી કેફિયત રજુ કરું. આપ જ નક્કી કરો કે હું ધાર્મિક છું? નાસ્તિક છું? દિશાહિનમુર્ખ છું?
મારા પિતામહે કાશીમા વેદાભ્યાસ કરેલો. સુરતની સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના કર્મકાંડાચાર્ય તરીકે એમનું જીવન પર્યંત શિક્ષણ પ્રદાન . પિતા અને કાકાઓ, મામાઓ, ફૂઆ અને અન્ય કુટુંબીજનો સૌ શિક્ષક કે શિક્ષણ ક્ષેત્રમાં. એમાંથી કેટલાકે નિવૃત્તિ ની પ્રવૃત્તિ તરીકે મર્યાદિત રીતે યજમાનવૃત્તિ અને કર્મકાંડ અપનાવેલું.
મારી બાએ ઘરના સ્થાપિત દેવતાના પૂજન અર્ચન અને વ્રત ત્યૌહારની પેઢીદરપેઢી ચાલતી આવેલી પ્રણાલિકા શ્રદ્ધા પૂર્વક ચાલુ રાખેલી. માત્ર ઘરના દેરાસરના જ દેવતાનું દૈનિક પૂજન નહીં પણ તુળસી ક્યારા અને ઘર પાસેના પિપળાના ઝાડનું પણ પૂજન અને પ્રદ્ક્ષિણા. બહાર ઓટલા કે અગાસીમાં જઈને સૂર્ય પુજન. એ આચમનીમાં પાણી લઈ અંજલી આપતી. ફૂલ ચડાવતી. ફૂલ પાછું માત્ર એકાદ ફૂટ જેટલું દૂર બાના પગ પાસે જ પડતું.
બાર ચૌદ વર્ષની ઉમ્મરે હું હસતો. હું ટીકા કરતો. હું રેશનાલિસ્ટ બનતો ગયો. હા રેશનાલિઝમ શબ્દ હું જાણતો ન હતો. મારી સમજ પ્રમાણે પૂજન અર્ચનની ઠેકડી ઉતારવામાં મને મજા આવતી. બા મારી સામે દલીલ કરી શકે એમ ન્હોતી. કરવા માંગતી પણ ન્હોતી. એ માત્ર શ્રદ્ધાળુ હતી. એની શ્રધ્ધા કોઈને નડતી ન હતી. કોઈને કોઈપણ રીતે નુકશાન કર્તા ન હતી.
નાનો હતો ત્યારે હું પણ પાઠશાળામાં જતો હતો. અર્થ સમજ્યા વગર પુરાણોક્ત અને વેદોક્ત શ્લોક કંઠસ્ત કર્યા હતા. પુરાણોની વાતો, વાર્તાઓ તરીકે નાનપણમાં ગમતી હતી. આજે પણ ગમે છે. આ રીતે બાળપણ અને કિશોરાવસ્થા, ધર્મ, દેવદેવતા, કે કર્મકાંડ પ્રત્યે સ્વીકાર પ્રતિકારમાં પસાર થઈ . ગયા.
‘વિવેક વિચાર પંથ’ જેવો શબ્દ સાંભળ્યો ન હતો. અમે માત્ર બે શબ્દોનો ઉપયોગ કરતા.
“સમજ વગરની અંધશ્રદ્ધા” અને “સુધારાવાદ”.
પિતામહના પોતાના કોઈ યજમાન નહીં, એટલે કર્મકાંડ ખૂબજ મર્યાદિત. એમનું કાર્ય પાઠશાળાના પગારદાર શિકક્ષક કે ગુરુ તરીકેનું. પિતાજી અને કાકા કર્મકાંડ શિખેલા પણ વ્યવસાયતો સ્કુલમાં શિક્ષક તરીકેનો જ. બસ આ જ વાતાવરણમાં મોટો થયો.
તે સમયે એટલે કે સદીના પચાસના દાયકામાં સુધારાની ઘેટાશાહીનું હું પણ એક ઘેટું હતું. બધાજ સામાજિક રીતરિવાજો અને ધાર્મિક ક્રિયાઓ અર્થ વગરની છે એવું હુ માનતો હતો. હજુએ માનું છું. છતાં આજે એના સ્વીકાર માટેનો મારો અભિગમ બદલાયો છે. એ વાત જરા પછી કરીશ.
શહેરમાં મોટો થયો હતોને! ગ્રામ્ય ભૂત ભૂવા લીંબુ મરચાની સંસ્કૃતિ વિષે ખાસ જાત અનુભવ ન્હોતો. માત્ર સાંભળ્યું જ હતું. મરણોત્તર રુવાજોમાં હું અને મારા સમવયસ્ક મિત્રો તે સમયે પણ માનતા ન હતા. આમ આજની દૃષ્ટિએ અમે રેશનાલિસ્ટ હતા.
અને મારી સહચરી ખાસ ધાર્મિક પણ નહીં, રેશનાલિસ્ટ પણ નહીં. મંદીરે જવું જ એવું પણ નહીં, ન જ જવું એવું પણ નહીં.
૧૯૬૮માં લંડન ગયો? ત્યાં કોઈ મંદીરે જવાનો અવકાશ જ ન હતો.
એજ પ્રમાણે ૧૯૭૦માં ન્યુ જર્સી. અમેરિકામાં. ભાવનો અભાવ અને અભાવનો ભાવ. બે ચાર મહિને ચાહી ચલાવીને હરે ક્રિષ્ણ ટેમ્પલમા બ્રુકલીન જતા. પ્રસાદ લઈને ગોરીયાઓની ભક્તિને બીરદાવતા ઘરે આવતા.
સમયાન્તરે ઠેર ઠેર મંદીરો થવા માંડ્યા. એક સાથે અનેક સામ્પ્રદાયીક મંદીરો અને મંદીરના લાભાર્થે બાપુઓની કથા સપ્તાહ ઉભરી આવ્યા. ફરી પાછી ઘેલછા અને ટોળાશાહી. મારા કુટુંબમાં અમને કોઈ બાપૂ પર અહોભાવ નથી. મને કે મારી પત્નીને કોઈ પણ બાપુ પર વારી જઈને ચેલા બનવાની કોઈ લાહ્ય નથી. ધાર્મિક સંપ્રદાયોની સાથે સાથે રેશનાલિઝમ પણ એક સંપ્રદાય તરીકે ઉપસી આવ્યો. એની ઝનૂન પુર્વકની સમાજ સુધારણા નીતિ થોડી કઠવા માંડી. કોઈ રેશનાલિસ્ટને બેન્ડ નગારા વગાડીને અમને શીખવવાની જરૂર નથી. મારે મારા જીવનની લગામ કોઈ પણ બની બેઠેલા ગુરુના હાથમાં સોંફવાની જરુર નથી. કેટલીકવાર માનવીને ખોટા હોવાનું પણ ગૌરવ હોય છે.
સામાજિક રૂઢીઓ વહેતી રહે છે. બદલાતી રહે છે. માનવીને તેના ઘડતર પ્રમાણેનો માન્યતાનો “કમ્ફર્ટ ઝોન હોય છે” માંબાપ માનતા હોય એના સંસ્કાર ભલે એજ હોય પણ માન્યતાઓનો બદલાવ આવતો જ હોય છે. મેં મારામાં, મારા સંતાનોમાં, અને પૌત્ર પૌત્રીમાં એ પરિવર્તન નિહાળ્યું છે.
મારામાં એક અવળચંડાઈ ઘૂસી ગઈ છે. હું નાસ્તિકની નજરમાં આસ્તિક તરીકે અને આસ્તિકની નજરે નાસ્તિક ગણાતો આવ્યો છું. હું હિન્દુ સમાજનું સામાન્ય ઘેટું છું.
બાના દેવલોક પામ્યા પછી મેં વિચાર કર્યો કે સ્થાપિત મૂર્તિઓને જળમાં પધરાવી વિસર્જન કરવું. પણ ના. યોગિની સ્વેછાએ સેવા કરવાનું સ્વીકારી લીધું. ઘરમાં રોજ એની ભાવના પ્રમાણે પૂજન અર્ચન કરે છે. હવે હું દલીલો નથી કરતો. દેવસ્થાનને શુશોભિત રાખવામાં રસ લઉં છું. જો આરતીના સમયે હાજર હોઉં તો બે હાથ જોડીને ઊભો રહું છું.
મારે માટે હજુ પણ પૌરાણિક પાત્રો (રામ અને કૃષ્ણ) વિશિષ્ટ માનવો છે છે. એ અંધશ્ર્ધ્ધા નથી એ એક સંસ્કૃતિ છે.
હું મારી સ્ટુડન્ટ લાઈફમાં ચોમાસાના દિવસો બાદ કરતા હંમેશા ઘરના ઓટલા પર કે અગાસીમાં ખુલ્લા આકાશ નીચે સૂવાનું રાખતો. રાત, મધરાત અને સવારના ધીમી ગતીએ સરતા તારા મંડળોને જોતો. તે સમયે વિચારતો કેવું વિશાળ છે આ આકાશ! પછી તો વાંચતો થયો. સોલાર સિસ્ટીમ અને અનેક ગેલેક્ષીઓ. હવે વિજ્ઞાન કહે છે બ્રહ્માંડમાં ૪૦૦૦ કરોડ પૃથ્વી જેવા ગ્રહો હોવાની શક્યતા છે. શું કોઈક ગ્રહ પર વિશિષ્ઠ માનવો ન હોઈ શકે? ચતુર્ભુજ માનવો કે દેવો કે દાનવો ન હોઈ શકે? જેને દેવ કે દાનવો તરીકે ઘણી શકીયે? આતો માત્ર કલ્પના જ છે. હું મારા જીવનકાળ દરમ્યાન આ જાણી શકવાનો નથી. કંઈ કેટલા બ્રહ્માંડ સર્જન અને બૉસપાર્ટિકલને સમજ્યાનો પોકળ દાવો કરતા હોય છે. હું તો નરી આંખે જોઈ શકાતા તારાઓના નામથી પણ ઓળખી શકતો નથી. અન્ય ગ્રહો અને આકાશગંગાઓ માત્ર પ્લેનેટોરિયમમાં જ નિહાળી છે. ત્યારે વિચારું છું કે કરોડો આકાશગંગાઓ એક કેન્દ્રની ફરતે ફરે છે બસ એજ કાલ્પનિક કેન્દ્રને “સેન્ટર ઓફ યુનિવર્સ” ને હું ઈશ્વર માની લઉં છું.
હા, હવે હું સમજ્યા વગરનો અબુધ ધાર્મિક માણસ છું. હું જ્યારે મંદીરમાં માનવીય પ્રતિમા સામે ઊભો રહું છું ત્યારે આકાશગંગાઓના કેન્દ્રને વિચારું છું. હું તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનની ફરતે શક્તિના સ્રોતરૂપ ઈલેક્ટ્રોન વિષે વિચારું છું.
પિતાના એક વિશિષ્ટ શુક્રાણું અને માતાના એક અંડને પ્રણમું છું જેના વડે અદ્ભૂત માનવપિંડ સર્જાય છે. એજ પ્રમાણે જીવસૃષ્ટિનું સર્જન થાય છે. એ પ્રકૃત્તિને હું ઈશ્વર માનું છું. હું ધાર્મિક છું.
અને મારી આ માન્યતા હોવા છતાં, હું મારા ઘરના દેવસ્થાન સામે હાથ જોડીને થતી આરતીના દર્શન કરું છું
હું પાઠશાળામાં શીખ્યો હતો
ન તે રૂપં, ન ચાકારો, નાયુધાની ન ચાસ્પદમ
તથાપી પુરુષાકારો ભક્તાનામ ત્વં પ્રકાશશે
મને રૂપ, આકાર, મારા હાથમાં કોઈ શસ્ત્ર નથી, મને પગો કે સ્થાન નથી, તો પણ હું મારા ભક્તો માટે પુરૂષના આકારમાં પગટ થાઉં છું. આ પણ એક કાલ્પનિક આશ્વાસન છે.
હું એ કાલ્પનિક પુરુષાકારમાં પ્રભુની અનેક પ્રતિમાઓના દર્શન કરતા પુરુષાકારના તિલકની મધ્યમાંની એક બિંદીમાં બ્રહ્માંડ ગોઠવવાની કોશીશ કરું છું. ઓઉમના અર્ધચંદ્રની નાની બિંદીમાં જીવના સર્જન ખોળવા કોશીશ કરતો રહું છું.
જો માનવ સર્જીત સેટેલાઈટ પરથી ઈચ્છીત સંદેશાઓ મેળવી કે મોલલી શકાતા હોય તો આકાશના ગ્રહો અને તારામંડળો પરથી પણ સિગ્નલ આવતા જ હશેને! આપણા દેહને વીધીને કરોડો કિરણો પસાર થતા હશે. તેજ પ્રમાણે જીવંત કે નાશ પામેલા અને સ્ટારડસ્ટ બની ગયેલા દેહની કોઈક ઉર્જા કોઈક બીજી જ પૃથ્વી પર પહોંચતી હશે ને! એ ઉર્જા કોઈક પૃથ્વી પર કોઈક નવા જ જીવનું સર્જન ન કરતું હોય!
બસ આવા ગાંડી કલ્પનાઓમાં હું ઈશ્વરી તત્વ ગોઠવવા પ્રયાસ કરું છું. હું ગાડો ધાર્મિક, અંધશ્રધ્ધાળુ માનવી છું.
મારી માન્યતા પ્રમાણે હું મારું અત્યાર સુધીનું જીવન કોઈ વ્યક્તિ કે સમાજને હાની કર્તા તરીકે જીવ્યો નથી. મને મારા જીવનથી સંતોષ છે. હું માનું છું કે મારા શેષ જીવન માટે મને કોઈ ઘર્મગુરુ કે રેશમાલિસ્ટના માર્ગદશનની જરૂર નથી. મારું આતર્ મન એ મારું એક અનોખું વિશ્વ છે. વ્યાવહારિક ધાર્મિક આચાર વિચાર ૩૦% અને સામાજિક કુરિવાજો પ્રત્યેના રેશનાલિઝમના ૩૦% સિવાયના ૪૦%મા મારું અંગત અનોખું વિશ્વ છે. એજ હું છું…એ જ હું છું પણ હજુ એ હું મને ઓળખતો નથી.
“હું કોણ” ની સીધી સાદી દુન્યવી ઓળખ આ પ્રમાણે છે…
હું માનું છું કે હું ધાર્મિક છું. અને પ્રસંગોપાત ધરમના પાયા પર રચાયલા સામાજિક ઉત્સવોમાં પણ મર્તાદિતરીતે ભાગ લઉં છું. શાસ્ત્રીય રાગોમાં ગવાયલા ભજનોનો રસીયો છું. એક પણ અક્ષર નથી સમજતો પણ આવર્તન સહિતના વેદમંત્રો સાભળવા ગમે છે. હા હું ધાર્મિક છું.
મારા ધાર્મિક મિત્રો સ્નેહીઓ માને છે કે હું કમકાંડમાં ન માનતો નાસ્તિક છું. છતાંએ સત્યનારાયણની કથામાં મિત્રોને ત્યાં જાઉં છું. ડાયાબિટિઝ હોવા છતાં પ્રસાદનો શીરો બે વાર આરોગું છું. મેં મારી કેફિયત રજુ કરી આપ મને ક્યો સ્ટેમ્પ મારશો. અંધશ્ર્ધ્ધાળુ, દિશાહિન જે નાસ્તિક?
“…અસ્તિત્ત્વમાં બધું પ્રવાહી છે- સતત ચલાયમાન છે. …”
” હું નિરંતર વહેતો સમય-પ્રવાહ છું
હું અનંત અવિનાશી શુધ્ધ આત્મા છું.”(चेतना छुं)
…………………………………………………………….
Small Cute Beauties of Life lived with Smiles… Laughter.. i.e. ” PARAM AANAND..” is the GOAL, Enjoy L I F E … fully….. filled to the brim …[ આકંઠ,છલોછલ,ભરપૂર ]
LikeLiked by 1 person
અંધશ્રદ્ધા જેટલી ખતરનાક છે, એટલી જ અંધ -અ શ્રદ્ધા પણ ખતરનાક છે. પોતાને રેશનાલીસ્ટ કહેવાનો દાવો ન કરો ત્યાં સુધી, જ્યાં સુધી તમે ” મને ખબર નહિ કે હું ધાર્મિક છું કે આધાર્મિક” એવા અસ્પષ્ટતાના વિસ્તારમાં છો ત્યાં સુધી તમે- “જિજ્ઞાસુ” રહો છો. પછી ને પગથીયે તમે ધાર્મિક કે અધાર્મિક બની શકો. અસ્પષ્ટતાના ક્ષેત્રમ ઉભા હોઈએ તેની જાગૃતિ બસ છે. કશું માનવા કે ન માનવાના આગ્રહને પડતો મુકો, ત્યારે જાણવાની તાલાવેલી જાગે. એ તાલાવેલી તમને તમારા દર્શન ધાર્મિક તરીકે/ અધાર્મિક તરીકે કરાવે તો તે તમારું સત્ય. સત્ય શોધવાની તાલાવેલી એ તો ધાર્મિકતા છે. રામ-કૃષ્ણ કે શંકરમાં માનો છો- એ તો અર્થહીન પ્રશ્ન છે. તમારી જાતમાં માનો છો? તો તમે બધામાં માનો જ છો. જે ભગવાનનું હજુ નામકરણ નથી થયું તેમા ય માનો છો.હું કોઈ માં નથી માનતો, અને હું અમુકમાં માનું છું એ સ્ટેટમેન્ટ બંને અધાર્મિકતાના ઉચ્ચારો છે. “શું ખબર ” એ પ્રશ્નથી ભરેલું ચિત્ત જ સાચી ધાર્મિકતાથી પરિચિત કરાવી શકે. હું ધાર્મિક છું કે હું અધાર્મિક છું , હું ઈશ્વરમાં મનનું છું કે ઈશ્વરમાં નથી માનતો એ બંને સરખી નાસ્તિક ઘોષણાઓ છે. માન્યતાનો જે વિષય જ નથી. સ્વ-બોધ, જાણકારીનો જ જે વિષય છે. ત્યાં, જાણ્યા પહેલા તો મૌન જ થવું ઘટે.તમે બંને options ખુલ્લા રાખ્યા છે, એટલે તમે ધાર્મિક! જડતા પૂર્વકનું વલણ તે જ અધાર્મિકતા. ભગવાનમાં માની ને પણ અધાર્મિક હોઈ શકાય. અને ભગવાનમાં ન માનીને પણ પરમ ધાર્મિક હોઈ શકાય. બુધ્ધક્યાં કોઈ ભગવાનમાં માનતા હતા? છતાં પરમ ધાર્મિક. FB ઉપરના સ્ટેટસની માફક તે ઘણી વાર બદલાયા કરે એવી બાબત છે. અસ્તિત્ત્વમાં બધું પ્રવાહી છે- સતત ચલાયમાન છે. મારી ગઈકાલે જ FB ઉપર મુકેલી એક ગઝલનો શેર ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી:
એ નથી- કે- એ જ છે” -ની મૂંઝવણ અકબંધ છે
ગૂંચ સ્હેજે ના ઉકેલે,, તે બહસ નું મોલ શું ?
LikeLiked by 2 people
મારા બ્લોગમાં પધાર્યા એ મને બહુમાન જેવું લાગ્યું, આપ, સુરેશભાઈ, શરદભાઈ, કૌશિક દીક્ષિતજી જ્યારે ભિતરના ચિંતનની વાતો ચર્ચતા હો ત્યારે “વાઉવ “થી મારું મોં એટલું તો પહોળું થઈ જાય કે કોઈ આખા ફૂલ સાઈઝના મોદક મૂકી દે તો પણ મોં માં મેથીયા અથાણાની જગ્યા રહે. સાચી વાત એ કે પહેલ્થી જ IQ નો પનો ટૂંકો અને ટંગડી ઉંચી. સુરેશ ભૈને મળ્યો નથી. થોડી બીક પેસી ગઈ છે. કદાચ ડંડા પ્રયોગ કરી “અંદર ” કરી દે તો?
LikeLike
“મારું આતર્ મન એ મારું એક અનોખું વિશ્વ છે. …
કોઈના ‘સ્ટેમ્પ’ની શી જરૂર” કે’વાનું કહી દીધું .બસ આનંદો ને ભૈલા!
[પરંતુ આજે એટલું પણ સમજાય કે, હું પીડામાં છું, હું દ્વીધામાં છું, હું ખોટો છુ તો એ સત્યનો સ્વીકાર, સત્ય તરફનુ પ્રથમ દ્વાર ખોલી નાખે છે અને સત્ય તરફની યાત્રાની શરુઆત થાય છે.
તમારી યાત્રાના શુભારંભે મારી શુભેચ્છાઓ.] આ વાત પણ સહી જ … ” પ્રભુશ્રીના આશિષ તો વરસે જ છે !
બસ, ‘પર’માંથી ખાસ ‘સ્વ’માં વસ … અંતરતમને અનુસર…
( આ એક નિયમ કાફી છે , નથી?) કાફી નથી ?
LikeLiked by 1 person
નાસ્તિક બનવા તેમજ આસ્તિક બનવા ઈશ્વર તો જોઈએ જ !
ખુદને જાણવા ઓળખવામાં જ વ્યક્તિ ગુંચવાઈ જાય છે,કોઈ નાસ્તિક તો કોઈ આસ્તિક બની જાય છે પણ વ્યક્તિ ખુદને જ ભૂલી જાય તો જ ખુદા મેળવે છે !
LikeLiked by 1 person
વહાલા વડીલ પ્રવીણભાઈ,
મેં ખુબ જ ધ્યાનથી ‘મારા ધાર્મિક વિચાર-વર્તન’ વાંચ્યું. તમારા ખુલ્લા દીલના સઘળા એકરાર બદલ મને હર્ષ અને ગર્વ થયો. ભાગ્યે જ કોઈ આટલી સ્પષ્ટતાથી પોતા વીશે લખી શકે.. તે બદલ તમને ખુબ ખુબ અભીનન્દન..
LikeLiked by 1 person
આ૫ બંનેમાંથી ફેંસલો કરશો કે આસ્તિકતાનું સ્વરૂ૫ આ છે અને નાસ્તિકતાનું સ્વરૂ૫ આ છે. નાસ્તિક શું છે ? નાસ્તિક એટલે આસ્થાઓનો ઇન્કાર કરનાર. આસ્થાઓનો ઇન્કાર એટલે વિશ્વ વ્યવસ્થાઓનો ઇન્કાર કરનાર. નાસ્તિક એટલે કર્મ વ્યવસ્થાનો ઇન્કાર કરનાર.
જે માણસ એમ કહે છે કે ગંગાજીમાં નહાવાથી પા૫ દૂર થઈ જાય છે, તેનું નામ છે નાસ્તિક. કારણ કે બીજી રીતે એમ કહે છે કે આ૫ણે પાપોનું ફળ ભોગવવું નહિ ૫ડે. જે સનાતન માન્યતાઓ હતી, શાશ્વત માન્યતાઓ હતી, જે અધ્યાત્મનું તત્વજ્ઞાન હતું, તે એટલાં માટે મનાઈ કરે છે કે કર્મફળથી આ૫ બચી શકતા નથી અને આ નાસ્તિક કહે છે કે કર્મફળથી આ૫ણે બચી શકીએ છીએ, ગંગામાં નહાવાથી પા૫ દૂર થઈ જાય છે.
‘ડાયાબિટિઝ હોવા છતાં પ્રસાદનો શીરો બે વાર આરોગું છું’
કહ્યું કે ડાયાબીટીસમા શીરો ન ખવાય ?પ્રમાણ નક્કી કરી જરુર ખવાય.કેટલાય ડાયાબીટીસ વાળા ડબ્બામા ગળપણ રાખે અને જ્યારે શરીરમા ખાંડનુ પ્રમાણ ઓછું થાય કે તુરત આ ઉપાય કરે.અમારા સગા સ્નેહીઓમા આ ઉપાયથી તંદુરસ્ત રહ્યા છે
LikeLiked by 1 person
એક શુધ્ઘ માનવ ઈનિસાનીયત વાળા જીવ..
મંજા આવી …તમે….મને વાંચતો કયૉ ખરો…
શુભ પભાત .ભારત ની
LikeLiked by 1 person
Pingback: મારા ધાર્મિક વિચાર-વર્તન | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી
સત્યને કોઈ સ્વિકારે કે ન સ્વિકારે તેનાથી સત્ય બદલાતું નથી.(આ નિયમ છે.) ગેલેલીયોની કથા (Controversy over heliocentrism) આપને અને અન્ય વિદ્વાન મિત્રોને ખબર હશે જ એટલે અહી પુનરાવર્તન નથી કરતો.
LikeLike
શરદભાઈ આપે સફેદ ઝૂઠની વાત કરી એ પણ સ્વીકારવા જેવી છે. સંતોષ ક્યારે થાય? જો આત્મનિરીક્ષણ દ્વારા પોતાની શક્તિનું સાચું માપ કાઢી શકતા હોય અને સમજી શકાતું હોય (પ્રભુએ એવા સંયોગો ગોઠવ્યા હોય) કે મારી લાયકાત કરતાં હું વધારે પામ્યો છું ત્યારે અવસ્ય સંતોષ થવો જોઈએ. જીવનના અંતિમ છેડાના થોડા વર્ષો બાકી રહ્યા હોય તો પણ અસંતોષી જીવડાને જંપ ન મળે એ હવાંતિયાનો શો અર્થ? મને આપનો પ્રતિભાવ ગમ્યો.
LikeLike
Thanks Riteshbhai.
LikeLike
Well theme and crtical but real !!nice article.
LikeLike
પ્રવીણભાઈ, તમારી જિંદગીનું તમોએ કરેલું જાત નિરીક્ષણ – Self Audit – મને ગમ્યું .
“હું કોણ છું ” એ પ્રશ્નનો જવાબ શોધવા માટે માણસની આખી જિંદગી પસાર થઇ જાય છે છતાં એનો સાચો ઉકેલ એ નથી મેળવી શકતો .
સંત સુરદાસે એના એક ભજનમાં કહ્યું છે કે ” મોસમ કૌન કુટિલ ખલ્કામી ” એટલે કે આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ માણસ નથી .
અભિમાનને -ઈગોને મારવા માટે આ ફિલસુફી કામ લાગે એવી છે .
જાતે ફુલાઈને ફાળકો થઇએ શું કામનું ! ઇગોનો ફુગ્ગો ફૂટતા વાર લાગતી નથી એમાંથી હવા નીકળી જતાં
આપણી મૂળ જાત ઉપર આપણે આવી જઈએ છીએ .
જ્યોતીન્દ્ર દવેએ એમની આત્મકથાનું નામ સરસ આપ્યું છે -” અલ્પાત્માનું આત્મ પુરાણ ”
મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં એમની નબળાઈઓ અને ભૂલો છુપાવ્યા વિના જણાવી દીધી છે .
આ આત્મકથાનું નામ સત્યના પ્રયોગો રાખ્યું છે એ કેટલું સુચક છે !
આવાં પ્રયોગોએ એમને મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા બનાવી દીધા.
LikeLike
‘દરેક માનવીને પોતાના વિચારો પ્રમાણે ન જીવી શક્યાનો અહેસાસ ઉત્તરાવસ્થાએ જ થતો હોય છે. મારું માનવું છે કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ સમજીને દરેકે પોતાની મરજી મુજબનું શેષ જીવન જીવી લેવું જોઈએ.’ (આ વિષયે અંગત રીતે લખેલી મેઈલનો એક અંશ)
LikeLike
પ્રેમ.
માનવ જીવનનો ધ્યેય જ એ છે કે તે તેના અસલ સ્વરુપને ઑળખે.(WHO AM I?) અને જ્યાં સુધી આપણે આપણા અસલ સ્વરુપને ઓળખતાં નથી ત્યાંસુધી અજંપો, ઊકળાટ દુર થતો નથી.(આ નિયમ છે.)
કહેવા માટે આપણે કહીએ કે મને મારા જીવનથી કે હું જે છું તેનાથી મને સંતોષ છે પણ આ સફેદ જુઠ છે તે આપણે તો જાણતા જ હોઈએ છીએ. દુનિયામાં આપણે અન્યને છેતરી શકીએ છીએ પણ સ્વયંને છેતરી શકતાં નથી. (આ નિયમ છે.)
કન્ફેશન બોક્સમાં બેસી તમે જે લખ્યું છે તે બીજા લખે કે ન લખે, સ્વીકારે કે ન સ્વીકારે, પણ એ પીડા બધા ભોગવી રહ્યા છે તે નિસંદેહ છે.
પરમાત્મા છે કે નથી, પુનર્જન્મ છે કે નથી, કર્મના સિધ્ધાંતો સત્ય છે કે નથી, મુર્તિ પુજા સાચી કે ખોટી…. આ અને આવા અનેક પ્રશ્નો ભલે અનુત્તર રહ્યા. પરંતુ આજે એટલું પણ સમજાય કે, હું પીડામાં છું, હું દ્વીધામાં છું, હું ખોટો છુ તો એ સત્યનો સ્વીકાર, સત્ય તરફનુ પ્રથમ દ્વાર ખોલી નાખે છે અને સત્ય તરફની યાત્રાની શરુઆત થાય છે.
તમારી યાત્રાના શુભારંભે મારી શુભેચ્છાઓ.
પ્રભુશ્રીના આશિષ;
શરદ.
LikeLike
ભાઈશ્રી જગદીશ્ભાઈ, બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. નથી હું ચિંતક કે નથી હું, સાહિત્યકાર.ધર્મની મારી પોતાની સમજ અને સામાજિક વ્યવહારના વાસ્તવિક આચરણમાં વિસંવાદીતા રહે છે. એ કઠતી વાત As is રજુ કરી છે. આપ કર્મ સંજોગે સુરતમાં છો. હું સુરતી કર્મ સંજોગે સુરત બહાર છું. સુરતને હૈયામાંસાચવ્યું છે. આપને ફોલો કરું છું.
LikeLike
માન. શ્રી પ્રવીણભાઈ,
ફેઈસબુક પર ક્યારેક મુલાકાત હોઊં છું પણ મિત્રોના નવીનની ખબર રાખતો હોઊં છું. વાર્તાઓ વાંચવાનો શોખ નથી તેથી આપની વાર્તાઓની મુલાકાત ઓછી લેવાય છે.પણ જ્યારે સેલ્ફની વાત આવે ત્યાં તો રહી ન શકાયું કારણ કે હું એના જ પ્રયત્નમાં બ્લોગ રાઈટીં ગ કરું છું.
“મારી માન્યતા પ્રમાણે હું મારું અત્યાર સુધીનું જીવન કોઈ વ્યક્તિ કે સમાજને હાની કર્તા તરીકે જીવ્યો નથી. મને મારા જીવનથી સંતોષ છે. હું માનું છું કે મારા શેષ જીવન માટે મને કોઈ ઘર્મગુરુ કે રેશમાલિસ્ટના માર્ગદશનની જરૂર નથી. મારું આતર્ મન એ મારું એક અનોખું વિશ્વ છે.”
મારૂ આવું જ છે. ધાર્મિક માન્યતાઓ અને ભગવાન છે ? બાબતમાં http://bestbonding.wordpress.com/2013/06/28/does_god_exist/
આવા જ સંબંધના મારા વિચારો બ્લોગ પર અન્યત્ર લખાયેલા છે (જેમાં આપની જેમ મારા ‘કન્ફેશન’ પણ આવી જાય) જેમાંના કેટલાકની લિન્ક ઉપરની પોસ્ટ પરથી મળશે.
આજની પોસ્ટ ખુબ ગમી. ધન્યવાદ !
LikeLike
નવીનભાઈ, આપણે સૌ સમ્વયસ્ક છીએ. લગભગ એક સરખા સમયગાળામાંથી પસાર થયા છીએ. આપણા વિચારોમાં સામ્યતા રહેવાની જ. તમારા પ્રતિભાવો મારે માટે હંમેશા ઉત્સાહ પ્રેરક રહ્યા છે. આભારી છું.
LikeLike
પ્રવિણભાઇ, આપે તો બિલકુલ મારા જ વિચારોને રજૂ કર્યા. હું પણ અક્ષરશઃ આપના જેવું જ વિચારું છું. આપની બધી જ કૃતિઓ રસપુર્વક વાંચું છું. ક્યારેક ક્યારેક પ્રતિભાવો પણ લખું છું. મને આપના વિચારો ખુબ ખુબ ગમ્યા છે.
નવીન બેન્કર
LikeLike
ગાંધી સાહેબ આપની વાત સાચી છે. વૃધ્ધાવસ્થામાં આપણી પાસે વિચારવાનું મોટું ભાથું બંધાયું હોય છે.
LikeLike
પ્રવીણાબેન આપના પ્રતિભાવ પ્રેરક અને માર્ગદર્શક હોય છે. આપની અનુમતી વગર જ આ પોસ્ટમા આપનો પ્રતિભાવ મેં એક સ્રોત તરીકે મુકી દીધો. ક્ષમ્ય ગણશો એ જ અપેક્ષા.
LikeLike
Thanks Patel, for to the point analytical review. In our own religion there are so many good and bad practices exist. And as you have point out that even bad prctice also may be justified at the time when it started.
LikeLike
Thank You, Thank You, Thank you. Your kind and supporting words are my inspiration. I have been honest about my feelings towards our religion.. religion is our mental comfort and support in good and bad time in our life. Thanks again Doctor Saheba.
LikeLike
‘હું કોણ છું’ ? એ ખૂબ ગહન પ્રશ્ન છે. જે પણ હોઈએ તે ‘પોતાની દૃષ્ટિએ કે અન્યની દૃષ્ટિ એ’. .
માત્ર ‘ મારા કરતાં મારો ‘હું’ મોટો ન હોય તે મહત્વનું છું. ખૂબ સુંદર રીતે વિચારો રજૂ કર્યા છે.
ઈમાનદારી વારંવાર ડોકિયા કરે છે. ‘ઉંઘતાને જગાડાય, જાગતાને કેવી રીતે? ‘હું’ એ કરેલી
ભુલોનો એકરાર કેવી રીતે કરવો ? બસ, એ ‘હું’ જાગે ત્યાંથી સવાર.
LikeLike
શ્રી સુરેશભાઈ, સાદર વંદન. પ્રતિભાવ દ્વારા વિચારોની સામ્યતા દર્શાવી તે બદલ આભારી છું. સામાન્ય રીતે તો હું વાર્તાઓ જ લખું છું. આપણે લગભગ સમવયસ્ક છીએ એટલે તમે મારી ધાર્મિક ત્રિશંકુ મનોદશા સમજી શકો છો. ઘણા સમયથી મારા પોતાના મિત્રોના બ્લોગમાં રેશનાલિઝમની વાતો અને સાંપ્રદાયિક આંટીગુંટીમાં ગુંચવાતા ભોળા ભાવિકોની વાતો વિચારતો હતો. આ બધામાં મારું પોતાનું સ્થાન ક્યાં? ખરેખરતો આમાં મારા કોઈ વિશિષ્ટ ચિંતનને બદલે મારી માનસિક વ્યથા જ વ્યક્ત કરી છે. મારા વિચાર વર્તનમાં શક્ય એટલો પ્રમાણિક રહેવા કોશીશ કરી છે. કોઈક ક્ષતી લાગે તો ધ્યાન દોરતા રહેજો. (જોડણ એ મારી મોટી નબળાઈ છે. માફ કરશોને?)
LikeLike
નાનપણથી યુવાની સુધીમાં હું કંઈક છું, બીજા કરતાં નાનો છું, મોટો છું, હોંશિયાર છું કે નથી, પૈસાદાર છું કે ઓછો છું, તેવુંજ બધું મનમાં રહે છે……વૃધ્ધાવસ્થામાંજ યાદ આવે છે કે હું ક્યાં છું, હું કેવો છું…..કે હું કોણ છું, અને આ પણ એક સારી નીશાની છે, જાગૃતિની વાત છે, પોતાને જાણવાની…….
LikeLike
પોતાના અતીતને ઉજાગર કરવાનું કામ સહેલું નથી. તમે એ ખૂબ જ નિખાલસતાથી રજૂ કર્યું છે. જાતને કોણ ઓળખી શક્યું છે? આપણે આપણી ઓળખ અન્ય લોકોના આપણા વિશેના અભિપ્રાયો ઉપરથી કરીએ છીએ. લોકો કહે કે આ સારો માણસ છે તો આપણે માની લઈએ છીએ કે હું સારો માણસ છું, પણ જેને પોતાની ખરી ઓળખ થાય છે એ સારા થવાના પ્રયત્નોમાં લાગી જાય છે.(બુધ્ધ, મહાવીર)
LikeLike
ફરીથી… મારો ગમતો વિષય. જાણે મારી જ વાત- થોડીક વિગતોનો ફેર – એટલું જ!!
——–
પણ આખા સ્વ-દર્શનમાં ઈશ્વર હોવા કે ન હોવા વિશેની જ વાત કેમ છે? આ સિવાય પણ જિંદગીનાં અનેક પરિમાણો હોય છે જ. પણ આંતરયાત્રા આ જણનો માનીતો વિષય હોવાથી કબૂલાત કે; તમારી વાત બહુ ગમી.
એક સરસ શેર આજે વાંચવામાં આવ્યો-
આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા
-મનહર મોદી.
આ જાગૃતિની વાત છે. અને એ શરૂ થાય પછી શંકા- કુશંકાઓ નીકળી જાય છે.
LikeLike
Very nice.. Thought provoking..! Like 35% e pass thavaatu hoy to, sudhara nu ghetu, avalchandaai, away from sanskriti, etc..! Can see myself in this experiences..!
Mane laage chhe ke.. we are mix of east and west.. We have seen beauty, serenity, nobility, loftiness of our sanskriti.. And, west’s finger pointing ot it..! We have seen jamming of social flow, rituals, religion to its decaying,, falsity, rigidity by people.. And, then pointing fingers to vast, pure, serene Vedic ocean..! First acceptance, forceful or blind, is changing slowly to proper understanding of stronger, or eternal truths slowly, with experience, and knowledge..! Also, no one has a right to ridicule anyone, anything, especially past, without proper knowledge, exposure to that environment, or reasoning behind it..! I believe caste system, rituals, spirits, and even Sati pratha has its merits, points, reasons at once upon a time..! And, even if not, it’s not our business, to keep fussing about it.. Life, society changes as needed..!
I see, and believe that we, Hindus were driven out of our land by the British, West, as it was necessary to complete the universal, social cycle..! Eventually, Truth only survives..! Wrong ideas, myths, dogmas don’t last long.. It has to change, or vanish to better, or worst things..! Global opening up, unity, Hinduism understanding, Yoga, etc..!
You explained very nicely about your personality..! Dharmik, and adharmik.. Nastik and astik.. I bet everyone would see them in you..! Mixture of good-bad; split personality, paradoxical, tiniest-biggest..! Then, I would say, more evolved, understanding, sorting out, more fluid, flexible, and yeah, opportunistic….! Hahahaaah..! Aren’t we all..? We have ot be in existential Lila of survival..! Pranaam.. JSRK…
LikeLike
મારી માન્યતા પ્રમાણે હું મારું અત્યાર સુધીનું જીવન કોઈ વ્યક્તિ કે સમાજને હાની કર્તા તરીકે જીવ્યો નથી. મને મારા જીવનથી સંતોષ છે. હું માનું છું કે મારા શેષ જીવન માટે મને કોઈ ઘર્મગુરુ કે રેશમાલિસ્ટના માર્ગદશનની જરૂર નથી. મારું આતર્ મન એ મારું એક અનોખું વિશ્વ છે. ……………………………………
Pravinbhai,
A change from your Varta Lekhan.
This Post on your “Self Critic” is one the best !
All of us (Humans) talk about SELF ( I) ….yet we all are ignorant about our individual SELF.
Instead of wasting the time in definiting the SELF….LIVE a life doing GOOD & LOVED by the HEART…and DO NOT CAUSE HARM to others….Your ATMA will be the GUIDE or the GURU…You do not need OTHERS.
You are on the RIGHT PATH.
Let GOD be your WITNESS…no need for WORLDLY BEINGS as the JUDGES for you !
Dr. Chandravadana Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
Thanks Ashwnkumarbhai.
LikeLike
namaskar …pranam & like the article….
LikeLike